Connect with us

દક્ષિણ-ગુજરાત

“ ગુરૂ માં “ ની 12 મી પૂણ્યતિથી સેવાકાર્યોથી ઉજવાશે

Published

on

3000 ગરીબ પરિવારોને સુકો આહાર સાથેના લંચબોક્ષ અપાશે

નવસારી : ભગવાન કરતા એમની ભાવના યુગો યુગો સુધી જીવિત રહે છે અને પૂ. ચંદ્રશેખર વિજયજી મહરાજ જીવદયા સાથે માનવતાના કાર્યોને અધિક મહત્વ આપતા હતા. ત્યારે એમની સ્વર્ગારોહણની 12 મી પુણ્યતિથીએ નવસારીના સકલ જૈન સંઘ થકી વિવિધ સેવાકિય કાર્યો કરી ગુરૂદેવની ભાવનાને જન જન સુધી પહોંચાડવાનો પ્રયાસ કરાશે. જેમાં ખાસ 3000 ગરીબ પરિવારોને સુકો આહાર સાથે ગુપ્તદાન સાથેના લંચબોક્ષ આપીને અનુકંપા કરાશે.

જિનાલયો અને તપોવન સંસ્કાર ધામના કર્મચારીઓનું કરાશે બહુમાન

નવસારીને પોતાની કર્મભૂમિ બનાવી સમગ્ર ભારતમાં જીવદયા અને માનવતાનો સંદેશો આપનાર પૂ. પન્યાસ પ્રવર ગુરૂદેવ શ્રી ચંદ્રશેખરવિજયજી મહારાજની 26 ઓગસ્ટ ના રોજ 12 મી પૂણ્યતિથી છે. ગુરૂ માં ના હુલામણા નામે જાણિતા પૂ. ગુરૂદેવે નવસારીમાં 40 વર્ષ અગાઉ તપોવન સંસ્કાર ધામની સ્થાપના કરી બોર્ડીંગ અને ડે સ્કૂલ શરૂ કરી હતી. ત્યારબાદ અમદાવાદ તેમજ સુરત, સુરેન્દ્રનગર, જામનગર, મુંબઈ વિગેરે સ્થળોએ પણ સંસ્કાર સાથે શિક્ષણની અલખ જગાવી હતી. વર્ષો અગાઉ ભારત સરકારે નવા કતલખાના શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો, જેનો દ્રઢતાથી વિરોધ કરીને કતલ ખાના શરૂ થવા પહેલા જ નિર્ણય પાછો લેવડાવ્યો હતો. આવા અનેકવિધ કાર્યો થકી ગુરૂદેવે ભગવાનની ભાવનાને જન જન સુધી પહોંચાડી હતી. ત્યારે શ્રી આદિનાથ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘમાં ચાતુર્માસ કરી રહેલા પૂ. ચંદ્રશેખર વિજયજી મહારાજના પ્રથમ શિષ્ય પૂ. આચાર્ય ચન્દ્રજિતસૂરીજી મહારાજ અને પૂ. પન્યાસ ઇન્દ્રજિતવિજયજી મહારાજની નિશ્રામાં નવસારીના સકળ સંઘ દ્વારા પૂ. ગુરૂદેવની સ્વર્ગારોહણની 12 મી પુણ્યતિથી નિમિત્તે વિવિધ સેવાકીય કાર્યોનું આયોજન કર્યુ છે. જેમાં સમસ્ત નવસારી જૈન સંઘના 1200 મુમુક્ષુઓ સામુહિક આયંબિલ તપ કરશે. જેની સાથે જ જીવદયાના કાર્યો, નવસારી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ભોજન વિતરણ, નવસારીના અનાથાશ્રમ અને સાર્વજનિક શાળાઓમાં બાળકોને ભોજન, 150 જરૂરીયાતમંદ જૈન સાધાર્મિક પરિવારોને અનાજ કરીયાણાની કીટ વિતરણ સાથે જ નવસારીના સમસ્ત જિનાલયો અને તપોવન સંસ્કારધામમાં કાર્યરત કર્મચારીઓનું યોગ્ય બહુમાન કરવામાં આવશે.

