Connect with us

કૃષિ

પરથાણ ગામે બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જમીન માપણીનો વિરોધ

Published

on

પ્રાંત અધિકારીએ ખેડૂતો સાથે ચર્ચા ચાલુ રાખી સેટેલાઈટ માપણી કરી લેતા ખેડૂતોમાં આક્રોશ

નવસારી : ભારત સરકારના મહત્વાકાન્ક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ૨ વર્ષથી નવસારી જિલ્લામાં માપણીને કારણે ખોરંભે પડ્યો છે. ત્યારે તંત્ર દ્વારા ૨૮ ગામોમાંથી બાકી રહી ગયેલા ૫ ગામોમાં આજથી માપણીનો પ્રારંભ કરાયો હતો જોકે વળતરની જાહેરાત કર્યા વિના જ સરકાર દ્વારા અસરગ્રસ્ત પરથાણ ગામે માપણી શરૂ કરતા મોટી સંખ્યામાં અસરગ્રસ્ત ખેડૂતોએ ભેગા થઇ માપણી અટકાવી હતી, જેથી અધિકારીઓએ ખેડૂતો સાથે ચર્ચા કરવાનો રસ્તો અપનાવવો પડ્યો હતો. જોકે ખેડૂતો સાથે ચર્ચા વચ્ચે જ તંત્ર દ્વારા સેતેલાઈટ માપણી કરી લીધી હોવાનો રાગ આલાપ્યો હતો, જયારે ખેડૂતોએ આજની માપણીને બિન કાયદાકીય ગણાવી હતી.

મોદી સરકાર દ્વારા અમદાવાદથી મુંબઈ સુધી પ્રથમ બુલેટ ટ્રેન દોડાવવાનું સપનું જોયું છે અને તેની જાહેરાત થયા બાદ જમીન સંપાદનની પ્રક્રિયા આરંભ કરવામાં આવી હતી. જેમાં નવસારી જિલ્લામાં ૨૮ ગામોમાંથી બુલેટ ટ્રેન પસાર થશે. જેના અસરગ્રસ્ત ખેડૂતો અને રહેવાસીઓને કેટલું વળતર મળશે, એની જાહેરાત કર્યા વગર જ સરકાર દ્વારા માપણી આરંભાઈ હતી. જેમાં બે વર્ષોમાં તંત્ર દ્વારા ૨૩ ગામોમાં ફિઝીકલી માપણી કરવામાં આવી છે, પરંતુ જિલ્લાનાં પરથાણ, વેજલપોર, આમડપોર, કેસલી અને પાટી ગામમાં માપણી બાકી રહી હતી. દરમિયાન આજે જિલ્લા તંત્ર દ્વારા આજે નવસારી તાલુકાના પરાથાણ ગામે માપણી માટે સંબંધિત ખેડૂતોને નોટીસ પાઠવી હતી. જયારે અધિકારીઓ પોલીસ બંદોબસ્ત સાથે માપણી કરવા પહોંચ્યા હતા જ્યાં બુલેટ ટ્રેન અસરગ્રસ્ત ખેડૂતો એકજુથ થઇ ભેગા થયા હતા અને માપણીનો વિરોધ નોંધાવ્યો હતો. જેમાં અધિકારીઓ દ્વારા ખેડૂતો સાથે પરથાણ ગામે પણ બંધ બારણે બેઠક કર્યા બાદ નવસારી પ્રાંત અધિકારીએ ખેડૂત આગેવાનોને ચર્ચા વિચારણા માટે પ્રાંત કર્ચેરીએ બોલાવ્યા હતા. જ્યાં ખેડૂતોની સાથે ચર્ચા વચ્ચે સેટેલાઈટ માપણી કરી લીધી હોવાની પ્રાંત અધિકારીએ વાત કરતા ખેડૂત આગેવાનોમાં રોષ જોવા મળ્યો હતો.

