આરોગ્ય

નવસારીના ખેરગામમાં બે દિવસોમાં 12 લોકોને રખડતા શ્વાને બચકા ભર્યા, લોકોમાં ભય

Published

on

ખેરગામના બજાર વિસ્તારમાં બે દિવસોથી રખડતા શ્વાનનો આતંક

નવસારી : નવસારીના આદિવાસી પટ્ટાના ખેરગામ ગામે રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે. ખેરગામ બજાર વિસ્તારમાં છેલ્લા બે દિવસોમાં રખડતા શ્વાને નાના બાળકથી લઇ વૃદ્ધોને બચકા ભરતા સ્થાનિકોમાં શ્વાનને લઇ ભયનો માહોલ બન્યો છે. ખેરગામ સહિત આસપાસના ગામના 12 લોકોને રેફરલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી છે, જયારે ગ્રામ પંચાયત દ્વારા શ્વાનને પકડવાના પ્રયાસો આરંભ્યા છે.

ખેરગામ ગ્રામ પંચાયતે રખડતા શ્વાનને પકડવાના પ્રયાસો હાથ ધર્યા

નવસારીના ખેરગામ તાલુકાના મુખ્ય મથક એવા ખેરગામ ગામે છેલ્લા થોડા દિવસોથી રખડતા શ્વાનનો આતંક વધ્યો છે. ખેરગામના બજાર વિસ્તારમાં બે દિવસોમાં રખડતા શ્વાનને 7 થી 8 લોકોને બચકા ભરતા સ્થાનિકોમાં ભયનો માહોલ બન્યો છે. ખેરગામના પ્રવેશ દ્વાર પાસે પોસ્ટ ઓફીસની સામે ચાની લારી ચલાવતા 70 વર્ષીય ગોવિંદભાઈ ચા વાલા બજારમાં દવા લેવા ગયા અને પાછળથી આવેલા રખડતા શ્વાને તેમના પગના પાછળથી કરડ્યું હતું, જેને છોડાવતા ગોવિંદભાઈને ઘણી મુશ્કેલી પડી હતી. જયારે બજારમાં મસ્જીદ પાસે ચાની લારી ચલાવતા 73 વર્ષીય હરીશભાઈને પણ શ્વાન કરડીને ભાગી ગયો હતો. બંનેએ ખેરગામ રેફરલ હોસ્પિટલમાં સારવાર લીધી હતી. ખેરગામમાં બીજા 54 વર્ષીય અલ્લારખાંભાઈ, ૩૩ વર્ષીય હીનાબેન, 15 વર્ષીય સોનલ અને 5 વર્ષીય કુંજને પણ શ્વાન કરડતા તેમણે પણ ઇન્જેક્શન લેવા પડ્યા છે. જયારે ખેરગામ આસપાસના ગામના લોકોને પણ રખડતા શ્વાને બચકા ફરતા ખેરગામ રેફરલ હોસ્પિટલમાં બે દિવસોમાં 12 લોકોને સારવાર લેવી પડી છે. બીજી તરફ ખેરગામ ગ્રામ પંચાયતને ઘટનાની જાણ થતા રખડતા શ્વાનને પાડવા માટેના પ્રયાસો હાથ ધર્યા છે, જેમાં ગ્રામ પંચાયત દ્વારા વન વિભાગને પણ જાણ કરી છે. જોકે હજી સુધી લોકોને બચકા ભરતા શ્વાનને કોઈ પકડી શક્યું નથી. જેના કારણે સ્થાનિકોમાં હજુ પણ રખડતા શ્વાનને લઇને ભયનો માહોલ છે.

Click to comment

Trending

Exit mobile version