આચાર્ય ચન્દ્રજિતસૂરિજી મહારાજ “ ગુરૂ માં “ ના જીવન ઉપર આપશે પ્રવચન

પૂ ચંદ્રશેખર વિજયજી મહારાજ એટલે પૂ. “ ગુરૂ માં “ ની 12 મી પૂણ્યતિથી અવસરે આદિનાથ જૈન સંઘમાં પૂ. ગુરૂદેવના પ્રથમ શિષ્ય આચાર્ય ચંદ્રજિતસૂરીજી મહારાજ દ્વારા 18 વર્ષે શ્રીમંત પરિવારને છોડી દિક્ષા ગ્રહણ કર્યા બાદ પૂ. ગુરૂદેવના જીવન સંદેશ, તેમની ભાવના ઉપર પ્રવચન આપી, જૈન શ્રાવકો સુધી પહોંચાડશે. સાથે જ જૈન પરિવારો દ્વારા 3000 લંચ બોક્ષમાં ફરસાણ મીઠાઈ જેવો સુકો આહાર અને તેની સાથે તેમનાં ભાવ મુજબનું ગુપ્તદાન મુકી નવસારી શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારના શ્રમિક વિસ્તારોના 3000 ગરીબ પરિવારોને લંચ બોક્ષનું વિતરણ કરાશે.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

દક્ષિણ-ગુજરાત

નવસારીમાં કમોસમી વરસાદ, ખેડૂતોની ચિંતામાં વધારો

Published

on

By

નવસારી તાલુકામાં 4 કલાકમાં 4 ઈંચ વરસાદ વરસ્યો, રસ્તા થયા પાણી પાણી

નવસારી : હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ, આજે નવસારીમાં બપોર બાદ ધોધમાર કમોસમી વરસાદ શરૂ થતા જન જીવન પ્રભાવિત થયું હતુ. નવસારી તાલુકામાં જ 4 કલાકમાં 4 ઈંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસેલા માવઠાથી ડાંગર અને ચીકુના ખેડૂતોને માથે હાથ મુકી રોવાનો વારો આવ્યો છે.

ભારે વરસાદથી ગણદેવી બજારમાં ‘નદી’ ના દ્રશ્યો

હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આજે સવારથી નવસારી જિલ્લામાં કાળાંડિબાંગ વાદળો ઘેરાયા હતા અને વાતાવરણમાં બફારા સાથે ઉકળાટ પણ અનુભવાતો હતો. બપોર બાદ સાંજે 4 વાગ્યાથી નવસારી અને જલાલપોર તાલુકામાં શરૂ થયેલા કમોસમી ધોધમાર વરસાદે જનજીવન પ્રભાવિત કર્યુ હતું. નવસારી શહેરના ગ્રીડ, કબીલપોર, જુનાથાણા, લુંસીકુઈ, ઇટાળવા અને સ્ટેશન સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા શહેરના મુખ્ય રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા, જેના પરિણામે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ, ગણદેવી નગરના મુખ્ય બજારમાં પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે જાણે બજારમાંથી કોઈ નદી પસાર થઈ રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા.

કમોસમી વરસાદને કારણે ડાંગર અને ચીકુના પાકને મોટું નુકસાન

કમોસમી વરસાદને કારણે નવસારીના ડાંગર અને ચીકુના પાકને નુકશાનની ભીતિ સેવાઈ રહી છે. કારણ ખેતરોમાં હાલ ડાંગરની કાપણી થઈ રહી છે, જ્યારે કપાયેલી ડાંગર ખેતરમાં સુકવવા મુકી હતી એ ઘણી જગ્યાએ પલળી ગઈ હતી. જેને કારણે ખેડૂતોને મોટા આર્થિક નુકશાનની સંભાવના વધી છે. ચીકુના પાકમાં પણ વરસાદ મોટી નુકશાની આપશે, કારણ ચીકુની પ્રથમ સીઝન લાભ પાંચમથી શરૂ થતી હોય છે, પણ કમોસમી વરસાદને કારણે ચીકુની સાઈઝ અને ઉત્પાદન ઉપર પણ અસર પાડી છે, જેથી ખેડૂતોને આર્થિક નુકશાની વેઠવા પડશે.

