Connect with us

ગુજરાત

નવસારીમાં મેઘ તાંડવ : નવસારીમાં 6 કલાકમાં 12.62 ઇંચ વરસાદ ખાબક્યો

Published

on

વરસાદી આફતથી શહેરમાં જળબંબાકાર, લોકોના ઘરો, દુકાનોમાં વરસાદી પુરના પાણી ભરાયા

નવસારી : નવસારી જિલ્લામાં આજે વહેલી સવારથી જ મેઘાએ ધમદાટી બોલાવી છે. જેમાં સવારે 6 થી 8 વાગ્યા સુધીમાં ખેરગામમાં 5 ઇંચ વરસાદ પડ્યો હતો, પરંતુ ત્યાર બાદ નવસારી અને જલાલપોર તાલુકામાં મેઘાએ તાંડવ કરતા નવસારીમાં જળબંબાકારની સ્થિતિ બની છે. નવસારીમાં સવારે 8 વાગ્યાથી 2 વાગ્યા સુધીમાં 12.62 ઇંચ સાંબેલાધાર વરસેલા વરસાદ ખાબકતા શહેરમાં મોટાભાગના વિસ્તારોમાં કેળ સમા વરસાદી પાણી ભરતા જન જીવન અસ્ત વ્યસ્ત થયું છે. જલાલપોરમાં પણ 6 કલાકમાં 11.41 ઇંચ વરસાદ વરસ્યો છે, જેણે લોકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે.

ખેરગામમાં 2 કલાકમાં 5 ઇંચ, દાદરી ફળિયામાં ખેતરના પાણી રસ્તા પર ફરી વળ્યા

નવસારી જિલ્લામાં આજે વહેલી સવારથી જ મેઘાની સવારી તોફાન મચાવતી આવી હતી. જેમાં ખેરગામ તાલુકામાં સવારે 6 થી 8 વાગ્યા સુધીના 2 કલાકમાં જ 5 ઇંચ વરસાદ પડતા, ખેરગામના નાળા, ખાડી અને ખેતરો પાણીથી છલોછલ થયા હતા. ખેતરોના પાણી નજીકના રહેણાક વિસ્તારમાં રસ્તા પર ફરી વળતા લોકોને મુશ્કેલી વેઠવા પડી હતી. ખેરગામના ગાંધીનગર સોસાયટી, દાદરી ફળિયા સહિતના વિસ્તારોમાં વરસાદી પાણીના ભરાવાથી સ્થાનિક લોકોને હાલાકી વેઠવી પડી હતી. જેમાં દાદરી ફળિયાના લોકોએ પાણીના વહેણમાં અવરોધરૂપ દીવાલ તોડી હતી. જોકે સવારે 8 વાગ્યા બાદ વરસાદે ખેરગામને રાહત આપી અને નવસારીમાં શરૂ થયેલા વરસાદે તાંડવ કર્યું છે. તોફાન મચાવતી મેઘાની સવારીએ નવસારીમાં બપોરે 12 વાગ્યા સુધીના 6 કલાકમાં જ 12.62 ઇંચ, જાણે આભ ફાટ્યું હોય એવો ધમાકેદાર વરસાદ વરસ્યો છે.

શહેરમાં કોન્વેન્ટ સ્કૂલથી તીઘરા જકાતનાકા સુધીના માર્ગ પર કેળ સમા પાણી, હજારો લોકો અટવાયા

