Connect with us

ગુજરાત

સામાજિક સમરસતા થકી દેશ અને રાજ્યને વિકાસની નવી ઊંચાઈએ લઇ જવામાં દેશબંધુઓ સહિયારૂ યોગદાન આપે : જવાહર ચાવડા

Published

on

માંગરોળ ખાતે ૭૧મા પ્રજાસત્તાક દિનની દબદબાભેર ઉજવણી

રાષ્ટ્રના આન, બાન અને શાન સમા ૭૧ માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીએ ધ્વજવંદન કરતાં ગુજરાતના પ્રવાસન મંત્રી જવાહર ચાવડાએ સામાજિક સમરસતા થકી દેશ અને રાજ્યને સર્વાંગી વિકાસની નવી ઊંચાઈએ લઇ જવામાં દેશબંધુઓ સહિયારૂ યોગદાન આપી ‘રાજ્ય સમૃદ્ધ તો દેશ સમૃદ્ધ’ ના વિકાસમંત્રને સાર્થક કરવા સંકલ્પબધ્ધ થવાનું આહ્વાન કર્યું હતુ.

સુરત જિલ્લાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી માંગરોળ તાલુકા મથકે સરકારી ગોડાઉનની પાછળ આવેલા પટાંગણમાં દેશભક્તિના અનોખા માહોલ વચ્ચે કરવામાં આવી હતી. વિશાળ જનસમુદાયની ઉપસ્થિતિમાં પ્રવાસન મંત્રી જવાહર ચાવડાએ ધ્વજવંદન કરી માર્ચ પાસ્ટનું નિરીક્ષણ કરવા સાથે જ તેમણે નાગરિકોનું અભિવાદન ઝીલ્યું હતું. જ્યારે મંત્રીના હસ્તે માંગરોળ તાલુકાના વિકાસ માટે ૨૫ લાખ રૂપિયાનો ચેક જિલ્લા કલેક્ટર ડો. ધવલ પટેલને એનાયત કરાયો હતો.

આ પ્રસંગે પ્રવાસન મંત્રી ચાવડાએ આઝાદીની લડાઈમાં યોગદાન આપનારા સ્વાતંત્ર્યસેનાનીઓ, ક્રાંતિકારીઓને યાદ કરીને જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર સામાન્ય જનને કેન્દ્રમાં રાખીને સંવેદનાપૂર્વક પારદર્શી નિર્ણયો સાથે સતત કાર્ય કરી રહી છે. વાયદાઓ નહી, પણ નક્કર ઈરાદાઓ સાથે સરકાર પારદર્શિતા, નિર્ણાયકતા, સંવેદનશીલતા અને પ્રગતિશીલતાના ચાર સ્થંભો પર સુશાસનની રાહ પર ચાલીને ઉત્તરદાયિત્વ નિભાવી રહી છે. ગુજરાત સમગ્ર દેશમાં વિકાસનું ગ્રોથ એન્જિન બનીને ઊભર્યું છે. સર્વ સમાવેશી, સચોટ અને સકારાત્મક જનહિલક્ષી નિર્ણયો અને તેના સર્વગ્રાહી અમલીકરણથી જનજનને સુશાસનની પ્રતિતી થઇ રહી છે.

ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રીએ ગંગાસ્વરૂપ બહેનોને મળતાં પેન્શન અંગે ૨૧ વર્ષના સંતાનની મર્યાદા દૂર કરીને આજીવન પેન્શન આપવાનો ઐતિહાસિક નિર્ણય કરતાં રાજ્યની લાખો ગંગાસ્વરૂપ બહેનોને આજીવન પેન્શન મળતું થશે. તાજેતરમાં જ મુખ્યમંત્રીના હસ્તે સુરતના ઓલપાડ તાલુકાની ૭ હજાર બહેનો અને અન્ય તાલુકાની ૩,૨૯૬ બહેનો મળીને કુલ ૧૦,૨૦૬ ગંગાસ્વરૂપ બહેનોને પેન્શન મંજૂરીપત્રો આપવાના ઉમદા પ્રસંગને મહિલાઓના સશક્તિકરણનું આ મોટું અને ગૌરવભર્યું પગલું ગણાવ્યું હતું. તેમણે વ્હાલી દિકરી યોજના, પૂર્ણા યોજના, ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન, નારી અદાલતો, જનની સુરક્ષા, પી.એમ. માતૃવંદના યોજના, ચિરંજીવી યોજના જેવી લોકપ્રિય યોજનાઓની છણાવટ કરી મહિલાલક્ષી યોજનાઓએ રાજ્યમાં નારીશક્તિઓના શીશ ગૌરવભેર ઉન્નત કર્યા છે એમ જણાવ્યું હતું. પ્રવાસન મંત્રીએ ભારત સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા સીએએ કાયદા અંગે વાત કરતા નાગરિકતા કાયદો કોઈની નાગરિકતા છીનવવા નહિ, પણ નાગરિકતા આપવા માટે હોવાનું સ્પષ્ટપણે જણાવ્યું હતું. 

આ વેળાએ હોમગાર્ડ યુનિટના હરિચંદ્ર સિંધુ પાટીલે પોતાના માથા તથા શરીર પર મોટર સાયકલ તથા ફોર વ્હીલર પસાર કરીને દિલધડક સ્ટંટ રજુ કર્યા હતા. જયારે જિલ્લા આઈ.સી.ડી.એસ. કચેરી, આરોગ્ય વિભાગ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, પોલીસ વિભાગ, ખેતીવાડી શાખા,  વન વિભાગ, શિક્ષણ, દક્ષિણ ગુજરાત વીજ કંપની, ૧૦૮ ઇમર્જન્સી સેવા, ડી.જી.વી.સી.એલ., આર.ટી.ઓ. એમ કુલ ૧૧ ટેબ્લોએ કલા, સાંસ્કૃતિક અને જીવનશૈલી વિષયને ઉજાગર કર્યા હતા. જેમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ટેબ્લોને પ્રથમ ક્રમે વિજેતા જાહેર કરવામાં આવ્યો હતો.સાથે જ માંગરોળ તાલુકાની વિવિધ શાળાઓ-કોલેજના બાળકોને ધમાકેદાર રંગારગ કાર્યક્રમો, યોગાસન, દેશભક્તિના ગીતો સાથે નૃત્યની આકર્ષક કૃત્તિઓ રજૂ કરીને સૌના દિલ જીતી લીધા હતા. જયારે પોલિસ, માહિતી વિભાગ, વનવિભાગ, આરોગ્ય તથા શિક્ષણ વિભાગના કર્મયોગીઓને મંત્રી દ્વારા શ્રેષ્ઠ કામગીરી બદલ એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા. કાર્યક્રમના અંતે મંત્રી ચાવડા તથા અન્ય મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું.

આ પ્રસંગે સાંસદ પ્રભુ વસાવા, જિલ્લા વિકાસ અધિકારી એચ. કે. કોયા, નિવાસી અધિક કલેકટર સંજય વસાવા, જિલ્લા શિક્ષણ અધિકારી એચ. એચ. રાજ્યગુરૂ, નાયબ વન સંરક્ષક પુનિત નૈયર, જિલ્લા પોલીસ અધિક્ષક એ. એમ. મુનિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રીતિબેન પટેલ, અગ્રણી દિલીપસિંહ રાઠોડ, તાલુકા પંચાયત પ્રમુખ જગદીશ ગામીત, પ્રાંત અધિકારી તેમજ મોટી સંખ્યામાં નગરજનો-વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત

નવસારીમાં 45 ગ્રામ પંચાયતોમાં સામાન્ય અને 14 ગ્રામ પંચાયતોમાં પેટા ચુંટણી

Published

on

જિલ્લામાં 1.08 લાખ મતદારો 22 જૂને મતદાન કરી ચુંટશે ગ્રામ્ય સરકાર

નવસારી : ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચુંટણીનું બ્યુગલ વાગી ચુક્યુ છે અને ચુંટણી મેદાનમાં ઉતરનારા મહારથીઓ પણ સજ્જ થઇ ચુક્યા છે. ત્યારે નવસારી જિલ્લામાં પણ 56 માંથી 11 ગ્રામ પંચાયતો સમરસ થતા હવે 45 ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચુંટણી, જયારે 82 ગ્રામ પંચાયતોમાંથી 14 ગ્રામ પંચાયતોમાં પેટા ચુંટણી, આગામી 22 જૂન, 2025 ના રોજ યોજાશે.

