Connect with us

કૃષિ

ગણદેવીના નાંદરખા ગામે ખેડૂતોની જમીન ભાડે પટ્ટે લીધા બાદ L&T કંપનીએ ભાડામાં ભેદભાવ કરતા ખેડૂતોમાં રોષ

Published

on

વાંસદાના કોંગી ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં કર્યા ધરણા

નવસારી : નવસારીના નાંદરખા ગામના ખેડૂતોની ખેતીની કિંમતી જમીન સરકારી પ્રોજેક્ટના કામ માટે ભાડે લઇ L&T કંપનીએ ભાડા કરારનું ઉલ્લંઘન કરવા સાથે જ ભાડામાં વિરોધાભાસ રાખી ખેડૂતો સાથે છેતરપીંડી કરી હોવાના આક્ષેપો સાથે આજે જમીન ભાડે આપનાર ખેડૂતો વાંસદાના કોંગી ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં L&T કંપનીના પ્લાન્ટના ગેટ પર જ ધરણા પર બેઠા હતા. જોકે મંજૂરી ન હોવાનું કહીને પોલીસે ઉઠાડી મુકતા કોંગી ધારાસભ્ય સાથે ખેડૂતો મામલતદાર કચેરી દોડી ગયા હતા અને ન્યાયની માંગ કરી હતી.

પોલીસે ધરણા ન કરવા દેતા, ગણદેવી મામલતદાર પાસે કરી ન્યાયની માંગ  

નવસારી જિલ્લામાંથી ભારત સરકારના એક મહાત્વાકાંક્ષી પ્રોજેક્ટનું કામ પૂરજોશમાં ચાલી રહ્યુ છે. આ સરકારી પ્રોજેક્ટ અંતર્ગત કામ કરતી લાર્સન એન્ડ ટૂર્બો કંપની દ્વારા પોતાના કામદારોના રહેઠાણ માટે કોલોની અને સિમેન્ટ પ્લાન્ટ બનાવવા ગણદેવી તાલુકાના નાંદરખા ગામે અંદાજે 38 ખેડૂતોની અંદાજે 40 વીઘાથી વધુ જમીન જમીન માલિકો સાથે ગ્રામ પંચાયતમાં સરપંચ અને તલાટીની ઉપસ્થિતિમાં વાર્ષિક ભાડા પેટે એક વીઘાના 80 હજાર રૂપિયા અને જમીનમાં આવેલા ઉભા ઝાડોની પણ રકમ નક્કી કરી વળતર સાથે ભાડુ નક્કી કર્યુ હતુ. પરંતુ કંપની દ્વારા 38 ખેડૂતોમાં એક જ પ્રકારનો ભાડા કરાર હોવા છતાં એમાં અલગ અલગ ભાડુ નક્કી કર્યુ, જયારે 10 ખેડૂતો જેમણે 6 મહિના બાદ કરાર કર્યો, એમને અસરગ્રસ્તોના કહેવા પ્રમાણે ઉચ્ચક અને લાખોમાં ચુકવણું કર્યુ હતું. બીજી તરફ ખેડૂતોએ 4 વર્ષો સુધી ભાડામાં વાર્ષિક 10 ટકાનો વધારો અને 5 વર્ષે ભાડા કરાર રીન્યુ કરવાની શરત રાખી હતી. જોકે L&T કંપની દ્વારા ખેડૂતોને ભાડા વધારો પણ આપ્યો નહીં, સાથે જ તેમની જમીનમાં હતા એ ઝાડોનું યોગ્ય વળતર ગણવામાં ન આવ્યુ, જમીનમાં ફક્ત સામાન મુકવા કે રો મટીરીયલ નાંખવાની વાત હતી, પણ બાદમાં જમીનમાંથી માટી ખોદી કાઢવામાં આવી અને સિમેન્ટ કોન્ક્રીટ પ્લાન્ટ બનાવીને જમીનની ફળદ્રૂપતા નષ્ટ કરી નાંખી હોવાના આક્ષેપો સાથે L&T કંપનીને જમીન ભાડે આપનાર ખેડૂતોએ બે મહિના અગાઉ જિલ્લા કોંગ્રેસ સાથે મળીને ચીખલી પ્રાંત અને મામલતદારને રજૂઆતો કરી હતી. જેમાં મામલતદાર, ખેડૂતો અને કંપનીના અધિકારીઓ વચ્ચે સમાધાન થયું હતું અને ખેડૂતોને ભાડાનો તફાવત આપવા મુદ્દે કંપની અધિકારીઓ તૈયાર થયા હતા. પરંતુ 2 મહિના વીતવા બાદ પણ ખેડૂતોને ભાડાનો તફાવત અને વળતર ન મળતા આંદોલન છેડ્યુ છે.

