Connect with us

ગુજરાત

સામાજિક સમરસતા થકી દેશ અને રાજ્યને વિકાસની નવી ઊંચાઈએ લઇ જવામાં દેશબંધુઓ સહિયારૂ યોગદાન આપે : જવાહર ચાવડા

Published

on

માંગરોળ ખાતે ૭૧મા પ્રજાસત્તાક દિનની દબદબાભેર ઉજવણી

રાષ્ટ્રના આન, બાન અને શાન સમા ૭૧ માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીએ ધ્વજવંદન કરતાં ગુજરાતના પ્રવાસન મંત્રી જવાહર ચાવડાએ સામાજિક સમરસતા થકી દેશ અને રાજ્યને સર્વાંગી વિકાસની નવી ઊંચાઈએ લઇ જવામાં દેશબંધુઓ સહિયારૂ યોગદાન આપી ‘રાજ્ય સમૃદ્ધ તો દેશ સમૃદ્ધ’ ના વિકાસમંત્રને સાર્થક કરવા સંકલ્પબધ્ધ થવાનું આહ્વાન કર્યું હતુ.

સુરત જિલ્લાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી માંગરોળ તાલુકા મથકે સરકારી ગોડાઉનની પાછળ આવેલા પટાંગણમાં દેશભક્તિના અનોખા માહોલ વચ્ચે કરવામાં આવી હતી. વિશાળ જનસમુદાયની ઉપસ્થિતિમાં પ્રવાસન મંત્રી જવાહર ચાવડાએ ધ્વજવંદન કરી માર્ચ પાસ્ટનું નિરીક્ષણ કરવા સાથે જ તેમણે નાગરિકોનું અભિવાદન ઝીલ્યું હતું. જ્યારે મંત્રીના હસ્તે માંગરોળ તાલુકાના વિકાસ માટે ૨૫ લાખ રૂપિયાનો ચેક જિલ્લા કલેક્ટર ડો. ધવલ પટેલને એનાયત કરાયો હતો.

આ પ્રસંગે પ્રવાસન મંત્રી ચાવડાએ આઝાદીની લડાઈમાં યોગદાન આપનારા સ્વાતંત્ર્યસેનાનીઓ, ક્રાંતિકારીઓને યાદ કરીને જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર સામાન્ય જનને કેન્દ્રમાં રાખીને સંવેદનાપૂર્વક પારદર્શી નિર્ણયો સાથે સતત કાર્ય કરી રહી છે. વાયદાઓ નહી, પણ નક્કર ઈરાદાઓ સાથે સરકાર પારદર્શિતા, નિર્ણાયકતા, સંવેદનશીલતા અને પ્રગતિશીલતાના ચાર સ્થંભો પર સુશાસનની રાહ પર ચાલીને ઉત્તરદાયિત્વ નિભાવી રહી છે. ગુજરાત સમગ્ર દેશમાં વિકાસનું ગ્રોથ એન્જિન બનીને ઊભર્યું છે. સર્વ સમાવેશી, સચોટ અને સકારાત્મક જનહિલક્ષી નિર્ણયો અને તેના સર્વગ્રાહી અમલીકરણથી જનજનને સુશાસનની પ્રતિતી થઇ રહી છે.

ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રીએ ગંગાસ્વરૂપ બહેનોને મળતાં પેન્શન અંગે ૨૧ વર્ષના સંતાનની મર્યાદા દૂર કરીને આજીવન પેન્શન આપવાનો ઐતિહાસિક નિર્ણય કરતાં રાજ્યની લાખો ગંગાસ્વરૂપ બહેનોને આજીવન પેન્શન મળતું થશે. તાજેતરમાં જ મુખ્યમંત્રીના હસ્તે સુરતના ઓલપાડ તાલુકાની ૭ હજાર બહેનો અને અન્ય તાલુકાની ૩,૨૯૬ બહેનો મળીને કુલ ૧૦,૨૦૬ ગંગાસ્વરૂપ બહેનોને પેન્શન મંજૂરીપત્રો આપવાના ઉમદા પ્રસંગને મહિલાઓના સશક્તિકરણનું આ મોટું અને ગૌરવભર્યું પગલું ગણાવ્યું હતું. તેમણે વ્હાલી દિકરી યોજના, પૂર્ણા યોજના, ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન, નારી અદાલતો, જનની સુરક્ષા, પી.એમ. માતૃવંદના યોજના, ચિરંજીવી યોજના જેવી લોકપ્રિય યોજનાઓની છણાવટ કરી મહિલાલક્ષી યોજનાઓએ રાજ્યમાં નારીશક્તિઓના શીશ ગૌરવભેર ઉન્નત કર્યા છે એમ જણાવ્યું હતું. પ્રવાસન મંત્રીએ ભારત સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા સીએએ કાયદા અંગે વાત કરતા નાગરિકતા કાયદો કોઈની નાગરિકતા છીનવવા નહિ, પણ નાગરિકતા આપવા માટે હોવાનું સ્પષ્ટપણે જણાવ્યું હતું. 

આ વેળાએ હોમગાર્ડ યુનિટના હરિચંદ્ર સિંધુ પાટીલે પોતાના માથા તથા શરીર પર મોટર સાયકલ તથા ફોર વ્હીલર પસાર કરીને દિલધડક સ્ટંટ રજુ કર્યા હતા. જયારે જિલ્લા આઈ.સી.ડી.એસ. કચેરી, આરોગ્ય વિભાગ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, પોલીસ વિભાગ, ખેતીવાડી શાખા,  વન વિભાગ, શિક્ષણ, દક્ષિણ ગુજરાત વીજ કંપની, ૧૦૮ ઇમર્જન્સી સેવા, ડી.જી.વી.સી.એલ., આર.ટી.ઓ. એમ કુલ ૧૧ ટેબ્લોએ કલા, સાંસ્કૃતિક અને જીવનશૈલી વિષયને ઉજાગર કર્યા હતા. જેમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ટેબ્લોને પ્રથમ ક્રમે વિજેતા જાહેર કરવામાં આવ્યો હતો.સાથે જ માંગરોળ તાલુકાની વિવિધ શાળાઓ-કોલેજના બાળકોને ધમાકેદાર રંગારગ કાર્યક્રમો, યોગાસન, દેશભક્તિના ગીતો સાથે નૃત્યની આકર્ષક કૃત્તિઓ રજૂ કરીને સૌના દિલ જીતી લીધા હતા. જયારે પોલિસ, માહિતી વિભાગ, વનવિભાગ, આરોગ્ય તથા શિક્ષણ વિભાગના કર્મયોગીઓને મંત્રી દ્વારા શ્રેષ્ઠ કામગીરી બદલ એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા. કાર્યક્રમના અંતે મંત્રી ચાવડા તથા અન્ય મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું.

આ પ્રસંગે સાંસદ પ્રભુ વસાવા, જિલ્લા વિકાસ અધિકારી એચ. કે. કોયા, નિવાસી અધિક કલેકટર સંજય વસાવા, જિલ્લા શિક્ષણ અધિકારી એચ. એચ. રાજ્યગુરૂ, નાયબ વન સંરક્ષક પુનિત નૈયર, જિલ્લા પોલીસ અધિક્ષક એ. એમ. મુનિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રીતિબેન પટેલ, અગ્રણી દિલીપસિંહ રાઠોડ, તાલુકા પંચાયત પ્રમુખ જગદીશ ગામીત, પ્રાંત અધિકારી તેમજ મોટી સંખ્યામાં નગરજનો-વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત

‘ખજૂરભાઈ’ નીતિન જાની 2027માં ચૂંટણી લડશે!

Published

on

By

રાજુલાના ખાનગી કાર્યક્રમમાં યુવાનોને રાજકારણમાં ઉતરવાની કરી હાંકલ

બારડોલી : સોશ્યલ મીડિયામાં ખજૂર – જીગલીના કૉમેડી વીડિયો થકી લોકપ્રિય અને ગરીબોના ઘરો બનાવનાર સામાજિક કાર્યકર નીતિન જાની ઉર્ફે ‘ખજૂરભાઈ’ એ સક્રિય રાજકારણમાં ઝંપલાવવાનો વિચાર કરી, આગામી વર્ષ 2027ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે, જેના કારણે રાજકીય વર્તુળોમાં ગરમાવો આવ્યો છે.

