Connect with us

કૃષિ

નવસારીમાં ” એક પેડ માં કે નામ ” અભિયાન હેઠળ નાણામંત્રીએ કર્યુ વૃક્ષારોપણ

Published

on

સામાજિક વનીકરણ વિભાગ દ્વારા 20 લાખ વૃક્ષોના ઉછેરનો લક્ષ્યાંક

નવસારી : ગ્લોબલ વોર્મિંગથી પર્યાવરણને બચાવવા વૃક્ષો જરૂરી છે. ત્યારે ગત 5 જૂન, 2024 ને વિશ્વ પર્યાવરણ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ” એક પેડ માં કે નામ ” અભિયાનની શરૂઆત કરી છે. જે અંતર્ગત આજે નવસારી જિલ્લા કલેકટરાલય ખાતે નાણામંત્રી અને નવસારીના પ્રભારી મંત્રી કનુ દેસાઈના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતુ. નવસારી જિલ્લા સામાજિક વનીકરણ વિભાગ દ્વારા સમગ્ર જિલ્લામાં 20 લાખ વૃક્ષોના ઉછેરનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

નવસારીમાં વધુમાં વધુ વૃક્ષોના વાવેતર સાથે જતન કરવા નાણામંત્રીની અપીલ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ગત 5 જૂન, 2024 ને વિશ્વ પર્યાવરણ દિવસે લોકો વૃક્ષ ઉછેર સાથે ભાવનાત્મક રીતે જોડાય અને વધુમાં વધુ વૃક્ષારોપણ થાય એ હેતુથી ” એક પેડ માં કે નામ ” અભિયાનની સમગ્ર દેશમાં શરૂઆત કરાવી હતી. જે અંતર્ગત આજે રાજ્યના નાણામંત્રી અને નવસારી જિલ્લાના પ્રભારી મંત્રી કનુ દેસાઈના હસ્તે નવસારી જિલ્લા કલેકટર કચેરીના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરાયું હતુ. સાથે નાણામંત્રીએ નવસારીવાસીઓ વડાપ્રધાનના ” એક પેડ માં કે નામ ” અભિયાનને વેગવંતુ બનાવી, જિલ્લામાં વધુમાં વધુ વૃક્ષોના વાવેતર સાથે તેનું જતન કરતા થાય એવી આશા વ્યક્ત કરી હતી.

સામાજિક વનીકરણની ચાર રેન્જમાં 4.50 લાખ રોપાનું કરાયું વાવેતર

નવસારી જિલ્લા સામાજિક વનીકરણ વિભાગ દ્વારા સમગ્ર જિલ્લામાં 20 લાખથી વધુ વૃક્ષોના વાવેતર સાથે તેનો ઉછેર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. જે અંતર્ગત વન વિભાગ દ્વારા જિલ્લાની 4 રેન્જમાં 4.50 લાખ રોપાનું વાવેતર થઈ ચૂક્યું છે. જ્યારે સમગ્ર જિલ્લામાં અત્યાર સુધીમાં 12.92 લાખ રોપાનું વિતરણ પણ કરાયું છે. જ્યારે બાકી રહેલા લક્ષ્યાંકને પૂર્ણ કરવા માટે વન વિભાગ પ્રયાસો કરી રહ્યું છે, ત્યારે અભિયાનમાં જોડાવા માટે વન વિભાગના QR કોડને સ્કેન કરી કોઈપણ વ્યક્તિ નિશુલ્ક રોપા મેળવી શકે છે.

નાણામંત્રી સાથે નવસારીના મહાનુભાવો પણ વૃક્ષારોપણમાં જોડાયા

નવસારી જિલ્લા કલેકટર કચેરીના પ્રાંગણમાં યોજાયેલા વૃક્ષારોપણ કાર્યક્રમમાં નાણામંત્રી સાથે ગણદેવીના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી નરેશ પટેલ, નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ, જિલ્લા પંચાયત પ્રમુખ પરેશ દેસાઈ, સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષક ભાવના દેસાઈ, કલેકટર ક્ષિપ્રા અગ્રે, DDO પુષ્પલતા, સુપા રેન્જના RFO હિના પટેલ સહિત અધિકારીઓ અને પદાધિકારીઓ પણ જોડાયા હતા.

