Connect with us

કૃષિ

ગણદેવીના નાંદરખા ગામે ખેડૂતોની જમીન ભાડે પટ્ટે લીધા બાદ L&T કંપનીએ ભાડામાં ભેદભાવ કરતા ખેડૂતોમાં રોષ

Published

on

વાંસદાના કોંગી ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં કર્યા ધરણા

નવસારી : નવસારીના નાંદરખા ગામના ખેડૂતોની ખેતીની કિંમતી જમીન સરકારી પ્રોજેક્ટના કામ માટે ભાડે લઇ L&T કંપનીએ ભાડા કરારનું ઉલ્લંઘન કરવા સાથે જ ભાડામાં વિરોધાભાસ રાખી ખેડૂતો સાથે છેતરપીંડી કરી હોવાના આક્ષેપો સાથે આજે જમીન ભાડે આપનાર ખેડૂતો વાંસદાના કોંગી ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં L&T કંપનીના પ્લાન્ટના ગેટ પર જ ધરણા પર બેઠા હતા. જોકે મંજૂરી ન હોવાનું કહીને પોલીસે ઉઠાડી મુકતા કોંગી ધારાસભ્ય સાથે ખેડૂતો મામલતદાર કચેરી દોડી ગયા હતા અને ન્યાયની માંગ કરી હતી.

પોલીસે ધરણા ન કરવા દેતા, ગણદેવી મામલતદાર પાસે કરી ન્યાયની માંગ  

નવસારી જિલ્લામાંથી ભારત સરકારના એક મહાત્વાકાંક્ષી પ્રોજેક્ટનું કામ પૂરજોશમાં ચાલી રહ્યુ છે. આ સરકારી પ્રોજેક્ટ અંતર્ગત કામ કરતી લાર્સન એન્ડ ટૂર્બો કંપની દ્વારા પોતાના કામદારોના રહેઠાણ માટે કોલોની અને સિમેન્ટ પ્લાન્ટ બનાવવા ગણદેવી તાલુકાના નાંદરખા ગામે અંદાજે 38 ખેડૂતોની અંદાજે 40 વીઘાથી વધુ જમીન જમીન માલિકો સાથે ગ્રામ પંચાયતમાં સરપંચ અને તલાટીની ઉપસ્થિતિમાં વાર્ષિક ભાડા પેટે એક વીઘાના 80 હજાર રૂપિયા અને જમીનમાં આવેલા ઉભા ઝાડોની પણ રકમ નક્કી કરી વળતર સાથે ભાડુ નક્કી કર્યુ હતુ. પરંતુ કંપની દ્વારા 38 ખેડૂતોમાં એક જ પ્રકારનો ભાડા કરાર હોવા છતાં એમાં અલગ અલગ ભાડુ નક્કી કર્યુ, જયારે 10 ખેડૂતો જેમણે 6 મહિના બાદ કરાર કર્યો, એમને અસરગ્રસ્તોના કહેવા પ્રમાણે ઉચ્ચક અને લાખોમાં ચુકવણું કર્યુ હતું. બીજી તરફ ખેડૂતોએ 4 વર્ષો સુધી ભાડામાં વાર્ષિક 10 ટકાનો વધારો અને 5 વર્ષે ભાડા કરાર રીન્યુ કરવાની શરત રાખી હતી. જોકે L&T કંપની દ્વારા ખેડૂતોને ભાડા વધારો પણ આપ્યો નહીં, સાથે જ તેમની જમીનમાં હતા એ ઝાડોનું યોગ્ય વળતર ગણવામાં ન આવ્યુ, જમીનમાં ફક્ત સામાન મુકવા કે રો મટીરીયલ નાંખવાની વાત હતી, પણ બાદમાં જમીનમાંથી માટી ખોદી કાઢવામાં આવી અને સિમેન્ટ કોન્ક્રીટ પ્લાન્ટ બનાવીને જમીનની ફળદ્રૂપતા નષ્ટ કરી નાંખી હોવાના આક્ષેપો સાથે L&T કંપનીને જમીન ભાડે આપનાર ખેડૂતોએ બે મહિના અગાઉ જિલ્લા કોંગ્રેસ સાથે મળીને ચીખલી પ્રાંત અને મામલતદારને રજૂઆતો કરી હતી. જેમાં મામલતદાર, ખેડૂતો અને કંપનીના અધિકારીઓ વચ્ચે સમાધાન થયું હતું અને ખેડૂતોને ભાડાનો તફાવત આપવા મુદ્દે કંપની અધિકારીઓ તૈયાર થયા હતા. પરંતુ 2 મહિના વીતવા બાદ પણ ખેડૂતોને ભાડાનો તફાવત અને વળતર ન મળતા આંદોલન છેડ્યુ છે.

