Connect with us

ટેક

વીજ બીલ ઓછું કરવા નવસારી પાલિકાએ સોલાર પ્લાન્ટ લગાવ્યો, પણ જાળવણી નહીં, તો કેવી રીતે બનશે વીજળી..?

Published

on

દુધિયા તળાવની પાળ પર લગાવેલી સોલાર પેનલ ઉપર ધૂળ, ઝાડનો પડછાયો, પણ સફાઇ નહીં

નવસારી : વીજળીની બચત કરવા માટે નવસારી પાલિકા દ્વારા વોટર વર્કસ અને દુધિયા તળાવની પાળે મુકવામાં આવેલી સોલાર પેનલની યોગ્ય જાળવણી ન થતા તેના ઉપર ધૂળ જામી જવા સાથે જ નજીકના ઝાડવાઓના પડછાયાને કારણે પુરતો સૂર્ય પ્રકાશ પડી શકતો નથી. જેને કારણે વીજ ઉત્પાદન પર અસર વર્તાઇ છે, પણ પાલિકા સફાઈ ઉપર ધ્યાન આપવામાં આળસ કરી રહી હોય એવી સ્થિતિ બની છે.

પાલિકાએ GUDC થકી અંદાજે 75 લાખના ખર્ચે લગાવ્યા છે સોલાર પ્લાન્ટ

નવસારી વિજલપોર નગર પાલિકાએ પાણી યોજનામાં આવતા લાખો રૂપિયાના વીજ બીલનું ભારણ ઓછું કરવા માટે ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન (GUDC) થકી વોટર વર્કસ ખાતે અંદાજે 75 લાખ રૂપિયાના ખર્ચે બે યુનિટમાં સોલાર પ્લાન્ટ નાંખ્યો હતો. જેમાં દુધિયા તળાવ સ્થિત પંપિંગ સ્ટેશન પાસે 112 KW ની ક્ષમતાનો પ્લાન્ટ અને વોટર વર્કસ યોજનાની છત પર 107 KW નો સોલાર પ્લાન્ટ બેસાડી સવા બે રૂપિયાના દરે 800 યુનિટ વીજળી ઉત્પન્ન કરી, પાલિકાએ વોટર વર્કસના કરોડના બીલ સામે લાખો રૂપિયા બચાવવાનું આયોજન કર્યુ હતું. જેમાં પાલિકાને ફાયદો પણ થયો અને પાલિકાના વાર્ષિક અંદાજે સવા કરોડના બીલ સામે 40 લાખ રૂપિયા, એટલે 30 ટકાથી વધુની બચત પણ કરતી થઇ છે. પરંતુ એક બાજુ શિયાળો અને બીજી બાજુ સોલાર પેનલ ઉપર ધૂળ જામવા સાથે જ નજીકમાં ઉગાડેલા ઝાડવાઓનો પડછાયો પડતા યોગ્ય પ્રમાણમાં સૂર્ય પ્રકાશ પડતો નથી, જેથી વીજ ઉત્પાદન ઉપર અસર વર્તાઇ રહી છે. જોકે સોલાર પેનલની સફાઇ મુદ્દે પાલિકાનું વોટર વર્કસ કમિટી ઉદાસીન રહી છે, સોલાર પેનલ ઉપર વારંવાર ધૂળ ચોંટવી અને ઝાડના પડછાયાનું કાયમી સમાધાન લાવવામાં પાલિકા નિષ્ફળ રહેતા, વિપક્ષ પ્રજાના લાખો રૂપિયા નવા નવા પ્રોજેક્ટ પાછળ ખર્ચતી પાલિકા તેની સંભાળ ન રાખી, લાખો બગાડતી હોવાના આક્ષેપો લગાવી રહ્યો છે.

