Connect with us

અપરાધ

6 વર્ષો સુધી જામીનદાર ન હોવા છતાં કોર્ટમાં રહ્યો હાજર, અંતે કોર્ટે સાંભળી ફરિયાદ

Published

on

નવસારી કોર્ટનાં આદેશ પર બોગસ દસ્તાવેજોને આધારે જામીનદાર રહેનાર સામે નોંધાઈ ફરિયાદ

નવસારી : નવસારીની કોર્ટમાં દારૂ અને મારામારી જેવા ગુનાના આરોપીઓના બોગસ જામીનદારનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં આરોપીઓ કોર્ટ સમક્ષ હાજર ન રહેતા જામીનદાર સામે સમન્સ કાઢવામાં આવ્યા હતા, પરંતુ બોગસ જામીનદાર નહીં, જેના દસ્તાવેજ અને નામ – સરનામાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, એણે કોર્ટ સમક્ષ હાજર થવું પડ્યુ હતું. જેમાં 6 વર્ષોમાં અલગ અલગ 14 ગુનાઓમાં સમન્સ મળતા, અંતે થાકેલા વ્યક્તિએ કોર્ટને રજૂઆત કરતા, કોર્ટે બોગસ જામીનદારને પકડી પાડવા પોલીસને આદેશ કર્યો છે.

નયન દેસાઇના ચુંટણી ઓળખ કાર્ડ પર પોતાનો ફોટો લગાવી, દશેરા ટેકરીનો દિવ્યેશ નાયકા રહેતો હતો જામીનદાર

મળતી માહિતી અનુસાર, નવસારીના વિજલપોરના રાધેક્રિશ્ના એપાર્ટમેન્ટમાં રહેતા નયન દેસાઈને ગત વર્ષ 2019 માં સુરત કોર્ટમાંથી સમન્સ આવતા, કોર્ટમાં હાજર થયા હતા. જ્યાં આરોપીના જામીનદાર હોવાથી, આરોપી કોર્ટ સમક્ષ હાજર ન રહેતા તેમને સમન્સ કાઢવામાં આવ્યો હતો. પરંતુ નયન દેસાઈએ કોર્ટને જણાવ્યું કે તેઓ જામીન રહ્યા જ નથી, સાથે જ દસ્તાવેજ ચકાસતા તેમના મતદાન ઓળખ કાર્ડ ઉપર કોઈક બીજાનો ફોટો હતો. જેથી કોર્ટે તેમને નિવેદન લઇ જવા દીધા હતા. સુરત રેલ્વે કોર્ટ બાદ નવસારી કોર્ટમાંથી પણ આજ પ્રકારે જામીનદાર રહ્યા હોવાથી સમન્સ આવવા માંડતા નયન દેસાઈ હેરાન થઇ ગયા હતા. છેલ્લા 6 વર્ષોમાં દેશી દારૂ, વિદેશી દારૂ, મારામારી જેવા અનેક ગુનાઓના આરોપીઓના જામીનદાર રહ્યા હોવાથી અને આરોપી કોર્ટમાં હાજર ન થતા જામીનદારને કોર્ટમાં હાજર રહેવાના સમન્સ મળ્યા હતા. નયન દેસાઈએ દર વખતે કોર્ટને તેમની સ્થિતિ સમજાવી અને કોર્ટ તેમનું નિવેદન લઇ તેમના સામેની કાર્યવાહી કાઢી નાંખતી હતી. કેટલીક વખત કોર્ટે બોગસ દસ્તાવેજોને આધારે જામીનદાર રહેનારા નવસારીના દશેરા ટેકરીના દિવ્યેશ નાયકાને પણ પકડી લાવવા આદેશ કર્યો હતો. દરમિયાન નયન દેસાઈએ નવસારી ટાઉન પોલીસ મથક તેમજ જલાલપોર પોલીસ મથકે અરજી પણ કરી હતી. જોકે બોગસ દસ્તાવેજ બનાવનાર દિવ્યેશ નાયકા તેને કોર્ટમાં રજૂ કરીને જામીનદાર રહેતો જતો હતો. ગત મહિનામાં પણ નવસારી કોર્ટમાં જામીનદાર તરીકે હાજર રહેવા નયન દેસાઈને સમન્સ આવ્યો હતો, જેમાં ફરી નયન દેસાઈએ 6 વર્ષોથી હેરાન થતા હોવાની ફરિયાદ કરી, કોર્ટને અરજી કરી આ પ્રકારની પરિસ્થિતિથી છુટકારો આપવાવા દાદ માંગી હતી. જેને ધ્યાને લઇને કોર્ટે પોલીસ ફરિયાદ કરવાનો આદેશ કરતા, નવસારી ટાઉન પોલીસ મથકે બોગસ દસ્તાવેજ બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરનાર દિવ્યેશ નાયકા સામે ફરિયાદ નોંધી તપાસ આરંભી છે.