મામલતદાર સામે ભાડાનો તફાવત અને વળતર આપવાની તૈયારી, બાદમાં કંપની ફરી ગઈ હોવાના આક્ષેપો

L&T કંપનીને અંદાજે 40 વીઘા જમીન ભાડે આપ્યા બાદ ભાડા અને ઝાડનાં વળતરમાં છેતરપીંડી કરનાર કંપની સામે મોરચો માંડનારા ખેડૂતોએ આજે વાંસદાના કોંગી ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં જિલ્લા કોંગ્રેસના પદાધિકારીઓ અને પીડિત ખેડૂતોએ ભાડે આપેલી પોતાની જમીનમાં જ ધરણા કરવા બેઠક લગાવી હતી. ન્યાયની માંગ સાથેના સુત્રોચ્ચાર તેમજ પ્લેકાર્ડ પણ ખેડૂતો લાવ્યા હતા. પરંતુ સ્થાનિક પોલીસે ધરણાની મંજૂરી ન હોવાનું જણાવી, તેમને ઉઠાડી મુકતા ખેડૂતો ધારાસભ્ય અનંત પટેલ તેમજ જિલ્લા કોંગ્રેસ પ્રમુખની આગેવાનીમાં ગણદેવી મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં મામલતદારને કંપની દ્વારા કરવામાં આવેલા અન્યાયની સામે ન્યાયની માંગણી કરી ભાડા અને ઝાડના વળતરનો તફાવત L&T કંપની પાસે અપાવવા રજૂઆત કરી હતી. જો ન્યાય ન મળે તો આગામી દિવસોમાં કોંગ્રેસ સાથે મળીને ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી.

ખેડૂતોએ અંદાજે 40 વીઘાથી વધુ જમીન L&T કંપનીને ગ્રામ પંચાયતની સાક્ષીએ ભાડે આપી હતી

સરકારી પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે વધારાની જગ્યાની જરૂર હોય L&T કંપની દ્વારા સીધા ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટીની સાક્ષીએ અંદાજે 38 ખેડૂતો સાથે ભાડા કરાર કર્યો, પણ એમાં પણ ભાડા મુદ્દે ભેદભાવ કરતા ખેડૂતોએ લડત છેડી છે, હવે જોવું રહ્યું કે ખેડૂતોને ન્યાય મળે છે કે નહીં…

કૃષિ

નવસારીના વાવાઝોડાના અસરગ્રસ્તોને સરકાર આપશે સહાય

Published

on

By

સાંસદ ધવલ પટેલની રજૂઆતોને પગલે અઠવાડિયામાં જ સહાય મળતા, સાંસદે મુખ્યમંત્રીનો આભાર માન્યો

નવસારી : નવસારી જિલ્લાના ચીખલી અને વાંસદા તાલુકામાં ગત અઠવાડિયે ત્રાટકેલા તોફાની વાવાઝોડામાં અસરગ્રસ્ત 32 ગામડાઓના લોકોને વલસાડના સંસદ ધવલ પટેલે સ્નવેદના સાથે પ્રથમ દિવસથી જ મદદનો હાથ લંબાવ્યો હતો. પરંતુ કુદરતી આફતનો ભોગ બનેલા લોકોને વહેલામાં વહેલી ગુજરાત સરકાર પણ સહાય આપે એવી માંગ સાથે પત્ર પાઠવ્યો હતો. જેને ધ્યાને લઈ સરકાર દ્વારા ત્વરિત સહાય આપવાનો નિર્ણય કર્યો અને આવતી કાલે અસરગ્રસ્તો સુધી સહાય પહોંચશે. જેને લઈને વલસાડના સાંસદ ધવલ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો.

વાવાઝોડામાં નવસારીના બે તાલુકાના 32 ગામડાઓ થયા હતા અસરગ્રસ્ત

અઠવાડિયા અગાઉ નવસારીમાં ​આવેલા ભયાનક વાવાઝોડાના કારણે નવસારી જિલ્લાના કુલ 32 ગામડાઓને ગંભીર અસર થઈ હતી. જેમાં ચીખલીના તલાવચોરા અને વાંસદાના સીણધઈ ગામે થોડી મિનીટોમાં જ વાવાઝોડાએ તબાહી ફેલાવી હતી. વાવાઝોડામાં બંને ગામો સહિત જિલ્લાના 32 ગામડાઓમાં અંદાજે 3.5 હજાર મકાનોના પતરા ઉડ્યા હતા અને કેટલાક મકાનોની દીવાલો અથવા આખેઆખા મકાન જ ધરાશાયી થતા લોકોને ખુલ્લા આકાશ નીચે રહેવાનો વારો આવ્યો છે.