ઝાડને યોગ્ય પ્રમાણમાં ટ્રીમિંગ કરીને પર્યાવરણ અને પ્લાન્ટની ઉપયોગીતા જાળવવા કરાશે પ્રયાસ – વોટર કમિટી ચેરમેન

નવસારી વિજલપોર નગર પાલિકાના નવ નિયુક્ત પાણી સમિતિ ચેરમેનને સોલાર પેનલની સાફ સફાઈ ન થવા મુદ્દે વાતનો સ્વિકાર કરી, પાલિકામાં હાલમાં ચાલી રહેલા પાણી કાપની સમસ્યા વર્ણવી હતી. સાથે જ દુધિયા તળાવની પાળ ઉપર સોલાર પેનલ સાથે પર્યાવરણની જાળવણી માટે વૃક્ષો પણ એટલા જ જરૂરી હોવાનું કહીને ઝાડવાઓનું યોગ્ય પ્રમાણમાં ટ્રીમિંગ કરાવડાવી પુરતો સૂર્ય પ્રકાશ મળે એની કાળજી રાખવા સાથે જ થોડા જ દિવસોમાં પાણીથી સોલાર પેનલની સફાઇ થાય એનું ધ્યાન રાખવાની તૈયારી દર્શાવી હતી.

વોટર વર્કસના અધિકારીઓ કર્મચારીઓ પાસે સમસ્યાનું કાયમી સમાધાન નહીં..!!

વર્ષોથી સોલાર પેનલ ઉપર ધૂળ જામવી અને ઝાડવાઓના પડતા પડછાયાની સમસ્યા મુદ્દે પાલિકાના વોટર વર્કસ કમિટીના અધિકારીઓ અને કર્મચારીઓ આંખ આડા કાન કરતા હોય એવી સ્થિતિ રહી છે, ત્યારે પાણી સમિતિ ચેરમેન સોલાર પેનલને ઉપયોગી બનાવવામાં કેટલા સફળ થાય છે એ જોવું રહ્યુ.

ગુજરાત

GCAS પોર્ટલ ઉપરની ખામીઓમાં સુધારા કરવાની ABVP ની માંગ

Published

on

By

જિલ્લા કલેકટર મારફતે શિક્ષણ મંત્રીને આવેદનપત્ર પાઠવ્યુ

નવસારી : ગુજરાત સરકાર દ્વારા રાજયની તમામ વિશ્વવિદ્યાલયોમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટે કેન્દ્રીય પ્રવેશ પદ્ધતિ બનાવી, ગુજરાત કોમન એડમીશન સર્વિસ (GCAS) પોર્ટલ બનાવ્યુ છે, પરંતુ આ પોર્ટલ પર અનેક ખામીઓ છે, જેને સરકારની બ્યુરોકેસી દ્વારા સુધારવામાં આળસ કરવામાં આવતી હોવાના આક્ષેપો સાથે નવસારી જિલ્લા ABVP દ્વારા 7 મુદ્દાઓના સુધારાની માંગ સાથે જિલ્લા કલેકટર મારફત રાજ્યના શિક્ષણ મંત્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ છે.

48 કલાકમાં હકારાત્મક કાર્યવાહી ન કરવામાં આવે, તો આંદોલનની ચીમકી

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) 75 વર્ષોથી વિદ્યાર્થીઓની સમસ્યાઓ માટે કાર્યરત છે, ત્યારે ગુજરાત સરકાર દ્વારા રાજયની તમામ વિશ્વવિદ્યાલયો અને તેના સંલગ્ન કોલેજોમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટે કેન્દ્રીય પ્રવેશ પ્રક્રિયા બનાવવામાં આવી છે. જેમાં ડિજીટલ માધ્યમનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને સરકારે GUJARAT COMMON ADDMISSION SERVICE (GCAS) પોર્ટલ બનાવવામાં આવ્યું છે. પરંતુ આ પોર્ટલ પર અનેક ખામીઓ છે, જેને કારણે વિદ્યાર્થીઓને ઘણી મુશ્કેલીઓ પડી રહી છે. ત્યારે આ સમસ્યાઓના સમાધાન માટે આજે નવસારી જિલ્લા ABVP ના કાર્યકર્તાઓ દ્વારા નવસારી જિલ્લા કલેકટરના ચીટનીસને આવેદનપત્ર આપી, રાજ્યના શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલને 7 મુદ્દાઓ સુચવી કેન્દ્રીયકૃત પ્રવેશ પ્રક્રિયાના પોર્ટલમાં સુધારા કરવાની માંગ કરી છે. સાથે જ જો 48 કલાકમાં સરકાર દ્વારા પોર્ટલમાં સુધારો ન કરવામાં આવશે, તો ABVP રસ્તા પર ઉતરી, ઉગ્ર આંદોલન કરશેની ચીમકી પણ ઉચ્ચારી છે.

