નવસારીની AB સ્કૂલના શિક્ષકે વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન ધ્યાનમાં રાખવાની આપી ટીપ
નવસારી : સોમવારથી ધોરણ 10 અને 12 ની બોર્ડ પરીક્ષાઓ શરૂ થઇ રહી છે. એ પૂર્વે વિદ્યાર્થીઓમાં પરીક્ષાને લઇને ડર હોય છે, બે દિવસ અગાઉ વાંસદાની એક વિદ્યાર્થીનીને વાંચેલુ યાદ ન રહેતા, આત્મહત્યા કરવા જતા પોલીસે બચાવી હતી. વિદ્યાર્થીઓની વર્ષ દરમિયાન યોગ્ય તૈયારી ન હોવાને કારણે પરીક્ષા સમયે ડર હોય છે, પણ પરીક્ષા દરમિયાન પ્લાનિંગ સાથે વિદ્યાર્થીઓ પેપર આપે, તો બોર્ડ પરીક્ષા આપવામાં સરળતા રહેવાનું નિષ્ણાંતો માની રહ્યા છે.
સમયમર્યાદામાં અભ્યાસક્રમ પૂર્ણ થાય, તો વિદ્યાર્થીઓને રીવીઝન માટે પુરતો સમય મળે
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 ની પરીક્ષાઓ સોમવારથી શરૂ થવા જઈ રહી છે, પરંતુ પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓમાં બોર્ડ પરીક્ષાના નામનો ડર હોય છે, જેથી ઘણીવાર વિદ્યાર્થીઓ ડિપ્રેશનમાં સરી પડે છે અને વાંચવા છતા યાદ ન રહેવા, સમય મર્યાદામાં લખી ન શકાય જેવી સમસ્યા તેમજ વધુ પડતી ચિંતાને કારણે બીમાર પણ થતા હોય છે. જેના મુખ્ય કારણોમાં વર્ષ દરમિયાન બોર્ડને ધ્યાને રાખીને શાળામાં તૈયારીનો અભાવ જોવા મળે છે, ઘણીવાર વિદ્યાર્થીઓને બોર્ડ પરીક્ષાની પેપર પદ્ધતિ તેમજ 3 કલાકની સમય મર્યાદામાં પેપર કેવી રીતે પુરૂ કરવુ એની સમજણ પણ મળતી નથી. ત્યારે છેલ્લા થોડા વર્ષોમાં જ નવસારી જિલ્લામાં બોર્ડ પરીક્ષામાં ઉત્કૃત્ષ્ટ પરિણામ મેળવનારી નવસારી AB સ્કૂલની સિલેબસ પુરો કરવાની પેટર્ન અને વિદ્યાર્થીઓને રીવીઝન માટે 3 મહિનાનો પુરતો સમય આપવાની સ્ટ્રેટેજી વિદ્યાર્થીઓને બોર્ડ પરીક્ષામાં ચિંતામુક્ત રાખતા હોવાનો આત્મવિશ્વાસ શાળાએ વ્યક્ત કર્યો હતો.
વર્ષ દરમિયાન સતત ટેસ્ટ અને બોર્ડની પદ્ધતિથી જ શાળા પરીક્ષાઓ ભાંગે છે છે બોર્ડ પરીક્ષાનો ડર
AB સ્કૂલના સહ સંસ્થાપક અને શિક્ષક રાકેશ કાલાવાડીયાએ જણાવ્યુ કે, ધોરણ 10 અને 12 માં સમયસર અભ્યાસક્રમ પૂર્ણ ન થવાને કારણે વિદ્યાર્થીઓને રીવીઝન કરવાનો સમય ઓછો થઇ જાય છે. સાથે જ વર્ષ દરમિયાન લેવાતી પરીક્ષામાં પેપર કેવી રીતે લખવુ તેમજ સમય મર્યાદામાં પેપર લખવા શું ધ્યાન રાખવુ એની સમજણ પણ હોતી નથી. બીજું વિદ્યાર્થીઓ કલાકો સુધી વાંચે છે, પણ તેમને વાંચેલું યાદ ન રહેવાની ફરિયાદો હોય છે. ત્યારે અમારી શાળામાં બોર્ડના વર્ષનાં અભ્યાસક્રમને એવી રીતે ભણાવવામાં આવે છે, કે ડિસેમ્બર સુધીમાં સમગ્ર અભ્યાસક્રમ પૂર્ણ કરી લઈએ છીએ. બીજી તરફ અઠવાડિયામાં બે ટેસ્ટ લઈએ છીએ એટલે વિદ્યાર્થીઓને પેપર લખવાની પ્રેક્ટીસ થઇ જાય છે. સાથે જ વર્ષ દરમિયાન બોર્ડની પરીક્ષા પદ્ધતિ અનુસાર, ખાખી બારકોડ સ્ટીકર, પુરવણી બાંધવા સાથેની તમામ પ્રક્રિયાથી અવગત હોય છે. જેમાં પણ ત્રણ મહિનાના રીવીઝન સાથે કુલ 5 મુખ્ય પરીક્ષાઓ લેવામાં આવે છે, એટલે વિદ્યાર્થીને પરીક્ષાનો થોડો પણ ડર રહેતો નથી.
