નવસારીમાં જિલ્લા કક્ષાના 74 માં વન મહોત્સવની ઉજવણી
નવસારી : ગ્લોબલ વોર્મિંગ અને બદલાતી વરસાદની પેટર્ન સામે જંગલોને બચાવવા જરૂરી છે, સાથે જ વધુમાં વધુ વૃક્ષો વાવી એમનું જતન કરવામાં આવે એ જરૂરી છે. ત્યારે આજે નવસારીનો જિલ્લા કક્ષાનો 74 મો વન મહોત્સવ રાજ્યના વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિમાં યોજાયો હતો. જેમાં જિલ્લામાં દરેક પ્રસંગોએ છોડ વાવી, વૃક્ષ ઉછેરવામાં આવે એવા પ્રયાસો કરવા સર્વે મહાનુભાવોએ અપીલ કરી હતી.
વન વિભાગે જિલ્લામાં 698 હેકટર વિસ્તારમાં વૃક્ષો વાવ્યા, 20.64 લાખ રોપા ઉછેર્યા
ગુજરાત રાજ્ય વન અને પર્યાવરણ વિભાગ દ્વારા છેલ્લા 73 વર્ષોથી વન મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. જેની જ કડીમાં આજે જિલ્લા કક્ષાનો 74 મો વન મહોત્સવના બીલીમોરા શહેરના સોમનાથ હોલમાં યોજાયો હતો. જિલ્લા સમાજિક વનીકરણ વિભાગ દ્વારા નવસારી જિલ્લાને હરિયાળો બનાવવા થઈ રહેલા પ્રયાસોમાં અત્યાર સુધીમાં જિલ્લામાં 698 હેકટર વિસ્તારમાં વિવિધ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. જેની સાથે જ વન વિભાગના કર્મચારીઓ દ્વારા જિલ્લાના 129 ગામોને દત્તક લઈ 5 લાખ રોપાઓના વિતરણ સાથે વાવેતર પણ કરવામાં આવ્યું છે. જ્યારે 16 નર્સરીઓમાં 20.64 લાખ રોપાઓનો ઉછેર કરવામાં આવ્યો છે. સામાજિક વનીકરણ વિભાગ દ્વારા આજના કાર્યક્રમમાં રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલના હસ્તે વૃક્ષારોપણ કરાવી, નવસારીને હરિયાળું બનાવવા વૃક્ષ રથને વન મંત્રી તેમજ જિલ્લાના મહાનુભાવોના હસ્તે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ સાથે જ સોમનાથ હોલમાં આયોજિત કાર્યક્રમમાં વિભાગ સાથે સંકળાયેલા અને શ્રેષ્ઠ કામગીરી કરનારા કર્મચારીઓ અધિકારીઓ તેમજ NGO, સખી મંડળોને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરાયા હતા.
આ પ્રસંગે ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલે કોરોના કાળમાં ઓક્સિજન માટે મારવા પડેલા વલખા વચ્ચે હોસ્પિટલમાં બેડ મળવા મુશ્કેલ બન્યા, ત્યારે ચીખલીના આદિવાસી વિસ્તાર રુમલા ગામે કોરોનામાં ઑક્સિજન ઘટી જતાં એક વૃદ્ધ લીમડાના ઝાડ નીચે રહીને ઓક્સિજનની સમસ્યાનું નિવારણ પણ લાવ્યા અને કોરોનાને હરાવ્યો હોવાનું ઉદાહરણ આપી જીવનમાં વૃક્ષની મહત્વતા સમજાવી વધુમાં વધુ વૃક્ષ વાવવા આહ્વાન કર્યુ હતુ. જ્યારે વન મંત્રી મુકેશ પટેલે જીવનના દરેક પ્રસંગોમાં જેમાં પણ સ્વજન ગુમાવીએ અને સ્મશાન ગૃહમાં અંતિમક્રિયા માટે પહોંચીએ ત્યારે સ્વજનના નામે સ્મશાનમાં પણ વૃક્ષ વાવી એમના નામને અમરતા બક્ષવા એક વૃક્ષ વાવવા અપીલ કરી હતી.
