Connect with us

દક્ષિણ-ગુજરાત

ખાડાનગરી બની નવસારી, ખાડાવાળા રસ્તાનો મુદ્દો પાલિકાની સામાન્ય સભામાં ગાજ્યો

Published

on

પાલિકાના પૂર્વ પ્રમુખે જ ખાડાવાળા રસ્તાની યાદી બનાવી, કોન્ટ્રાકટર સામે કાર્યવાહીની કરી રજૂઆત

નવસારી : નવસારી વિજલપોર પાલિકાની આજે મળેલી સામાન્ય સભામાં ખાડાનગરી બનેલી નવસારીના ખાડાવાળા રસ્તાઓ મુદ્દે પાલિકાના પૂર્વ પ્રમુખે જ કોન્ટ્રાકટરની કામગીરી સામે સવાલો ઉભા કર્યા હતા. ખાડાવાળા રસ્તાઓની યાદી બનાવી, કોન્ટ્રાકટરની બેદરકારી સામે આવે, તો તેને બ્લેકલીસ્ટ કરવા સુધીની કાર્યવાહી કરવાની માંગ કરતા, શહેરમાં બનેલા રસ્તાઓની ગુણવત્તા ઉપર સવાલો ઉભા થયા છે. જયારે આજની સામાન્ય સભામાં 10 મિનીટમાં જ શાસકોએ એજન્ડાના 337 કામોને કોઇપણ પ્રકારની ચર્ચા વિના મંજૂરીની મહોર મારી દીધી હતી.

સામાન્ય સભામાં એજન્ડાના અને વધારાના મળી કુલ 337 કામોને બહાલી અપાઇ

નવસારી વિજલપોર પાલિકાના સભા ખંડમાં આજે સંભવત: મહાપાલિકા બનવા પૂર્વેની છેલ્લી સામાન્ય સભા મળી હતી. જેમાં એજન્ડાના 107 કામો ઉપર ચર્ચા થવાની સંભાવના હતી, પરંતુ સભા શરૂ થવા પૂર્વે જ બાંધકામ સમિતિના અંદાજે કરોડો રૂપિયાના 229 કામો વધારાના કામ તરીકે લાવવામાં આવ્યા હતા. સભા શરૂ થવા પૂર્વે રાજકોટ અગ્નિકાંડના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ત્યારબાદ શરૂ થયેલી સભામાં એક પછી એક સમિતિના ચેરમેનોએ તેમના વિભાગના કામોના આંકડા બોલતા જ તેને સૌએ ટેબલ થપથપાવી મજૂરીની મહોર મારી દીધી હતી. જેથી સભામાં શહેર વિકાસ માટે લાવવામાં આવેલા કરોડોના કામો ઉપર ન તો સમિતિ ચેરમેન કે ન તો પાલિકાના એકપણ નગરસેવકે ચર્ચા કરવાની તસ્દી લીધી હતી.

કર્મચારીઓનું EPF શરૂ કરાવવા ભાજપી નગરસેવકની રજૂઆત

પાલિકાની સામાન્ય સભામાં આંકડાઓ બોલી સભાના એજન્ડાના કામોને મંજૂરી મળ્યા બાદ વોર્ડ નં. 13 ના નગર સેવક અને મોટર ગરેજ સમિતિના ચેરમેન વિજય રાઠોડે પ્રથમ પુરમાં પાલિકાના પદાધિકારી કર્મચારીઓએ કરેલી સારી કામગીરી માટે અભિનંદન પાઠવ્યા હતા. ત્યારબાદ બે દિવસ અગાઉ તેમણે કરેલ ભલામણને જ સૌની સામે મુકી હતી. વિજય રાઠોડે પાલિકાના વિવિધ વિભાગના સ્કીલ અને અનસ્કીલ કર્મચારીઓનું એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ વહેલી તકે નિયમનોને ધ્યાને રાખી શરૂ કરાવવા રજૂઆત કરી હતી. સાથે જ રાઠોડે શહેરમાં રસ્તાઓ ઉપર પડેલા ખાડાનો મુદ્દો છેડ્યો હતો. ખાડાને કારણે લોકોને હાલાકી વેઠવી પડે છે, ત્યારે પાલિકા વહેલી તકે રસ્તાનું સમારકામ કરાવે એવી માંગ પણ કરી હતી.

