Connect with us

અપરાધ

ચીખલી ફડવેલ માર્ગ પર ખુડવેલ ગામ નજીક બે બસ સામસામે અથડાતા એકના ચાલકનું મોત

Published

on

અકસ્માતમાં 25 થી વધુ મુસાફરો ઘવાયા, એક મહિલા મુસાફરનાં નાકમાં થયુ ફેકચર

નવસારી : ચીખલી ફડવેલ માર્ગ પર આજે વહેલી સવારે પીપલખેડ જઈ રહેલી એસટીની મીની બસ અને ઉમરકુઈથી વલસાડ જઈ રહેલી એસટી બસ ખુડવેલ ગામ નજીકના વળાંકમાં સામસામે ધડાકાભેર અથડતા મીની બસનો ચાલક ગંભીર રીતે ઘવાયો હતો, જયારે બંને બસમાં સવાર 25 થી વધુ મુસાફરો પણ ઈજાગ્રસ્ત થતા એમને એમ્બ્યુલન્સ મારફતે ચીખલી રેફરલ હોસ્પિટલ અને આલીપોર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન બસ ચાલકનું કરૂણ મોત નીપજ્યુ હતું. જયારે અન્ય એક મહિલા મુસાફરને નાકમાં ફેકચર જણાતા વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવી હતી. અકસ્માતની જાણ થતા ઘટના સ્થળે પહોંચેલી ચીખલી પોલીસે બંને બસોને રસ્તાની કિનારે ખસાવડાવી ટ્રાફિક હળવો કરાવ્યો હતો. સાથે જ મૃતક બસ ચાલકના મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરાવી તપાસને વેગ આપ્યો છે.

મીની બસના ચાલકને મહામેહનતે બહાર કઢાયો, પણ સારવાર દરમિયાન થયુ મોત

આજે વહેલી સવારે 6 વાગ્યા આસપાસ ચીખલી ફડવેલ માર્ગ પરથી પસાર થઇ રહેલી બીલીમોરાથી પીપલખેડ જતી એસટીની મીની બસ ખુડવેલ ગામના વળાંક પાસે પહોંચી, ત્યાં સામેથી આવતી ઉમરકુઇ વલસાડ એસટી બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત એટલો તો ભયાનક હતો, કે મીની બસની ચાલકની કેબીન ચગદાઈ ગઈ હતી. જેમાં ચાલક વિજય આહીર ગંભીર રીતે ફસાયો હતો અને એના પગ ફેકચર થયા હતા. અકસ્માતને પગલે દોડી આવેલા ગ્રામજનો અને રાહદારીઓએ તાત્કાલિક બસમાં બેઠેલા મુસાફરોને બહાર ઉતાર્યા હતા અને 108 એમ્બ્યુલન્સ બોલાવી મુસાફરોને ચીખલી રેફરલ હોસ્પિટલ અને આલીપોર હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યા હતા. જયારે બસમાં ફસાયેલા ચાલક વિજયને કાઢવાના પ્રયાસો નિષ્ફળ જતા ટ્રેક્ટર બોલાવી, તેના દ્વારા કેબીનને ખેંચીને ચાલક વિજયને બહાર કાઢી હોસ્પિટલ મોકલ્યો હતો. પરંતુ સારવાર દરમિયાન ચાલક વિજય આહીરનું કરૂણ મોત નીપજ્યું હતું. જયારે ઘાયલોમાં એક મહિલાને નાકમાં ફેકચર જણાતા વધુ સારવાર અર્થે વલસાડ સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવી હતી. બીજી તરફ ઘટનાની જાણ થતા ચીખલી પોલીસ પણ ખુડવેલ ઘટના સ્થળે પહોંચી હતી અને અકસ્માતમાં ખુરદો બોલી ગયેલી બંને બસોને રસ્તાની કિનારે ખસેડાવી ટ્રાફિક હળવો કરાવ્યો હતો. સાથે જ મૃતક બસ ચાલકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી ચીખલી પોલીસના ચોપડે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસને વેગ આપ્યો છે.

ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલે ઘાયલ મુસાફરોની યોગ્ય સારવારની આપી સુચના

ખુડવેલ ગામે બે એસટી બસો વચ્ચે થયેલા અક્સ્માતની જાણ થતા જ ગણદેવીના ધારાસભ્ય નેરેશ પટેલે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. સાથે જ ચીખલી હોસ્પિટલમાં પણ ઘાયલ મુસાફરોની મુલાકાત લઇ, તેમની સ્થિતિ જાણી હતી. સાથે જ હોસ્પિટલના તબીબોને ઘાયલ મુસાફરોને યોગ્ય સારવાર મળી રહે એ માટે જરૂરી સૂચનાઓ આપી હતી.

ખુડવેલ ગામના વળાંક પર આમલીનું ઝાડ નોતરી રહ્યું છે અકસ્માત

ચીખલી ફડવેલ માર્ગ પર ખુડવેલ ગામ પાસેના વળાંક પાસે આજે સવારે થયેલા અકસ્માતનું કારણ સ્થાનિક આગેવાનો વળાંક પાસેના આમલીના ઝાડને ગણી રહ્યા છે. વર્ષોથી સ્થાનિકો દ્વારા રસ્તામાં નડતરરૂપ આમલીના ઝાડને હટાવવા માટે ચીખલી વન વિભાગને રજૂઆતો થઇ રહી છે. પરંતુ વન વિભાગની મંજૂરીના અભાવે અકસ્માત નોતરી રહ્યું છે. ગામના આગેવાન ઉમેશ પટેલના જણાવ્યા અનુસાર રસ્તામાં આવેલ આમલીનું ઝાડને કારણે અકસ્માત થયો હોવાનું અનુમાન છે. અગાઉ પણ આજ સ્થળે ઝાડને કારણે અનેક અકસ્માતો થયા છે. જેથી વધેલી તકે આ ઝાડને હટાવવામાં આવે, તો અકસ્માતો અટકશે.

ઉમરકુઈ વલસાડ બસમાં સ્ટીયરીંગ અને બ્રેકમાં ખામી હોવાની વાત..!!

ખુડવેલ ગામે બે એસટી બસો વચ્ચે થયેલા અકસ્માતમાં બચી ગયેલા ઉમરકુઇ વલસાડ બસના ચાલક હિતેશ આહિરના જણાવ્યા પ્રમાણે બસના સ્ટીયરીંગ અને બ્રેકમાં ખામી હતી. જેના કારણે અકસ્માત સર્જાયો હતો. જોકે એસટી વિભાગ દ્વારા પણ અકસ્માત કેવી રીતે થયો, કઈ બસના ચાલકની ભુલથી અકસ્માત થયો એની તપાસ કરવામાં આવી રહી છે. વલસાડ વિભાગના નાયબ મીકેનીકલ એન્જીનિયર ભાવેશ પટેલે જણાવ્યુ કે, બસને વ્યવસ્થિત ચેક કર્યા બાદ જ ટ્રીપ માટે મોકલાતી હોય છે, જોકે ચાલક હિતેશ આહીરે સ્ટીયરીંગ અને બ્રેકમાં ખામીની વાત કરી છે, જેની તપાસ હાલ ચાલી રહી છે, બંને બસ સામસામે અથડાતા ચાલક વિજય આહીરનું અવસાન થયુ છે. ખુડવેલનો વળાંક ખુબ જ શાર્પ હોવાને કારણે અને રસ્તામાં નડતરરૂપ ઝાડ હોવાની પણ વાત છે, ત્યારે તપાસ બાદ જ ખરી હકીકત જાણી શકાશે.

સરકાર મૃતક બસ ચાલકને 4 લાખ અને ઘાયલોને 2 લાખની સહાય ચુકવે  – અનંત પટેલ

ખુડવેલ ગામે બે બસ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં સારવાર લઇ રહેલા મુસાફરોને મળવા વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ પણ પહોંચ્યા હતા. અનંત પટેલે ઘાયલોને તેમના તબિયત પૂછી હતી. સાથે જ જે મુસાફરોને માથામાં વાગ્યું હતું, એમને સીટી સ્કેન પણ કરાવી લેવા હોસ્પિટલના તબીબોને સૂચન કર્યું હતું. સાથે જ એક વૃદ્ધને પાંસળીમાં પણ દર્દ હોવાનું જાણતા તેમને પણ યોગ્ય સારવાર આપવા ડોક્ટરને જણાવ્યું હતું. જયારે અકસ્માતમાં મૃત્યુ પામેલા બસ ચાલક વિજય આહીરના પરિવારજનોને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી 4 લાખ રૂપિયા અને ઘાયલોને 2 લાખ રૂપિયાની સહાય આપવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર પણ લખ્યો છે. ધારાસભ્ય પટેલે રસ્તામાં નડતર રૂપ આમલીના ઝાડને હટાવવા વન વિભાગના અધિકારીને પણ સૂચન કર્યું હતું.