જે પેપર આપી દીધુ એને સોલ્વ કરવાને બદલે આગળના પેપરની તૈયારી કરો
ધોરણ 10 અને 12 ની પરીક્ષા બોર્ડ પરીક્ષા છે, જીવનની અંતિમ પરીક્ષા નથી. આવડશે કે નહીં, પેપર લખી શકાશે કે નહીં, એવો ગભરાટ રાખ્યા વિના પેપર આપવાનું છે. કોઈ એક પેપર નબળું જાય તો ચિંતા કર્યા વિના આગળના બીજા પેપરની તૈયારી શરૂ કરી દેવી જોઈએ. પેપર આપ્યા પછી એને સોલ્વ કરવાની કે એના વિષે વિચારવાનું નથી, કારણ પેપર અપાઈ ગયુ છે, એમાં કાંઈ થવાનું નથી. જેથી એનું ખોટું ટેન્શન બીજા પેપર પર ન આવે એનું ધ્યાન રાખવાનું છે.
વાંચવાનો ટાર્ગેટ રાખો, બે કલાકે બ્રેક લેવો
વાંચતી વેળાએ એકયુરસી ઉપર ધ્યાન રાખવું જોઈએ. ઘણીવાર વાંચ્યા જ કરતા હોય છે, પણ વાંચેલું યાદ રહેતું નથી. જયારે પણ વાંચવા બેસો ત્યારે નક્કી કરો કે કેટલો સમય વાંચશો. ઉદાહરણ તરીકે, હું બે કલાક વાંચીશ. વાંચતી વેળાએ ઉભો પણ ન થાઉં, પાણી પીને બેસીશ અને બે કલાકમાં આટલું કન્ટેન્ટ વાંચવાનું છે એનો ટાર્ગેટ લઈને વાંચવા બેસો, તો ફાયદો થાય. બે કલાક વાંચ્યા બાદ 15 – 20 મિનીટનો બ્રેક લેવો અને ત્યારબાદ ફરી વાંચન શરૂ કરોએ સલાહભરેલું છે.
પરીક્ષામાં પેપર લખો તો છેકછાક ઓછી થાય, સુવાચ્ય અક્ષરે અને મુદ્દાસર જવાબ લખો
પરીક્ષા ખંડમાં પેપર લખતી વખતે વિદ્યાર્થીઓએ ધ્યાનમાં રાખવાની બાબતોમાં પેપર સુવાચ્ય અક્ષરે લખો, જવાબ મુદ્દાસરનો હોય અને છેકછાક ઓછી થાય એનું ધ્યાન રાખવું જોઈએ. પ્રશ્ન નથી આવડતો, તો ખોટા ગપ્પા ન મારો, એની જગ્યાએ જેટલું આવડે છે એને લખો. મુદ્દા પાડીને જવાબ આપો, આકૃતિઓ વ્યવસ્થિત ડ્રો કરો અને નામ નિર્દેશન સારી રીતે લખો તો સારા માર્ક્સ આવી શકે.
નવસારી તાલુકામાં 4 કલાકમાં 4 ઈંચ વરસાદ વરસ્યો, રસ્તા થયા પાણી પાણી
નવસારી : હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ, આજે નવસારીમાં બપોર બાદ ધોધમાર કમોસમી વરસાદ શરૂ થતા જન જીવન પ્રભાવિત થયું હતુ. નવસારી તાલુકામાં જ 4 કલાકમાં 4 ઈંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસેલા માવઠાથી ડાંગર અને ચીકુના ખેડૂતોને માથે હાથ મુકી રોવાનો વારો આવ્યો છે.
ભારે વરસાદથી ગણદેવી બજારમાં ‘નદી’ ના દ્રશ્યો
હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આજે સવારથી નવસારી જિલ્લામાં કાળાંડિબાંગ વાદળો ઘેરાયા હતા અને વાતાવરણમાં બફારા સાથે ઉકળાટ પણ અનુભવાતો હતો. બપોર બાદ સાંજે 4 વાગ્યાથી નવસારી અને જલાલપોર તાલુકામાં શરૂ થયેલા કમોસમી ધોધમાર વરસાદે જનજીવન પ્રભાવિત કર્યુ હતું. નવસારી શહેરના ગ્રીડ, કબીલપોર, જુનાથાણા, લુંસીકુઈ, ઇટાળવા અને સ્ટેશન સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા શહેરના મુખ્ય રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા, જેના પરિણામે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ, ગણદેવી નગરના મુખ્ય બજારમાં પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે જાણે બજારમાંથી કોઈ નદી પસાર થઈ રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા.
