Connect with us

કૃષિ

પરથાણ ગામે બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જમીન માપણીનો વિરોધ

Published

on

પ્રાંત અધિકારીએ ખેડૂતો સાથે ચર્ચા ચાલુ રાખી સેટેલાઈટ માપણી કરી લેતા ખેડૂતોમાં આક્રોશ

નવસારી : ભારત સરકારના મહત્વાકાન્ક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ૨ વર્ષથી નવસારી જિલ્લામાં માપણીને કારણે ખોરંભે પડ્યો છે. ત્યારે તંત્ર દ્વારા ૨૮ ગામોમાંથી બાકી રહી ગયેલા ૫ ગામોમાં આજથી માપણીનો પ્રારંભ કરાયો હતો જોકે વળતરની જાહેરાત કર્યા વિના જ સરકાર દ્વારા અસરગ્રસ્ત પરથાણ ગામે માપણી શરૂ કરતા મોટી સંખ્યામાં અસરગ્રસ્ત ખેડૂતોએ ભેગા થઇ માપણી અટકાવી હતી, જેથી અધિકારીઓએ ખેડૂતો સાથે ચર્ચા કરવાનો રસ્તો અપનાવવો પડ્યો હતો. જોકે ખેડૂતો સાથે ચર્ચા વચ્ચે જ તંત્ર દ્વારા સેતેલાઈટ માપણી કરી લીધી હોવાનો રાગ આલાપ્યો હતો, જયારે ખેડૂતોએ આજની માપણીને બિન કાયદાકીય ગણાવી હતી.

મોદી સરકાર દ્વારા અમદાવાદથી મુંબઈ સુધી પ્રથમ બુલેટ ટ્રેન દોડાવવાનું સપનું જોયું છે અને તેની જાહેરાત થયા બાદ જમીન સંપાદનની પ્રક્રિયા આરંભ કરવામાં આવી હતી. જેમાં નવસારી જિલ્લામાં ૨૮ ગામોમાંથી બુલેટ ટ્રેન પસાર થશે. જેના અસરગ્રસ્ત ખેડૂતો અને રહેવાસીઓને કેટલું વળતર મળશે, એની જાહેરાત કર્યા વગર જ સરકાર દ્વારા માપણી આરંભાઈ હતી. જેમાં બે વર્ષોમાં તંત્ર દ્વારા ૨૩ ગામોમાં ફિઝીકલી માપણી કરવામાં આવી છે, પરંતુ જિલ્લાનાં પરથાણ, વેજલપોર, આમડપોર, કેસલી અને પાટી ગામમાં માપણી બાકી રહી હતી. દરમિયાન આજે જિલ્લા તંત્ર દ્વારા આજે નવસારી તાલુકાના પરાથાણ ગામે માપણી માટે સંબંધિત ખેડૂતોને નોટીસ પાઠવી હતી. જયારે અધિકારીઓ પોલીસ બંદોબસ્ત સાથે માપણી કરવા પહોંચ્યા હતા જ્યાં બુલેટ ટ્રેન અસરગ્રસ્ત ખેડૂતો એકજુથ થઇ ભેગા થયા હતા અને માપણીનો વિરોધ નોંધાવ્યો હતો. જેમાં અધિકારીઓ દ્વારા ખેડૂતો સાથે પરથાણ ગામે પણ બંધ બારણે બેઠક કર્યા બાદ નવસારી પ્રાંત અધિકારીએ ખેડૂત આગેવાનોને ચર્ચા વિચારણા માટે પ્રાંત કર્ચેરીએ બોલાવ્યા હતા. જ્યાં ખેડૂતોની સાથે ચર્ચા વચ્ચે સેટેલાઈટ માપણી કરી લીધી હોવાની પ્રાંત અધિકારીએ વાત કરતા ખેડૂત આગેવાનોમાં રોષ જોવા મળ્યો હતો.