સાંજે 4 થી રાતે 8 વાગ્યા સુધીમાં નવસારી તાલુકામાં 4 ઈંચ વરસાદ

નવસારીમાં આખો દિવસ ભારે ઉકળાટ બાદ વીજળીના કડાકા ભડાકા સાથે શરૂ થયેલો ભારે વરસાદે જન જીવનને પ્રભાવિત કર્યું હતું. જેમાં નવસારી તાલુકામાં સાંજે 4 થી રાતે 8 વાગ્યા સુધીમાં 106 મિમી એટલે કે 4.41 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે જલાલપોર તાલુકામાં 46 મિમી (1.91 ઈંચ) વરસાદ નોંધાયો હતો. જ્યારે આન્યા તાલુકાઓમાં ખેરગામ તાલુકામાં 28 મિમી (1.16 ઈંચ), ચીખલી તાલુકામાં 23 મિમી (0.95 ઈંચ) અને ગણદેવીમાં 9 મિમી તથા વાંસદા તાલુકામાં 2 મિમી વરસાદ નોંધાયો હતો.

Continue Reading

ગુજરાત

‘ખજૂરભાઈ’ નીતિન જાની 2027માં ચૂંટણી લડશે!

Published

on

By

રાજુલાના ખાનગી કાર્યક્રમમાં યુવાનોને રાજકારણમાં ઉતરવાની કરી હાંકલ

બારડોલી : સોશ્યલ મીડિયામાં ખજૂર – જીગલીના કૉમેડી વીડિયો થકી લોકપ્રિય અને ગરીબોના ઘરો બનાવનાર સામાજિક કાર્યકર નીતિન જાની ઉર્ફે ‘ખજૂરભાઈ’ એ સક્રિય રાજકારણમાં ઝંપલાવવાનો વિચાર કરી, આગામી વર્ષ 2027ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે, જેના કારણે રાજકીય વર્તુળોમાં ગરમાવો આવ્યો છે.

કયા પક્ષ સાથે જોડાશે એ નક્કી નહીં, પણ ચૂંટણી લડવા મક્કમ!

સોશ્યલ મીડિયામાં કૉમેડી વીડિયો થકી નામના મેળવનાર મૂળ બારડોલીના નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈ એ રાજુલાના ખાનગી કાર્યક્રમમાં ઉપસ્થિત યુવાનોને રાજકારણથી દૂર રહેવાને બદલે સક્રિય રીતે જોડાઈ, તેને નવી દિશા આપવા માટે હાંકલ કરી છે. જ્યાં યુવાનોના સવાલના જવાબમાં પોતે પણ 2027 ની વિધાનસભા ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી હતી. આ વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થતાં ‘ખજૂરભાઈ’ ના રાજકારણમાં પ્રવેશની વાત ચર્ચાએ ચઢી છે. જોકે, નીતિન જાનીએ હાલમાં કયા પક્ષમાંથી અને ક્યાંથી ચૂંટણી લડશે તે અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી, પરંતુ 2027 ની ચૂંટણી લડવા માટે તેઓ મક્કમ છે.

પાવર વિના 374 ઘર બનાવ્યા, સત્તા મળશે તો સંખ્યા વધશે

નીતિન જાનીએ અત્યાર સુધીમાં પોતાના કૉમેડી વીડિયો અને સામાજિક કાર્ય થકી કોઈ પણ સરકારી પાવર વિના 374 જેટલા જરૂરિયાતમંદ પરિવારો માટે પાકાં ઘરો બનાવ્યા છે. તેમણે જણાવ્યું કે, જો તેઓ ચૂંટણી લડીને સત્તામાં આવશે તો લોકો માટે ધાબાવાળા પાકાં ઘરો બનાવવાની સંખ્યામાં વધારો કરી શકશે. એટલું જ નહીં, તેમની ઈચ્છા ગુજરાતની ગૌશાળાઓને પણ ધાબાવાળી બનાવવાની છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આઈડિયોલોજીથી પ્રભાવિત છે ખજૂરભાઈ

હાસ્ય કલાકાર નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈનો જન્મ સુરતમાં થયો અને હાલ તેઓ સરદાર પટેલની ભૂમિ બારડોલીમાં રહે છે. જેથી જન્મથી જ સરદાર પટેલ તેમના હીરો રહ્યા છે. જોકે વર્તમાનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કાર્યપધ્ધતિથી તેઓ પ્રભાવિત છે અને વર્ષોથી તેમને પોતાના આઇડલ માને છે. ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી મોદીએ તેમના સમાજસેવાના કાર્યની સરાહના પણ કરી હતી. ત્યારે આગામી સમયમાં તેઓ કયા પક્ષ સાથે જોડાઈને રાજકીય સફર શરૂ કરે છે, એ જોવું રહ્યું.