નવસારીમાં સવારે દોઢ ઇંચ વરસાદ પડ્યા બાદ 10 થી 12 વાગ્યા સુધીમાં 225 મિમી એટલે 9.37 ઇંચ વરસાદ ખાબકતા શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પુરની સ્થિતિ બની હતી. જેમાં શહેરના પ્રવેશદ્વાર સમા અહિંસા દ્વાર પાસે, ગ્રીડ ચોકડી પાસે બારડોલી જવાના સર્વિસ રોડ પર, નેશનલ હાઈવે નં. 48 પર નિરાલી હોસ્પિટલ પાસે, ભારતી ટોકીઝ સામે, કાલીયાવાડી, જુનાથાણા, લાયબ્રેરી, મધુમતી, પ્રજાપતિ આશ્રમથી કુંભારવાડ, પારસી હોસ્પિટલ સામેના રસ્તા પર પાલિકાના બંધ શોપિંગ સેન્ટર પાસે, સરદાર હાઈટ્સ પાસે, સેન્ટ્રલ બેંક, શાકભાજી માર્કેટ, ગોલવાડ, શાંતાદેવી રોડ, વિજલપોર, વિઠ્ઠલ મંદિર, જલાલપોર સહિત શહેરના મોટાભાગના વિસ્તારો જળબંબાકાર થયા હતા. આ વિસ્તરોમાં ઘૂંટણથી કેળ સમા પાણી ભરાયા હતા. જેમાં નવસારીથી ગણદેવીને જોડાતા મુખ્ય માર્ગ પર કોન્વેન્ટ સ્કૂલથી તીઘરા જકાતનાકા પાસે કુદરતી કાંસમાં જ બોક્ષ ડ્રેનેજ બનાવી દેતા 15 વર્ષોમાં આટલું પાણી આવ્યું હોવાની સ્થાનિકોનું અનિમાન હતું. જયારે રસ્તા પર પાણી ભરાતા નજીકમાં આવેલ વિદ્યાકુંજ હાઈસ્કૂલ અને કોન્વેન્ટ સ્કૂલના વિદ્યાર્થીઓ છુટ્યા હતા, પણ વરસાદી પાણીમાંથી પસાર થવું વિદ્યાર્થીઓ માટે જોખમ રૂપ હતું. તમે છતાં વાલીઓ, મિત્રો અથવા જે સહારો મળ્યો તેમની સાથે કેળ સમા પાણીમાંથી રસ્તો ક્રોસ કરવા માંડ્યા હતા. હજારો લોકોએ પાણી ભરવાના બંને છેડે પોતાના વાહનો મૂકીને રસ્તો ક્રોસ કરવાની ફરજ પડી હતી. સાથે જ તીઘરા પાલિકા દ્વારા હાલમાં વરસાદી કાંસમાં તીઘરામાં બનાવેલ બોક્ષ ડ્રેનેજ પાણી ભરાવાનું કારણ હોવાના આક્ષેપ લગાવ્યા હતા. જેમાં કાંસની પહોળાઈને સંકોચી બોક્ષ ડ્રેનેજ બનાવી છે, જેના કારણે વરસાદી પાણીનો નિકાલ ધીમે રહેતા, હજારો લોકો અટવાયા હતા.

સાંબેલાધાર વરસાદે પાલિકાની પ્રી મોનસૂન કામગીરીની ખોલી પોલ..!

નવસારી શહેરમાં નવસારી વિજલપોર પાલિકાએ ચોમાસાને ધ્યાને લઇ પ્રી મોનસૂન કામગીરી પાછળ લાખો ખર્ચ્યા હતા. જોકે વિકાસનાં પર્યાય બનવામાં ઘણી જગ્યાએ વરસાદી કાંસ, જે ઘણી મોટી હતી, એમાં સાંકડા વિસ્તારમાં બોક્ષ ડ્રેનેજ બનાવી દેતા વરસાદી પુરની સ્થિતિ બની છે. ખાસ કરીને આભ ફાટ્યાની સ્થિતિને કારણે ડ્રેનેજમાંથી પાણીનો નિકાલ થવો મુશ્કેલ બન્યું હતું. જેથી ઘૂંટણથી કેળ સમા પાણી ભારાયા હતા. જોકે પાલિકાના પ્રી મોનસૂન કામગીરીના દાવા પોકળ સાબિત થયા હતા. પ્રી મોનસૂન કામગીરીમાં પાલિકાએ વેઠ ઉતારતા શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણીનો નિકાલ અવરાધાયો હતો. જેથી નીચાણવાળા વિસ્તારના લોકોના ઘરે તેમજ દુકાનોમાં વરસાદી પુરના પાણી ભરાયા હતા અને લોકોએ મોટી નુકશાની વેઠવાનો વારો આવ્યો છે.