કયા પક્ષ સાથે જોડાશે એ નક્કી નહીં, પણ ચૂંટણી લડવા મક્કમ!

સોશ્યલ મીડિયામાં કૉમેડી વીડિયો થકી નામના મેળવનાર મૂળ બારડોલીના નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈ એ રાજુલાના ખાનગી કાર્યક્રમમાં ઉપસ્થિત યુવાનોને રાજકારણથી દૂર રહેવાને બદલે સક્રિય રીતે જોડાઈ, તેને નવી દિશા આપવા માટે હાંકલ કરી છે. જ્યાં યુવાનોના સવાલના જવાબમાં પોતે પણ 2027 ની વિધાનસભા ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી હતી. આ વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થતાં ‘ખજૂરભાઈ’ ના રાજકારણમાં પ્રવેશની વાત ચર્ચાએ ચઢી છે. જોકે, નીતિન જાનીએ હાલમાં કયા પક્ષમાંથી અને ક્યાંથી ચૂંટણી લડશે તે અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી, પરંતુ 2027 ની ચૂંટણી લડવા માટે તેઓ મક્કમ છે.

પાવર વિના 374 ઘર બનાવ્યા, સત્તા મળશે તો સંખ્યા વધશે

નીતિન જાનીએ અત્યાર સુધીમાં પોતાના કૉમેડી વીડિયો અને સામાજિક કાર્ય થકી કોઈ પણ સરકારી પાવર વિના 374 જેટલા જરૂરિયાતમંદ પરિવારો માટે પાકાં ઘરો બનાવ્યા છે. તેમણે જણાવ્યું કે, જો તેઓ ચૂંટણી લડીને સત્તામાં આવશે તો લોકો માટે ધાબાવાળા પાકાં ઘરો બનાવવાની સંખ્યામાં વધારો કરી શકશે. એટલું જ નહીં, તેમની ઈચ્છા ગુજરાતની ગૌશાળાઓને પણ ધાબાવાળી બનાવવાની છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આઈડિયોલોજીથી પ્રભાવિત છે ખજૂરભાઈ

હાસ્ય કલાકાર નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈનો જન્મ સુરતમાં થયો અને હાલ તેઓ સરદાર પટેલની ભૂમિ બારડોલીમાં રહે છે. જેથી જન્મથી જ સરદાર પટેલ તેમના હીરો રહ્યા છે. જોકે વર્તમાનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કાર્યપધ્ધતિથી તેઓ પ્રભાવિત છે અને વર્ષોથી તેમને પોતાના આઇડલ માને છે. ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી મોદીએ તેમના સમાજસેવાના કાર્યની સરાહના પણ કરી હતી. ત્યારે આગામી સમયમાં તેઓ કયા પક્ષ સાથે જોડાઈને રાજકીય સફર શરૂ કરે છે, એ જોવું રહ્યું.

Continue Reading

ગુજરાત

વાંસદા વાવાઝોડુ : સાંસદ ધવલ પટેલની રજૂઆત ફળી!

Published

on

By

સીણધઈના અસરગ્રસ્તોને એક અઠવાડિયામાં 30.86 લાખ રૂપિયાની સહાય સીધી બેન્ક ખાતામાં ચૂકવાઈ

નવસારી : ​નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં ગત 27 સપ્ટેમ્બરની રાત્રે ત્રાટકેલા વાવાઝોડાએ ભારે તારાજી સર્જી હતી. ખાસ કરીને સીણધઈ ગામના ત્રણ ફળિયામાં 160 થી વધુ મકાનોને મોટું નુકસાન થતાં અનેક પરિવારો ખુલ્લા આકાશ નીચે રહેવા મજબૂર બન્યા હતા. ત્યારે સાંસદ ધવલ પટેલની રજૂઆતોને ધ્યાને લઈ ગુજરાત સરકારે અઠવાડિયામાં જ કુલ 30.86 લાખ રૂપિયાની સહાય સીધી બેંક ખાતામાં જમા થતા લોકોએ સરકારનો આભાર માન્યો હતો.