આ 7 મુદ્દાઓ દર્શાવી, પોર્ટલ ઉપર સુધારો કરવાની કરી માંગ

ઘણા વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત છે, તેમને માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવે, ગ્રામ્ય વિદ્યાર્થીઓ ટેકનોલોજી અને પ્રક્રિયાની જાણકારીના અભાવને કારણે પ્રવેશથી વંચિત ન રહે, વિદ્યાર્થી પહેલા રાઉન્ડમાં એડમીશન મેળવે છે, એ બીજા રાઉન્ડમાં ભાગ લઇ શકતો નથી અને તે પ્રવેશ પ્રક્રિયામાંથી બહાર નીકળી જાય છે. વિદ્યાર્થીએ પ્રવેશ રદ્દ કરવો હોય કે ફોર્મમાં રહેલ ભુલ સુધારી શકાતી નથી, GCAS દ્વારા લેવાતો ડેટા ક્યાં ક્યાં ઉપયોગમાં લેવામાં આવે છે, એની માહિતી આપવામાં આવે, કોલેજના મેરીટ લીસ્ટ કયા માપદંડથી બને છે, એની કોઈપણ પ્રકારની માહિતી નથી. જેના કારણે પોર્ટલની પાર્દાશીતા ઉપર સવાલો ઉભા થાય છે, પોર્ટલ ઉપર કોઈ દસ્તાવેજની ચકાસણી શક્ય નથી, વિદ્યાર્થી જે જાતી દર્શાવે, એને જ માની લેવામાં આવે છે, જેથી પ્રવેશ આપવામાં ભુલ થઇ શકે છે, LLB લો કોલેજની પ્રવેશ પ્રક્રિયા શરૂ નથી થઇ, જેને તાત્કાલિક શરૂ કરવામાં આવે, કેટલાક સ્નાતક અભ્યાસક્રમોના છેલ્લા સેમેસ્ટરના પુન: ચકાસણી કે પુરક પરીક્ષાના પરિણામ બાકી છે, ત્યારે PG વિદ્યાર્થીઓ માટે અલગ પ્રવેશ પ્રક્રિયાની વ્યવસ્થા કરવામાં આવે અથવા પરિણામ જાહેર કરવામાં આવે, પોર્ટલ પર કઈ કોલેજમાં કેટલી બેઠકો છે, કેટલી બાકી છે, કટઓફ ક્યાં છે, ફી કેટલી છે અને આરક્ષિત બેઠકો કેટલી છે, એની માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવે એવી માંગણીઓ કરવામાં આવી છે.

Continue Reading

ગુજરાત

બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ગ્રીન એનર્જી : અમદાવાદના સાબરમતી મલ્ટી મોડલ ટ્રાન્ઝીટ હબમાં RESCO થકી લાગ્યો સોલાર રૂફ ટોપ પ્લાન્ટ

Published

on

RESCO થકી 2.73 કરોડના ખર્ચે 700 કિલો વોટનો સોલાર રૂફ ટોપ પ્લાન્ટ લગાવાયો

નવસારી : વીજળી બચાવવા મારે હવે કુદરતી ઉર્જાના સ્ત્રોત ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે, જેમાં સૌર ઉર્જા થકી વીજળી ઉત્પાદન અને તેનો ઉપયોગ સામાન્ય થતુ જાય છે. ત્યારે ભારત સરકારના મહત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદ ખાતે તૈયાર થયેલા સાબરમતી મલ્ટી ટ્રાન્ઝીટ હબ બિલ્ડીંગ (રેલ્વે સ્ટેશન) માં વીજળી મેળવવા 2.73 કરોડ રૂપિયાના ખર્ચે ગુજરાતમાં પ્રથમવાર રીન્યુએબલ એનર્જી સર્વિસ કંપની (RESCO) દ્વારા સોલાર રૂફ ટોપ પ્લાન્ટ લગાવવામાં આવ્યો છે.

સોલાર રૂફ ટોપ પ્લાન્ટ થકી દર વર્ષે 10 લાખ યુનિટ વીજળી ઉત્પન્ન થવાની આશા.!!