સામાન્ય ચુંટણીમાં 126 ઉમ્દેવારો સરપંચ અને 433 ઉમેદવારો સભ્યની ચુંટણી લડશે

નવસારી જિલ્લામાં છેલ્લા કેટલાક વર્ષોથી ગ્રામ પંચાયતોમાં વહીવટદારોનું શાસન હતુ. પરંતુ હવે ગ્રામ પંચાયતોની ચુંટણી બાદ ગામ સરકાર રચાશે. ગ્રામ પંચાયતોની જાહેરાત થયા બાદ જ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો પોતાના સમર્પિત ઉમેદવારોને ચુંટણી મેદાનમાં ઉતારવા થનગની રહ્યા હતા. જેમાં જિલ્લાના 5 તાલુકાઓની 56 ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચુંટણી, જયારે 82 ગ્રામ પંચાયતોમાં પેટા ચુંટણી યોજવાની ઘોષણા થઇ હતી. ઉમેદવારીપત્રો ભરાયા બાદ અનેક કારણોમાં સામાન્ય ચુંટણીમાં સરપંચ માટે 183 ઉમેદવારોએ 184 ફોર્મ ભર્યા હતા. જયારે સભ્ય પદ માટે 700 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાંથી સરપંચમાં 1 અને સભ્યમાં 16 ફોર્મ અમાન્ય ઠર્યા હતા અને 45 સરપંચ ઉમેદવારોએ અને 23 સભ્ય ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચ્યા હતા. જયારે 11 ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઇ છે. જેથી હવે જિલ્લામાં 45 ગ્રામ પંચાયતોમાં સરપંચ પદ માટે 126 ઉમેદવારો અને સભ્ય પદ માટે 433 ઉમેદવારો ચુંટણી મેદાનમાં ઉતર્યા છે. આગામી 22 જૂને, 45 ગામોના 53,410 પુરૂષ અને 55,276 મહિલા મતદારો મળીને કુલ 108686 મતદારો પોતાના ભાવી સરપંચ અને વોર્ડ સભ્યોને ચુંટશે.

14 ગ્રામ પંચાયતની પેટા ચુંટણીમાં 26,441 મતદારો કરશે મતદાન

બીજી તરફ જિલ્લામાં 82 ગ્રામ પંચાયતોમાં પેટા ચુંટણી પણ જાહેર થઇ હતી. જેમાં પણ મોટી સંખ્યામાં ઉમેદવારો ચુંટણી જંગ લડવા તૈયાર થયા હતા. જેમાં સરપંચ માટે 28 ઉમેદવારો અને સભ્ય માટે 85 ઉમેદવારોએ ચુંટણી જંગમાં ઝંપલાવવા કમર કસી હતી. પરંતુ 2 સભ્ય પદ માટેના ઉમેદવારોના ફોર્મ અમાન્ય ઠર્યા હતા અને સરપંચના 8 અને સભ્યના 8 ઉમેદવારીપત્રો પરત ખેંચાયા હતા. જેમાં 1 સરપંચ અને 42 સભ્યો બિનહરીફ જાહેર થયા છે. જેથી હવે 14 ગ્રામ પંચાયતોમાં 19 ઉમેદારો સરપંચ પદ માટે અને ૩૩ ઉમેદવારો સભ્ય પદ માટે ચુંટણી જંગ ખેલશે. પેટા ચુંટણીમાં 13,241 પુરૂષ અને 13,200 મહિલા મતદારો મળીને કુલ 26,441 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