 

કૃષિ

નવસારીના કુકેરી ગામે ધીમે પગલે આવેલા દીપડાએ શ્વાનનો શિકાર કર્યો

Published

on

By

દીપડાએ કરેલ શ્વાનનો શિકાર CCTV કેમેરામાં થયો કેદ

નવસારી : નવસારી જિલ્લામાં દીપડાઓની સંખ્યા વધી છે અને દીપડાઓ ગ્રામ્ય વિસ્તારમાં પાલતુ પ્રાણીઓને પોતાનો શિકાર બનાવતા હોય છે. ત્યારે ચીખલી તાલુકાના કુકેરી ગામે કૉર્પોરેટ ઓફિસના ઓટલે સુતેલા શ્વાનને ધીમે પગલે આવેલા દીપડાએ પોતાનો શિકાર બનાવ્યો હતો. દીપડાએ કરેલ શ્વાનનો શિકાર CCTV કેમેરામાં કેદ થવા સાથે વાયરલ થતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

ચીખલી વન વિભાગે દીપડાને પાંજરે પુરવાની કાર્યવાહી હાથ ધરી

નવસારી જિલ્લાના પૂર્વ તરફના ગામડાઓ અને તાલુકાઓમાં દીપડાઓની સંખ્યા વધી છે અને દીપડાઓ રહેણાંક વિસ્તારોમાં રાત્રિના સમયે આવીને પાલતુ પ્રાણીઓને પોતાનો શિકાર બનાવી જતા રહે છે. ત્યારે ચીખલી તાલુકાના કુકેરી ગામે સરકારી શાળાની પાછળ આવેલ કોર્પોરેટ ઓફિસના ઓટલે શ્વાન સૂતો હતો. દરમિયાન રાતે 12 વાગ્યા આસપાસ એક કદ્દાવર દીપડો ધીમે પગલે શ્વાનની નજીક આવ્યો અને તેને ગળામાંથી દબોચી પોતાનો શિકાર બનાવીને લઈ ગયો હતો. થોડી જ સેકંડોમાં દીપડાએ કરેલ શ્વાનનો શિકાર CCTV કેમેરામાં કેદ થયા હતા. જે CCTV ફૂટેજ ગામમાં વાયરલ થતા ગ્રામજનોમાં ભયનો માહોલ બન્યો હતો. ઘટનાની જાણ ચીખલી વન વિભાગને કરવામાં આવતા, વન વિભાગ દ્વારા મારણ સાથે પાંજરૂ ગોઠવવાની તજવીજ હાથ ધરી છે. ઉલ્લેખનિય છે કે, કુકેરી તેમજ આસપાસના ગામડાઓમાં અગાઉ પણ દિપડા આંટાફેરા મારતા જોવા મળ્યા છે અને પાલતુ પ્રાણીઓના શિકાર પણ થયા છે. જોકે હવે ગ્રામીણોએ દિપડા સાથે રહેવાનું શીખવા પડશે.

Continue Reading

કૃષિ

જલાલપોરના કરાડી ગામે ગેરકાયદે બાંધેલા ઝીંગાના તળાવો તોડાયા

Published

on

By

જલાલપોર મામલતદારે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલનાં આદેશનો કરાવ્યો અમલ

નવસારી : નવસારી જિલ્લાના કાંઠા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ખાંજણ જમીનમાં બનેલા ઝીંગાના તળાવો ઉપર નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના આદેશાનુસાર જલાલપોર મામલતદારે લાલ આંખ કરી છે. જલાલપોરના કરાડી ગામે પૂર્ણા નદીના કિનારે 4 હેક્ટર જમીનમાં બનેલા 5 ઝીંગા તળાવોને પોલીસ પ્રોટેક્શન સાથે મામલતદારે દૂર કરાવ્યા હતા.