” ખેડૂતોએ માપણીને બિન કાયદાકીય ગણાવી, ખેડૂતો ગાંધીનગર સરકારમાં કરશે રજૂઆત “

મોદી સરકારના મહત્વના પ્રોજેક્ટોમાંથી એક બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં વળતર મુદ્દે ગુજરાત સરકાર કોઈ ફોડ નથી પાડી રહી. બીજી તરફ નવસારી જિલ્લાની જંત્રી પણ અવાસ્તવિક હોવાનો તત્કાલીન જિલ્લા કલેક્ટરે રીપોર્ટ પણ સરકારમાં કર્યો હતો. ત્યારે સરકાર જિલ્લાના ખેડૂતોને વળતર મુદ્દે ન્યાય આપે છે કે કેમ એ જોવું રહ્યું.

પરથાણ ગામની માપણી બિન કાયદાકીય ખેડૂતોના આક્ષેપ

જમીન સંપાદન અધિકારી અને નવસારી પ્રાંત અધિકારીએ ખેડૂતોને વાતોમાં પાડી પરથાણ ગામની માપણી પૂરી થઇ હોવાનો રાગ આલાપતા ખેડૂતો લાલધૂમ થયા હતા. ખાસ કરીને ખેડૂત આગેવાનોએ તંત્ર દ્વારા કરવામાં આવેલી માપણી બિન કાયદાકીય ગણાવી હતી. જેમાં જિલ્લાના ૨૩ ગામોમાં ફીઝીકલ અને જોઈન્ટ માપણી કરવામાં આવી હતી, જ્યાં સ્થાનિક અધિકારી સાથે ખેડૂત અને પ્રોજેક્ટ અધિકારીએ માપણી કરી હતી અને તેમાં બધાની સહી પણ કરવામાં આવી હતી. જ્યારે પરથાણ ગામે ખેડૂતોને અંધારામાં રાખીને કરવામાં આવેલી સેટેલાઈટ માપણીને ખેડૂતોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને આવતી કાલે ગાંધીનગર ખાતે સરકારમાં રજૂઆત કરવા જવાની તૈયારી બતાવી હતી.

ખેડૂતોને જમીનની જંત્રી પ્રત્યે સંતોષ ન હોય, તેઓની સાથે ચર્ચા ચાલુ છે. – તુષાર જાની 

બુલેટ ટ્રેન અંતર્ગત નવસારી જિલ્લામાં જે પાંચ ગામોની માપણી છે, જે પૈકી આજે પરથાણ ગામે માપણી ચાલુ કરવામાં આવી હતી. જે શાંતિપૂર્ણ રીતે પૂરી કરવામાં આવેલ છે. ખેડૂતોને જમીનની જંત્રીનો ભાવ પ્રત્યે સંતોષ ન હોય, એ બાબતે રજૂઆત હતી. જે બાબતે તેઓની સાથે ચર્ચા વિચારણા હાલ ચાલુ છે.

તુષાર જાની, પ્રાંત અધિકારી, નવસારી

કૃષિ

નવસારીના કુકેરી ગામે ધીમે પગલે આવેલા દીપડાએ શ્વાનનો શિકાર કર્યો

Published

on

By

દીપડાએ કરેલ શ્વાનનો શિકાર CCTV કેમેરામાં થયો કેદ

નવસારી : નવસારી જિલ્લામાં દીપડાઓની સંખ્યા વધી છે અને દીપડાઓ ગ્રામ્ય વિસ્તારમાં પાલતુ પ્રાણીઓને પોતાનો શિકાર બનાવતા હોય છે. ત્યારે ચીખલી તાલુકાના કુકેરી ગામે કૉર્પોરેટ ઓફિસના ઓટલે સુતેલા શ્વાનને ધીમે પગલે આવેલા દીપડાએ પોતાનો શિકાર બનાવ્યો હતો. દીપડાએ કરેલ શ્વાનનો શિકાર CCTV કેમેરામાં કેદ થવા સાથે વાયરલ થતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