ગુજરાત

નવસારીમાં 45 ગ્રામ પંચાયતોમાં સામાન્ય અને 14 ગ્રામ પંચાયતોમાં પેટા ચુંટણી

Published

on

જિલ્લામાં 1.08 લાખ મતદારો 22 જૂને મતદાન કરી ચુંટશે ગ્રામ્ય સરકાર

નવસારી : ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચુંટણીનું બ્યુગલ વાગી ચુક્યુ છે અને ચુંટણી મેદાનમાં ઉતરનારા મહારથીઓ પણ સજ્જ થઇ ચુક્યા છે. ત્યારે નવસારી જિલ્લામાં પણ 56 માંથી 11 ગ્રામ પંચાયતો સમરસ થતા હવે 45 ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચુંટણી, જયારે 82 ગ્રામ પંચાયતોમાંથી 14 ગ્રામ પંચાયતોમાં પેટા ચુંટણી, આગામી 22 જૂન, 2025 ના રોજ યોજાશે.

સામાન્ય ચુંટણીમાં 126 ઉમ્દેવારો સરપંચ અને 433 ઉમેદવારો સભ્યની ચુંટણી લડશે

નવસારી જિલ્લામાં છેલ્લા કેટલાક વર્ષોથી ગ્રામ પંચાયતોમાં વહીવટદારોનું શાસન હતુ. પરંતુ હવે ગ્રામ પંચાયતોની ચુંટણી બાદ ગામ સરકાર રચાશે. ગ્રામ પંચાયતોની જાહેરાત થયા બાદ જ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો પોતાના સમર્પિત ઉમેદવારોને ચુંટણી મેદાનમાં ઉતારવા થનગની રહ્યા હતા. જેમાં જિલ્લાના 5 તાલુકાઓની 56 ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચુંટણી, જયારે 82 ગ્રામ પંચાયતોમાં પેટા ચુંટણી યોજવાની ઘોષણા થઇ હતી. ઉમેદવારીપત્રો ભરાયા બાદ અનેક કારણોમાં સામાન્ય ચુંટણીમાં સરપંચ માટે 183 ઉમેદવારોએ 184 ફોર્મ ભર્યા હતા. જયારે સભ્ય પદ માટે 700 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાંથી સરપંચમાં 1 અને સભ્યમાં 16 ફોર્મ અમાન્ય ઠર્યા હતા અને 45 સરપંચ ઉમેદવારોએ અને 23 સભ્ય ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચ્યા હતા. જયારે 11 ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઇ છે. જેથી હવે જિલ્લામાં 45 ગ્રામ પંચાયતોમાં સરપંચ પદ માટે 126 ઉમેદવારો અને સભ્ય પદ માટે 433 ઉમેદવારો ચુંટણી મેદાનમાં ઉતર્યા છે. આગામી 22 જૂને, 45 ગામોના 53,410 પુરૂષ અને 55,276 મહિલા મતદારો મળીને કુલ 108686 મતદારો પોતાના ભાવી સરપંચ અને વોર્ડ સભ્યોને ચુંટશે.

14 ગ્રામ પંચાયતની પેટા ચુંટણીમાં 26,441 મતદારો કરશે મતદાન

બીજી તરફ જિલ્લામાં 82 ગ્રામ પંચાયતોમાં પેટા ચુંટણી પણ જાહેર થઇ હતી. જેમાં પણ મોટી સંખ્યામાં ઉમેદવારો ચુંટણી જંગ લડવા તૈયાર થયા હતા. જેમાં સરપંચ માટે 28 ઉમેદવારો અને સભ્ય માટે 85 ઉમેદવારોએ ચુંટણી જંગમાં ઝંપલાવવા કમર કસી હતી. પરંતુ 2 સભ્ય પદ માટેના ઉમેદવારોના ફોર્મ અમાન્ય ઠર્યા હતા અને સરપંચના 8 અને સભ્યના 8 ઉમેદવારીપત્રો પરત ખેંચાયા હતા. જેમાં 1 સરપંચ અને 42 સભ્યો બિનહરીફ જાહેર થયા છે. જેથી હવે 14 ગ્રામ પંચાયતોમાં 19 ઉમેદારો સરપંચ પદ માટે અને ૩૩ ઉમેદવારો સભ્ય પદ માટે ચુંટણી જંગ ખેલશે. પેટા ચુંટણીમાં 13,241 પુરૂષ અને 13,200 મહિલા મતદારો મળીને કુલ 26,441 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

