નવસારીની AB સ્કૂલના શિક્ષકે વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન ધ્યાનમાં રાખવાની આપી ટીપ
નવસારી : સોમવારથી ધોરણ 10 અને 12 ની બોર્ડ પરીક્ષાઓ શરૂ થઇ રહી છે. એ પૂર્વે વિદ્યાર્થીઓમાં પરીક્ષાને લઇને ડર હોય છે, બે દિવસ અગાઉ વાંસદાની એક વિદ્યાર્થીનીને વાંચેલુ યાદ ન રહેતા, આત્મહત્યા કરવા જતા પોલીસે બચાવી હતી. વિદ્યાર્થીઓની વર્ષ દરમિયાન યોગ્ય તૈયારી ન હોવાને કારણે પરીક્ષા સમયે ડર હોય છે, પણ પરીક્ષા દરમિયાન પ્લાનિંગ સાથે વિદ્યાર્થીઓ પેપર આપે, તો બોર્ડ પરીક્ષા આપવામાં સરળતા રહેવાનું નિષ્ણાંતો માની રહ્યા છે.
સમયમર્યાદામાં અભ્યાસક્રમ પૂર્ણ થાય, તો વિદ્યાર્થીઓને રીવીઝન માટે પુરતો સમય મળે
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 ની પરીક્ષાઓ સોમવારથી શરૂ થવા જઈ રહી છે, પરંતુ પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓમાં બોર્ડ પરીક્ષાના નામનો ડર હોય છે, જેથી ઘણીવાર વિદ્યાર્થીઓ ડિપ્રેશનમાં સરી પડે છે અને વાંચવા છતા યાદ ન રહેવા, સમય મર્યાદામાં લખી ન શકાય જેવી સમસ્યા તેમજ વધુ પડતી ચિંતાને કારણે બીમાર પણ થતા હોય છે. જેના મુખ્ય કારણોમાં વર્ષ દરમિયાન બોર્ડને ધ્યાને રાખીને શાળામાં તૈયારીનો અભાવ જોવા મળે છે, ઘણીવાર વિદ્યાર્થીઓને બોર્ડ પરીક્ષાની પેપર પદ્ધતિ તેમજ 3 કલાકની સમય મર્યાદામાં પેપર કેવી રીતે પુરૂ કરવુ એની સમજણ પણ મળતી નથી. ત્યારે છેલ્લા થોડા વર્ષોમાં જ નવસારી જિલ્લામાં બોર્ડ પરીક્ષામાં ઉત્કૃત્ષ્ટ પરિણામ મેળવનારી નવસારી AB સ્કૂલની સિલેબસ પુરો કરવાની પેટર્ન અને વિદ્યાર્થીઓને રીવીઝન માટે 3 મહિનાનો પુરતો સમય આપવાની સ્ટ્રેટેજી વિદ્યાર્થીઓને બોર્ડ પરીક્ષામાં ચિંતામુક્ત રાખતા હોવાનો આત્મવિશ્વાસ શાળાએ વ્યક્ત કર્યો હતો.