ચીખલી વન વિભાગે દીપડાને પાંજરે પુરવાની કાર્યવાહી હાથ ધરી

નવસારી જિલ્લાના પૂર્વ તરફના ગામડાઓ અને તાલુકાઓમાં દીપડાઓની સંખ્યા વધી છે અને દીપડાઓ રહેણાંક વિસ્તારોમાં રાત્રિના સમયે આવીને પાલતુ પ્રાણીઓને પોતાનો શિકાર બનાવી જતા રહે છે. ત્યારે ચીખલી તાલુકાના કુકેરી ગામે સરકારી શાળાની પાછળ આવેલ કોર્પોરેટ ઓફિસના ઓટલે શ્વાન સૂતો હતો. દરમિયાન રાતે 12 વાગ્યા આસપાસ એક કદ્દાવર દીપડો ધીમે પગલે શ્વાનની નજીક આવ્યો અને તેને ગળામાંથી દબોચી પોતાનો શિકાર બનાવીને લઈ ગયો હતો. થોડી જ સેકંડોમાં દીપડાએ કરેલ શ્વાનનો શિકાર CCTV કેમેરામાં કેદ થયા હતા. જે CCTV ફૂટેજ ગામમાં વાયરલ થતા ગ્રામજનોમાં ભયનો માહોલ બન્યો હતો. ઘટનાની જાણ ચીખલી વન વિભાગને કરવામાં આવતા, વન વિભાગ દ્વારા મારણ સાથે પાંજરૂ ગોઠવવાની તજવીજ હાથ ધરી છે. ઉલ્લેખનિય છે કે, કુકેરી તેમજ આસપાસના ગામડાઓમાં અગાઉ પણ દિપડા આંટાફેરા મારતા જોવા મળ્યા છે અને પાલતુ પ્રાણીઓના શિકાર પણ થયા છે. જોકે હવે ગ્રામીણોએ દિપડા સાથે રહેવાનું શીખવા પડશે.

Continue Reading

કૃષિ

જલાલપોરના કરાડી ગામે ગેરકાયદે બાંધેલા ઝીંગાના તળાવો તોડાયા

Published

on

By

જલાલપોર મામલતદારે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલનાં આદેશનો કરાવ્યો અમલ

નવસારી : નવસારી જિલ્લાના કાંઠા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ખાંજણ જમીનમાં બનેલા ઝીંગાના તળાવો ઉપર નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના આદેશાનુસાર જલાલપોર મામલતદારે લાલ આંખ કરી છે. જલાલપોરના કરાડી ગામે પૂર્ણા નદીના કિનારે 4 હેક્ટર જમીનમાં બનેલા 5 ઝીંગા તળાવોને પોલીસ પ્રોટેક્શન સાથે મામલતદારે દૂર કરાવ્યા હતા.

15 JCB મશીનોની મદદથી 5 ઝીંગા તળાવોને તોડી દૂર કરાયા

નવસારી જિલ્લાને 52 કિમી લાંબો દરિયા કિનારો છે. જેની નજીક કાંઠાનાં ગામડાઓની ખાંજણ જમીનમાં મત્સ્યાધ્યોગને પ્રોત્સાહન આપવા ઝીંગાના તળાવો વિકસાવાયા છે. પરંતુ ઘણી જગ્યાએ નિયમોને નેવે મુકીને આડેધડ બનાવી દેવાયેલા ઝીંગાના તળાવો ભરતીનાં પાણી, કે ચોમાસામાં દરિયાને મળતા પાણીને અવરોધે છે અને તેના કારણે કાંઠાના ગામડાઓને મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. જલાલપોર તાલુકાના કરાડી ગામે પૂર્ણા નદીના કિનારે CRZ ના નિયમોનું ઉલ્લંઘન કરીને 4 હેક્ટર જમીનમાં બનાવેલા 5 ઝીંગા તળાવો દૂર કરવા નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલનાં આદેશની જલાલપોર મામલતદારે અમલવારી કરી, ગેરકાયદે બનેલા પાંચેય ઝીંગા તળાવોને દૂર કરાવ્યા હતા. જલાલપોર મામલતદાર મૃણાલદાન ગઢવી આજે પોલીસ પ્રોટેક્શન સાથે 15 JCB મશીનો લઇ કરાડી પહોંચ્યા હતા. જ્યાં તેમણે NGT ના આદેશાનુસાર પૂર્ણા નદી કિનારે ગેરકાયદેસર રીતે નિયમોને નેવે મુકીને બનાવેલા પાંચેય ઝીંગા તળાવોને JCB મશીનની મદદથી તોડીને દૂર કર્યા હતા. આગામી દિવસોમાં પણ જલાલપોર તાલુકાના કાંઠાના ગામોમાં ગેરકાયદેસર રીતે બનેલા ઝીંગા તળાવોને પણ દૂર કરવાની કાર્યવાહી કરવાની તૈયારી પણ તેમણે દર્શાવી હતી.