” ખેડૂતોએ માપણીને બિન કાયદાકીય ગણાવી, ખેડૂતો ગાંધીનગર સરકારમાં કરશે રજૂઆત “

મોદી સરકારના મહત્વના પ્રોજેક્ટોમાંથી એક બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં વળતર મુદ્દે ગુજરાત સરકાર કોઈ ફોડ નથી પાડી રહી. બીજી તરફ નવસારી જિલ્લાની જંત્રી પણ અવાસ્તવિક હોવાનો તત્કાલીન જિલ્લા કલેક્ટરે રીપોર્ટ પણ સરકારમાં કર્યો હતો. ત્યારે સરકાર જિલ્લાના ખેડૂતોને વળતર મુદ્દે ન્યાય આપે છે કે કેમ એ જોવું રહ્યું.

પરથાણ ગામની માપણી બિન કાયદાકીય ખેડૂતોના આક્ષેપ

જમીન સંપાદન અધિકારી અને નવસારી પ્રાંત અધિકારીએ ખેડૂતોને વાતોમાં પાડી પરથાણ ગામની માપણી પૂરી થઇ હોવાનો રાગ આલાપતા ખેડૂતો લાલધૂમ થયા હતા. ખાસ કરીને ખેડૂત આગેવાનોએ તંત્ર દ્વારા કરવામાં આવેલી માપણી બિન કાયદાકીય ગણાવી હતી. જેમાં જિલ્લાના ૨૩ ગામોમાં ફીઝીકલ અને જોઈન્ટ માપણી કરવામાં આવી હતી, જ્યાં સ્થાનિક અધિકારી સાથે ખેડૂત અને પ્રોજેક્ટ અધિકારીએ માપણી કરી હતી અને તેમાં બધાની સહી પણ કરવામાં આવી હતી. જ્યારે પરથાણ ગામે ખેડૂતોને અંધારામાં રાખીને કરવામાં આવેલી સેટેલાઈટ માપણીને ખેડૂતોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને આવતી કાલે ગાંધીનગર ખાતે સરકારમાં રજૂઆત કરવા જવાની તૈયારી બતાવી હતી.

ખેડૂતોને જમીનની જંત્રી પ્રત્યે સંતોષ ન હોય, તેઓની સાથે ચર્ચા ચાલુ છે. – તુષાર જાની 

બુલેટ ટ્રેન અંતર્ગત નવસારી જિલ્લામાં જે પાંચ ગામોની માપણી છે, જે પૈકી આજે પરથાણ ગામે માપણી ચાલુ કરવામાં આવી હતી. જે શાંતિપૂર્ણ રીતે પૂરી કરવામાં આવેલ છે. ખેડૂતોને જમીનની જંત્રીનો ભાવ પ્રત્યે સંતોષ ન હોય, એ બાબતે રજૂઆત હતી. જે બાબતે તેઓની સાથે ચર્ચા વિચારણા હાલ ચાલુ છે.

તુષાર જાની, પ્રાંત અધિકારી, નવસારી

કૃષિ

ચીખલીના કાંગવઈ ગામેથી દીપડો પાંજરે પુરાયો

Published

on

થોડા દિવસોથી દીપડાના આંટાફેરા વધતા ગ્રામજનોમાં હતો ભયનો માહોલ

નવસારી : નવસારી જિલ્લામાં દીપડાઓ દેખાવના ઘટનાઓ સામાન્ય બનતી જાય છે. ગામડાઓમાં રાત્રિના સમયે આંટાફેરા મારતા દીપડાઓને કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ હોય છે, ત્યારે ચીખલી તાલુકાના કાંગવઈ ગામેથી આજે વહેલી સવારે શિકારની લાલચમાં એક દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