ખાડાવાળા રસ્તાઓની યાદી બનાવો, બેદરકારી નીકળે તો કોન્ટ્રાકટરને બ્લેક લીસ્ટ કરો – પૂર્વ પ્રમુખ

નવસારી શહેરમાં ચોમાસાની શરૂઆત થયા બાદ રસ્તાઓ ઉપર ખાડાઓ પડતા નવસારી ખાડાનગરી બની છે. લોકોને ખાડામાંથી પસાર થતા વાહનોમાં નુકશાન અથવા કમરનો દુઃખાવો થવા માંડ્યો છે. શહેરમાં દરવર્ષે કરોડો રૂપિયાના રસ્તા બને છે, પણ ચોમાસુ મધ્યમાં પહોંચે એટલે રસ્તાઓ ઉપર ખાડા પડતા, રસ્તાની ગુણવત્તા ઉપર સવાલો ઉઠે છે. ત્યારે પાલિકાની આજની સામાન્ય સભામાં પાલિકાના પૂર્વ પ્રમુખ અને વોર્ડ નં. 7 ના નગર સેવક જીગીશ શાહે રસ્તાઓ મુદ્દે પોતાની વેદના વ્યક્ત કરી હતી. જીગીશ શાહે શહેરમાં એવો વરસાદ નથી પડ્યો કે ખાડા પડી જાય, જેથી 1 વર્ષ અગાઉ બનેલા રસ્તાઓમાં પણ ખાડા પડ્યા હોય, એવા રસ્તાઓ તેમજ અન્ય ખાડાવાળા રસ્તાઓની યાદી બનાવી, ત્રણ વર્ષના ગેરેંટી પીરીયડમાં હોય તો કોન્ટ્રાકટર પાસે સમારકામ કરાવવા અને ગેરેંટી પીરીયડ પત્યો હોય તો એના માટે ગ્રાન્ટની ફાળવણી કરીને સમારકામ શરૂ કરાવવા માટેની રજૂઆત કરી હતી. પૂર્વ પ્રમુખ જીગીશ શાહની ખાડાવાળા રસ્તાઓ મુદ્દે કરેલી રજૂઆતે રસ્તાઓની ગુણવત્તા અને રસ્તામાં ભ્રષ્ટાચાર થયો હોવાની ચર્ચાઓ જન્માવી હતી. જોકે રસ્તાઓ મુદ્દે યોગ્ય તપાસ થયા બાદ શહેરીજનોને ભરેલા ટેક્સના બદલામાં સારા રસ્તા મળે એવી પાલિકા પરિસરમાં માંગ ઉઠવા પામી હતી.

બેદરકારી દેખાશે તો કોન્ટ્રાકટરને બ્લેક લીસ્ટ કરીશુ – પાલિકા પ્રમુખ

નવસારી વિજલપોર પાલિકાની સામન્ય સભામાં ભાજપના જ બે નગર સેવકોએ શહેરમાં રસ્તાઓ ઉપર પડેલા ખાડાથી શહેરીજનો મુશ્કેલી વેઠી રહ્યા હોવાની ફરિયાદ સાથે રસ્તાના સમારકામ માટેને રજૂઆત કરી હતી. જેમાં પાલિકા પ્રમુખ સોનલ દેસાઇએ શહેરના રસ્તાઓ ઉપર ખાડાઓ પડ્યા હોવાનું સ્વીકાર્યુ હતુ. સાથે જ નગરસેવકોની ટકોર મુદ્દે કોન્ટ્રાકટરોને બોલાવીશું, સાથે જ રસ્તાઓની યાદી બનાવી એમની ચકાસણી કરીશું. જો કોઈ બેદરકારી દેખાશે તો કોન્ટ્રાકટરને બ્લેક લીસ્ટ કરવા તૈયાર હોવાની ખાતરી આપી હતી. હાલ વરસાદ હોવાથી વરસાદ બંધ થતા જ રસ્તાની કામગીરી શરૂ કરવાની હૈયાધરપત પણ આપી છે.