અપરાધ

નવસારીમાં મોડી રાત્રે ગેંગવોર : રેમ્બો ચપ્પુના ઘા ઝીંકાતા ૩ ગંભીર રીતે ઘાયલ

Published

on

By

આસિફ, ઇમરાન અને સિદ્ધુ સિવિલમાં ખસેડાયા, ગ્રામ્ય પોલીસની તપાસ શરૂ

નવસારી : નવસારી શહેરમાં ફરી એકવાર ગેંગવોર જોવા મળી હતી. ગત રાત્રે 12 વાગ્યા આસપાસ વિરાવળ જતા રસ્તા પર, બોસ્ટન ટી સામે બે જૂથ વચ્ચે લોહિયાળ મારામારી થઈ હતી. જેમાં ત્રણ યુવાનો ગંભીર રીતે ઘવાતા તેમને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાંથી એકને ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

રીઢા ગુનેગાર સિદ્ધુ થોરાટની ટોળકી અને અન્ય ગેંગ વચ્ચે થઈ હતી મારામારી

મળતી માહિતી અનુસાર, નવસારી શહેરમાં ગત રાતે રીઢા ગુનેગારો વચ્ચે ખુની ખેલ ખેલાયો હતો. શહેરના વિરાવળ નજીક બોસ્ટન ટી સ્ટોલ પાસે થયેલી માથાકૂટમાં બંને જૂથોએ રેમ્બો છરો સાથે ધારદાર હથિયારોથી એકબીજા ઉપર પ્રાણઘાતક વાર કરી મારામારી કરી હતી. જેમાં ત્રણ લોકો ગંભીર રીતે ઘવાયા હતા. જેમાં મારામારીમાં પંકાયેલો સિદ્ધુ થોરાટ, ઈમરાન શેખ અને આસિફને ઘાયલાવસ્થામાં નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાંથી આસિફની સ્થિતિ વધુ ગંભીર જણાતા તેને ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો.

જૂની અદાવત અથવા વર્ચસ્વ માટે ખૂની ખેલ ખેલાયો હોવાનું પ્રાથમિક તારણ

વિવાવળના બોસ્ટન ટી સ્ટોલ પાસે થયેલ આ ખૂની મારમારી જૂની અદાવત અથવા વર્ચસ્વની લડાઈમાં થઈ હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. આ સનસનાટીભરી ઘટનાની જાણ થતાં નવસારી ગ્રામ્ય પોલીસે મારામારી મુદ્દે કાયદેસરની તપાસ શરૂ કરી છે. જ્યારે મોડી રાત્રે થયેલી આ મારામારીને કારણે વિસ્તારમાં તંગદીલીનો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે પોલીસ ચોપડે હજી કોઈ ફરિયાદ નોંધાઈ નથી, પરંતુ સાંજ સુધીમાં ફરિયાદ નોંધાય અને પોલીસ ફરાર થયેલા આરોપીઓને પકડવાની કવાયત શરૂ કરે એવી સંભાવના જોવાઈ રહી છે.

સિદ્ધુ થોરાટ અને તેની ટોળકીનું અગાઉ પોલીસે કાઢ્યું હતું સરઘસ

ઘાયલ થયેલો આરોપી સિદ્ધુ થોરાટ વિજલપોર વિસ્તારમાં રીઢો ગુનેગાર છે અને અગાઉ અનેકવાર મારમારી સહિતના વિવિધ ગુનાઓમાં પોલીસના હાથે પકડાઈ ચૂક્યો છે. જેમાં મારામારીની અન્ય ઘટનામાં પોલીસે સિદ્ધુ અને તેના બે સાથીઓનો ગુનાના રિકંસ્ટ્રક્ષન કરવા સાથે કાયદાનું ભાન કરાવવા જાહેરમાં સરઘસ કાઢ્યું હતું.

