નવસારી : ગુજરાતમાં મોખરે રહેનારી ગણદેવી સુગર ફેકટરીમાં કાર્યકારી પ્રમુખ અને ઉપપ્રમુખની નિમણૂક કરવાના નિયમોમાં સુધારો કરીને કરેલા નિર્ણયને આજે મળેલી 66 મી વાર્ષિક સાધારણ સભામાં સભાસદોએ બહુમતીએ બહાલી આપી હતી. સાથે જ સભામાં ચાલુ વર્ષે ગણદેવી સુગર ફેકટરીની પિલાણ, ખાંડ ઉત્પાદન થકી રિકવરી તેમજ અન્ય મૂલ્યવર્ધિત ઉત્પાદનો દ્વારા મેળવેલી સિદ્ધિના લેખા જોખા સભાસદો સામે રજૂ કરાયા હતા.
ગુજરાતમાં એટલુજ નહીં પણ ભારતમાં ખાંડ ઉદ્યોગમાં ગણદેવી સુગર ફેકટરી ખેડૂતોને અપાતા પ્રતિ ટન શેરડીના ભાવ અને રિકવરીમાં જાણિતી છે. ત્યારે 66 વર્ષોની મજલ કાપનારી ગણદેવી સુગર ફેકટરીની આજે 66 મી વાર્ષિક સાધારણ સભા ફેક્ટરી પ્રાંગણમાં યોજાઈ હતી. જોકે ગણદેવી સુગરના ઇતિહાસમાં પ્રથમવાર પ્રમુખ, ઉપપ્રમુખ અને કાર્યકારી પ્રમુખ વિના વાર્ષિક સાધારણ સભા મળી હતી. જોકે સભા ફેક્ટરીના ડિરેક્ટર રણજીત પટેલની અધ્યક્ષતામાં મળી હતી, જેમાં વર્ષ 2022-23 ના વાર્ષિક હિસાબ સભાસદો સામે મૂકવામાં આવ્યો હતો. જેની સાથે જ એજન્ડાના 7 કામોને સભા સમક્ષ મુકતા એક કાર્યને છોડીને સર્વાનુમતે મંજૂર કરાયા હતા. ત્રણ કલાક સુધી ચાલેલી ગણદેવી સુગર ફેકટરીની સભામાં ફેક્ટરીના નિયમમાં સુધારો કરી પ્રમુખ ઉપપ્રમુખની વરણી જ્યુડિશ્યલ મેટર હોવાને કારણે ફેકટરીના વહીવટમાં સરળતા રહે અને કોઈ નિર્ણય માટે બોર્ડ ઓફ ડિરેક્ટરની બેઠક માટે રાહ જોવા ન પડે, એ માટે નવો નિયમમાં ફેરફાર કરી કામચલાઉ કાર્યકારી પ્રમુખ અને ઉપરપમુખ નિમવા માટે ઠરાવ કરી, બહુમતીએ બહાલી આપવામાં આવી હતી.
વિષેશ સિદ્ધિ મેળવનારા ડિરેક્ટર અને ખેડૂતોને કરાયા સન્માનિત
સભામાં 40 વર્ષોથી ગણદેવી સુગરને ઉંચાઈએ પહોંચાડનારા સહકારી પીઢ આગેવાન અને પથદર્શક જયંતિલાલ બાવજીભાઈ પટેલે પોતાના કાર્યકાળ દરમિયાનના સંસ્મરણો વાગોળી ભારે હૈયે વિદાય લીધી હતી. સભામાં પૂર્વ પ્રભારી કાર્યકારી પ્રમુખ રતિલાલ પટેલને ગાંધીનગર રાજ્ય સહકારી ખાંડ ઉદ્યોગ સંઘ તરફથી લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ મળતા, તેમની સિદ્ધિને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા. સાથે વિશષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનારા ડિરેક્ટરો અને સૌથી વધુ શેરડીનું ઉત્પાદન કરનારા ચીખલીના ઘેજ ગામનાં ખેડૂત હિતેશ પટેલ અને શીયાદા ગામના રણછોડ પટેલને તેમજ મુખ્ય આંતરપાક તરીકે શેરડી કરનારા ચીખલીના ઘેજ બીડનાં ખેડૂત જેનિશ પટેલનું સન્માન કરાયું હતું. કેટલાક સભાસદોએ કાર્યકારી પ્રમુખ રણજીત પટેલના રાજીનામાં અંગે સવાલો કરતા સભાપતિ રણજીત પટેલ અને અભિષેક પટેલ યોગ્ય ઉત્તર આપી વિવાદને ઠાળ્યો હતો.