ભારત સરકાર દ્વારા દેશમાં પ્રથમ બુલેટ ટ્રેન અમદાવાદથી મુંબઈ સુધી દોડાવવાની તૈયારી છે. જે પ્રોજેક્ટ અનેક બાધાઓ બાદ બુલેટ ગતિએ દોડી રહ્યો છે. જેમાં રેલ્વે ટ્રેક સાથે સાથે રેલ્વે સ્ટેશનો પણ તૈયાર થઇ રહ્યા છે. અમદાવાદ ખાતે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત પ્રથમ રેલ્વે સ્ટેશન એટલે કે સાબરમતી મલ્ટી મોડલ ટ્રાન્ઝીટ હબ બિલ્ડીંગ પૂર્ણતાને આરે છે. ત્યારે સમગ્ર બિલ્ડીંગની વીજળીની જરૂરીયાતને ધ્યાને રાખવા સાથે જ ગ્રીન એનર્જીને અપનાવી નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન કંપની દ્વારા ગુજરાતમાં પ્રથમવાર રીન્યુએબલ એનર્જી સર્વિસ કંપની (RESCO) થકી 2.73 કરોડ રૂપિયાના ખર્ચે 700 કિલો વોટની ક્ષમતા ધરાવતો સોલાર રૂફ ટોપ પ્લાન્ટ નાંખવામાં આવ્યો છે. RESCO થકી લગાવવામાં આવેલ સોલાર રૂફ ટોપ પ્લાન્ટને કારણે કંપનીને આવનારા 25 વર્ષો પ્લાન્ટની જાળવણી ખર્ચ કરવાની ચિંતા પણ ટળી છે. સમગ્ર પ્રોજેક્ટને મળનારી વીજળીનો દર પણ આગામી 25 વર્ષો સુધી પ્રતિ યુનિટ 3.9 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે, જે હાલના DISCOM દર પ્રતિ યુનિટ 11 રૂપિયા કરતા ઘણો નીચો છે. સાથે જ સોલાર રૂફ ટોપ થકી દર વર્ષે 10 લાખ યુનિટ વીજળી ઉત્પન્ન થવાની આશા છે.

RESCO મોડલ હેઠળ નેટ મીટરીંગ માટે મંજૂરી મેળવનારી પ્રથમ કંપની

સાબરમતી હબમાં RESCO મોડ હેઠળ સોલાર રૂફ ટોપ પ્લાન્ટ લગાવીને નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશને દૂરદર્શિતા વાપરીને એક પણ રૂપિયો ખર્ચ કર્યા વિના 25 વર્ષો માટે જરૂરી વીજળી તો મેળવી જ છે. પરંતુ RESCO મોડ હેઠળ નેટ મીટરીંગ માટે મંજૂરી મેળવનારી પ્રથમ કંપની પણ બની છે. સાથે જ કંપનીએ ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (GEDA) માં નોંધણી પણ કરાવી છે.

સાબરમતી હબમાં એક જગ્યાએ જ અનેક ટ્રાન્સપોર્ટ સુવિધાઓનું જોડાણ

અમદાવાદ ખાતે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત તૈયાર થયેલ સાબરમતી મલ્ટી મોડલ ટ્રાન્ઝીટ હબ બિલ્ડીંગમાં એક જગ્યાએ અનેક ટ્રાન્સપોર્ટ સુવિધાઓ મળી રેહશે. સાબરમતી હબમાં બુલેટ ટ્રેનના સ્ટેશન સાથે જ અન્ય ટ્રેન, મેટ્રો, બીઆરટી, રાજ્ય પરિવહનની બસ, ટેક્સી જેવી અનેક ટ્રાન્સપોર્ટ સુવિધાઓનું જોડાણ મળતા મુસાફરોને ઘણી રાહત મળશે. NHSRCL દ્વારા સાબરમતી હબમાં સૌર ઉર્જા થકી વીજળી માટે RESCO મોડના ઉપયોગને પ્રોજેક્ટ અંતર્ગત આવનારા અન્ય રેલ્વે સ્ટેશનો, ઇમારતો, ડેપો અને શેડમાં પણ સૌર ઉર્જાનો ઉપયોગ થશે. જે અન્ય સસ્થાઓને પણ પર્યાવરણને અનુકુળ ટેકનોલોજીનો ઉપયોગ કરવા પ્રેરિત કરશે.

શું છે RESCO મોડલ..?   