​તાત્કાલિક પગલાં અને સહાયનો ધોધ

વાંસદા તાલુકાના સીણધઈ ગામમ કુદરતી આફતની જાણ થતાં જ ભાજપના આગેવાનો, કાર્યકરો, અને જિલ્લા વહીવટી તંત્રની ટીમો તુરંત સીણધઈ ગામે પહોંચી હતી. જેમના દ્વારા રસ્તા પર પડેલા ઝાડવાઓ અને વીજ થાંભલાઓને તાત્કાલિક ધોરણે ખુલ્લા કરવા અને અસરગ્રસ્તોને પ્રાથમિક રાહત આપવાના પ્રયાસો શરૂ કરાયા હતા. વલસાડના સાંસદ ધવલ પટેલે પોતે સ્થળ પર પહોંચી 700 પતરાં અને જીવન જરૂરિયાતની કીટ અસરગ્રસ્તોને પહોંચાડી હતી. આ સાથે તેમણે નુકસાનીનું તાત્કાલિક સર્વે કરી સહાય ચૂકવવામાં આવે તે માટે ગુજરાત સરકાર સમક્ષ મકાનો, કૃષિ અને પશુપાલન મુદ્દે રજૂઆત કરી હતી. જેને ગુજરાત સરકારે ​ધ્યાને લઈ ગુજરાત સરકારે ઝડપી કાર્યવાહી કરી, વાવાઝોડાના એક જ અઠવાડિયામાં વાંસદાના સીણધઈ ગામના અસરગ્રસ્તોને કુલ 30.86 લાખ રૂપિયાની માતબર સહાયની રકમ સીધી તેમના બેન્ક ખાતામાં ચૂકવવામાં આવી છે. આ ઝડપી અને સીધી સહાય બદલ અસરગ્રસ્તોએ સાંસદ ધવલ પટેલનો આભાર વ્યક્ત કર્યો છે. ​આ ઉપરાંત, કૃષિ અને પશુધનને થયેલા નુકસાનનો સર્વે પણ પૂર્ણ કરી દેવામાં આવ્યો છે, જેની સહાય પણ ટૂંક સમયમાં ચૂકવાશે.

​આપત્તિમાં રાજકારણ?

​બીજી તરફ, વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા આ મુદ્દે કરાયેલા આંદોલનને ભાજપના આગેવાનોએ વખોડી કાઢ્યું છે. તેમણે કહ્યું કે કુદરતી આફતના સમયે રાજકીય અવસર શોધવાને બદલે વિપક્ષે આદિવાસી સમાજની પડખે ઊભા રહેવું જોઈએ અને સાંસદ ધવલ પટેલને બદનામ કરવાનું ષડયંત્ર બંધ કરવું જોઈએ. ​સમગ્ર ઘટનાક્રમમાં, સરકારી તંત્ર અને સાંસદ ધવલ પટેલના ત્વરિત પગલાંથી વાંસદાના અસરગ્રસ્તોને સમયસર મોટી રાહત મળી છે.

Continue Reading

ગુજરાત

નવસારીના વાંસદામાં વાવાઝોડાના અસરગ્રસ્તોને સહાય માટે કોંગ્રેસ મેદાને

Published

on

By

કોંગી ધારાસભ્યની આગેવાનીમાં રેલી કાઢી 5 લાખની સહાયની માંગ સાથે TDO કચેરીએ ધરણાં કર્યા

નવસારી : નવસારી જિલ્લામાં એક અઠવાડિયા પહેલા આવેલા ભયાનક વાવાઝોડાના કારણે વાંસદા તાલુકાના સીણધઈ ગામ સહિત અન્ય ગામોમાં ઘણા ઘરોને નુકશાન થયું હતું. પરંતુ અઠવાડિયું વિતવા છતાં સરકાર અસરગ્રસ્તોને હજી સુધી સહાય આપવામાં આવી નથી. જેને કારણે કોંગ્રેસે સરકાર સામે રોષ સાથે આજે વાંસદાના વાવાઝોડાથી અસરગ્રસ્તોમાં ઘર ગુમાવનારાઓને 5 લાખની સહાયની માંગ સાથે રેલી કાઢી તાલુકા સેવા સદન બહાર ધરણા પ્રદર્શન કર્યુ હતુ.

