Connect with us

દક્ષિણ-ગુજરાત

વર્ષોના બાકી કોમર્શિયલ વેરા ભરો, નહીં તો મિલકત સીલ

Published

on

શહેરની 2400 થી વધુ કોમર્શિયલ મિલકતોનો અંદાજે 6 કરોડનો વેરો બાકી

નવસારી : નવસારી નગર પાલિકા અને નવસારી વિજલપોર પાલિકાના સમયમાં 10 વર્ષો સુધી કોમર્શિયલ મિલકતોના વેરા નહીં ભરીને પાલિકાની તિજોરીને કરોડોનું નુકશાન કરનારા 2400 થી વધુ મિલકત ધારકો સામે નવસારી મહાનગર પાલિકાએ લાલ આંખ કરી છે, વર્ષોના બાકી વેરા નહીં ભરે, તો મિલકતને સીલ મારવાની કાર્યવાહી આરંભતા જ બાકીદારોમાં ફફડાટ ફેલાયો છે.

નવસારી વિજલપોર પાલિકાની કુલ વેરા વસુલાતનો અંદાજે 25 ટકા વેરો બાકી રહેતો હતો

નવસારી નગર પાલિકાના સમયથી જ શહેરની કોમર્શિયલ મિલકતોનો વેરો યેનકેન પ્રકારે બાકી રહી જતો હતો. પાલિકામાં રાજકીય અને વહિવટી વગને કારણે વર્ષોથી કોમર્શિયલ મિલકત ધારકો પોતાની મિલકતનો કોમર્શિયલ વેરો પાલિકામાં ભરતા ન હતા અને તેને કારણે પાલિકાની કરોડો રૂપિયાની વસુલાત બાકી રહેતા તિજોરીને નુકશાન થતુ હતું. તેમ છતાં પાલિકાના પૂર્વ શાસકો કોમર્શિયલ વેરો વસુલવામાં આળસ કરતા હતા. 5 વર્ષ અગાઉ નવસારી પાલિકા વિસ્તરણ પામી અને નવસારી વિજલપોર નગર પાલિકા બની, પણ ત્યારે પણ એજ શાસકોને કારણે પાલિકામાં કોમર્શિયલ વેરાનું સ્તર તળિયે જ રહ્યુ હતુ. પાલિકાના વેરા વિભાગની ઢીલાશને કારણે પાલિકાને વર્ષોથી 20 થી 25 ટકા વસુલાતથી દૂર રહેવું પડતુ હતુ અને પાલિકાની સ્વ ભંડોળની આવક ઓછી રહેતી હતી.

નવસારી મહાનગર પાલિકા બનતા જ પ્રથમ બાકી કોમર્શિયલ વેરાની શરૂ થઈ વસુલાત

નવસારી વિજલપોર પાલિકાને ગત 1 જાન્યુઆરીનારોજ નવસારી મહાનગર પાલિકા બન્યા બાદ કમિશ્નરે આવક વધારવા ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યુ છે. કારણ કોઈપણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની પોતાની આવક તેના વિસ્તારના વિકાસ માટે મહત્વની હોય છે. ત્યારે મહાનગર પાલિકાએ તેના પ્રથમ બજેટને રજૂ કરવા પહેલા બાકી કોમર્શિયલ વેરાની વસુલાત ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. જેમાં વેરા વિભાગ દ્વારા શહેરની કુલ 1.40 લાખ મિલકતોમાંથી 27,911 કોમર્શિયલ મિલકતો છે. જેમાંથી 2476 મિલકત ધારકો 4 થી 10 વર્ષોથી કોમર્શિયલ મિલકત વેરો ભરતા જ ન હોય, એવાને અલગ તારવી, મહાનગર પાલિકાના વેરા અધિકારી વિરેશ જાધવ અને તેમની ટીમ કોમર્શિયલ વેરો વસુલવા મંડી પડી છે. જેમાં છેલ્લાં થોડા દિવસોમાં જ શહેરની 55 કોમર્શિયલ મિલકતોને સીલ કરી દેતા, વર્ષોથી કોમર્શિયલ વેરો ભરવામાં આડાઈ કરતા મિલકત ધારકોમાં ફફડાટ ફેલાયો છે. જેના કારણે મહાનગર પાલિકાની તિજોરીમાં 87 લાખથી વધુનો કોમર્શિયલ મિલકત વેરો ભરાઈ ગયો છે. જેથી અત્યાર સુધીમાં પાલિકાની કુલ 24.64 કરોડની વસુલાત સામે 16.11 કરોડની વસુલાત થઈ ગઈ છે. જેમાં હજી અંદાજે 35 ટકા સુધીનો વેરો બાકી છે, જેને પણ માર્ચ અંત સુધીમાં વસુલાઈ જશે, એવી આશા સેવાઈ છે.