નગરસેવકોએ એક બીજાને અભિનંદન આપતા સામાન્ય સભા અભિનંદન સભા બની

નવસારી વિજલપોર પાલિકાની આજે મળેલી સામાન્ય સભામાં એજન્ડાના કામોને થોડી મિનીટોમાં જ બહાલી આપી દેવામાં આવી હતી. ત્યારબાદ ગત દિવસોમાં પૂર્ણાના પુરની સ્થિતિમાં પાલિકા પ્રમુખ સાથે અન્ય નગરસેવકો પુર અસરગ્રસ્ત વિસ્તારમાં હાજર રહ્યા હવાની વાત કરી, એક એક નગરસેવક અધિકારીને યાદ કરીને નગરસેવકોએ અભિનંદનનો વરસાદ શરૂ કર્યો હતો. પુરની સ્થિતિમાં શહેરીજનો સાથે ઉભા રહેવાની નગરસેવકોની ફરજ હતી, પણ જાણે પોતાનો કિંમતી સમય કાઢીને બોવ મોટો ઉપકાર કર્યો હોય એ પ્રમાણે નગરસેવકોએ અભિનંદન આપીને સામાન્ય સભાને અભિનંદન સભા બનાવી દીધી હતી.

દક્ષિણ-ગુજરાત

નવસારી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, 5 તાલુકાઓમાં અડધો ઇંચથી વધુ વરસાદ નોંધાયો

Published

on

By

આગામી 24 કલાકમાં નવસારીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

નવસારી : નવસારી જિલ્લામાં વરસાદની વધીવત શરૂઆત થઇ છે અને પ્રથમ ઇનિંગમાં જ મેઘરાજાએ જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરાવી દીધી છે. નવસારીમાં આજે વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ સાથે વરસાદ વરસતા 5 તાલુકાઓમાં અડધો ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો, જયારે એક તાલુકામાં 7 મિમી વરસાદ પડ્યો છે. બીજી તરફ હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકમાં નવસારી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

જિલ્લામાં વરસાદી ઝાપટાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી

ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઇ છે. રાજયના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદે જન જીવન પ્રભાવિત કર્યુ છે. ત્યારે દક્ષિણના નવસારી જિલ્લામાં પણ ગત રોજથી બનેલા વરસાદી માહોલથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ચોમાસાની વિધિવત શરૂઆત થતા ખેડૂતો પણ હરખાયા છે, જોકે કામોસમી વરસાદને કારણે ડાંગર પકવતા ખેડૂતોની સ્થિતિ કફોડી થઇ હતી, મોડે મોડે ડાંગર કાપ્યા બાદ તેને મહામહેનતે વેચી શક્યા છે, ત્યાં ખેડૂતો હવે ચોમાસું ડાંગરની તૈયારીમાં જોતરાયા છે. આજે સવારથી નવસારી જિલ્લામાં થોડા થોડા સમયે પડેલા વરસાદી ઝાપટાથી રાતે 10 વાગ્યે પુરા થતા 16 કલાકમાં જિલ્લાના 5 તાલુકાઓમાં અડધો ઇંચ કે તેથી વધુ વરસાદ નોંધાયો છે, જયારે એક ખેરગામ તાલુકામાં ફક્ત 7 મિમી વરસાદ પડ્યો હતો.

નવસારી જિલ્લામાં રાતે 10 વાગ્યે પુરા થતા 16 કલાકના વરસાદી આંકડા

નવસારી : 17 મિમી,           ચીખલી : 16 મિમી,

જલાલપોર : 14 મિમી,         ખેરગામ : 07 મિમી,

ગણદેવી : 17 મિમી,            વાંસદા : 20 મિમી.

Continue Reading

દક્ષિણ-ગુજરાત

દેવધા સ્થિત દેવસરોવર ડેમના 20 દરવાજા ખોલાયા, 20 બાકી

Published

on

By

અંબિકા નદી કિનારાનાં 16 ગામોને કરાયા એલર્ટ

નવસારી : નવસારીના ગણદેવી તાલુકાના દેવધા ગામ પાસે અંબિકા નદી ઉપર બનેલ દેવ સરોવર ટાઇડલ ડેમના 40 માંથી 20 દરવાજાને આજે અધિકારીઓની ઉપસ્થિતિમાં ખોલવામાં આવ્યા હતા. ડેમના દરવાજા ખોલતા પૂર્વે અંબિકા કિનારાના 16 ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા.