સાંસદ ધવલ પટેલે પ્રથમ દિવસથી જ ભાજપી કાર્યકરોની સાથે મહેકાવી સેવાની સુવાસ

વાવાઝોડાની ખબર મળતા જ વલસાડના સંસદ ધવલ પટેલ એક્ટિવ થયા હતા અને એમના મત વિસ્તાર વાંસદા વિધાનસભા ક્ષેત્રના ગામોને મદદ પહોંચાડવાનો પ્રયાસ આરંભ્યો હતો. ખાસ કરીને વાંસદાના ભાજપી આગેવાનો અને કાર્યક્રેઓની મદદથી સીણધઈ ગામના વધુ પ્રભાવિત ત્રણ ફળિયાઓમાં જીવન જરૂરિયાતની વસ્તુઓની કીટ તેમજ પતરા ખુદ નાદુરસ્ત તબિયત હોવા છતાં પહોંચાડ્યા હતા. સાથે જ ​સાંસદ ધવલ પટેલે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, નાણામંત્રી કનુ દેસાઈ અને કૃષિ મંત્રી રાઘવજી પટેલને તાત્કાલિક અસરથી અસરગ્રસ્તોને સંપૂર્ણ સર્વે થાય અને ખેતીના નુકશાનનું પણ યોગ્ય સર્વે કરવામાં આવે અને ત્યારબાદ રાજ્ય સરકાર ત્વરિત સહાય પહોંચાડે એવી વિનંતી કરી હતી. સંસદ ધવલ પટેલના પત્રને સરકારે ગંભીરતાથી ધ્યાને લઈ જિલ્લાના વાવાઝોડાના અસરગ્રસ્તોને અઠવાડિયામાં જ સહાય પહોંચાડવાનો નિર્ણય કર્યો અને આવતી કાલે તેમને સહાય પહોંચશે. ત્યારે સરકારના નિર્ણયને સાંસદ ધવલ પટેલે આવકાર્યો અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કર્યો છે. સાથે જ સાંસદ ધવલ પટેલે આ વિકટ પરિસ્થિતિમાં ગ્રામજનોને મદદરૂપ થવા બદલ જિલ્લા સંગઠન તેમજ ખાસ કરીને વાંસદાના કાર્યકર્તાઓની મહેનત અને સેવા ભાવનાનો પણ વિશેષ આભાર માન્યો હતો.

સંકટના સમયે સરકારે સહાય પહોંચાડી પ્રજાલક્ષી સરકારનું આપ્યું ઉદાહરણ

વાવાઝોડાને​ કારણે જ્યારે લોકોના ઘર અને રોજી સમાન ખેતીમાં થયેલા નુકશાનની વેદના સાંભળી ગુજરાત સરકારે આટલા ટૂંકા ગાળામાં રાહત અને સહાય પહોંચાડીને સંકટ સમયે પ્રજાની પડખે ઊભા રહેવાની પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી છે.

Continue Reading

કૃષિ

નવસારીના સાતેમ ગામેથી અઢી વર્ષનો માદા દીપડો પાંજરે પુરાયો

Published

on

By

દીપડો પાંજરે પુરાતો ગ્રામજનોને થઈ રાહત

નવસારી: છેલ્લા થોડા દિવસોથી નવસારી જિલ્લાના સાતેમ ગામમાં દીપડાના આંટાફેરાની જાણ થતા નવસારી વન વિભાગની ટીમે ગોઠવેલા પાંજરામાં આજે વહેલી સવારે એક અઢી વર્ષનો માદા દીપડો પુરાતા, ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

સાતેમ ગામના બંધાર ફળિયામાં ગોઠવેલા પાંજરામાં દીપડો પુરાયો

નવસારી તાલુકાના સાતેમ ગામના બંધાર ફળિયા સહિત આસપાસના વિસ્તારોમાં છેલ્લા થોડા દિવસોથી દીપડાની અવરજવર વધતા ગ્રામજનોમાં ભયનો માહોલ બન્યો હતો. રહેણાંક વિસ્તાર સુધી દીપડો આવી જતા ગ્રામજનોએ તાત્કાલિક નવસારી વન વિભાગને જાણ કરી હતી. ગ્રામજનોની રજૂઆત મળતા જ વન વિભાગની ટીમે સત્વરે કાર્યવાહી કરી ગામના બંધાર ફળિયામાં ચેતનભાઈના ઘરની પાછળના વાડામાં મારણ સાથે એક પાંજરૂ ગોઠવ્યું હતું. જેમાં આજે વહેલી સવારે શિકારની શોધમાં નીકળેલો એક અઢી વર્ષનો માદા દીપડો પાંજરે પુરાયો હતો.