વર્તમાન સમયમાં વીજળીથી ચાલતા ઉપકરણો વધવા સાથે જ કંપની, દુકાનો અને ઘરોમાં વીજળીનો ઉપયોગ વધ્યો છે. ત્યારે વીજળી માટે પુન:પ્રાપ્ય ઉર્જા ઉપર ધ્યાન વધ્યું છે, જેમાં પણ સૌર ઉર્જા થકી વીજ ઉત્પાદન કરવા ઓલર રૂફ ટોપ પ્લાન્ટની માંગ પણ વધી છે. સોલાર પ્લાન્ટ થકી ઉત્પન્ન થતી વીજળી, ઘર, કંપની કે દુકાનની વીજળી ફ્રી કરી આપે છે, સાથે જ બચતી વીજળીના વેચાણ થકી રૂપિયા પણ રળી આપે છે. પરંતુ એનો ખર્ચ વધુ હોવાથી ઘણા લોકો સોલાર પ્લાન્ટ લગાવી નથી શકતા. ત્યારે રીન્યુએબલ એનર્જી સર્વિસ કંપની (RESCO) દ્વારા તમારા ઘર, કંપની કે દુકાનની ઈમારત પર કંપનીના ખર્ચે સોલાર પ્લાન્ટ લગાવી આપે છે, સાથે જ એની જાળવણી તેમજ જરૂર પડ્યે સમારકામ પણ કંપની જ કરશે. હવે સોલાર પેનલ થકી ઉત્પન્ન થતી વીજળી કંપની તમને રાહત દરે આપશે અને બાકીની વીજળી ગ્રીડને વેચશે. જેથી વગર રોકાણે અને ઓછા ખર્ચે વીજળી મળતી થશે, જે વીજ કંપની દ્વારા મળતી વીજળીના ખર્ચ કરતા ઓછો હશે.  

Continue Reading

ટેક

ડિવાઈન સ્કૂલના ધોરણ 10 ના વિદ્યાર્થીઓએ ત્રણ દિવસમાં બનાવી ઇલેક્ટ્રિક કાર

Published

on

By

વિજ્ઞાન ગણિત પ્રદર્શનમાં શાળાના 2200 વિદ્યાર્થીઓએ 300 થી વધુ કૃતિઓ રજૂ કરી

નવસારી : નવસારીની જાણિતી ડિવાઈન સ્કૂલ દ્વારા આજથી બે દિવસીય વિજ્ઞાન ગણિત પ્રદર્શન યોજવામાં આવ્યું છે, જેમાં ધોરણ 10 ના વિદ્યાર્થીઓએ માત્ર ત્રણ દિવસમાં જ ટીમવર્ક થકી ઓછા ખર્ચે અને એક ચાર્જમાં 90 કિમી ચાલતી ઇલેક્ટ્રિક કાર આકર્ષણનું કેન્દ્ર રહી હતી. જયારે ડિવાઈન ગ્રુપ ઓફ સ્કૂલની ત્રણ શાળાના 2200 વિદ્યાર્થીઓએ 300 થી વધુ કૃતિઓ રજૂ કરી પોતાની કલ્પના શક્તિ સાથે જ શાળામાં મેળવેલા જ્ઞાનનું ઉત્તમ ઉદાહરણ દર્શાવ્યુ હતુ.