જે ગામોમાં સામાન્ય ચુંટણી યોજાવાની છે, એ ગામોની તાલુકા અનુસાર યાદી

નવસારી ગ્રામ્ય : દંડેશ્વર અને નવા તળાવ

જલાલપોર : સિસોદ્રા પારડી (આરક) જૂથ, પનાર, કણીયેટ ચોરમલા ભાઠા, માછીવાડ, માછીવાડ (દીવાદાંડી), આસણા, દાંતી, કૃષ્ણપુર અને ઓન્જલ

ગણદેવી : પીપલધરા, સરીબુજરંગ, તલોધ, અંચેલી, તોરણ ગામ, એંધલ, પીંજરા, વેગામ અને અમલસાડ

ચીખલી : કણભઈ, સતાડીયા, રૂમલા, આંબાપાડા, સ્યાદા, તલાવચોરા, બારોલીયા મંદિર ફળિયા,

વાંસદા : મહુવાસ, અંકલાછ/કામળઝરી જૂથ, લાકડબારી, ગંગપુર, ઉમરકુઇ, મીંઢાબારી, કુકડા, કુરેલિયા, ગોધાબારી, ચોંઢા, કાવડેજ, પીપલખેડ, રવાણીયા, વાઘાબારી, પાલગભાણ, કંબોયા, પ્રતાપનગર અને વાંદરવેલા

જે ગામોમાં પેટા ચુંટણી યોજાવાની છે, એ ગામોની તાલુકા અનુસાર યાદી

નવસારી ગ્રામ્ય : નસીલપોર/વીરવાડી જૂથ, વાડા (અદડા) અને પરતાપોર

જલાલપોર : સાગરા

ગણદેવી : આંતલિયા, માસા, ઉંડાચ લુહાર ફળિયા અને વડસાંગળ

ચીખલી : ઘેકટી, નોગામા, સાદકપોર, ઢોલુમ્બર, સોલધરા અને આમધરા

Continue Reading

ગુજરાત

ધરમપુર શહેર કોંગ્રેસના પ્રમુખ સમર્થકો સાથે ભાજપમાં જોડાયા

Published

on

By

વાંસદાના લોકદરબારમાં સાંસદ ધવલ પટેલે ભગવો ખેસ પહેરાવી આવકાર્યા

નવસારી : વલસાડના ધરમપુર શહેર કોંગ્રેસમાં આજે મોટુ ગાબડું પડ્યુ હતું. કારણ ધરમપુર શહેર કોંગ્રેસ પ્રમુખ આજે પોતાના સમર્થકો સાથે વાંસદા ખાતે સાંસદ અને લોકસભા દંડક ધવલ પટેલના હસ્તે ભગવો ધારણ કરી વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા.

ધરમપુરનાં વિકાસને ધ્યાને રાખી ભાજપમાં જોડાયા – મુકેશ આહીર

રાજકારણમાં પક્ષ પલટો સામાન્ય બનતો જાય છે. જ્યાં વિચારધારાની લડાઇ કહેવામાં આવે છે, પરંતુ ક્યારેક લાંબા સમય સુધી પોતાના વિસ્તારોમાં અટકેલા કાર્યો પૂર્ણ થતા ન હોય અથવા રાષ્ટ્રીય કક્ષાએ પક્ષનાં નિર્ણયથી વિચલિત થઇ ઘણા નાના કાર્યકરો પક્ષ પલટો કરતા હોય છે. ત્યારે આજે વલસાડ જિલ્લાના ધરમપુર શહેર કોંગ્રેસના પ્રમુખ મુકેશ આહીર પોતાના 80 થી વધુ પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા હતા. નવસારીના વાંસદા ખાતે વલસાડના સાંસદ અને લોકસભા દંડક ધવલ પટેલનો લોકદરબાર હતો, જ્યાં ધરમપુર કોંગ્રેસ પ્રમુખ મુકેશ આહિરે સાંસદ ધવલ પટેલના હાથે ભગવો ખેસ ધારણ કરી ભાજપમાં પ્રવેશ કર્યો હતો. મુકેશ આહીર ધરમપુર નગરપાલિકામાં બે ટર્મ નગરસેવક પણ રહ્યા હતા. પરંતુ ગત પાલિકાની ચુંટણીમાં કોંગ્રેસનાં સુપડાસાફ થયા હતા. જેમાં ભાજપના ફાળે 20 બેઠકો અને 4 અપક્ષો ઉપર ધરમપુર શહેરનાં મતદારોએ વિશ્વાસ મુક્યો હતો. બીજી તરફ ધરમપુર શહેરના વિકાસ કાર્યો લાંબા સમયથી અટક્યા હતા, ત્યારે ગુજરાત અને કેન્દ્ર બંનેમાં ભાજપ સરકાર હોય, ધરમપુરના વિકાસને ધ્યાને રાખી ધરમપુર શહેર કોંગ્રેસ પ્રમુખ મુકેશ આહીર પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા હતા. જેમને સાંસદ ધવલ પટેલે સહર્ષ આવકાર્યા હતા.