Continue Reading

અપરાધ

ટ્રાફિક ઈ-ચલણના નામે ફોન હેક કરીને દોઢ લાખની ઠગાઈ કરનારા ઝડપાયા

Published

on

By

નવસારી સાયબર ક્રાઈમે વાપીથી 4 ઠગોની ધરપકડ કરી

નવસારી : ટ્રાફિક નિયમ ભંગનું ઓનલાઈન ચલણ ભરવાના બહાને મોબાઈલમાં ertochallan.apk ફાઇલ મોકલીને લોકોના એકાઉન્ટમાંથી લાખો રૂપિયા સેરવી લેતી એક ગેંગનો પર્દાફાશ થયો છે. નવસારી સાયબર ક્રાઈમ પોલીસે આ મામલે વલસાડના વાપી ખાતેથી 4 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે હવે આ ગેંગના મુખ્ય સૂત્રધારો અને ‘apk’ ફાઇલના સ્ત્રોત સુધી પહોંચવા માટે કવાયત હાથ ધરી છે.

ગણદેવીના વ્યક્તિને ertochallan.apk મોકલી કરી, દોઢ લાખ પડાવ્યા

નવસારીના ગણદેવી વિસ્તારના એક વ્યક્તિને થોડા દિવસો પહેલાં તેના વોટ્સએપ પર ટ્રાફિક નિયમ ભંગ બદલ ઓનલાઈન ચલણ ભરવા માટે ertochallan.apk ફાઇલ સાથેનો મેસેજ મળ્યો હતો. આ વ્યક્તિએ આ ફાઇલ ડાઉનલોડ કરતા જ સાયબર ઠગોએ તરત જ તેનો મોબાઈલ ફોન હેક કરી લીધો હતો. બાદમાં, ગણતરીની મિનિટોમાં જ તેના બેંક એકાઉન્ટમાંથી ત્રણ ટ્રાન્ઝેક્શનમાં કુલ 1.50 લાખ રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હતા. પોતાની સાથે થયેલ આ ઓનલાઈન છેતરપિંડીની જાણ થતાં જ પીડિત વ્યક્તિએ તાત્કાલિક નવસારી સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ પકડમાં આવેલા 4 આરોપીઓ માત્ર પ્યાદા

ફરિયાદ મળતા જ નવસારી સાયબર ક્રાઈમની ટીમે ટ્રાન્સફર થયેલી રકમ જે બેંક એકાઉન્ટમાં ગઈ હતી તેની કડી મેળવી. પોલીસે તપાસના આધારે વાપીના ચલા ખાતે રહેતા 27 વર્ષીય પ્રકાશ તિવારીને ઝડપી પાડ્યો હતો. તેની કડકાઈથી પૂછપરછ કરતા અન્ય ત્રણ સાગરીતો વાપીના બલીઠા ચેકપોસ્ટ નજીક, આટીયાવાડ 23 વર્ષીય સચિન સિંઘ અને 31 વર્ષીય રમેશ મંડળ તેમજ વાપીના મોરાઈ ગામે રહેતા 24 વર્ષીય સોમોકુમાર શર્માના નામો ખુલતા પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી હતી. જોકે, સાયબર ક્રાઈમના અધિકારી અનુસાર, પકડાયેલા ચારેય આરોપીઓ આ ટોળકીના માત્ર પ્યાદાં છે. આરોપી પ્રકાશ તિવારી બેંક એકાઉન્ટ હોલ્ડર છે, જ્યારે અન્ય ત્રણ આરોપીઓ દલાલ તરીકે અથવા તો એકાઉન્ટ શોધી આપવાનું કામ કરતા હતા.