જે ગામોમાં સામાન્ય ચુંટણી યોજાવાની છે, એ ગામોની તાલુકા અનુસાર યાદી

નવસારી ગ્રામ્ય : દંડેશ્વર અને નવા તળાવ

જલાલપોર : સિસોદ્રા પારડી (આરક) જૂથ, પનાર, કણીયેટ ચોરમલા ભાઠા, માછીવાડ, માછીવાડ (દીવાદાંડી), આસણા, દાંતી, કૃષ્ણપુર અને ઓન્જલ

ગણદેવી : પીપલધરા, સરીબુજરંગ, તલોધ, અંચેલી, તોરણ ગામ, એંધલ, પીંજરા, વેગામ અને અમલસાડ

ચીખલી : કણભઈ, સતાડીયા, રૂમલા, આંબાપાડા, સ્યાદા, તલાવચોરા, બારોલીયા મંદિર ફળિયા,

વાંસદા : મહુવાસ, અંકલાછ/કામળઝરી જૂથ, લાકડબારી, ગંગપુર, ઉમરકુઇ, મીંઢાબારી, કુકડા, કુરેલિયા, ગોધાબારી, ચોંઢા, કાવડેજ, પીપલખેડ, રવાણીયા, વાઘાબારી, પાલગભાણ, કંબોયા, પ્રતાપનગર અને વાંદરવેલા

જે ગામોમાં પેટા ચુંટણી યોજાવાની છે, એ ગામોની તાલુકા અનુસાર યાદી

નવસારી ગ્રામ્ય : નસીલપોર/વીરવાડી જૂથ, વાડા (અદડા) અને પરતાપોર

જલાલપોર : સાગરા

ગણદેવી : આંતલિયા, માસા, ઉંડાચ લુહાર ફળિયા અને વડસાંગળ

ચીખલી : ઘેકટી, નોગામા, સાદકપોર, ઢોલુમ્બર, સોલધરા અને આમધરા

Continue Reading

ગુજરાત

ધરમપુર શહેર કોંગ્રેસના પ્રમુખ સમર્થકો સાથે ભાજપમાં જોડાયા

Published

on

By

વાંસદાના લોકદરબારમાં સાંસદ ધવલ પટેલે ભગવો ખેસ પહેરાવી આવકાર્યા

નવસારી : વલસાડના ધરમપુર શહેર કોંગ્રેસમાં આજે મોટુ ગાબડું પડ્યુ હતું. કારણ ધરમપુર શહેર કોંગ્રેસ પ્રમુખ આજે પોતાના સમર્થકો સાથે વાંસદા ખાતે સાંસદ અને લોકસભા દંડક ધવલ પટેલના હસ્તે ભગવો ધારણ કરી વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા.

ધરમપુરનાં વિકાસને ધ્યાને રાખી ભાજપમાં જોડાયા – મુકેશ આહીર

રાજકારણમાં પક્ષ પલટો સામાન્ય બનતો જાય છે. જ્યાં વિચારધારાની લડાઇ કહેવામાં આવે છે, પરંતુ ક્યારેક લાંબા સમય સુધી પોતાના વિસ્તારોમાં અટકેલા કાર્યો પૂર્ણ થતા ન હોય અથવા રાષ્ટ્રીય કક્ષાએ પક્ષનાં નિર્ણયથી વિચલિત થઇ ઘણા નાના કાર્યકરો પક્ષ પલટો કરતા હોય છે. ત્યારે આજે વલસાડ જિલ્લાના ધરમપુર શહેર કોંગ્રેસના પ્રમુખ મુકેશ આહીર પોતાના 80 થી વધુ પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા હતા. નવસારીના વાંસદા ખાતે વલસાડના સાંસદ અને લોકસભા દંડક ધવલ પટેલનો લોકદરબાર હતો, જ્યાં ધરમપુર કોંગ્રેસ પ્રમુખ મુકેશ આહિરે સાંસદ ધવલ પટેલના હાથે ભગવો ખેસ ધારણ કરી ભાજપમાં પ્રવેશ કર્યો હતો. મુકેશ આહીર ધરમપુર નગરપાલિકામાં બે ટર્મ નગરસેવક પણ રહ્યા હતા. પરંતુ ગત પાલિકાની ચુંટણીમાં કોંગ્રેસનાં સુપડાસાફ થયા હતા. જેમાં ભાજપના ફાળે 20 બેઠકો અને 4 અપક્ષો ઉપર ધરમપુર શહેરનાં મતદારોએ વિશ્વાસ મુક્યો હતો. બીજી તરફ ધરમપુર શહેરના વિકાસ કાર્યો લાંબા સમયથી અટક્યા હતા, ત્યારે ગુજરાત અને કેન્દ્ર બંનેમાં ભાજપ સરકાર હોય, ધરમપુરના વિકાસને ધ્યાને રાખી ધરમપુર શહેર કોંગ્રેસ પ્રમુખ મુકેશ આહીર પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા હતા. જેમને સાંસદ ધવલ પટેલે સહર્ષ આવકાર્યા હતા.