વિદ્યાર્થીઓનાં અભ્યાસ સાથે તેમના બુદ્ધિ કૌશલને વિકસાવવાનો થયો પ્રયાસ

બાળકોમાં પડેલી કલ્પના શક્તિને જાગૃત કરવામાં આવે તો એની સર્જનાત્મક શક્તિ આપોઆપ ખીલતી હોય છે. ત્યારે નવસારીમાં થોડા જ વર્ષોમાં શિક્ષણ ક્ષેત્રે અગ્ર હરોળમાં નામના ધરાવતી ડિવાઈન પબ્લિક સ્કૂલના અંગ્રેજી અને ગુજરાતી માધ્યમ તેમજ CBSC હેઠળની ડિવાઈન ઇન્ટરનેશનલ સ્કૂલ એમ ત્રણેય શાળાઓના વિદ્યાર્થીઓ માટે 27 અને 28 જુલાઈ, બે દિવસ માટે વિજ્ઞાન ગણિત પ્રદર્શન યોજવામાં આવ્યું છે. જેમાં ત્રણેય શાળાના 2 હજારથી વધુ વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસના અનુભવનો ઉપયોગ કરી, વિજ્ઞાન અને ગણિત ક્ષેત્રે પોતાની આઈડિયાને કલ્પના શક્તિની પાંખો આપીને સર્જનાત્મક શક્તિનો પરચો બતાવી અવનવા પ્રોજેક્ટ બનાવ્યા છે. શાળામાં આજે ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. રાજેશ્રી ટંડેલના હસ્તે વિજ્ઞાન ગણિત પ્રદર્શન ખુલ્લું મુકવામાં આવ્યું હતું. આ પ્રસંગે નવસારીની GIDC કોલેજના પ્રાચાર્ય ડૉ. એચ. એસ. પાટીલ તેમજ સુરતની કેવી 3 ONGC શાળાના આચાર્ય આલોક તિવારી અને વાપીની શ્રીમતી સંદ્રાબેન શ્રોફ જ્ઞાનધામ શાળાના આચાર્યા અચલા જોશી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

શાળાના ધોરણ 1 થી લઇ ધોરણ 12 ના વિદ્યાર્થીઓએ પોતાની ક્ષમતાનું કર્યું પ્રદર્શન

ડિવાઈન ગ્રુપ ઓફ સ્કૂલ દ્વારા આજથી બે દિવસ માટે યોજાયેલા વિજ્ઞાન ગણિત પ્રદર્શનમાં શાળાના ગ્રાઉન્ડ ફ્લોરથી ત્રીજા માળ સુધીના તમામ વર્ગોમાં ત્રણેય શાળાના ધોરણ 1 થી 12 સુધીના 2200 વિદ્યાર્થીઓએ 300 થી વધુ કૃતિઓ બનાવી પ્રદર્શિત કરી હતી. જેમાં બાળકોએ વિષય મળ્યા બાદ પોતાની બુદ્ધિનો ઉપયોગ કરી અભ્યાસ સાથે બાહ્ય જ્ઞાનના સહયોગ સાથે શ્રેષ્ઠ કૃતિઓ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં વિજ્ઞાન સાથે કોમર્સના વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા. જેમાં ચંદ્રયાન, ચંદ્રાયન કેવી રીતે કામ કરે છે, રોકેટ સહીત બેંક, પાર્કિંગ, કચરાનું વ્યવસ્થાપન, ગાણિતિક પ્રયોગોને આધારે મોડલ જેવી અનેકવિધ કૃતિઓ તૈયાર કરી, એને વાલીઓને અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી જે ભાષામાં સમજ પડે, એમાં સરળતાથી સમજાવવાનો વિદ્યાર્થીઓએ પ્રયાસ કર્યો હતો. પ્રદર્શનનું આકર્ષણ ધોરણ 10 ના 7 વિદ્યાર્થીઓની ટીમે આધુનિક જમાનામાં ઇલેક્ટ્રિક કાર બનાવવાના આઈડિયા પર કામ કર્યું, જેમાં શાળાના શિક્ષક, પોતાના અનુભવી પિતાના માર્ગદર્શન મેળવી કારની ડીઝાઈન સાથે જ લીથીયમ બેટરીથી એકવારના ચાર્જીંગમાં 90 થી 100 કિમી ચાલતી, માત્ર 30 હજારના ખર્ચથી ઇલેક્ટ્રિક કાર ફક્ત ત્રણ દિવસમાં જ બનાવી દીધી હતી. ઇલેક્ટ્રિક કારનું મોડલ લોખંડની એન્ગલ અને પ્લાયબોર્ડ ઉપર આધારિત હતું, પરંતુ વિદ્યાર્થીઓની ધગસને કારણે ઇલેક્ટ્રિક કારનું એક સફળ મોડલ બનાવી શક્યા હતા. જે શાળામાં આવતા અન્ય શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો સહિત વાલીઓમાં આકર્ષણનું કેન્દ્ર રહી હતી. ઇલેક્ટ્રિક કારને વાલીઓ અને શિક્ષકોએ ચલાવી પણ જોઈ હતી અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. મહત્વની વાત એ રહી કે, વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવેલી તમામ કૃતિઓ વિશે તેને જોવા આવનાર તમામના ફીડબેક પણ લેવામાં આવ્યા હતા, જેથી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળી શકે.

Continue Reading
Advertisement

Trending