વર્ષ દરમિયાન સતત ટેસ્ટ અને બોર્ડની પદ્ધતિથી જ શાળા પરીક્ષાઓ ભાંગે છે છે બોર્ડ પરીક્ષાનો ડર
AB સ્કૂલના સહ સંસ્થાપક અને શિક્ષક રાકેશ કાલાવાડીયાએ જણાવ્યુ કે, ધોરણ 10 અને 12 માં સમયસર અભ્યાસક્રમ પૂર્ણ ન થવાને કારણે વિદ્યાર્થીઓને રીવીઝન કરવાનો સમય ઓછો થઇ જાય છે. સાથે જ વર્ષ દરમિયાન લેવાતી પરીક્ષામાં પેપર કેવી રીતે લખવુ તેમજ સમય મર્યાદામાં પેપર લખવા શું ધ્યાન રાખવુ એની સમજણ પણ હોતી નથી. બીજું વિદ્યાર્થીઓ કલાકો સુધી વાંચે છે, પણ તેમને વાંચેલું યાદ ન રહેવાની ફરિયાદો હોય છે. ત્યારે અમારી શાળામાં બોર્ડના વર્ષનાં અભ્યાસક્રમને એવી રીતે ભણાવવામાં આવે છે, કે ડિસેમ્બર સુધીમાં સમગ્ર અભ્યાસક્રમ પૂર્ણ કરી લઈએ છીએ. બીજી તરફ અઠવાડિયામાં બે ટેસ્ટ લઈએ છીએ એટલે વિદ્યાર્થીઓને પેપર લખવાની પ્રેક્ટીસ થઇ જાય છે. સાથે જ વર્ષ દરમિયાન બોર્ડની પરીક્ષા પદ્ધતિ અનુસાર, ખાખી બારકોડ સ્ટીકર, પુરવણી બાંધવા સાથેની તમામ પ્રક્રિયાથી અવગત હોય છે. જેમાં પણ ત્રણ મહિનાના રીવીઝન સાથે કુલ 5 મુખ્ય પરીક્ષાઓ લેવામાં આવે છે, એટલે વિદ્યાર્થીને પરીક્ષાનો થોડો પણ ડર રહેતો નથી.
જે પેપર આપી દીધુ એને સોલ્વ કરવાને બદલે આગળના પેપરની તૈયારી કરો
ધોરણ 10 અને 12 ની પરીક્ષા બોર્ડ પરીક્ષા છે, જીવનની અંતિમ પરીક્ષા નથી. આવડશે કે નહીં, પેપર લખી શકાશે કે નહીં, એવો ગભરાટ રાખ્યા વિના પેપર આપવાનું છે. કોઈ એક પેપર નબળું જાય તો ચિંતા કર્યા વિના આગળના બીજા પેપરની તૈયારી શરૂ કરી દેવી જોઈએ. પેપર આપ્યા પછી એને સોલ્વ કરવાની કે એના વિષે વિચારવાનું નથી, કારણ પેપર અપાઈ ગયુ છે, એમાં કાંઈ થવાનું નથી. જેથી એનું ખોટું ટેન્શન બીજા પેપર પર ન આવે એનું ધ્યાન રાખવાનું છે.
વાંચવાનો ટાર્ગેટ રાખો, બે કલાકે બ્રેક લેવો
વાંચતી વેળાએ એકયુરસી ઉપર ધ્યાન રાખવું જોઈએ. ઘણીવાર વાંચ્યા જ કરતા હોય છે, પણ વાંચેલું યાદ રહેતું નથી. જયારે પણ વાંચવા બેસો ત્યારે નક્કી કરો કે કેટલો સમય વાંચશો. ઉદાહરણ તરીકે, હું બે કલાક વાંચીશ. વાંચતી વેળાએ ઉભો પણ ન થાઉં, પાણી પીને બેસીશ અને બે કલાકમાં આટલું કન્ટેન્ટ વાંચવાનું છે એનો ટાર્ગેટ લઈને વાંચવા બેસો, તો ફાયદો થાય. બે કલાક વાંચ્યા બાદ 15 – 20 મિનીટનો બ્રેક લેવો અને ત્યારબાદ ફરી વાંચન શરૂ કરોએ સલાહભરેલું છે.
પરીક્ષામાં પેપર લખો તો છેકછાક ઓછી થાય, સુવાચ્ય અક્ષરે અને મુદ્દાસર જવાબ લખો
પરીક્ષા ખંડમાં પેપર લખતી વખતે વિદ્યાર્થીઓએ ધ્યાનમાં રાખવાની બાબતોમાં પેપર સુવાચ્ય અક્ષરે લખો, જવાબ મુદ્દાસરનો હોય અને છેકછાક ઓછી થાય એનું ધ્યાન રાખવું જોઈએ. પ્રશ્ન નથી આવડતો, તો ખોટા ગપ્પા ન મારો, એની જગ્યાએ જેટલું આવડે છે એને લખો. મુદ્દા પાડીને જવાબ આપો, આકૃતિઓ વ્યવસ્થિત ડ્રો કરો અને નામ નિર્દેશન સારી રીતે લખો તો સારા માર્ક્સ આવી શકે.