આ રીતે ચલાવવામાં આવે છે સમગ્ર નેટવર્ક

સાયબર ઠગો સ્થાનિક સ્તરે ગરીબ કે જરૂરિયાતમંદ લોકોને 5 થી 10 હજારની લાલચ આપીને તેમના બેંક એકાઉન્ટ ભાડે રાખતા હોય છે, અથવા તો તેમના નામે નવા એકાઉન્ટ ખોલાવતા હોય છે. સમગ્ર મુદ્દે પોલીસ ertochallan.apk ફાઇલ કોણે અને ક્યાંથી મોકલી હતી, તેમજ આ સમગ્ર નેટવર્કના મુખ્ય આરોપીઓ કોણ છે, તેનું પગેરૂ શોધવા મથામણ કરી રહી છે.

વાંચકો માટે ચેતવણી

કોઈપણ અજાણી કે શંકાસ્પદ .apk ફાઇલ ડાઉનલોડ કરશો નહીં.

ટ્રાફિક ચલણ ભરવા માટે હંમેશા સરકારી વેબસાઇટ અથવા સત્તાવાર એપ્લિકેશનનો જ ઉપયોગ કરો.

જો કોઈ વ્યક્તિ વોટ્સએપ પર ચલણ ભરવા માટે લિંક કે ફાઇલ મોકલે, તો સાવચેત રહો અને બેંકની વિગતો આપવાનું ટાળો.

Continue Reading

અકસ્માત

આમરી કસબા માર્ગ પર બે હાઈવા ટ્રક ભટકાતા એકનું મોત એક ઘાયલ

Published

on

By

બાઈક ચાલકને બચાવવા જતા હાઈવા ડિવાઇડર કૂદી અન્ય હાઈવા સાથે અથડાયો

નવસારી : નવસારીના આમરી કસ્બા માર્ગ પરથી રોજના મોટી સંખ્યામાં ઓવર લોડેડ હાઈવા ટ્રક પસાર થતા હોય છે. ગતરોજ સાંજના સમયે ઓવરટેક કરવા જતા હાઈવા ટ્રકના ચાલકે સામેથી આવેલા બાઇક ચાલકને બચાવવા જતા ટ્રક ડિવાઇડર કુદાવી અને સામે ઉભેલા અન્ય હાઈવા ટ્રક સાથે ધડાકાભેર અથડાવી દીધો હતો. આકસ્માતમાં એક ચાલકનું મોત, જ્યારે બીજા ચાલકને ગંભીર અવસ્થામાં હોસ્પિટલ ખસેડ્યો હતો.

વારંવાર થતાં અકસ્માતોથી ગ્રામજનોમાં ભયનો માહોલ

મળતી માહિતી અનુસાર, નવસારીના આમરી કસ્બા માર્ગ ઉપરથી રોજના મોટી સંખ્યામાં ભારે વાહનો પસાર થાય છે. જેના કારણે છાસવારે અકસ્માતો થવાની ઘટનાઓ સામે આવતી રહે છે. ભારે વાહનોની બેફામ દોડથી આમરીના ગ્રામજનોમાં ભયનો માહોલ રહે છે. ત્યારે ગત રોજ સાંજના સમયે એક હાઈવા ટ્રકના ચાલકે ઓવરટેક કરવાની લાહ્યમાં સામેથી આવતી એક બાઈકને બચાવવા જતા ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા હાઈવા ડીવાઈડર કૂદી સામેના ટ્રેક ઉપર ઉભેલા અન્ય હાઈવા ટ્રક સાથે ભટકાયો હતો. અકસ્માતમાં હાઈવા નજીક ઉભેલા ચાલક અને સુરતના હજીરા ખાતે રહેતા મૂળ બિહારના અરૂણ ભારતીનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યુ હતુ. જ્યારે અકસ્માત સર્જનાર હાઈવા ટ્રકના ચાલક અને સુરતના ડિંડોલી ખાતે રહેતા મૂળ યુપીના મનજીત સરોજ ગંભીર રીતે ઘાયલ થતા, એને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાને પગલે ગ્રામજનો તેમજ રાહદારીઓ ભેગા થયા હતા. નવસારી ગ્રામ્ય પોલીસને ઘટનાની જાણ થતાં પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતક ચાલકના મૃતદેહને પીએમ અર્થે નવસારી સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. જ્યારે અકસ્માતને કારણે સર્જાયેલા ટ્રાફિક જામને હળવો કર્યો હતો. સમગ્ર મુદ્દે પોલીસે મનજીત સરોજ સામે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ આરંભી હતી.

Continue Reading
Advertisement

Trending