કમોસમી વરસાદને કારણે ડાંગર અને ચીકુના પાકને મોટું નુકસાન
કમોસમી વરસાદને કારણે નવસારીના ડાંગર અને ચીકુના પાકને નુકશાનની ભીતિ સેવાઈ રહી છે. કારણ ખેતરોમાં હાલ ડાંગરની કાપણી થઈ રહી છે, જ્યારે કપાયેલી ડાંગર ખેતરમાં સુકવવા મુકી હતી એ ઘણી જગ્યાએ પલળી ગઈ હતી. જેને કારણે ખેડૂતોને મોટા આર્થિક નુકશાનની સંભાવના વધી છે. ચીકુના પાકમાં પણ વરસાદ મોટી નુકશાની આપશે, કારણ ચીકુની પ્રથમ સીઝન લાભ પાંચમથી શરૂ થતી હોય છે, પણ કમોસમી વરસાદને કારણે ચીકુની સાઈઝ અને ઉત્પાદન ઉપર પણ અસર પાડી છે, જેથી ખેડૂતોને આર્થિક નુકશાની વેઠવા પડશે.
સાંજે 4 થી રાતે 8 વાગ્યા સુધીમાં નવસારી તાલુકામાં 4 ઈંચ વરસાદ
નવસારીમાં આખો દિવસ ભારે ઉકળાટ બાદ વીજળીના કડાકા ભડાકા સાથે શરૂ થયેલો ભારે વરસાદે જન જીવનને પ્રભાવિત કર્યું હતું. જેમાં નવસારી તાલુકામાં સાંજે 4 થી રાતે 8 વાગ્યા સુધીમાં 106 મિમી એટલે કે 4.41 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે જલાલપોર તાલુકામાં 46 મિમી (1.91 ઈંચ) વરસાદ નોંધાયો હતો. જ્યારે આન્યા તાલુકાઓમાં ખેરગામ તાલુકામાં 28 મિમી (1.16 ઈંચ), ચીખલી તાલુકામાં 23 મિમી (0.95 ઈંચ) અને ગણદેવીમાં 9 મિમી તથા વાંસદા તાલુકામાં 2 મિમી વરસાદ નોંધાયો હતો.
રાજુલાના ખાનગી કાર્યક્રમમાં યુવાનોને રાજકારણમાં ઉતરવાની કરી હાંકલ
બારડોલી : સોશ્યલ મીડિયામાં ખજૂર – જીગલીના કૉમેડી વીડિયો થકી લોકપ્રિય અને ગરીબોના ઘરો બનાવનાર સામાજિક કાર્યકર નીતિન જાની ઉર્ફે ‘ખજૂરભાઈ’ એ સક્રિય રાજકારણમાં ઝંપલાવવાનો વિચાર કરી, આગામી વર્ષ 2027ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે, જેના કારણે રાજકીય વર્તુળોમાં ગરમાવો આવ્યો છે.
કયા પક્ષ સાથે જોડાશે એ નક્કી નહીં, પણ ચૂંટણી લડવા મક્કમ!
સોશ્યલ મીડિયામાં કૉમેડી વીડિયો થકી નામના મેળવનાર મૂળ બારડોલીના નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈ એ રાજુલાના ખાનગી કાર્યક્રમમાં ઉપસ્થિત યુવાનોને રાજકારણથી દૂર રહેવાને બદલે સક્રિય રીતે જોડાઈ, તેને નવી દિશા આપવા માટે હાંકલ કરી છે. જ્યાં યુવાનોના સવાલના જવાબમાં પોતે પણ 2027 ની વિધાનસભા ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી હતી. આ વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થતાં ‘ખજૂરભાઈ’ ના રાજકારણમાં પ્રવેશની વાત ચર્ચાએ ચઢી છે. જોકે, નીતિન જાનીએ હાલમાં કયા પક્ષમાંથી અને ક્યાંથી ચૂંટણી લડશે તે અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી, પરંતુ 2027 ની ચૂંટણી લડવા માટે તેઓ મક્કમ છે.