ગણદેવી અને બીલીમોરા શહેર અને 20 થી વધુ ગામો માટે દેવ સરોવર ડેમ જીવાદોરી સમાન

નવસારી જિલ્લાનો ગણદેવી તાલુકો નંદનવન તરીકે ઓળખાય છે. કારણ અહીં ચીકુ અને આંબાવાડીઓ મોટા પ્રમાણ છે, સાથે જ ડાંગર તેમજ શેરડી સાથે જ અન્ય બાગાયતી પાકોનું ઉત્પાદન પણ ગણદેવીમાં થાય છે. ત્યારે ગણદેવી અને બીલીમોરા શહેર તેમજ અંબિકા નદીના કિનારાના 20 થી વધુ ગામોને પીવાના પાણી સાથે જ સિંચાઈ માટે પુરતું પાણી મળી રહે એ હેતૂથી તાલુકાના દેવધા ગામ નજીક અંબિકા ઉપર દેવ સરોવર ટાઇડલ ડેમ (દેવધા ડેમ) બનાવવામાં આવ્યો હતો. અંબિકા નદીમાં ચોમાસા પૂર્વે પાણીની આવક વધતા ડેમના દરવાજા ડ્રેનેજ વિભાગ દ્વારા ખોલી નાંખવામાં આવે છે. નવસારીના ઉપરવાસના જિલ્લા ડાંગમાં ગત મે મહિનાથી સારો વરસાદ વરસતા અંબિકા નદી બે કાંઠે વહેતી થઇ હતી. જેમાં જૂનના મધ્યથી વરસાદની શરૂઆત થતા, આજે ડ્રેનેજ વિભાગના ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર ખુશ્બુ પટેલની ઉપસ્થિતિમાં દેવ સરોવર ડેમના 40 માંથી 20 દરવાજાને રૂટીન પ્રક્રિયા હેઠળ ખોલવામાં આવ્યા હતા. નદીમાં પાણીની આવક વધુ થશે, તો બાકીના 20 દરવાજાઓને પણ ખોલી દેવામાં આવશે. ડેમના દરવાજા ખોલવા પૂર્વે તંત્ર દ્વારા અંબિકા નદીના કિનારાના 16 ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા. ડેમના દરવાજા ખોલાતા જ પશ્ચિમ તરફનો નજારો આહ્લાદક બન્યો હતો. ડેમના દરવાજા ખુલતા માછીમારો પણ કિનારેથી અને નદીમાં હોડકા લઇ માછલી પકડતા પણ જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, દેવધાનો દેવ સરોવર ટાઇડલ ડેમ તાલુકાના બે શહેરો અને 20 થી વધુ ગામડાઓ માટે જીવાદોરી સમાન છે.

Continue Reading

ગુજરાત

નવસારીમાં 45 ગ્રામ પંચાયતોમાં સામાન્ય અને 14 ગ્રામ પંચાયતોમાં પેટા ચુંટણી

Published

on

જિલ્લામાં 1.08 લાખ મતદારો 22 જૂને મતદાન કરી ચુંટશે ગ્રામ્ય સરકાર

નવસારી : ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચુંટણીનું બ્યુગલ વાગી ચુક્યુ છે અને ચુંટણી મેદાનમાં ઉતરનારા મહારથીઓ પણ સજ્જ થઇ ચુક્યા છે. ત્યારે નવસારી જિલ્લામાં પણ 56 માંથી 11 ગ્રામ પંચાયતો સમરસ થતા હવે 45 ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચુંટણી, જયારે 82 ગ્રામ પંચાયતોમાંથી 14 ગ્રામ પંચાયતોમાં પેટા ચુંટણી, આગામી 22 જૂન, 2025 ના રોજ યોજાશે.