દીપડાને તબીબી સારવાર બાદ જંગલમાં છોડાશે

સાતેમ ગામે દીપડો પાંજરે પુરાયો હોવાની માહિતી મળતા જ વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને દીપડાનો કબ્જો લીધો હતો. વન વિભાગની તપાસમાં પકડાયેલો દીપડો માદા અને અઢી વર્ષનો હોવાનું જણાયું હતું. પકડાયેલા માદા દીપડાની તબીબી તપાસ કરાવ્યા બાદ તેને સુરક્ષિત રીતે જંગલ વિસ્તારમાં છોડવાની વન વિભાગે કવાયત હાથ ધરી છે.

Continue Reading

કૃષિ

નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ટીંડોળા અને પરવળની ખેતી તાલીમ યોજાઈ

Published

on

By

ઢોલુમ્બર, અંકલાંછ તેમજ રવણીયા ગામના 20 ખેડૂતો જોડાયા

નવસારી : નવસારી જિલ્લામાં બાગાયતી, શાકભાજી અને ધાન્ય પાકોની ખેતી થાય છે. જેમાં પણ વેલાવાળા શાકભાજી બહુવર્ષાયુ હોવાથી ખેડૂતોને સારી આવક રળી આપે છે, ત્યારે નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા વધુ ઉત્પાદન અને રોગ પ્રતિકાર શક્તિ ધરાવતા ટિંડોળા અને પરવળની જાતો માટે ખેડૂત તાલીમ શિબિર યોજાઈ હતી. જેમાં ઢોલુમ્બર, અંકલાછ અને રવાણીયા ત્રણ ગામોના 20 ખેડૂતો જોડાયા હતા.

ગુજરાત નવસારી ટિંડોળા 1 અને ગુજરાત નવસારી પરવળ 1 અંગે માહિતી અપાઈ

નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા ખેતીમાં અનેક વિષયો ઉપર સતત સંશોધનો કરી, ધાન્ય, ફળ અને શાકભાજીની વિવિધ જાતો વિકસાવવામાં આવે છે. જેની સાથે સ્થળ, વાતાવરણ અને સમય પ્રમાણે કઈ જાત ટકાઉ, ગુણવત્તાયુક્ત અને વધુ ઉત્પાદન આપશે તેના પ્રયોગો હાથ ધરી, તેના ઉત્તમ પરિણામ બાદ ખેડૂતોને પણ તાલીમ આપીને માહિતગાર કરવામાં આવે છે. ત્યારે નવસારી કૃષિ યુનિવર્સિટી સંશોધન બાદ બહાર પાડવામાં આવેલી ગુજરાત નવસારી ટિંડોળા 1 અને ગુજરાત નવસારી પરવળ 1 જાતની વૈજ્ઞાનિક ઢબે ખેતી કરવા ખેડૂત તાલીમ શિબિર યોજાઈ હતી. કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ઝેડ. પી. પટેલના માર્ગદર્શનમાં આયોજિત આ તાલીમ શિબિરમાં જિલ્લાના ઢોલુમ્બર, અંકલાછ અને રવાણીયા એમ ત્રણ ગામોના 20 ખેડૂતો ઉત્સાહભેર જોડાયા હતા. તાલીમ દરમિયાન ખેડૂતોને બહુવર્ષાયુ ટિંડોળા અને પરવળ પાકોની ઓછી જમીનમાં, રોગ જીવાત સામે પ્રતિકાર ક્ષમતા ધરાવતી, વહેલી પાકતી અને વધુ ઉત્પાદન આપતી જાતો વિશેની વિસ્તૃત વૈજ્ઞાનિક માહિતી આપવામાં આવી હતી. તાલીમમાં બાગાયતી વૈજ્ઞાનિક ડૉ. દિક્ષિતા પ્રજાપતિ દ્વારા ટિંડોળાના રોપાઓનું નિર્દેશન પણ ગોઠવવામાં આવ્યુ હતું. તાલીમ દરમિયાન KVK ના વડા ડૉ. સુમિત સાળુંકે અને સહપ્રધ્યાપક ડૉ. કિંજલ શાહે પણ ખેડૂતોને માર્ગદર્શન આપ્યુ હતુ.

 

Continue Reading
Advertisement

Trending