3 વર્ષીય દીપડાની આરોગ્ય તપાસ બાદ જંગલમાં છોડાશે

નવસારી જિલ્લો દીપડાઓ માટે અનુકૂળ બની રહ્યો છે. એક અંદાજ મુજબ નવસારીમાં દિવસે દિવસે દીપડાઓની વસ્તી વધતી રહી છે અને 100 થી વધુ દીપડા હોય, એવી સંભાવના પણ છે. ત્યારે જિલ્લાના ગામડાઓમાં સાંજના કે રાત્રિના સમયે આંટાફેરા મારતા દીપડાઓ પાલતુ પશુઓ અને મરઘાઓને શિકાર બનાવતા હોય છે. જ્યારે ખેતરોમાં ફરતા જંગલી ભૂંડ દીપડાઓનો પસંદગીનો ખોરાક બની રહ્યો છે. ત્યારે નવસારીના ચીખલી તાલુકાના કાંગવઈ ગામે gt 4 એપ્રિલથી એક દીપડો ગામમાં ખેતરાડી વિસ્તારમાં ફરતો જોવા મળતા ગ્રામજનોમાં ભય ફેલાયો હતો. ગ્રામજનોએ ગામના સરપંચ મારફતે ચીખલી વન વિભાગને દીપડો દેખાયો હોવાની જાણ કરી હતી. જેને આધારે ચીખલી વન વિભાગે ગામના મહેશ પટેલના વાડામાં મારણ સાથે પાંજરૂ ગોઠવ્યું હતું. જેમાં આજે વહેલી સવારે પોણા ચાર વાગ્યાના સુમારે શિકારની લાલચમાં એક દીપડો પાંજરે પુરાયો હતો. જેની દહાડ સાંભળી ગ્રામજનો જાગી ગયા હતા અને પાંજરાને તપાસતા તેમાં દીપડો જોવા મળ્યો હતો. જેથી ગ્રામજનોએ ચીખલી વન વિભાગના અધિકારીને જાણ કરતા, વન વિભાગની ટીમે વહેલી સવારે કાંગવઈ પહોંચી દિપડાનો કબ્જો મેળવી, તેને ચીખલી કચેરીએ લાવ્યા હતા. જ્યાં પાંજરામાં અંદાજે 3 વર્ષનો દીપડો હોવાનું અને વેટરનરી ડોક્ટર પાસેથી તેની આરોગ્ય તપાસ કરાવ્યા બાદ ઉચ્ચ અધિકારીઓની સૂચના અનુસાર છોડવાની તજવીજ હાથ ધરી છે.

Continue Reading

કૃષિ

આરક સિસોદ્રા ગામેથી કદ્દાવર દીપડો પાંજરે પુરાયો

Published

on

By

વન વિભાગે દીપડાનો કબ્જો લઇ, ઉન ડેપો ખાતે ખસેડ્યો

નવસારી : નવસારી જિલ્લામાં છેલ્લા થોડા દિવસોમાં દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે. ખાસ કરીને પૂર્વ પટ્ટીના ગામોમાં દીપડાના આંટાફેરાથી ગ્રામજનોમાં ભયનો માહોલ બન્યો છે, ત્યારે આજે વહેલી સવારે આરક સિસોદ્રા ગામેથી એક કદ્દાવર દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. વન વિભાગને જાણ થતા દીપડાનો કબ્જો લઇ, તેને ઉન ડેપો ખાતે ખસેડી, આરોગ્ય તપાસ કરાવીને જંગલમાં છોડવાની તજવીજ હાથ ધરી છે.

