Connect with us

કૃષિ

નહેરના પાણી બંધ થતા ઉનાળુ ડાંગરની રોપણીમાં મુશ્કેલી, ખેડૂતોમાં ચિંતા

Published

on

સમારકામ દરમિયાન બંધ રહેલી નહેરમાં પાણી આવ્યા બાદ ફરી 4 દિવસોથી બંધ

નવસારી : નવસારી જિલ્લાની ખેતીમાં મુખ્ય પાકોમાં શેરડી અને ડાંગર છે. જેમાં હાલ ઉનાળુ ડાંગર માટે ખેડૂતો ધરૂ ઉગાડવા સાથે તેની રોપણીમાં જોડાયા છે. પરંતુ ગત મહિનામાં નહેર બંધ રહ્યા બાદ ફરી નહેર 10 દિવસોથી બંધ થતા ડાંગર પકવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. કારણ ડાંગરમાં વધુ પાણીની જરૂર હોય છે અને સમયે પાણી ન મળે તો રોપણીને અસર થશે. જેથી નહેર વિભાગ સમયે પાણી આપે એવી ખેડૂતોમાં માંગ ઉઠી છે.

પાણી નહીં મળતા, ડાંગરનું ધરૂ પીળું પડવા માંડ્યુ, સાથે રોપણી પણ લંબાશે

નવસારી જિલ્લામાં સૌથી વાળું ડાંગરની ખેતી થાય છે. જિલ્લામાં મોટાભાગનો વિસ્તાર નહેર આધારિત ખેતી કરે છે, તેમાં પણ છેલ્લા થોડા વર્ષોથી નહેર વિભાગ દ્વારા ડીસેમ્બરથી જાન્યુઆરી મહિના દરમિયાન 50 કે 70 દિવસો સુધી નહેરના સમારકામની કામગીરી ચાલતી હોવાથી નહેરમાં પાણીનું રોટેશન બંધ રહે છે. બીજી તરફ ખેડૂતો ઉનાળુ ડાંગરની ખેતીમાં જોતરાતા તેમને પાણીની જરૂર પડે છે, નહેરમાં સમારકામ પૂર્ણ થયા બાદ પાણી આવતા જ ખેડૂતો ડાંગરના ધરૂ તૈયાર કરવા સાથે તેની રોપણીની શરૂઆત કરી હતી. પરંતુ છેલ્લા થોડા દિવસોથી નહેરમાં ફરી પાણી બંધ થતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. કારણ ઉગાડેલું ધરૂ પીળું પડવા આવ્યુ છે અને તૈયાર ધરૂની સમયે રોપણી ન થાય તો પણ મુશ્કેલી વધશે. સાથે જ ધરૂ તૈયાર હોવાથી નહેરમાં પાણી આવતા જ બધા જ ખેડૂતો રોપણીની તૈયારી કરશે, તો મજૂરો મળવા મુશ્કેલ થશે અને ઉંચો રોજ આપવા પડશે. ડાંગરની રોપણી મોડી થવાથી પણ તૈયાર ડાંગરની કાપણી સમયે વરસાદ વહેલો શરૂ થયો તો પણ નુકશાની વેઠવી પડશે. જેથી નહેર વિભાગ વહેલી તકે પાણી આપે અને સમારકામ દરમિયાન પણ વચ્ચેના ગાળામાં 10 દિવસ પાણી આપવાનું આયોજન કરે એવી લાગણી અને માંગણી વ્યક્ત કરી રહ્યા છે.

ટેકનીકલ ખામીને કારણે બંધ થઇ હતી નહેર, વિભાગે શરૂ કર્યુ રોટેશન

નવસારી અંબિકા ડીવીઝન નહેર વિભાગ દ્વારા નવસારી, સુપા, ગણદેવી, ચીખલી અને વલસાડ પેટા વિભાગને સિંચાઈ સાથે નવસારી શહેર અને પાણી યોજના માટે પાણી પુરવઠો 15 – 15 દિવસોના આંતરે આપવામાં આવે છે. જેમાં પણ પાણી યોજના સમયે પણ સિંચાઈ માટે લો લેવલે પાણી આપવામાં આવતું હોય છે. પરંતુ ટેકનીકલ ખામીને કારણે થોડા દિવસોથી નવસારી, સુપા અને ગણદેવી ડીવીઝનમાં પાણી બંધ થયું હતું. જે ક્ષતિ દૂર થતા આજથી ત્રણેય ડીવીઝનમાં પાણી પુરવઠો પુરતા પ્રમાણમાં અપાશે, જેથી પાણી સમસ્યા નહી રહે.