કોંગ્રેસે સહાય આપવાના સરકારી નિયમો પર ઉઠાવ્યા સવાલ

નવસારીમાં તોફાની વાવાઝોડામાં વાંસદા તાલુકાના સીણધઈ ગામના ત્રણ ફળિયાઓ અને અન્ય અસરગ્રસ્ત ગામોના અસરગ્રસ્તોની વિકટ સ્થિતિ બની છે. પ્રારંભિક તબક્કે લોકોને સેવાભાવી સંસ્થાઓએ સહાય કીટ પહોંચાડી, પરંતુ હજુ સુધી સરકારે સહાય આપી નથી. જેમાં પણ સરકારને સ્થાનિક તંત્રએ સર્વે કરી ફક્ત 30 લાખ રૂપિયાની સહાય મળવાપાત્ર હોવાનો રિપોર્ટ કર્યો હતો. જેમાં સરકારી નિયમો સામે જ કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા હતા. કોંગ્રેસનો આક્ષેપ છે કે આ નિયમોમાં ‘નવથી ઓછા પતરાં હોય તો સહાય નહીં’ અને ‘સરકારી આવાસને સહાય નહીં મળે’ જેવા નિયંત્રણો છે, જે ગરીબ આદિવાસી અસરગ્રસ્તોને સહાયથી વંચિત રાખશે. જેથી વાંસદા કોંગ્રેસ દ્વારા રાજ્ય સરકાર સમક્ષ દરેક નુકસાનગ્રસ્ત ઘરને 5 લાખ રૂપિયાની તાત્કાલિક સહાય ચૂકવવાની માંગ કરવામાં આવી છે. જેમાં પણ તાલુકા વિકાસ અધિકારી કચેરીએ નહીં મળતા કોંગ્રેસીઓએ કચેરીના પ્રાંગણમાં ધરણા કરી વિરોધ નોંધાવ્યો હતો.

ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં રેલી અને ધરણાં

સરકારના આ નિયમોનો વિરોધ કરવા માટે આજે વાંસદાના કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલની આગેવાની હેઠળ અસરગ્રસ્ત ગામોના આગેવાનો અને લોકોએ વાંસદા સર્કિટ હાઉસથી રેલી કાઢી તાલુકા સેવાસદન ખાતે પહોંચ્યા હતા. જોકે, તાલુકા સેવાસદન ખાતે તાલુકા વિકાસ અધિકારી (TDO) હાજર ન મળતા, ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં તમામ આગેવાનો અને અસરગ્રસ્તો ધરણાં પર બેસી ગયા હતા. જ્યાં કોંગ્રેસ દ્વારા સરકાર દરેક નુકસાનગ્રસ્ત ઘરને 5 લાખની સહાય ચૂકવે તેવી દૃઢ માંગણી કરવામાં આવી રહી છે.

સહાય જમા થવાના દાવા સામે કોંગી ધારાસભ્યના સવાલો

બીજી તરફ, વલસાડના સાંસદ ધવલ પટેલે જાહેરાત કરી છે કે સરકાર દ્વારા સહાયની રકમ આજે જ લોકોના ખાતામાં પહોંચી જશે. સાંસદના આ દાવા સામે કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલે સવાલો ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે જ્યાં સુધી દરેક અસરગ્રસ્તને પૂરતી અને યોગ્ય સહાય નહીં મળે, ત્યાં સુધી તેઓ આ મામલે લડત ચાલુ રાખશે.

Continue Reading
Advertisement

Trending