થોડા દિવસોથી પાલતુ પશુઓનો શિકાર કરતો દીપડો પાંજરે પુરાતા લોકોએ રાહત અનુભવી

નવસારી જિલ્લો અને ખાસ કરીને નવસારી તાલુકાના પૂર્વ પટ્ટીના ગામડાઓમાં છેલ્લા થોડા દિવસોથી દીપડા દેખાવા સાથે જ પાલતું પશુઓનો શિકાર કરવાની ઘનતા મોબાઈલ તેમજ CCTV કેમેરાઓમાં કેદ થતી આવી છે. દીપડાઓ મરઘા, બકરા, વાછરડા, શ્વાન વગેરે પશુઓને પોતાનો શિકાર બનાવતા ગ્રામજનોમાં ભય ફેલાયો છે. ખેડૂતો અને ખેત મજૂરો ખેતરમાં જતા પણ અચકાઈ રહ્યા છે, ત્યારે પૂર્વ પટ્ટીના આરક સિસોદ્રા ગામે થોડા દિવસોથી દીપડો પશુઓ અને મરઘાના શિકાર કરી રહ્યો હતો. દીપડાને ગામના ખેતરો આસપાસ લટાર મારતા જોતા ગ્રામજનોમાં ભય પણ હતો. ત્યારે નવસારી સામાજિક વનીકરણ વિભાગના સુપા રેંજના વન અધિકારીઓને દીપડો દેખાવાની જાણ થતા 5 દિવસ અગાઉ આરક સિસોદ્રા ગામના રણોદ્રા ફળિયામાં મારણ સાથે પાંજરૂ ગોઠવ્યુ હતું. જેમાં આજે વહેલી સવારે શિકારની લાલચમાં એક કદ્દાવર દીપડો પાંજરે પુરાયો હતો. દીપડાની દહાડ સાંભળી ગ્રામજનો ઘટના સ્થળે ભેગા થયા હતા અને વન વિભાગને પણ જાણ કરવામાં આવી હતી. જેથી સુપા રેંજના RFO હીના પટેલના માર્ગદર્શનમાં વન કર્મીઓએ દીપડાનો કબ્જો લઇ, તેને ઉન ડેપો ખાતે ખસેડ્યો હતો. જ્યાં પશુ ચિકિત્સક દ્વારા દીપડાનાં આરોગ્યની તપાસ કર્યા બાદ તેને જંગલમાં છોડવાની તજવીજ હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનિય છે કે પાંજરે પુરાયેલો દીપડો નર છે અને તેની ઉંમર અંદાજે 3 વર્ષ કે તેથી વધુ માનવામાં આવી રહી છે.

નસીલપોરમાં હુમલો કરી ભાગી છુટલો ઘાયલ દીપડો હજુ પણ પાંજરે પુરાયો નથી

નવસારી બારડોલી રોડ પર ગત 19 સપ્ટેમ્બરની રાતે રસ્તો ઓળંગતી વખતે એક દીપડો કારની અડફેટે ચઢતા ગંભીર રીતે ઘવાયો હતો. ઘાયલ દીપડાને જોવા ઉમટેલી ભીડ તેનો ફોટો વીડિયો લેવામાં મશગુલ હતી, ત્યારે જ અચાનક દીપડો હિંમત ભેગી કરીને ભાગ્યો હતો. જેમાં પાંચ લોકો પાછળ ભાગેલા દીપડાને કારણે ઓંણચી ગામની જીનલ પટેલ ઘાયલ થઇ હતી. જોકે દીપડાને પકડવા માટે 6 કલાક બાદ વન વિભાગે કવાયત હાથ ધરી હતી, પણ દીપડો શેરડીના ખેતરમાં સંતાઈ જતા વન વિભાગે વિલા મોઢે પરત ફરવું પડ્યુ હતું. વન વિભાગને હાથ તાળી આપીને ભાગી છૂટેલો દીપડો હજી પણ પાંજરે પુરાયો નથી, ત્યારે આજે પકડાયેલો દીપડો નસીલપોરમાંથી ભાગી છૂટેલો દીપડો છે કે કેમ એની પણ ચકાસણી કરવામાં આવી હતી. પરંતુ પાંજરે પુરાયેલો દીપડો ઘાયલ ન હતો. જેથી નસીલપોરથી ભાગી છૂટેલો દીપડો હજુ પણ પાંજરે પુરાયો નથી.