Continue Reading

અપરાધ

વાંસદાના ચાપલધરા ગામેથી હાઈબ્રિડ ગાંજા અને ઝોમ્બી ઈ સિગારેટ સાથે બે ઝડપાયા

Published

on

By

ઝોમ્બી ઈ સિગારેટ પકડવાનો ગુજરાતનો પ્રથમ કિસ્સો

નવસારી : નવસારીના ચાપલધરા ગામે હાઈબ્રિડ ગાંજો અને ઝોમ્બી ઈ સિગારેટનું વેચાણ થતુ હોવાની બાતમીને આધારે સ્ટેટ મોનીટરીંગ સેલ પોલીસની ટીમે ગત રોજ છાપો મારી બેની ધરપકડ કરી હતી. પોલીસે ઘટના સ્થળેથી 28.15 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

SMC પોલીસે વાપીના આતિફને વોન્ટેડ જાહેર કર્યો

મળતી માહિતી અનુસાર, સ્ટેટ મોનીટરીંગ સેલ પોલીસની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ચાપલધરા ગામે રહેતો મિલન ધનગર હાઈબ્રિડ ગાંજાનું વેચાણ કરે છે. જેને આધારે ગત રોજ SMC ના PI સી. એચ. પનારા અને તેમની ટીમે ચાપલધરા ગામના વચલા ફળિયા, અંબા માતાજી મંદિર પાછળ રહેતા મિલન ધનગરના ઘરે છાપો માર્યો હતો. છાપા દરમિયાન પોલીસને મિલન પાસેથી 8 લાખ રૂપિયાનો 80 ગ્રામ હાઈબ્રિડ ગાંજો જથ્થો મળી આવ્યો હતો. જેની સાથે જ ગાંજાના સક્રિય ઘટકની હાજરીવાળી (THC) 20 લાખ રૂપિયાની 20 ઈ સિગારેટ પણ મળી આવી હતી. પોલીસે ઘટના સ્થળેથી મિલન સાથે તેના સાથીદાર તન્મયકુમાર પટેલની ધરપકડ કરી હતી. આરોપી મિલનની પૂછપરછમાં હાઈબ્રિડ ગાંજો તેને વાપીના આતિફે પહોંચાડી હતી. જેથી પોલીસે આતિફને વોન્ટેડ જાહેર કર્યો હતો. જ્યારે ઝોમ્બી ઈ સિગારેટ ડાર્ક વેબથી મંગાવી હતી. પોલીસે ઘટના સ્થળેથી હાઈબ્રિડ ગાંજો, ઈ સિગારેટ અને મોબાઈલ ફોન મળી કુલ 28.15 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. સાથે જ સમગ્ર મુદ્દે SMC પોલીસ મથકે ધી નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટેન્સ એક્ટ (NDPS) અને ધી પ્રોહીબિશન એક્ટ ઇલેક્ટ્રોનિક સિગારેટ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ આરંભી છે. ઉલ્લેખનિય છે કે, ગાંજાના સક્રિય ઘટક ધરાવતી ઝોમ્બી ઈ સિગારેટ પકડાયાનો આ ગુજરાતનો પ્રથમ ગુનો છે.

Continue Reading
Advertisement

Trending