સામાન્ય ચુંટણીમાં 126 ઉમ્દેવારો સરપંચ અને 433 ઉમેદવારો સભ્યની ચુંટણી લડશે

નવસારી જિલ્લામાં છેલ્લા કેટલાક વર્ષોથી ગ્રામ પંચાયતોમાં વહીવટદારોનું શાસન હતુ. પરંતુ હવે ગ્રામ પંચાયતોની ચુંટણી બાદ ગામ સરકાર રચાશે. ગ્રામ પંચાયતોની જાહેરાત થયા બાદ જ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો પોતાના સમર્પિત ઉમેદવારોને ચુંટણી મેદાનમાં ઉતારવા થનગની રહ્યા હતા. જેમાં જિલ્લાના 5 તાલુકાઓની 56 ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચુંટણી, જયારે 82 ગ્રામ પંચાયતોમાં પેટા ચુંટણી યોજવાની ઘોષણા થઇ હતી. ઉમેદવારીપત્રો ભરાયા બાદ અનેક કારણોમાં સામાન્ય ચુંટણીમાં સરપંચ માટે 183 ઉમેદવારોએ 184 ફોર્મ ભર્યા હતા. જયારે સભ્ય પદ માટે 700 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાંથી સરપંચમાં 1 અને સભ્યમાં 16 ફોર્મ અમાન્ય ઠર્યા હતા અને 45 સરપંચ ઉમેદવારોએ અને 23 સભ્ય ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચ્યા હતા. જયારે 11 ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઇ છે. જેથી હવે જિલ્લામાં 45 ગ્રામ પંચાયતોમાં સરપંચ પદ માટે 126 ઉમેદવારો અને સભ્ય પદ માટે 433 ઉમેદવારો ચુંટણી મેદાનમાં ઉતર્યા છે. આગામી 22 જૂને, 45 ગામોના 53,410 પુરૂષ અને 55,276 મહિલા મતદારો મળીને કુલ 108686 મતદારો પોતાના ભાવી સરપંચ અને વોર્ડ સભ્યોને ચુંટશે.

14 ગ્રામ પંચાયતની પેટા ચુંટણીમાં 26,441 મતદારો કરશે મતદાન

બીજી તરફ જિલ્લામાં 82 ગ્રામ પંચાયતોમાં પેટા ચુંટણી પણ જાહેર થઇ હતી. જેમાં પણ મોટી સંખ્યામાં ઉમેદવારો ચુંટણી જંગ લડવા તૈયાર થયા હતા. જેમાં સરપંચ માટે 28 ઉમેદવારો અને સભ્ય માટે 85 ઉમેદવારોએ ચુંટણી જંગમાં ઝંપલાવવા કમર કસી હતી. પરંતુ 2 સભ્ય પદ માટેના ઉમેદવારોના ફોર્મ અમાન્ય ઠર્યા હતા અને સરપંચના 8 અને સભ્યના 8 ઉમેદવારીપત્રો પરત ખેંચાયા હતા. જેમાં 1 સરપંચ અને 42 સભ્યો બિનહરીફ જાહેર થયા છે. જેથી હવે 14 ગ્રામ પંચાયતોમાં 19 ઉમેદારો સરપંચ પદ માટે અને ૩૩ ઉમેદવારો સભ્ય પદ માટે ચુંટણી જંગ ખેલશે. પેટા ચુંટણીમાં 13,241 પુરૂષ અને 13,200 મહિલા મતદારો મળીને કુલ 26,441 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

જે ગામોમાં સામાન્ય ચુંટણી યોજાવાની છે, એ ગામોની તાલુકા અનુસાર યાદી

નવસારી ગ્રામ્ય : દંડેશ્વર અને નવા તળાવ

જલાલપોર : સિસોદ્રા પારડી (આરક) જૂથ, પનાર, કણીયેટ ચોરમલા ભાઠા, માછીવાડ, માછીવાડ (દીવાદાંડી), આસણા, દાંતી, કૃષ્ણપુર અને ઓન્જલ

ગણદેવી : પીપલધરા, સરીબુજરંગ, તલોધ, અંચેલી, તોરણ ગામ, એંધલ, પીંજરા, વેગામ અને અમલસાડ

ચીખલી : કણભઈ, સતાડીયા, રૂમલા, આંબાપાડા, સ્યાદા, તલાવચોરા, બારોલીયા મંદિર ફળિયા,

વાંસદા : મહુવાસ, અંકલાછ/કામળઝરી જૂથ, લાકડબારી, ગંગપુર, ઉમરકુઇ, મીંઢાબારી, કુકડા, કુરેલિયા, ગોધાબારી, ચોંઢા, કાવડેજ, પીપલખેડ, રવાણીયા, વાઘાબારી, પાલગભાણ, કંબોયા, પ્રતાપનગર અને વાંદરવેલા

જે ગામોમાં પેટા ચુંટણી યોજાવાની છે, એ ગામોની તાલુકા અનુસાર યાદી

નવસારી ગ્રામ્ય : નસીલપોર/વીરવાડી જૂથ, વાડા (અદડા) અને પરતાપોર

જલાલપોર : સાગરા

ગણદેવી : આંતલિયા, માસા, ઉંડાચ લુહાર ફળિયા અને વડસાંગળ

ચીખલી : ઘેકટી, નોગામા, સાદકપોર, ઢોલુમ્બર, સોલધરા અને આમધરા

Continue Reading
Advertisement

Trending