Continue Reading

કૃષિ

જંગલમાં ઉગતા વાંસની ખેતી સાથે મુલ્યવર્ધન થકી ખેડૂતો અને યુવાનોને પગભર બનાવવાનો પ્રયાસ  

Published

on

By

4 વર્ષોમાં નવસારી કૃષિ યુનિવર્સીટીના વાંસ વિભાગે ભરી હરણફાળ, પેટન્ટ મેળવવાની કરી તૈયારી

નવસારી : માણસમાં કઈ કરવાની ધગસ હોય, તો એ નજીવી વસ્તુને પણ આકાશ સુધી પહોંચાડી શકે છે. સમાન્ય રીતે જંગલમાં ઉગતા વાંસની વિવિધ જાત વિષે સંશોધન કર્યા બાદ નવસારી કૃષિ યુનિવર્સીટીના વાંસ વિભાગના વૈજ્ઞાનિકોએ આદિવાસી કારીગરોની મદદથી વાંસની કાર્યશાળા શરૂ કરી, આજે વનીય કોલેજના વિદ્યાર્થીઓને વાંસના મૂલ્યવર્ધન થકી એન્ટ્રપ્રિન્યોર બનાવવાના પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે આજે વિશ્વ વાંસ દિવસ ઉપર જંગલ વિભાગના CCF શશિકુમારના હસ્તે વાંસના ફર્નિચર સહિતની વસ્તુઓ માટેના પ્રદર્શન સ્થળનો શુભારંભ કરાવ્યો હતો. આ સાથે જ 4 દિવસના એક્સિબીશનની પણ શરૂઆત કરવામાં આવી હતી.

ભારત સરકાર વાંસની ખેતી અને તેના મૂલ્યવર્ધન માટે પણ આપે છે સબસીડી – શશિકુમાર

નવસારી કૃષિ યુનિવર્સીટીના બામ્બુ રિસોર્સ સેન્ટરમાં છેલ્લા થોડા દિવસોથી વનિય કોલેજના વિદ્યાર્થીઓ અને ખેડૂતો માટે ચાલી રહેલી કાર્યશાળાનો આજે છેલ્લો દિવસ હતો અને તેની સાથે જ કૃષિ યુનિવર્સીટીના વાંસ વિભાગ દ્વારા વિશ્વ વાંસ દિવસ અંતર્ગત યુનિવર્સીટીના ઉપકુલપતિ ઝીણા પટેલની અધ્યક્ષતામાં અને CCF શશિકુમારની ઉપસ્થિતિમાં વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે વાંસ વિભાગ દ્વારા બામ્બુ રિસોર્સ સેન્ટર ખાતે વાંસમાંથી બનેલ ફર્નીચર તેમજ અન્ય વસ્તુઓ માટેનાં પ્રદર્શન સ્થળનું પણ મહાનુભાવોને હસ્તે શુભારંભ કરાયો હતો. આ પ્રસંગે CCF શશિકુમારે આવનારા ભવિષ્યમાં વાંસની ઉપયોગીતા સાથે જ તેની ડીમાંડ વિશેની વાત કરી હતી. આજે સામાન્ય રીતે મળતુ પાણી 10 થી 500 રૂપિયામાં વેચાય છે, એજ પ્રમાણે ભવિષ્યમાં વાંસ પણ સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય બજારમાં સારી આવક આપશે. વાંસને પ્રમોટ કરવા માટે ભારત સરકાર દ્વારા વાંસની ખેતી અને તેના મૂલ્યવર્ધનથી બનતી વસ્તુઓ ઉપર સબસીડી આપવમાં આવે છે. જેથી વધુમાં વધુ ખેડૂતો વાંસની ખેતી પ્રત્યે આકર્ષાય અને સારી આવક મેળવે. જેની સાથે યુવાઓ પણ વાંસના વ્યવસાય સાથે જોડાઈને આત્મનિર્ભર બને.