દિવ્યેશ નાયકાની કરામતને કારણે 6 વર્ષોથી હેરાન હતા નયન દેસાઇ

6 વર્ષોથી નવસારીના દશેરા ટેકરીનો દિવ્યેશ નાયકા બોગસ દસ્તાવેજને આધારે ગુનેગારોનો જામીનદાર રહેતો હતો, જેમાં નયન દેસાઈ ભેરવાતા કરે કોઈ, ભરે કોઈની સ્થિતિએ હેરાન થતા હતા. પરંતુ નવસારી કોર્ટને સમગ્ર પ્રકરણ ધ્યાને આવતા કોર્ટે બોગસ દસ્તાવેજ બનાવનારા દિવ્યેશ સામે પોલીસ ફરિયાદનો આદેશ કરતા નયન દેસાઈને રાહત મળી છે.

અપરાધ

નવસારીમાં મોડી રાત્રે ગેંગવોર : રેમ્બો ચપ્પુના ઘા ઝીંકાતા ૩ ગંભીર રીતે ઘાયલ

Published

on

By

આસિફ, ઇમરાન અને સિદ્ધુ સિવિલમાં ખસેડાયા, ગ્રામ્ય પોલીસની તપાસ શરૂ

નવસારી : નવસારી શહેરમાં ફરી એકવાર ગેંગવોર જોવા મળી હતી. ગત રાત્રે 12 વાગ્યા આસપાસ વિરાવળ જતા રસ્તા પર, બોસ્ટન ટી સામે બે જૂથ વચ્ચે લોહિયાળ મારામારી થઈ હતી. જેમાં ત્રણ યુવાનો ગંભીર રીતે ઘવાતા તેમને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાંથી એકને ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

રીઢા ગુનેગાર સિદ્ધુ થોરાટની ટોળકી અને અન્ય ગેંગ વચ્ચે થઈ હતી મારામારી

મળતી માહિતી અનુસાર, નવસારી શહેરમાં ગત રાતે રીઢા ગુનેગારો વચ્ચે ખુની ખેલ ખેલાયો હતો. શહેરના વિરાવળ નજીક બોસ્ટન ટી સ્ટોલ પાસે થયેલી માથાકૂટમાં બંને જૂથોએ રેમ્બો છરો સાથે ધારદાર હથિયારોથી એકબીજા ઉપર પ્રાણઘાતક વાર કરી મારામારી કરી હતી. જેમાં ત્રણ લોકો ગંભીર રીતે ઘવાયા હતા. જેમાં મારામારીમાં પંકાયેલો સિદ્ધુ થોરાટ, ઈમરાન શેખ અને આસિફને ઘાયલાવસ્થામાં નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાંથી આસિફની સ્થિતિ વધુ ગંભીર જણાતા તેને ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો.

જૂની અદાવત અથવા વર્ચસ્વ માટે ખૂની ખેલ ખેલાયો હોવાનું પ્રાથમિક તારણ

વિવાવળના બોસ્ટન ટી સ્ટોલ પાસે થયેલ આ ખૂની મારમારી જૂની અદાવત અથવા વર્ચસ્વની લડાઈમાં થઈ હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. આ સનસનાટીભરી ઘટનાની જાણ થતાં નવસારી ગ્રામ્ય પોલીસે મારામારી મુદ્દે કાયદેસરની તપાસ શરૂ કરી છે. જ્યારે મોડી રાત્રે થયેલી આ મારામારીને કારણે વિસ્તારમાં તંગદીલીનો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે પોલીસ ચોપડે હજી કોઈ ફરિયાદ નોંધાઈ નથી, પરંતુ સાંજ સુધીમાં ફરિયાદ નોંધાય અને પોલીસ ફરાર થયેલા આરોપીઓને પકડવાની કવાયત શરૂ કરે એવી સંભાવના જોવાઈ રહી છે.