ભાજપના પૂર્વ સ્વ. નગરસેવકનો જ 8 લાખ કોમર્શિયલ વેરો બાકી..!!!

નવસારી મહાનગર પાલિકાના વેરા અધિકારી વિરેશ જાધવે શહેરના કેટલાક કોમર્શિયલ મિલકત ધારકોના બાકી વેરા મુદ્દે વાત કરતા જણાવ્યું હતું કે, પાલિકાના પૂર્વ સ્વ. નગરસેવક શુભમ મુંડિયાની ઉદ્યોગ નગરની કોમર્શિયલ મિલકતનો 8 લાખ રૂપિયાનો, શહેરના લોટ્સ એપાર્ટમેન્ટનો 6 લાખ રૂપિયા, મોટા બજારમાં આવેલ ક્રોસરોડ શોપિંગ સેન્ટરના ભાગીદારોની 22 દુકાનોનો અંદાજે અઢી લાખ રૂપિયાનો કોમર્શિયલ મિલકત વેરો બાકી છે. જેમાં કેટલાકે સ્થળ ઉપર થોડો વેરો ભર્યો છે, જ્યારે બાકી વેરો ન ભરનારાની મિલકત સીલ કરવામાં આવી છે.

 

દક્ષિણ-ગુજરાત

નવસારીમાં કમોસમી વરસાદ, ખેડૂતોની ચિંતામાં વધારો

Published

on

By

નવસારી તાલુકામાં 4 કલાકમાં 4 ઈંચ વરસાદ વરસ્યો, રસ્તા થયા પાણી પાણી

નવસારી : હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ, આજે નવસારીમાં બપોર બાદ ધોધમાર કમોસમી વરસાદ શરૂ થતા જન જીવન પ્રભાવિત થયું હતુ. નવસારી તાલુકામાં જ 4 કલાકમાં 4 ઈંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસેલા માવઠાથી ડાંગર અને ચીકુના ખેડૂતોને માથે હાથ મુકી રોવાનો વારો આવ્યો છે.

ભારે વરસાદથી ગણદેવી બજારમાં ‘નદી’ ના દ્રશ્યો

હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આજે સવારથી નવસારી જિલ્લામાં કાળાંડિબાંગ વાદળો ઘેરાયા હતા અને વાતાવરણમાં બફારા સાથે ઉકળાટ પણ અનુભવાતો હતો. બપોર બાદ સાંજે 4 વાગ્યાથી નવસારી અને જલાલપોર તાલુકામાં શરૂ થયેલા કમોસમી ધોધમાર વરસાદે જનજીવન પ્રભાવિત કર્યુ હતું. નવસારી શહેરના ગ્રીડ, કબીલપોર, જુનાથાણા, લુંસીકુઈ, ઇટાળવા અને સ્ટેશન સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા શહેરના મુખ્ય રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા, જેના પરિણામે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ, ગણદેવી નગરના મુખ્ય બજારમાં પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે જાણે બજારમાંથી કોઈ નદી પસાર થઈ રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા.

કમોસમી વરસાદને કારણે ડાંગર અને ચીકુના પાકને મોટું નુકસાન

કમોસમી વરસાદને કારણે નવસારીના ડાંગર અને ચીકુના પાકને નુકશાનની ભીતિ સેવાઈ રહી છે. કારણ ખેતરોમાં હાલ ડાંગરની કાપણી થઈ રહી છે, જ્યારે કપાયેલી ડાંગર ખેતરમાં સુકવવા મુકી હતી એ ઘણી જગ્યાએ પલળી ગઈ હતી. જેને કારણે ખેડૂતોને મોટા આર્થિક નુકશાનની સંભાવના વધી છે. ચીકુના પાકમાં પણ વરસાદ મોટી નુકશાની આપશે, કારણ ચીકુની પ્રથમ સીઝન લાભ પાંચમથી શરૂ થતી હોય છે, પણ કમોસમી વરસાદને કારણે ચીકુની સાઈઝ અને ઉત્પાદન ઉપર પણ અસર પાડી છે, જેથી ખેડૂતોને આર્થિક નુકશાની વેઠવા પડશે.