મામલતદાર સામે ભાડાનો તફાવત અને વળતર આપવાની તૈયારી, બાદમાં કંપની ફરી ગઈ હોવાના આક્ષેપો

L&T કંપનીને અંદાજે 40 વીઘા જમીન ભાડે આપ્યા બાદ ભાડા અને ઝાડનાં વળતરમાં છેતરપીંડી કરનાર કંપની સામે મોરચો માંડનારા ખેડૂતોએ આજે વાંસદાના કોંગી ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં જિલ્લા કોંગ્રેસના પદાધિકારીઓ અને પીડિત ખેડૂતોએ ભાડે આપેલી પોતાની જમીનમાં જ ધરણા કરવા બેઠક લગાવી હતી. ન્યાયની માંગ સાથેના સુત્રોચ્ચાર તેમજ પ્લેકાર્ડ પણ ખેડૂતો લાવ્યા હતા. પરંતુ સ્થાનિક પોલીસે ધરણાની મંજૂરી ન હોવાનું જણાવી, તેમને ઉઠાડી મુકતા ખેડૂતો ધારાસભ્ય અનંત પટેલ તેમજ જિલ્લા કોંગ્રેસ પ્રમુખની આગેવાનીમાં ગણદેવી મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં મામલતદારને કંપની દ્વારા કરવામાં આવેલા અન્યાયની સામે ન્યાયની માંગણી કરી ભાડા અને ઝાડના વળતરનો તફાવત L&T કંપની પાસે અપાવવા રજૂઆત કરી હતી. જો ન્યાય ન મળે તો આગામી દિવસોમાં કોંગ્રેસ સાથે મળીને ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી.

ખેડૂતોએ અંદાજે 40 વીઘાથી વધુ જમીન L&T કંપનીને ગ્રામ પંચાયતની સાક્ષીએ ભાડે આપી હતી

સરકારી પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે વધારાની જગ્યાની જરૂર હોય L&T કંપની દ્વારા સીધા ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટીની સાક્ષીએ અંદાજે 38 ખેડૂતો સાથે ભાડા કરાર કર્યો, પણ એમાં પણ ભાડા મુદ્દે ભેદભાવ કરતા ખેડૂતોએ લડત છેડી છે, હવે જોવું રહ્યું કે ખેડૂતોને ન્યાય મળે છે કે નહીં…

કૃષિ

નવસારીના કુકેરી ગામે ધીમે પગલે આવેલા દીપડાએ શ્વાનનો શિકાર કર્યો

Published

on

By

દીપડાએ કરેલ શ્વાનનો શિકાર CCTV કેમેરામાં થયો કેદ

નવસારી : નવસારી જિલ્લામાં દીપડાઓની સંખ્યા વધી છે અને દીપડાઓ ગ્રામ્ય વિસ્તારમાં પાલતુ પ્રાણીઓને પોતાનો શિકાર બનાવતા હોય છે. ત્યારે ચીખલી તાલુકાના કુકેરી ગામે કૉર્પોરેટ ઓફિસના ઓટલે સુતેલા શ્વાનને ધીમે પગલે આવેલા દીપડાએ પોતાનો શિકાર બનાવ્યો હતો. દીપડાએ કરેલ શ્વાનનો શિકાર CCTV કેમેરામાં કેદ થવા સાથે વાયરલ થતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