સિદ્ધુ થોરાટ અને તેની ટોળકીનું અગાઉ પોલીસે કાઢ્યું હતું સરઘસ

ઘાયલ થયેલો આરોપી સિદ્ધુ થોરાટ વિજલપોર વિસ્તારમાં રીઢો ગુનેગાર છે અને અગાઉ અનેકવાર મારમારી સહિતના વિવિધ ગુનાઓમાં પોલીસના હાથે પકડાઈ ચૂક્યો છે. જેમાં મારામારીની અન્ય ઘટનામાં પોલીસે સિદ્ધુ અને તેના બે સાથીઓનો ગુનાના રિકંસ્ટ્રક્ષન કરવા સાથે કાયદાનું ભાન કરાવવા જાહેરમાં સરઘસ કાઢ્યું હતું.

Continue Reading

અપરાધ

ટ્રાફિક ઈ-ચલણના નામે ફોન હેક કરીને દોઢ લાખની ઠગાઈ કરનારા ઝડપાયા

Published

on

By

નવસારી સાયબર ક્રાઈમે વાપીથી 4 ઠગોની ધરપકડ કરી

નવસારી : ટ્રાફિક નિયમ ભંગનું ઓનલાઈન ચલણ ભરવાના બહાને મોબાઈલમાં ertochallan.apk ફાઇલ મોકલીને લોકોના એકાઉન્ટમાંથી લાખો રૂપિયા સેરવી લેતી એક ગેંગનો પર્દાફાશ થયો છે. નવસારી સાયબર ક્રાઈમ પોલીસે આ મામલે વલસાડના વાપી ખાતેથી 4 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે હવે આ ગેંગના મુખ્ય સૂત્રધારો અને ‘apk’ ફાઇલના સ્ત્રોત સુધી પહોંચવા માટે કવાયત હાથ ધરી છે.

ગણદેવીના વ્યક્તિને ertochallan.apk મોકલી કરી, દોઢ લાખ પડાવ્યા

નવસારીના ગણદેવી વિસ્તારના એક વ્યક્તિને થોડા દિવસો પહેલાં તેના વોટ્સએપ પર ટ્રાફિક નિયમ ભંગ બદલ ઓનલાઈન ચલણ ભરવા માટે ertochallan.apk ફાઇલ સાથેનો મેસેજ મળ્યો હતો. આ વ્યક્તિએ આ ફાઇલ ડાઉનલોડ કરતા જ સાયબર ઠગોએ તરત જ તેનો મોબાઈલ ફોન હેક કરી લીધો હતો. બાદમાં, ગણતરીની મિનિટોમાં જ તેના બેંક એકાઉન્ટમાંથી ત્રણ ટ્રાન્ઝેક્શનમાં કુલ 1.50 લાખ રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હતા. પોતાની સાથે થયેલ આ ઓનલાઈન છેતરપિંડીની જાણ થતાં જ પીડિત વ્યક્તિએ તાત્કાલિક નવસારી સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ પકડમાં આવેલા 4 આરોપીઓ માત્ર પ્યાદા

ફરિયાદ મળતા જ નવસારી સાયબર ક્રાઈમની ટીમે ટ્રાન્સફર થયેલી રકમ જે બેંક એકાઉન્ટમાં ગઈ હતી તેની કડી મેળવી. પોલીસે તપાસના આધારે વાપીના ચલા ખાતે રહેતા 27 વર્ષીય પ્રકાશ તિવારીને ઝડપી પાડ્યો હતો. તેની કડકાઈથી પૂછપરછ કરતા અન્ય ત્રણ સાગરીતો વાપીના બલીઠા ચેકપોસ્ટ નજીક, આટીયાવાડ 23 વર્ષીય સચિન સિંઘ અને 31 વર્ષીય રમેશ મંડળ તેમજ વાપીના મોરાઈ ગામે રહેતા 24 વર્ષીય સોમોકુમાર શર્માના નામો ખુલતા પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી હતી. જોકે, સાયબર ક્રાઈમના અધિકારી અનુસાર, પકડાયેલા ચારેય આરોપીઓ આ ટોળકીના માત્ર પ્યાદાં છે. આરોપી પ્રકાશ તિવારી બેંક એકાઉન્ટ હોલ્ડર છે, જ્યારે અન્ય ત્રણ આરોપીઓ દલાલ તરીકે અથવા તો એકાઉન્ટ શોધી આપવાનું કામ કરતા હતા.