Continue Reading

અપરાધ

નવસારીમાં મોડી રાત્રે ગેંગવોર : રેમ્બો ચપ્પુના ઘા ઝીંકાતા ૩ ગંભીર રીતે ઘાયલ

Published

on

By

આસિફ, ઇમરાન અને સિદ્ધુ સિવિલમાં ખસેડાયા, ગ્રામ્ય પોલીસની તપાસ શરૂ

નવસારી : નવસારી શહેરમાં ફરી એકવાર ગેંગવોર જોવા મળી હતી. ગત રાત્રે 12 વાગ્યા આસપાસ વિરાવળ જતા રસ્તા પર, બોસ્ટન ટી સામે બે જૂથ વચ્ચે લોહિયાળ મારામારી થઈ હતી. જેમાં ત્રણ યુવાનો ગંભીર રીતે ઘવાતા તેમને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાંથી એકને ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

રીઢા ગુનેગાર સિદ્ધુ થોરાટની ટોળકી અને અન્ય ગેંગ વચ્ચે થઈ હતી મારામારી

મળતી માહિતી અનુસાર, નવસારી શહેરમાં ગત રાતે રીઢા ગુનેગારો વચ્ચે ખુની ખેલ ખેલાયો હતો. શહેરના વિરાવળ નજીક બોસ્ટન ટી સ્ટોલ પાસે થયેલી માથાકૂટમાં બંને જૂથોએ રેમ્બો છરો સાથે ધારદાર હથિયારોથી એકબીજા ઉપર પ્રાણઘાતક વાર કરી મારામારી કરી હતી. જેમાં ત્રણ લોકો ગંભીર રીતે ઘવાયા હતા. જેમાં મારામારીમાં પંકાયેલો સિદ્ધુ થોરાટ, ઈમરાન શેખ અને આસિફને ઘાયલાવસ્થામાં નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાંથી આસિફની સ્થિતિ વધુ ગંભીર જણાતા તેને ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો.

જૂની અદાવત અથવા વર્ચસ્વ માટે ખૂની ખેલ ખેલાયો હોવાનું પ્રાથમિક તારણ

વિવાવળના બોસ્ટન ટી સ્ટોલ પાસે થયેલ આ ખૂની મારમારી જૂની અદાવત અથવા વર્ચસ્વની લડાઈમાં થઈ હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. આ સનસનાટીભરી ઘટનાની જાણ થતાં નવસારી ગ્રામ્ય પોલીસે મારામારી મુદ્દે કાયદેસરની તપાસ શરૂ કરી છે. જ્યારે મોડી રાત્રે થયેલી આ મારામારીને કારણે વિસ્તારમાં તંગદીલીનો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે પોલીસ ચોપડે હજી કોઈ ફરિયાદ નોંધાઈ નથી, પરંતુ સાંજ સુધીમાં ફરિયાદ નોંધાય અને પોલીસ ફરાર થયેલા આરોપીઓને પકડવાની કવાયત શરૂ કરે એવી સંભાવના જોવાઈ રહી છે.

સિદ્ધુ થોરાટ અને તેની ટોળકીનું અગાઉ પોલીસે કાઢ્યું હતું સરઘસ

ઘાયલ થયેલો આરોપી સિદ્ધુ થોરાટ વિજલપોર વિસ્તારમાં રીઢો ગુનેગાર છે અને અગાઉ અનેકવાર મારમારી સહિતના વિવિધ ગુનાઓમાં પોલીસના હાથે પકડાઈ ચૂક્યો છે. જેમાં મારામારીની અન્ય ઘટનામાં પોલીસે સિદ્ધુ અને તેના બે સાથીઓનો ગુનાના રિકંસ્ટ્રક્ષન કરવા સાથે કાયદાનું ભાન કરાવવા જાહેરમાં સરઘસ કાઢ્યું હતું.

Continue Reading
Advertisement

Trending