આ વર્ષે ગણદેવી સુગર ફેકટરીએ 11.59 ટકા રિકવરી મેળવી
ગણદેવી સુગર ફેકટરીએ વર્ષ 2022-23 ના વર્ષમાં 10,03,775 મે. ટન શેરડીનું પિલાણ કરી 11,64,050 ક્વિન્ટલ ખાંડ ઉત્પાદન કરી, 11.59 ટકા રીકવરી પ્રાપ્ત કરી હતી. તેમજ ડીસ્ટીલરીક્ષેત્રે 1,41,66,173 લીટર રેકટીફાઇડ સ્પિરીટ અને 92,29970 લીટર ઇથેનોલનું ઉત્પાદન, 26,739 મે. ટન સેન્દ્રીય ખાતર, અને 3905 કોથળી વર્મી કંપોસ્ટ ખાતર તૈયાર કરાયું હતું. ફેકટરી માં કાર્યરત 45 Klpd ઇથેનોલ પ્લાન્ટનું આધુનિકરણ કરી 95 Klpd (કિલો લીટર પર ડે) ક્ષમતાનો કરાયો છે.
નવસારી : નવસારી જિલ્લામાં દીપડાઓની સંખ્યા વધી છે અને દીપડાઓ ગ્રામ્ય વિસ્તારમાં પાલતુ પ્રાણીઓને પોતાનો શિકાર બનાવતા હોય છે. ત્યારે ચીખલી તાલુકાના કુકેરી ગામે કૉર્પોરેટ ઓફિસના ઓટલે સુતેલા શ્વાનને ધીમે પગલે આવેલા દીપડાએ પોતાનો શિકાર બનાવ્યો હતો. દીપડાએ કરેલ શ્વાનનો શિકાર CCTV કેમેરામાં કેદ થવા સાથે વાયરલ થતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
નવસારી જિલ્લાના પૂર્વ તરફના ગામડાઓ અને તાલુકાઓમાં દીપડાઓની સંખ્યા વધી છે અને દીપડાઓ રહેણાંક વિસ્તારોમાં રાત્રિના સમયે આવીને પાલતુ પ્રાણીઓને પોતાનો શિકાર બનાવી જતા રહે છે. ત્યારે ચીખલી તાલુકાના કુકેરી ગામે સરકારી શાળાની પાછળ આવેલ કોર્પોરેટ ઓફિસના ઓટલે શ્વાન સૂતો હતો. દરમિયાન રાતે 12 વાગ્યા આસપાસ એક કદ્દાવર દીપડો ધીમે પગલે શ્વાનની નજીક આવ્યો અને તેને ગળામાંથી દબોચી પોતાનો શિકાર બનાવીને લઈ ગયો હતો. થોડી જ સેકંડોમાં દીપડાએ કરેલ શ્વાનનો શિકાર CCTV કેમેરામાં કેદ થયા હતા. જે CCTV ફૂટેજ ગામમાં વાયરલ થતા ગ્રામજનોમાં ભયનો માહોલ બન્યો હતો. ઘટનાની જાણ ચીખલી વન વિભાગને કરવામાં આવતા, વન વિભાગ દ્વારા મારણ સાથે પાંજરૂ ગોઠવવાની તજવીજ હાથ ધરી છે. ઉલ્લેખનિય છે કે, કુકેરી તેમજ આસપાસના ગામડાઓમાં અગાઉ પણ દિપડા આંટાફેરા મારતા જોવા મળ્યા છે અને પાલતુ પ્રાણીઓના શિકાર પણ થયા છે. જોકે હવે ગ્રામીણોએ દિપડા સાથે રહેવાનું શીખવા પડશે.
નવસારી : નવસારી જિલ્લાના કાંઠા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ખાંજણ જમીનમાં બનેલા ઝીંગાના તળાવો ઉપર નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના આદેશાનુસાર જલાલપોર મામલતદારે લાલ આંખ કરી છે. જલાલપોરના કરાડી ગામે પૂર્ણા નદીના કિનારે 4 હેક્ટર જમીનમાં બનેલા 5 ઝીંગા તળાવોને પોલીસ પ્રોટેક્શન સાથે મામલતદારે દૂર કરાવ્યા હતા.