કૃષિ

નવસારીના કુકેરી ગામે ધીમે પગલે આવેલા દીપડાએ શ્વાનનો શિકાર કર્યો

Published

on

By

દીપડાએ કરેલ શ્વાનનો શિકાર CCTV કેમેરામાં થયો કેદ

નવસારી : નવસારી જિલ્લામાં દીપડાઓની સંખ્યા વધી છે અને દીપડાઓ ગ્રામ્ય વિસ્તારમાં પાલતુ પ્રાણીઓને પોતાનો શિકાર બનાવતા હોય છે. ત્યારે ચીખલી તાલુકાના કુકેરી ગામે કૉર્પોરેટ ઓફિસના ઓટલે સુતેલા શ્વાનને ધીમે પગલે આવેલા દીપડાએ પોતાનો શિકાર બનાવ્યો હતો. દીપડાએ કરેલ શ્વાનનો શિકાર CCTV કેમેરામાં કેદ થવા સાથે વાયરલ થતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

ચીખલી વન વિભાગે દીપડાને પાંજરે પુરવાની કાર્યવાહી હાથ ધરી

નવસારી જિલ્લાના પૂર્વ તરફના ગામડાઓ અને તાલુકાઓમાં દીપડાઓની સંખ્યા વધી છે અને દીપડાઓ રહેણાંક વિસ્તારોમાં રાત્રિના સમયે આવીને પાલતુ પ્રાણીઓને પોતાનો શિકાર બનાવી જતા રહે છે. ત્યારે ચીખલી તાલુકાના કુકેરી ગામે સરકારી શાળાની પાછળ આવેલ કોર્પોરેટ ઓફિસના ઓટલે શ્વાન સૂતો હતો. દરમિયાન રાતે 12 વાગ્યા આસપાસ એક કદ્દાવર દીપડો ધીમે પગલે શ્વાનની નજીક આવ્યો અને તેને ગળામાંથી દબોચી પોતાનો શિકાર બનાવીને લઈ ગયો હતો. થોડી જ સેકંડોમાં દીપડાએ કરેલ શ્વાનનો શિકાર CCTV કેમેરામાં કેદ થયા હતા. જે CCTV ફૂટેજ ગામમાં વાયરલ થતા ગ્રામજનોમાં ભયનો માહોલ બન્યો હતો. ઘટનાની જાણ ચીખલી વન વિભાગને કરવામાં આવતા, વન વિભાગ દ્વારા મારણ સાથે પાંજરૂ ગોઠવવાની તજવીજ હાથ ધરી છે. ઉલ્લેખનિય છે કે, કુકેરી તેમજ આસપાસના ગામડાઓમાં અગાઉ પણ દિપડા આંટાફેરા મારતા જોવા મળ્યા છે અને પાલતુ પ્રાણીઓના શિકાર પણ થયા છે. જોકે હવે ગ્રામીણોએ દિપડા સાથે રહેવાનું શીખવા પડશે.

Continue Reading

કૃષિ

જલાલપોરના કરાડી ગામે ગેરકાયદે બાંધેલા ઝીંગાના તળાવો તોડાયા

Published

on

By

જલાલપોર મામલતદારે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલનાં આદેશનો કરાવ્યો અમલ

નવસારી : નવસારી જિલ્લાના કાંઠા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ખાંજણ જમીનમાં બનેલા ઝીંગાના તળાવો ઉપર નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના આદેશાનુસાર જલાલપોર મામલતદારે લાલ આંખ કરી છે. જલાલપોરના કરાડી ગામે પૂર્ણા નદીના કિનારે 4 હેક્ટર જમીનમાં બનેલા 5 ઝીંગા તળાવોને પોલીસ પ્રોટેક્શન સાથે મામલતદારે દૂર કરાવ્યા હતા.