આ રીતે ચલાવવામાં આવે છે સમગ્ર નેટવર્ક

સાયબર ઠગો સ્થાનિક સ્તરે ગરીબ કે જરૂરિયાતમંદ લોકોને 5 થી 10 હજારની લાલચ આપીને તેમના બેંક એકાઉન્ટ ભાડે રાખતા હોય છે, અથવા તો તેમના નામે નવા એકાઉન્ટ ખોલાવતા હોય છે. સમગ્ર મુદ્દે પોલીસ ertochallan.apk ફાઇલ કોણે અને ક્યાંથી મોકલી હતી, તેમજ આ સમગ્ર નેટવર્કના મુખ્ય આરોપીઓ કોણ છે, તેનું પગેરૂ શોધવા મથામણ કરી રહી છે.

વાંચકો માટે ચેતવણી

કોઈપણ અજાણી કે શંકાસ્પદ .apk ફાઇલ ડાઉનલોડ કરશો નહીં.

ટ્રાફિક ચલણ ભરવા માટે હંમેશા સરકારી વેબસાઇટ અથવા સત્તાવાર એપ્લિકેશનનો જ ઉપયોગ કરો.

જો કોઈ વ્યક્તિ વોટ્સએપ પર ચલણ ભરવા માટે લિંક કે ફાઇલ મોકલે, તો સાવચેત રહો અને બેંકની વિગતો આપવાનું ટાળો.

Continue Reading

અકસ્માત

આમરી કસબા માર્ગ પર બે હાઈવા ટ્રક ભટકાતા એકનું મોત એક ઘાયલ

Published

on

By

બાઈક ચાલકને બચાવવા જતા હાઈવા ડિવાઇડર કૂદી અન્ય હાઈવા સાથે અથડાયો

નવસારી : નવસારીના આમરી કસ્બા માર્ગ પરથી રોજના મોટી સંખ્યામાં ઓવર લોડેડ હાઈવા ટ્રક પસાર થતા હોય છે. ગતરોજ સાંજના સમયે ઓવરટેક કરવા જતા હાઈવા ટ્રકના ચાલકે સામેથી આવેલા બાઇક ચાલકને બચાવવા જતા ટ્રક ડિવાઇડર કુદાવી અને સામે ઉભેલા અન્ય હાઈવા ટ્રક સાથે ધડાકાભેર અથડાવી દીધો હતો. આકસ્માતમાં એક ચાલકનું મોત, જ્યારે બીજા ચાલકને ગંભીર અવસ્થામાં હોસ્પિટલ ખસેડ્યો હતો.

વારંવાર થતાં અકસ્માતોથી ગ્રામજનોમાં ભયનો માહોલ

મળતી માહિતી અનુસાર, નવસારીના આમરી કસ્બા માર્ગ ઉપરથી રોજના મોટી સંખ્યામાં ભારે વાહનો પસાર થાય છે. જેના કારણે છાસવારે અકસ્માતો થવાની ઘટનાઓ સામે આવતી રહે છે. ભારે વાહનોની બેફામ દોડથી આમરીના ગ્રામજનોમાં ભયનો માહોલ રહે છે. ત્યારે ગત રોજ સાંજના સમયે એક હાઈવા ટ્રકના ચાલકે ઓવરટેક કરવાની લાહ્યમાં સામેથી આવતી એક બાઈકને બચાવવા જતા ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા હાઈવા ડીવાઈડર કૂદી સામેના ટ્રેક ઉપર ઉભેલા અન્ય હાઈવા ટ્રક સાથે ભટકાયો હતો. અકસ્માતમાં હાઈવા નજીક ઉભેલા ચાલક અને સુરતના હજીરા ખાતે રહેતા મૂળ બિહારના અરૂણ ભારતીનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યુ હતુ. જ્યારે અકસ્માત સર્જનાર હાઈવા ટ્રકના ચાલક અને સુરતના ડિંડોલી ખાતે રહેતા મૂળ યુપીના મનજીત સરોજ ગંભીર રીતે ઘાયલ થતા, એને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાને પગલે ગ્રામજનો તેમજ રાહદારીઓ ભેગા થયા હતા. નવસારી ગ્રામ્ય પોલીસને ઘટનાની જાણ થતાં પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતક ચાલકના મૃતદેહને પીએમ અર્થે નવસારી સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. જ્યારે અકસ્માતને કારણે સર્જાયેલા ટ્રાફિક જામને હળવો કર્યો હતો. સમગ્ર મુદ્દે પોલીસે મનજીત સરોજ સામે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ આરંભી હતી.

Continue Reading
Advertisement

Trending