સાંજે 4 થી રાતે 8 વાગ્યા સુધીમાં નવસારી તાલુકામાં 4 ઈંચ વરસાદ

નવસારીમાં આખો દિવસ ભારે ઉકળાટ બાદ વીજળીના કડાકા ભડાકા સાથે શરૂ થયેલો ભારે વરસાદે જન જીવનને પ્રભાવિત કર્યું હતું. જેમાં નવસારી તાલુકામાં સાંજે 4 થી રાતે 8 વાગ્યા સુધીમાં 106 મિમી એટલે કે 4.41 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે જલાલપોર તાલુકામાં 46 મિમી (1.91 ઈંચ) વરસાદ નોંધાયો હતો. જ્યારે આન્યા તાલુકાઓમાં ખેરગામ તાલુકામાં 28 મિમી (1.16 ઈંચ), ચીખલી તાલુકામાં 23 મિમી (0.95 ઈંચ) અને ગણદેવીમાં 9 મિમી તથા વાંસદા તાલુકામાં 2 મિમી વરસાદ નોંધાયો હતો.

Continue Reading

ગુજરાત

‘ખજૂરભાઈ’ નીતિન જાની 2027માં ચૂંટણી લડશે!

Published

on

By

રાજુલાના ખાનગી કાર્યક્રમમાં યુવાનોને રાજકારણમાં ઉતરવાની કરી હાંકલ

બારડોલી : સોશ્યલ મીડિયામાં ખજૂર – જીગલીના કૉમેડી વીડિયો થકી લોકપ્રિય અને ગરીબોના ઘરો બનાવનાર સામાજિક કાર્યકર નીતિન જાની ઉર્ફે ‘ખજૂરભાઈ’ એ સક્રિય રાજકારણમાં ઝંપલાવવાનો વિચાર કરી, આગામી વર્ષ 2027ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે, જેના કારણે રાજકીય વર્તુળોમાં ગરમાવો આવ્યો છે.

કયા પક્ષ સાથે જોડાશે એ નક્કી નહીં, પણ ચૂંટણી લડવા મક્કમ!

સોશ્યલ મીડિયામાં કૉમેડી વીડિયો થકી નામના મેળવનાર મૂળ બારડોલીના નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈ એ રાજુલાના ખાનગી કાર્યક્રમમાં ઉપસ્થિત યુવાનોને રાજકારણથી દૂર રહેવાને બદલે સક્રિય રીતે જોડાઈ, તેને નવી દિશા આપવા માટે હાંકલ કરી છે. જ્યાં યુવાનોના સવાલના જવાબમાં પોતે પણ 2027 ની વિધાનસભા ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી હતી. આ વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થતાં ‘ખજૂરભાઈ’ ના રાજકારણમાં પ્રવેશની વાત ચર્ચાએ ચઢી છે. જોકે, નીતિન જાનીએ હાલમાં કયા પક્ષમાંથી અને ક્યાંથી ચૂંટણી લડશે તે અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી, પરંતુ 2027 ની ચૂંટણી લડવા માટે તેઓ મક્કમ છે.

પાવર વિના 374 ઘર બનાવ્યા, સત્તા મળશે તો સંખ્યા વધશે

નીતિન જાનીએ અત્યાર સુધીમાં પોતાના કૉમેડી વીડિયો અને સામાજિક કાર્ય થકી કોઈ પણ સરકારી પાવર વિના 374 જેટલા જરૂરિયાતમંદ પરિવારો માટે પાકાં ઘરો બનાવ્યા છે. તેમણે જણાવ્યું કે, જો તેઓ ચૂંટણી લડીને સત્તામાં આવશે તો લોકો માટે ધાબાવાળા પાકાં ઘરો બનાવવાની સંખ્યામાં વધારો કરી શકશે. એટલું જ નહીં, તેમની ઈચ્છા ગુજરાતની ગૌશાળાઓને પણ ધાબાવાળી બનાવવાની છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આઈડિયોલોજીથી પ્રભાવિત છે ખજૂરભાઈ

હાસ્ય કલાકાર નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈનો જન્મ સુરતમાં થયો અને હાલ તેઓ સરદાર પટેલની ભૂમિ બારડોલીમાં રહે છે. જેથી જન્મથી જ સરદાર પટેલ તેમના હીરો રહ્યા છે. જોકે વર્તમાનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કાર્યપધ્ધતિથી તેઓ પ્રભાવિત છે અને વર્ષોથી તેમને પોતાના આઇડલ માને છે. ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી મોદીએ તેમના સમાજસેવાના કાર્યની સરાહના પણ કરી હતી. ત્યારે આગામી સમયમાં તેઓ કયા પક્ષ સાથે જોડાઈને રાજકીય સફર શરૂ કરે છે, એ જોવું રહ્યું.