નવસારી : નવસારીના ચાપલધરા ગામે હાઈબ્રિડ ગાંજો અને ઝોમ્બી ઈ સિગારેટનું વેચાણ થતુ હોવાની બાતમીને આધારે સ્ટેટ મોનીટરીંગ સેલ પોલીસની ટીમે ગત રોજ છાપો મારી બેની ધરપકડ કરી હતી. પોલીસે ઘટના સ્થળેથી 28.15 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
SMC પોલીસે વાપીના આતિફને વોન્ટેડ જાહેર કર્યો
મળતી માહિતી અનુસાર, સ્ટેટ મોનીટરીંગ સેલ પોલીસની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ચાપલધરા ગામે રહેતો મિલન ધનગર હાઈબ્રિડ ગાંજાનું વેચાણ કરે છે. જેને આધારે ગત રોજ SMC ના PI સી. એચ. પનારા અને તેમની ટીમે ચાપલધરા ગામના વચલા ફળિયા, અંબા માતાજી મંદિર પાછળ રહેતા મિલન ધનગરના ઘરે છાપો માર્યો હતો. છાપા દરમિયાન પોલીસને મિલન પાસેથી 8 લાખ રૂપિયાનો 80 ગ્રામ હાઈબ્રિડ ગાંજો જથ્થો મળી આવ્યો હતો. જેની સાથે જ ગાંજાના સક્રિય ઘટકની હાજરીવાળી (THC) 20 લાખ રૂપિયાની 20 ઈ સિગારેટ પણ મળી આવી હતી. પોલીસે ઘટના સ્થળેથી મિલન સાથે તેના સાથીદાર તન્મયકુમાર પટેલની ધરપકડ કરી હતી. આરોપી મિલનની પૂછપરછમાં હાઈબ્રિડ ગાંજો તેને વાપીના આતિફે પહોંચાડી હતી. જેથી પોલીસે આતિફને વોન્ટેડ જાહેર કર્યો હતો. જ્યારે ઝોમ્બી ઈ સિગારેટ ડાર્ક વેબથી મંગાવી હતી. પોલીસે ઘટના સ્થળેથી હાઈબ્રિડ ગાંજો, ઈ સિગારેટ અને મોબાઈલ ફોન મળી કુલ 28.15 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. સાથે જ સમગ્ર મુદ્દે SMC પોલીસ મથકે ધી નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટેન્સ એક્ટ (NDPS) અને ધી પ્રોહીબિશન એક્ટ ઇલેક્ટ્રોનિક સિગારેટ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ આરંભી છે. ઉલ્લેખનિય છે કે, ગાંજાના સક્રિય ઘટક ધરાવતી ઝોમ્બી ઈ સિગારેટ પકડાયાનો આ ગુજરાતનો પ્રથમ ગુનો છે.
નવસારી : નવસારીના આશાપુરી માતાજી મંદિર પાછળના શોપિંગ સેન્ટર નજીક ઉભેલી કારમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. આગ લાગી, ત્યારે કારમાં એક મહિલા અને બે બાળકો બેઠા હતા, જેઓ સમય સૂચકતા વાપરી કારમાંથી ઉતરી જતા, તેમનો આબાદ બચાવ થયો હતો. અડધો કલાક બાદ ઘટના સ્થળે પહોંચેલી નવસારી ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવ્યો, પરંતુ ત્યાં સુધીમાં કાર સંપૂર્ણ બળીને ખાક થઈ હતી.