ચીખલી વન વિભાગે દીપડાને પાંજરે પુરવાની કાર્યવાહી હાથ ધરી

નવસારી જિલ્લાના પૂર્વ તરફના ગામડાઓ અને તાલુકાઓમાં દીપડાઓની સંખ્યા વધી છે અને દીપડાઓ રહેણાંક વિસ્તારોમાં રાત્રિના સમયે આવીને પાલતુ પ્રાણીઓને પોતાનો શિકાર બનાવી જતા રહે છે. ત્યારે ચીખલી તાલુકાના કુકેરી ગામે સરકારી શાળાની પાછળ આવેલ કોર્પોરેટ ઓફિસના ઓટલે શ્વાન સૂતો હતો. દરમિયાન રાતે 12 વાગ્યા આસપાસ એક કદ્દાવર દીપડો ધીમે પગલે શ્વાનની નજીક આવ્યો અને તેને ગળામાંથી દબોચી પોતાનો શિકાર બનાવીને લઈ ગયો હતો. થોડી જ સેકંડોમાં દીપડાએ કરેલ શ્વાનનો શિકાર CCTV કેમેરામાં કેદ થયા હતા. જે CCTV ફૂટેજ ગામમાં વાયરલ થતા ગ્રામજનોમાં ભયનો માહોલ બન્યો હતો. ઘટનાની જાણ ચીખલી વન વિભાગને કરવામાં આવતા, વન વિભાગ દ્વારા મારણ સાથે પાંજરૂ ગોઠવવાની તજવીજ હાથ ધરી છે. ઉલ્લેખનિય છે કે, કુકેરી તેમજ આસપાસના ગામડાઓમાં અગાઉ પણ દિપડા આંટાફેરા મારતા જોવા મળ્યા છે અને પાલતુ પ્રાણીઓના શિકાર પણ થયા છે. જોકે હવે ગ્રામીણોએ દિપડા સાથે રહેવાનું શીખવા પડશે.

Continue Reading

કૃષિ

જલાલપોરના કરાડી ગામે ગેરકાયદે બાંધેલા ઝીંગાના તળાવો તોડાયા

Published

on

By

જલાલપોર મામલતદારે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલનાં આદેશનો કરાવ્યો અમલ

નવસારી : નવસારી જિલ્લાના કાંઠા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ખાંજણ જમીનમાં બનેલા ઝીંગાના તળાવો ઉપર નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના આદેશાનુસાર જલાલપોર મામલતદારે લાલ આંખ કરી છે. જલાલપોરના કરાડી ગામે પૂર્ણા નદીના કિનારે 4 હેક્ટર જમીનમાં બનેલા 5 ઝીંગા તળાવોને પોલીસ પ્રોટેક્શન સાથે મામલતદારે દૂર કરાવ્યા હતા.

15 JCB મશીનોની મદદથી 5 ઝીંગા તળાવોને તોડી દૂર કરાયા

નવસારી જિલ્લાને 52 કિમી લાંબો દરિયા કિનારો છે. જેની નજીક કાંઠાનાં ગામડાઓની ખાંજણ જમીનમાં મત્સ્યાધ્યોગને પ્રોત્સાહન આપવા ઝીંગાના તળાવો વિકસાવાયા છે. પરંતુ ઘણી જગ્યાએ નિયમોને નેવે મુકીને આડેધડ બનાવી દેવાયેલા ઝીંગાના તળાવો ભરતીનાં પાણી, કે ચોમાસામાં દરિયાને મળતા પાણીને અવરોધે છે અને તેના કારણે કાંઠાના ગામડાઓને મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. જલાલપોર તાલુકાના કરાડી ગામે પૂર્ણા નદીના કિનારે CRZ ના નિયમોનું ઉલ્લંઘન કરીને 4 હેક્ટર જમીનમાં બનાવેલા 5 ઝીંગા તળાવો દૂર કરવા નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલનાં આદેશની જલાલપોર મામલતદારે અમલવારી કરી, ગેરકાયદે બનેલા પાંચેય ઝીંગા તળાવોને દૂર કરાવ્યા હતા. જલાલપોર મામલતદાર મૃણાલદાન ગઢવી આજે પોલીસ પ્રોટેક્શન સાથે 15 JCB મશીનો લઇ કરાડી પહોંચ્યા હતા. જ્યાં તેમણે NGT ના આદેશાનુસાર પૂર્ણા નદી કિનારે ગેરકાયદેસર રીતે નિયમોને નેવે મુકીને બનાવેલા પાંચેય ઝીંગા તળાવોને JCB મશીનની મદદથી તોડીને દૂર કર્યા હતા. આગામી દિવસોમાં પણ જલાલપોર તાલુકાના કાંઠાના ગામોમાં ગેરકાયદેસર રીતે બનેલા ઝીંગા તળાવોને પણ દૂર કરવાની કાર્યવાહી કરવાની તૈયારી પણ તેમણે દર્શાવી હતી.