નવસારી : નવસારી જિલ્લામાં દીપડાઓની સંખ્યા વધી છે અને દીપડાઓ ગ્રામ્ય વિસ્તારમાં પાલતુ પ્રાણીઓને પોતાનો શિકાર બનાવતા હોય છે. ત્યારે ચીખલી તાલુકાના કુકેરી ગામે કૉર્પોરેટ ઓફિસના ઓટલે સુતેલા શ્વાનને ધીમે પગલે આવેલા દીપડાએ પોતાનો શિકાર બનાવ્યો હતો. દીપડાએ કરેલ શ્વાનનો શિકાર CCTV કેમેરામાં કેદ થવા સાથે વાયરલ થતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
નવસારી જિલ્લાના પૂર્વ તરફના ગામડાઓ અને તાલુકાઓમાં દીપડાઓની સંખ્યા વધી છે અને દીપડાઓ રહેણાંક વિસ્તારોમાં રાત્રિના સમયે આવીને પાલતુ પ્રાણીઓને પોતાનો શિકાર બનાવી જતા રહે છે. ત્યારે ચીખલી તાલુકાના કુકેરી ગામે સરકારી શાળાની પાછળ આવેલ કોર્પોરેટ ઓફિસના ઓટલે શ્વાન સૂતો હતો. દરમિયાન રાતે 12 વાગ્યા આસપાસ એક કદ્દાવર દીપડો ધીમે પગલે શ્વાનની નજીક આવ્યો અને તેને ગળામાંથી દબોચી પોતાનો શિકાર બનાવીને લઈ ગયો હતો. થોડી જ સેકંડોમાં દીપડાએ કરેલ શ્વાનનો શિકાર CCTV કેમેરામાં કેદ થયા હતા. જે CCTV ફૂટેજ ગામમાં વાયરલ થતા ગ્રામજનોમાં ભયનો માહોલ બન્યો હતો. ઘટનાની જાણ ચીખલી વન વિભાગને કરવામાં આવતા, વન વિભાગ દ્વારા મારણ સાથે પાંજરૂ ગોઠવવાની તજવીજ હાથ ધરી છે. ઉલ્લેખનિય છે કે, કુકેરી તેમજ આસપાસના ગામડાઓમાં અગાઉ પણ દિપડા આંટાફેરા મારતા જોવા મળ્યા છે અને પાલતુ પ્રાણીઓના શિકાર પણ થયા છે. જોકે હવે ગ્રામીણોએ દિપડા સાથે રહેવાનું શીખવા પડશે.
નવસારી : નવસારી જિલ્લાના કાંઠા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ખાંજણ જમીનમાં બનેલા ઝીંગાના તળાવો ઉપર નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના આદેશાનુસાર જલાલપોર મામલતદારે લાલ આંખ કરી છે. જલાલપોરના કરાડી ગામે પૂર્ણા નદીના કિનારે 4 હેક્ટર જમીનમાં બનેલા 5 ઝીંગા તળાવોને પોલીસ પ્રોટેક્શન સાથે મામલતદારે દૂર કરાવ્યા હતા.