15 JCB મશીનોની મદદથી 5 ઝીંગા તળાવોને તોડી દૂર કરાયા
નવસારી જિલ્લાને 52 કિમી લાંબો દરિયા કિનારો છે. જેની નજીક કાંઠાનાં ગામડાઓની ખાંજણ જમીનમાં મત્સ્યાધ્યોગને પ્રોત્સાહન આપવા ઝીંગાના તળાવો વિકસાવાયા છે. પરંતુ ઘણી જગ્યાએ નિયમોને નેવે મુકીને આડેધડ બનાવી દેવાયેલા ઝીંગાના તળાવો ભરતીનાં પાણી, કે ચોમાસામાં દરિયાને મળતા પાણીને અવરોધે છે અને તેના કારણે કાંઠાના ગામડાઓને મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. જલાલપોર તાલુકાના કરાડી ગામે પૂર્ણા નદીના કિનારે CRZ ના નિયમોનું ઉલ્લંઘન કરીને 4 હેક્ટર જમીનમાં બનાવેલા 5 ઝીંગા તળાવો દૂર કરવા નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલનાં આદેશની જલાલપોર મામલતદારે અમલવારી કરી, ગેરકાયદે બનેલા પાંચેય ઝીંગા તળાવોને દૂર કરાવ્યા હતા. જલાલપોર મામલતદાર મૃણાલદાન ગઢવી આજે પોલીસ પ્રોટેક્શન સાથે 15 JCB મશીનો લઇ કરાડી પહોંચ્યા હતા. જ્યાં તેમણે NGT ના આદેશાનુસાર પૂર્ણા નદી કિનારે ગેરકાયદેસર રીતે નિયમોને નેવે મુકીને બનાવેલા પાંચેય ઝીંગા તળાવોને JCB મશીનની મદદથી તોડીને દૂર કર્યા હતા. આગામી દિવસોમાં પણ જલાલપોર તાલુકાના કાંઠાના ગામોમાં ગેરકાયદેસર રીતે બનેલા ઝીંગા તળાવોને પણ દૂર કરવાની કાર્યવાહી કરવાની તૈયારી પણ તેમણે દર્શાવી હતી.
નવસારી : નવસારી જિલ્લામાં દીપડાઓની સંખ્યા વધી રહી છે, જેને કારણે ખેતી અને વાડી વિસ્તારમાં દીપડાઓ દેખાવાની ઘટનાઓ સામાન્ય થઇ રહી છે. જેમાં છેલ્લા થોડા દિવસોથી ચીખલીના સાદકપોર ગામે આંટાફેરા મારતો દીપડો ગત મોડી રાતે પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે.
નવસારી જિલ્લો દીપડાઓ માટે અભયારણ્ય બની રહ્યું છે. ખાસ કરીને જિલ્લાના આદિવાસી પટ્ટાના તાલુકાઓમાં દીપડાની વસ્તી થોડા વર્ષોમાં ખાસ્સી વધી છે. જેનું કારણ દીપડાઓ માટે આબોહવા માફક આવવા સાથે જ નદી કોતરો સાથે ખેતી અને વાડી વિસ્તાર, જેમાં જંગલી ભુંડ અને મરઘા ફાર્મ થકી શિકાર મળી રહે છે. જોકે દીપડાઓ નજીકની માનવ વસ્તીમાં આવી શ્વાન અને વાછરાડાનો પણ શિકાર કરી લેતા હોય છે. જેમાં પણ છેલ્લા થોડા મહિનાઓમાં દીપડા દેખાવાની ઘટનાઓ સામાન્ય બનવા સાથે વન વિભાગ દ્વારા પણ ઘણા દીપડાઓને પાંજરે પુર્યા છે. ગત રાતે જિલ્લાના ચીખલી તાલુકાના સાદકપોર ગામે બામણીયા ફળિયામાં અલ્પેશ પટેલની વાડીમાં ગોઠવેલા પાંજરામાં શિકારની લાલચમાં એક માદા દીપડો પાંજરે પુરાયો હતો. દીપડાની દહાડ સાંભળીને ગ્રામજનો ભેગા થયા હતા અને ગામના સરપંચે ચીખલી વન વિભાગને જાણ કરતા વનકર્મીઓએ દીપડાનો કબ્જો લઇ, તેને ચીખલી વન કચેરીએ લઇ આવ્યા હતા. જ્યાં વેટરનરી ડોક્ટર દ્વારા દીપડાની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી, જેમાં દીપડો માદા દીપડો હોવા સાથે તેની અંદાજીત ઉંમર 3 વર્ષની હોવાનું ખુલ્યુ હતુ. વન વિભાગ દ્વારા ઉચ્ચ અધિકારીની સૂચના અનુસાર જંગલમાં છોડવાની તજવીજ હાથ ધરવામાં આવશે.