Continue Reading

અપરાધ

વાંસદાના ચાપલધરા ગામેથી હાઈબ્રિડ ગાંજા અને ઝોમ્બી ઈ સિગારેટ સાથે બે ઝડપાયા

Published

on

By

ઝોમ્બી ઈ સિગારેટ પકડવાનો ગુજરાતનો પ્રથમ કિસ્સો

નવસારી : નવસારીના ચાપલધરા ગામે હાઈબ્રિડ ગાંજો અને ઝોમ્બી ઈ સિગારેટનું વેચાણ થતુ હોવાની બાતમીને આધારે સ્ટેટ મોનીટરીંગ સેલ પોલીસની ટીમે ગત રોજ છાપો મારી બેની ધરપકડ કરી હતી. પોલીસે ઘટના સ્થળેથી 28.15 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

SMC પોલીસે વાપીના આતિફને વોન્ટેડ જાહેર કર્યો

મળતી માહિતી અનુસાર, સ્ટેટ મોનીટરીંગ સેલ પોલીસની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ચાપલધરા ગામે રહેતો મિલન ધનગર હાઈબ્રિડ ગાંજાનું વેચાણ કરે છે. જેને આધારે ગત રોજ SMC ના PI સી. એચ. પનારા અને તેમની ટીમે ચાપલધરા ગામના વચલા ફળિયા, અંબા માતાજી મંદિર પાછળ રહેતા મિલન ધનગરના ઘરે છાપો માર્યો હતો. છાપા દરમિયાન પોલીસને મિલન પાસેથી 8 લાખ રૂપિયાનો 80 ગ્રામ હાઈબ્રિડ ગાંજો જથ્થો મળી આવ્યો હતો. જેની સાથે જ ગાંજાના સક્રિય ઘટકની હાજરીવાળી (THC) 20 લાખ રૂપિયાની 20 ઈ સિગારેટ પણ મળી આવી હતી. પોલીસે ઘટના સ્થળેથી મિલન સાથે તેના સાથીદાર તન્મયકુમાર પટેલની ધરપકડ કરી હતી. આરોપી મિલનની પૂછપરછમાં હાઈબ્રિડ ગાંજો તેને વાપીના આતિફે પહોંચાડી હતી. જેથી પોલીસે આતિફને વોન્ટેડ જાહેર કર્યો હતો. જ્યારે ઝોમ્બી ઈ સિગારેટ ડાર્ક વેબથી મંગાવી હતી. પોલીસે ઘટના સ્થળેથી હાઈબ્રિડ ગાંજો, ઈ સિગારેટ અને મોબાઈલ ફોન મળી કુલ 28.15 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. સાથે જ સમગ્ર મુદ્દે SMC પોલીસ મથકે ધી નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટેન્સ એક્ટ (NDPS) અને ધી પ્રોહીબિશન એક્ટ ઇલેક્ટ્રોનિક સિગારેટ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ આરંભી છે. ઉલ્લેખનિય છે કે, ગાંજાના સક્રિય ઘટક ધરાવતી ઝોમ્બી ઈ સિગારેટ પકડાયાનો આ ગુજરાતનો પ્રથમ ગુનો છે.

Continue Reading
Advertisement

Trending