15 JCB મશીનોની મદદથી 5 ઝીંગા તળાવોને તોડી દૂર કરાયા
નવસારી જિલ્લાને 52 કિમી લાંબો દરિયા કિનારો છે. જેની નજીક કાંઠાનાં ગામડાઓની ખાંજણ જમીનમાં મત્સ્યાધ્યોગને પ્રોત્સાહન આપવા ઝીંગાના તળાવો વિકસાવાયા છે. પરંતુ ઘણી જગ્યાએ નિયમોને નેવે મુકીને આડેધડ બનાવી દેવાયેલા ઝીંગાના તળાવો ભરતીનાં પાણી, કે ચોમાસામાં દરિયાને મળતા પાણીને અવરોધે છે અને તેના કારણે કાંઠાના ગામડાઓને મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. જલાલપોર તાલુકાના કરાડી ગામે પૂર્ણા નદીના કિનારે CRZ ના નિયમોનું ઉલ્લંઘન કરીને 4 હેક્ટર જમીનમાં બનાવેલા 5 ઝીંગા તળાવો દૂર કરવા નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલનાં આદેશની જલાલપોર મામલતદારે અમલવારી કરી, ગેરકાયદે બનેલા પાંચેય ઝીંગા તળાવોને દૂર કરાવ્યા હતા. જલાલપોર મામલતદાર મૃણાલદાન ગઢવી આજે પોલીસ પ્રોટેક્શન સાથે 15 JCB મશીનો લઇ કરાડી પહોંચ્યા હતા. જ્યાં તેમણે NGT ના આદેશાનુસાર પૂર્ણા નદી કિનારે ગેરકાયદેસર રીતે નિયમોને નેવે મુકીને બનાવેલા પાંચેય ઝીંગા તળાવોને JCB મશીનની મદદથી તોડીને દૂર કર્યા હતા. આગામી દિવસોમાં પણ જલાલપોર તાલુકાના કાંઠાના ગામોમાં ગેરકાયદેસર રીતે બનેલા ઝીંગા તળાવોને પણ દૂર કરવાની કાર્યવાહી કરવાની તૈયારી પણ તેમણે દર્શાવી હતી.
નવસારી : નવસારી જિલ્લામાં દીપડાઓની સંખ્યા વધી રહી છે, જેને કારણે ખેતી અને વાડી વિસ્તારમાં દીપડાઓ દેખાવાની ઘટનાઓ સામાન્ય થઇ રહી છે. જેમાં છેલ્લા થોડા દિવસોથી ચીખલીના સાદકપોર ગામે આંટાફેરા મારતો દીપડો ગત મોડી રાતે પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે.
નવસારી જિલ્લો દીપડાઓ માટે અભયારણ્ય બની રહ્યું છે. ખાસ કરીને જિલ્લાના આદિવાસી પટ્ટાના તાલુકાઓમાં દીપડાની વસ્તી થોડા વર્ષોમાં ખાસ્સી વધી છે. જેનું કારણ દીપડાઓ માટે આબોહવા માફક આવવા સાથે જ નદી કોતરો સાથે ખેતી અને વાડી વિસ્તાર, જેમાં જંગલી ભુંડ અને મરઘા ફાર્મ થકી શિકાર મળી રહે છે. જોકે દીપડાઓ નજીકની માનવ વસ્તીમાં આવી શ્વાન અને વાછરાડાનો પણ શિકાર કરી લેતા હોય છે. જેમાં પણ છેલ્લા થોડા મહિનાઓમાં દીપડા દેખાવાની ઘટનાઓ સામાન્ય બનવા સાથે વન વિભાગ દ્વારા પણ ઘણા દીપડાઓને પાંજરે પુર્યા છે. ગત રાતે જિલ્લાના ચીખલી તાલુકાના સાદકપોર ગામે બામણીયા ફળિયામાં અલ્પેશ પટેલની વાડીમાં ગોઠવેલા પાંજરામાં શિકારની લાલચમાં એક માદા દીપડો પાંજરે પુરાયો હતો. દીપડાની દહાડ સાંભળીને ગ્રામજનો ભેગા થયા હતા અને ગામના સરપંચે ચીખલી વન વિભાગને જાણ કરતા વનકર્મીઓએ દીપડાનો કબ્જો લઇ, તેને ચીખલી વન કચેરીએ લઇ આવ્યા હતા. જ્યાં વેટરનરી ડોક્ટર દ્વારા દીપડાની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી, જેમાં દીપડો માદા દીપડો હોવા સાથે તેની અંદાજીત ઉંમર 3 વર્ષની હોવાનું ખુલ્યુ હતુ. વન વિભાગ દ્વારા ઉચ્ચ અધિકારીની સૂચના અનુસાર જંગલમાં છોડવાની તજવીજ હાથ ધરવામાં આવશે.