Continue Reading

અપરાધ

નવસારીમાં મોડી રાત્રે ગેંગવોર : રેમ્બો ચપ્પુના ઘા ઝીંકાતા ૩ ગંભીર રીતે ઘાયલ

Published

on

By

આસિફ, ઇમરાન અને સિદ્ધુ સિવિલમાં ખસેડાયા, ગ્રામ્ય પોલીસની તપાસ શરૂ

નવસારી : નવસારી શહેરમાં ફરી એકવાર ગેંગવોર જોવા મળી હતી. ગત રાત્રે 12 વાગ્યા આસપાસ વિરાવળ જતા રસ્તા પર, બોસ્ટન ટી સામે બે જૂથ વચ્ચે લોહિયાળ મારામારી થઈ હતી. જેમાં ત્રણ યુવાનો ગંભીર રીતે ઘવાતા તેમને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાંથી એકને ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

રીઢા ગુનેગાર સિદ્ધુ થોરાટની ટોળકી અને અન્ય ગેંગ વચ્ચે થઈ હતી મારામારી

મળતી માહિતી અનુસાર, નવસારી શહેરમાં ગત રાતે રીઢા ગુનેગારો વચ્ચે ખુની ખેલ ખેલાયો હતો. શહેરના વિરાવળ નજીક બોસ્ટન ટી સ્ટોલ પાસે થયેલી માથાકૂટમાં બંને જૂથોએ રેમ્બો છરો સાથે ધારદાર હથિયારોથી એકબીજા ઉપર પ્રાણઘાતક વાર કરી મારામારી કરી હતી. જેમાં ત્રણ લોકો ગંભીર રીતે ઘવાયા હતા. જેમાં મારામારીમાં પંકાયેલો સિદ્ધુ થોરાટ, ઈમરાન શેખ અને આસિફને ઘાયલાવસ્થામાં નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાંથી આસિફની સ્થિતિ વધુ ગંભીર જણાતા તેને ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો.

જૂની અદાવત અથવા વર્ચસ્વ માટે ખૂની ખેલ ખેલાયો હોવાનું પ્રાથમિક તારણ

વિવાવળના બોસ્ટન ટી સ્ટોલ પાસે થયેલ આ ખૂની મારમારી જૂની અદાવત અથવા વર્ચસ્વની લડાઈમાં થઈ હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. આ સનસનાટીભરી ઘટનાની જાણ થતાં નવસારી ગ્રામ્ય પોલીસે મારામારી મુદ્દે કાયદેસરની તપાસ શરૂ કરી છે. જ્યારે મોડી રાત્રે થયેલી આ મારામારીને કારણે વિસ્તારમાં તંગદીલીનો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે પોલીસ ચોપડે હજી કોઈ ફરિયાદ નોંધાઈ નથી, પરંતુ સાંજ સુધીમાં ફરિયાદ નોંધાય અને પોલીસ ફરાર થયેલા આરોપીઓને પકડવાની કવાયત શરૂ કરે એવી સંભાવના જોવાઈ રહી છે.

સિદ્ધુ થોરાટ અને તેની ટોળકીનું અગાઉ પોલીસે કાઢ્યું હતું સરઘસ

ઘાયલ થયેલો આરોપી સિદ્ધુ થોરાટ વિજલપોર વિસ્તારમાં રીઢો ગુનેગાર છે અને અગાઉ અનેકવાર મારમારી સહિતના વિવિધ ગુનાઓમાં પોલીસના હાથે પકડાઈ ચૂક્યો છે. જેમાં મારામારીની અન્ય ઘટનામાં પોલીસે સિદ્ધુ અને તેના બે સાથીઓનો ગુનાના રિકંસ્ટ્રક્ષન કરવા સાથે કાયદાનું ભાન કરાવવા જાહેરમાં સરઘસ કાઢ્યું હતું.

Continue Reading
Advertisement

Trending