15 JCB મશીનોની મદદથી 5 ઝીંગા તળાવોને તોડી દૂર કરાયા

નવસારી જિલ્લાને 52 કિમી લાંબો દરિયા કિનારો છે. જેની નજીક કાંઠાનાં ગામડાઓની ખાંજણ જમીનમાં મત્સ્યાધ્યોગને પ્રોત્સાહન આપવા ઝીંગાના તળાવો વિકસાવાયા છે. પરંતુ ઘણી જગ્યાએ નિયમોને નેવે મુકીને આડેધડ બનાવી દેવાયેલા ઝીંગાના તળાવો ભરતીનાં પાણી, કે ચોમાસામાં દરિયાને મળતા પાણીને અવરોધે છે અને તેના કારણે કાંઠાના ગામડાઓને મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. જલાલપોર તાલુકાના કરાડી ગામે પૂર્ણા નદીના કિનારે CRZ ના નિયમોનું ઉલ્લંઘન કરીને 4 હેક્ટર જમીનમાં બનાવેલા 5 ઝીંગા તળાવો દૂર કરવા નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલનાં આદેશની જલાલપોર મામલતદારે અમલવારી કરી, ગેરકાયદે બનેલા પાંચેય ઝીંગા તળાવોને દૂર કરાવ્યા હતા. જલાલપોર મામલતદાર મૃણાલદાન ગઢવી આજે પોલીસ પ્રોટેક્શન સાથે 15 JCB મશીનો લઇ કરાડી પહોંચ્યા હતા. જ્યાં તેમણે NGT ના આદેશાનુસાર પૂર્ણા નદી કિનારે ગેરકાયદેસર રીતે નિયમોને નેવે મુકીને બનાવેલા પાંચેય ઝીંગા તળાવોને JCB મશીનની મદદથી તોડીને દૂર કર્યા હતા. આગામી દિવસોમાં પણ જલાલપોર તાલુકાના કાંઠાના ગામોમાં ગેરકાયદેસર રીતે બનેલા ઝીંગા તળાવોને પણ દૂર કરવાની કાર્યવાહી કરવાની તૈયારી પણ તેમણે દર્શાવી હતી.

Continue Reading

કૃષિ

ચીખલીના સાદકપોર ગામેથી વધુ એક દીપડો પાંજરે પુરાયો

Published

on

By

ચીખલી રેંજમાંથી એક મહિનામાં 6 દીપડા પકડાયા

નવસારી : નવસારી જિલ્લામાં દીપડાઓની સંખ્યા વધી રહી છે, જેને કારણે ખેતી અને વાડી વિસ્તારમાં દીપડાઓ દેખાવાની ઘટનાઓ સામાન્ય થઇ રહી છે. જેમાં છેલ્લા થોડા દિવસોથી ચીખલીના સાદકપોર ગામે આંટાફેરા મારતો દીપડો ગત મોડી રાતે પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે.

સાદકપોરમાં પાંજરે પુરાયેલા દીપડાને જંગલમાં છોડવાની તજવીજ હાથ ધરાઈ

નવસારી જિલ્લો દીપડાઓ માટે અભયારણ્ય બની રહ્યું છે. ખાસ કરીને જિલ્લાના આદિવાસી પટ્ટાના તાલુકાઓમાં દીપડાની વસ્તી થોડા વર્ષોમાં ખાસ્સી વધી છે. જેનું કારણ દીપડાઓ માટે આબોહવા માફક આવવા સાથે જ નદી કોતરો સાથે ખેતી અને વાડી વિસ્તાર, જેમાં જંગલી ભુંડ અને મરઘા ફાર્મ થકી શિકાર મળી રહે છે. જોકે દીપડાઓ નજીકની માનવ વસ્તીમાં આવી શ્વાન અને વાછરાડાનો પણ શિકાર કરી લેતા હોય છે. જેમાં પણ છેલ્લા થોડા મહિનાઓમાં દીપડા દેખાવાની ઘટનાઓ સામાન્ય બનવા સાથે વન વિભાગ દ્વારા પણ ઘણા દીપડાઓને પાંજરે પુર્યા છે. ગત રાતે જિલ્લાના ચીખલી તાલુકાના સાદકપોર ગામે બામણીયા ફળિયામાં અલ્પેશ પટેલની વાડીમાં ગોઠવેલા પાંજરામાં શિકારની લાલચમાં એક માદા દીપડો પાંજરે પુરાયો હતો. દીપડાની દહાડ સાંભળીને ગ્રામજનો ભેગા થયા હતા અને ગામના સરપંચે ચીખલી વન વિભાગને જાણ કરતા વનકર્મીઓએ દીપડાનો કબ્જો લઇ, તેને ચીખલી વન કચેરીએ લઇ આવ્યા હતા. જ્યાં વેટરનરી ડોક્ટર દ્વારા દીપડાની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી, જેમાં દીપડો માદા દીપડો હોવા સાથે તેની અંદાજીત ઉંમર 3 વર્ષની હોવાનું ખુલ્યુ હતુ. વન વિભાગ દ્વારા ઉચ્ચ અધિકારીની સૂચના અનુસાર જંગલમાં છોડવાની તજવીજ હાથ ધરવામાં આવશે.

Continue Reading
Advertisement

Trending