Continue Reading

કૃષિ

ચીખલીના સાદકપોર ગામેથી વધુ એક દીપડો પાંજરે પુરાયો

Published

on

By

ચીખલી રેંજમાંથી એક મહિનામાં 6 દીપડા પકડાયા

નવસારી : નવસારી જિલ્લામાં દીપડાઓની સંખ્યા વધી રહી છે, જેને કારણે ખેતી અને વાડી વિસ્તારમાં દીપડાઓ દેખાવાની ઘટનાઓ સામાન્ય થઇ રહી છે. જેમાં છેલ્લા થોડા દિવસોથી ચીખલીના સાદકપોર ગામે આંટાફેરા મારતો દીપડો ગત મોડી રાતે પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે.

સાદકપોરમાં પાંજરે પુરાયેલા દીપડાને જંગલમાં છોડવાની તજવીજ હાથ ધરાઈ

નવસારી જિલ્લો દીપડાઓ માટે અભયારણ્ય બની રહ્યું છે. ખાસ કરીને જિલ્લાના આદિવાસી પટ્ટાના તાલુકાઓમાં દીપડાની વસ્તી થોડા વર્ષોમાં ખાસ્સી વધી છે. જેનું કારણ દીપડાઓ માટે આબોહવા માફક આવવા સાથે જ નદી કોતરો સાથે ખેતી અને વાડી વિસ્તાર, જેમાં જંગલી ભુંડ અને મરઘા ફાર્મ થકી શિકાર મળી રહે છે. જોકે દીપડાઓ નજીકની માનવ વસ્તીમાં આવી શ્વાન અને વાછરાડાનો પણ શિકાર કરી લેતા હોય છે. જેમાં પણ છેલ્લા થોડા મહિનાઓમાં દીપડા દેખાવાની ઘટનાઓ સામાન્ય બનવા સાથે વન વિભાગ દ્વારા પણ ઘણા દીપડાઓને પાંજરે પુર્યા છે. ગત રાતે જિલ્લાના ચીખલી તાલુકાના સાદકપોર ગામે બામણીયા ફળિયામાં અલ્પેશ પટેલની વાડીમાં ગોઠવેલા પાંજરામાં શિકારની લાલચમાં એક માદા દીપડો પાંજરે પુરાયો હતો. દીપડાની દહાડ સાંભળીને ગ્રામજનો ભેગા થયા હતા અને ગામના સરપંચે ચીખલી વન વિભાગને જાણ કરતા વનકર્મીઓએ દીપડાનો કબ્જો લઇ, તેને ચીખલી વન કચેરીએ લઇ આવ્યા હતા. જ્યાં વેટરનરી ડોક્ટર દ્વારા દીપડાની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી, જેમાં દીપડો માદા દીપડો હોવા સાથે તેની અંદાજીત ઉંમર 3 વર્ષની હોવાનું ખુલ્યુ હતુ. વન વિભાગ દ્વારા ઉચ્ચ અધિકારીની સૂચના અનુસાર જંગલમાં છોડવાની તજવીજ હાથ ધરવામાં આવશે.

Continue Reading
Advertisement

Trending