કારમાં લાગેલ આગથી AB kids ના ભુલકાઓ મુશ્કેલીમાં મુકાયા, સંચાલકોએ બાળકોને સુરક્ષિત બહાર ખસેડ્યા
નવસારી શહેરના દુધિયા તળાવથી વિજલપોર જતા માર્ગ ઉપર આશાપુરી માતાજીના મંદિર પાછળ આવેલ શોપિંગ સેન્ટરની એક દુકાન બહાર ઉભેલી કારમાં અચાનક આગ લાગતા ભાગદોડ મચી ગઈ હતી. આગ લાગી ત્યારે કારમાં એક મહિલા અને બે બાળકો બેઠા હતા, જેઓ તાત્કાલિક કારમાંથી ઉતરી જતા તેમનો આબાદ બચાવ થયો હતો. જ્યારે કાર માલિકે ફાયર એક્સ્ટીંગ્યુસરથી આગ ઓલવવાનો પ્રયાસ કર્યો, પણ થોડી જ ક્ષણોમાં આગે વિકરાળ રૂપ ધારણ કરતા કાબુમા આવી ન હતી. બીજી તરફ શોપિંગ સેન્ટરમાં ઉપરના માળે AB kids નર્સરી પણ ચાલે છે, કારમાં આગને કારણે ઉઠેલી ઉંચી જ્વાળાઓ અને ધુમાડાને કારણે ઉપર અભ્યાસ કરી રહેલા 100 થી વધુ ભુલકાઓ તેમજ શિક્ષકો મુશ્કેલીમાં મુકાયા હતા. જોકે સંચાલકોએ સમય સૂચકતા વાપરી તમામ બાળકોને પાછળના ગ્રાઉન્ડમાં અને સામે આશાપુરી માતાજી મંદિરમાં સુરક્ષિત ખસેડી લેતા, મોટી દુર્ઘટના ટળી હતી. આગ કાબૂમાં લાવવામાં મુશ્કેલી જણાતા તાત્કાલિક નવસારી ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. પરંતુ ફાયર બ્રિગેડના જવાનો અડધો કલાક બાદ ફાયર ફાઇટર સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા. જેમણે તરત પાણી અને ફોમનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગ ઓલવાઈ તો ગઈ, પણ કાર સંપૂર્ણ બળીને ખાક થતા મોટુ નુકશાન થયુ હતુ.
નેશનલ હેરાલ્ડ કૌભાંડમાં રાહુલ – સોનિયા ગાંધી સામે ED એ ચાર્જશીટમાં લગાવ્યા આરોપ
નવસારી : નેશનલ હેરાલ્ડ કૌભાંડમાં ED દ્વારા ચાર્જશીટમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા સોનિયા ગાંધી અને લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધીના ઉપર આરોપ મઢતા, કોંગ્રેસે ષડયંત્રના આક્ષેપ સાથે ED કાર્યાલય સામે કરેલા વિરોધને ભાજપે વખોડી સામે વિરોધ નોંધાવ્યો હતો. નવસારી જિલ્લા ભાજપ યુવા મોર્ચાએ પણ શહેરના જુનાથાણા સર્કલ પાસે કોંગ્રેસના વિરોધને ખોટો ગણાવી, તેની સામે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યુ હતુ.
નેશનલ હેરાલ્ડ કૌભાંડ પ્રકરણમાં ED દ્વારા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષા સોનિયા ગાંધી અને લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધી સામે આરોપ મઢેલી ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરતા, કોર્ટે આગામી 25 એપ્રિલે સુનવણી આપી છે. ED એ સોનિયા અને રાહુલ ગાંધી સામે આરોપ મઢતા કોંગ્રેસમાં ભૂકંપ જેવી સ્થિતિ બની છે, કોંગ્રેસે ઉગ્રતાથી સમગ્ર પ્રકરણમાં બદલાની ભાવનાથી કાર્યવાહી થતી હોવાના આક્ષેપ સાથે ED કાર્યાલય સામે વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. જેની સામે ભાજપે પણ ન્યાયતંત્રમાં વિશ્વાસ રાખો સૂર સાથે કોંગ્રેસના વિરોધને વખોડી સામે વિરોધ નોંધાવ્યો હતો. જેમાં નવસારી જિલ્લા યુવા મોર્ચાએ જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહની આગેવાનીમાં નવસારી શહેરના જુનાથાણા સર્કલ પાસે ભેગા થઈ સૂત્રોચ્ચાર કરી, વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. સાથે જ કોંગ્રેસે ન્યાયતંત્ર ઉપર વિશ્વાસ રાખી તપાસમાં સહકાર આપવો જોઈએની વાત કરી કોંગ્રેસના વિરોધને વખોડી કાઢ્યો હતો.