પ્લાસ્ટિકનો પર્યાય બની શકે છે વાંસ, કાપડ માટે પણ ઉત્તમ

નવસારી કૃષિ યુનિવર્સીટીની વનીય મહાવિદ્યાલયમાં 10 વર્ષોથી વાંસ વિભાગ કાર્યરત છે. શરૂઆતના વર્ષોમાં કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા દક્ષિણ ગુજરાત સાથે રાજ્ય, દેશ અને વિદેશમાં વાંસની કઈ કઈ જાત થાય છે, દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં ક્યા ક્યા વાંસ ઉગે છે અને ક્યા વાંસ ઉગાડી શકાય છે એના ઉપર સંશોધન કરવામાં આવ્યુ હતું. સાથે જ વાંસની ખેતી કરતા ખેડૂતોને વાંસનાં ઉછેર વિશેનું જ્ઞાન અને પદ્ધતિ પણ શિખવવામાં આવતી હતી. પરંતુ 6 વર્ષ બાદ વાંસ વિભાગ દ્વારા વાંસને લાંબા સમય સુધી કેવી રીતે રાખી શકાય એની પદ્ધતિ વિકસાવી સાથે જ નવસારીના વાંસદા તેમજ ડાંગ જિલ્લાના આદિવાસી સમાજના લોકો, જે વાંસની કળા સાથે સંકળાયેલા છે, એમની મદદથી વાંસમાંથી મૂલ્યવર્ધન જેવું કે, શો પીસ, ફર્નીચર જેવી વસ્તુઓ બનાવી, વિદ્યાર્થીઓને પણ શિખવી તેમને શિક્ષણ સાથે વ્યાસાયિક જ્ઞાન આપવાનો પ્રયાસ કર્યો હતો. જેને સફળતા મળી અને આજે 4 વર્ષે નવસારી કૃષિ યુનિવર્સીટીમાં વાંસ સાથે સાથે ફર્નીચર, સાજ સજાવટની વસ્તુઓ, શો પીસ તેમજ પ્લાસ્ટિકનો પર્યાય વાંસ બની શકે એવા પ્રયાસો થયા છે. ખાસ કરીને પ્લાસ્ટિક સ્ટ્રો ની સામે વાંસમાંથી બનેલી સ્ટ્રો બજારમાં મુકતા તેને સારો પ્રતિસાદ મળ્યો છે. ત્યારે હવે વાંસ વિભાગના તજજ્ઞો દ્વારા અગરબત્તીની લાકડીઓ બનાવવાની શરૂઆત કરી છે, જે એક નિર્ણાયક પગલું સાબિત થશે. ત્યારે એનાથી આગળ વધી કૃષિ યુનિવર્સીટીનું બામ્બુ રિસોર્સ સેન્ટર પેટન્ટ મેળવવાની તૈયારી પણ કરી રહ્યુ છે.

4 દિવસીય પ્રદર્શની કમ વેચાણનો પણ થયો પ્રારંભ

નવસારી કૃષિ યુનિવર્સીટીના વનિય કોલેજ અંતર્ગત ચાલતા વાંસ વિભાગના બામ્બુ રિસોર્સ સેન્ટરમાં આજે વિશ્વ વાંસ દિવસને ધ્યાને રાખી, વાંસમાંથી બનતી વસ્તુઓનાં પ્રચાર અને પ્રસાર અર્થે રિસોર્સ સેન્ટરમાં જ ડાંગના કારીગરો દ્વારા બનાવેલી વિવિધ વસ્તુઓના વેચાણ અર્થે પ્રદર્શની કમ વેચાણનું પણ મહાનુભાવોના હસ્તે પ્રારંભ થયો છે. ત્રણ દિવસ ચાલનારા આ પ્રદર્શનમાં નવસારીના લોકો કૃષિ કેમ્પસના બામ્બુ રિસોર્સ સેન્ટરની મુલાકાત લઇ, વાંસમાંથી બનેલા ફર્નીચર, રસોડામાં ઉપયોગમાં આવતી વસ્તુઓ, શો પીસ, સાજ સજાવટની વસ્તુઓને જોઈ અને તેને ખરીદી પણ શકશે.

Continue Reading
Advertisement

Trending