15 JCB મશીનોની મદદથી 5 ઝીંગા તળાવોને તોડી દૂર કરાયા

નવસારી જિલ્લાને 52 કિમી લાંબો દરિયા કિનારો છે. જેની નજીક કાંઠાનાં ગામડાઓની ખાંજણ જમીનમાં મત્સ્યાધ્યોગને પ્રોત્સાહન આપવા ઝીંગાના તળાવો વિકસાવાયા છે. પરંતુ ઘણી જગ્યાએ નિયમોને નેવે મુકીને આડેધડ બનાવી દેવાયેલા ઝીંગાના તળાવો ભરતીનાં પાણી, કે ચોમાસામાં દરિયાને મળતા પાણીને અવરોધે છે અને તેના કારણે કાંઠાના ગામડાઓને મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. જલાલપોર તાલુકાના કરાડી ગામે પૂર્ણા નદીના કિનારે CRZ ના નિયમોનું ઉલ્લંઘન કરીને 4 હેક્ટર જમીનમાં બનાવેલા 5 ઝીંગા તળાવો દૂર કરવા નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલનાં આદેશની જલાલપોર મામલતદારે અમલવારી કરી, ગેરકાયદે બનેલા પાંચેય ઝીંગા તળાવોને દૂર કરાવ્યા હતા. જલાલપોર મામલતદાર મૃણાલદાન ગઢવી આજે પોલીસ પ્રોટેક્શન સાથે 15 JCB મશીનો લઇ કરાડી પહોંચ્યા હતા. જ્યાં તેમણે NGT ના આદેશાનુસાર પૂર્ણા નદી કિનારે ગેરકાયદેસર રીતે નિયમોને નેવે મુકીને બનાવેલા પાંચેય ઝીંગા તળાવોને JCB મશીનની મદદથી તોડીને દૂર કર્યા હતા. આગામી દિવસોમાં પણ જલાલપોર તાલુકાના કાંઠાના ગામોમાં ગેરકાયદેસર રીતે બનેલા ઝીંગા તળાવોને પણ દૂર કરવાની કાર્યવાહી કરવાની તૈયારી પણ તેમણે દર્શાવી હતી.

Continue Reading

કૃષિ

ચીખલીના સાદકપોર ગામેથી વધુ એક દીપડો પાંજરે પુરાયો

Published

on

By

ચીખલી રેંજમાંથી એક મહિનામાં 6 દીપડા પકડાયા

નવસારી : નવસારી જિલ્લામાં દીપડાઓની સંખ્યા વધી રહી છે, જેને કારણે ખેતી અને વાડી વિસ્તારમાં દીપડાઓ દેખાવાની ઘટનાઓ સામાન્ય થઇ રહી છે. જેમાં છેલ્લા થોડા દિવસોથી ચીખલીના સાદકપોર ગામે આંટાફેરા મારતો દીપડો ગત મોડી રાતે પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે.

સાદકપોરમાં પાંજરે પુરાયેલા દીપડાને જંગલમાં છોડવાની તજવીજ હાથ ધરાઈ

નવસારી જિલ્લો દીપડાઓ માટે અભયારણ્ય બની રહ્યું છે. ખાસ કરીને જિલ્લાના આદિવાસી પટ્ટાના તાલુકાઓમાં દીપડાની વસ્તી થોડા વર્ષોમાં ખાસ્સી વધી છે. જેનું કારણ દીપડાઓ માટે આબોહવા માફક આવવા સાથે જ નદી કોતરો સાથે ખેતી અને વાડી વિસ્તાર, જેમાં જંગલી ભુંડ અને મરઘા ફાર્મ થકી શિકાર મળી રહે છે. જોકે દીપડાઓ નજીકની માનવ વસ્તીમાં આવી શ્વાન અને વાછરાડાનો પણ શિકાર કરી લેતા હોય છે. જેમાં પણ છેલ્લા થોડા મહિનાઓમાં દીપડા દેખાવાની ઘટનાઓ સામાન્ય બનવા સાથે વન વિભાગ દ્વારા પણ ઘણા દીપડાઓને પાંજરે પુર્યા છે. ગત રાતે જિલ્લાના ચીખલી તાલુકાના સાદકપોર ગામે બામણીયા ફળિયામાં અલ્પેશ પટેલની વાડીમાં ગોઠવેલા પાંજરામાં શિકારની લાલચમાં એક માદા દીપડો પાંજરે પુરાયો હતો. દીપડાની દહાડ સાંભળીને ગ્રામજનો ભેગા થયા હતા અને ગામના સરપંચે ચીખલી વન વિભાગને જાણ કરતા વનકર્મીઓએ દીપડાનો કબ્જો લઇ, તેને ચીખલી વન કચેરીએ લઇ આવ્યા હતા. જ્યાં વેટરનરી ડોક્ટર દ્વારા દીપડાની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી, જેમાં દીપડો માદા દીપડો હોવા સાથે તેની અંદાજીત ઉંમર 3 વર્ષની હોવાનું ખુલ્યુ હતુ. વન વિભાગ દ્વારા ઉચ્ચ અધિકારીની સૂચના અનુસાર જંગલમાં છોડવાની તજવીજ હાથ ધરવામાં આવશે.

Continue Reading
Advertisement

Trending