Continue Reading

કૃષિ

ચીખલીના સાદકપોર ગામેથી વધુ એક દીપડો પાંજરે પુરાયો

Published

on

By

ચીખલી રેંજમાંથી એક મહિનામાં 6 દીપડા પકડાયા

નવસારી : નવસારી જિલ્લામાં દીપડાઓની સંખ્યા વધી રહી છે, જેને કારણે ખેતી અને વાડી વિસ્તારમાં દીપડાઓ દેખાવાની ઘટનાઓ સામાન્ય થઇ રહી છે. જેમાં છેલ્લા થોડા દિવસોથી ચીખલીના સાદકપોર ગામે આંટાફેરા મારતો દીપડો ગત મોડી રાતે પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે.

સાદકપોરમાં પાંજરે પુરાયેલા દીપડાને જંગલમાં છોડવાની તજવીજ હાથ ધરાઈ

નવસારી જિલ્લો દીપડાઓ માટે અભયારણ્ય બની રહ્યું છે. ખાસ કરીને જિલ્લાના આદિવાસી પટ્ટાના તાલુકાઓમાં દીપડાની વસ્તી થોડા વર્ષોમાં ખાસ્સી વધી છે. જેનું કારણ દીપડાઓ માટે આબોહવા માફક આવવા સાથે જ નદી કોતરો સાથે ખેતી અને વાડી વિસ્તાર, જેમાં જંગલી ભુંડ અને મરઘા ફાર્મ થકી શિકાર મળી રહે છે. જોકે દીપડાઓ નજીકની માનવ વસ્તીમાં આવી શ્વાન અને વાછરાડાનો પણ શિકાર કરી લેતા હોય છે. જેમાં પણ છેલ્લા થોડા મહિનાઓમાં દીપડા દેખાવાની ઘટનાઓ સામાન્ય બનવા સાથે વન વિભાગ દ્વારા પણ ઘણા દીપડાઓને પાંજરે પુર્યા છે. ગત રાતે જિલ્લાના ચીખલી તાલુકાના સાદકપોર ગામે બામણીયા ફળિયામાં અલ્પેશ પટેલની વાડીમાં ગોઠવેલા પાંજરામાં શિકારની લાલચમાં એક માદા દીપડો પાંજરે પુરાયો હતો. દીપડાની દહાડ સાંભળીને ગ્રામજનો ભેગા થયા હતા અને ગામના સરપંચે ચીખલી વન વિભાગને જાણ કરતા વનકર્મીઓએ દીપડાનો કબ્જો લઇ, તેને ચીખલી વન કચેરીએ લઇ આવ્યા હતા. જ્યાં વેટરનરી ડોક્ટર દ્વારા દીપડાની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી, જેમાં દીપડો માદા દીપડો હોવા સાથે તેની અંદાજીત ઉંમર 3 વર્ષની હોવાનું ખુલ્યુ હતુ. વન વિભાગ દ્વારા ઉચ્ચ અધિકારીની સૂચના અનુસાર જંગલમાં છોડવાની તજવીજ હાથ ધરવામાં આવશે.

Continue Reading
Advertisement

Trending