પાવર વિના 374 ઘર બનાવ્યા, સત્તા મળશે તો સંખ્યા વધશે
નીતિન જાનીએ અત્યાર સુધીમાં પોતાના કૉમેડી વીડિયો અને સામાજિક કાર્ય થકી કોઈ પણ સરકારી પાવર વિના 374 જેટલા જરૂરિયાતમંદ પરિવારો માટે પાકાં ઘરો બનાવ્યા છે. તેમણે જણાવ્યું કે, જો તેઓ ચૂંટણી લડીને સત્તામાં આવશે તો લોકો માટે ધાબાવાળા પાકાં ઘરો બનાવવાની સંખ્યામાં વધારો કરી શકશે. એટલું જ નહીં, તેમની ઈચ્છા ગુજરાતની ગૌશાળાઓને પણ ધાબાવાળી બનાવવાની છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આઈડિયોલોજીથી પ્રભાવિત છે ખજૂરભાઈ
હાસ્ય કલાકાર નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈનો જન્મ સુરતમાં થયો અને હાલ તેઓ સરદાર પટેલની ભૂમિ બારડોલીમાં રહે છે. જેથી જન્મથી જ સરદાર પટેલ તેમના હીરો રહ્યા છે. જોકે વર્તમાનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કાર્યપધ્ધતિથી તેઓ પ્રભાવિત છે અને વર્ષોથી તેમને પોતાના આઇડલ માને છે. ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી મોદીએ તેમના સમાજસેવાના કાર્યની સરાહના પણ કરી હતી. ત્યારે આગામી સમયમાં તેઓ કયા પક્ષ સાથે જોડાઈને રાજકીય સફર શરૂ કરે છે, એ જોવું રહ્યું.
આસિફ, ઇમરાન અને સિદ્ધુ સિવિલમાં ખસેડાયા, ગ્રામ્ય પોલીસની તપાસ શરૂ
નવસારી : નવસારી શહેરમાં ફરી એકવાર ગેંગવોર જોવા મળી હતી. ગત રાત્રે 12 વાગ્યા આસપાસ વિરાવળ જતા રસ્તા પર, બોસ્ટન ટી સામે બે જૂથ વચ્ચે લોહિયાળ મારામારી થઈ હતી. જેમાં ત્રણ યુવાનો ગંભીર રીતે ઘવાતા તેમને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાંથી એકને ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો.
રીઢા ગુનેગાર સિદ્ધુ થોરાટની ટોળકી અને અન્ય ગેંગ વચ્ચે થઈ હતી મારામારી
મળતી માહિતી અનુસાર, નવસારી શહેરમાં ગત રાતે રીઢા ગુનેગારો વચ્ચે ખુની ખેલ ખેલાયો હતો. શહેરના વિરાવળ નજીક બોસ્ટન ટી સ્ટોલ પાસે થયેલી માથાકૂટમાં બંને જૂથોએ રેમ્બો છરો સાથે ધારદાર હથિયારોથી એકબીજા ઉપર પ્રાણઘાતક વાર કરી મારામારી કરી હતી. જેમાં ત્રણ લોકો ગંભીર રીતે ઘવાયા હતા. જેમાં મારામારીમાં પંકાયેલો સિદ્ધુ થોરાટ, ઈમરાન શેખ અને આસિફને ઘાયલાવસ્થામાં નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાંથી આસિફની સ્થિતિ વધુ ગંભીર જણાતા તેને ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો.
જૂની અદાવત અથવા વર્ચસ્વ માટે ખૂની ખેલ ખેલાયો હોવાનું પ્રાથમિક તારણ
વિવાવળના બોસ્ટન ટી સ્ટોલ પાસે થયેલ આ ખૂની મારમારી જૂની અદાવત અથવા વર્ચસ્વની લડાઈમાં થઈ હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. આ સનસનાટીભરી ઘટનાની જાણ થતાં નવસારી ગ્રામ્ય પોલીસે મારામારી મુદ્દે કાયદેસરની તપાસ શરૂ કરી છે. જ્યારે મોડી રાત્રે થયેલી આ મારામારીને કારણે વિસ્તારમાં તંગદીલીનો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે પોલીસ ચોપડે હજી કોઈ ફરિયાદ નોંધાઈ નથી, પરંતુ સાંજ સુધીમાં ફરિયાદ નોંધાય અને પોલીસ ફરાર થયેલા આરોપીઓને પકડવાની કવાયત શરૂ કરે એવી સંભાવના જોવાઈ રહી છે.
સિદ્ધુ થોરાટ અને તેની ટોળકીનું અગાઉ પોલીસે કાઢ્યું હતું સરઘસ
ઘાયલ થયેલો આરોપી સિદ્ધુ થોરાટ વિજલપોર વિસ્તારમાં રીઢો ગુનેગાર છે અને અગાઉ અનેકવાર મારમારી સહિતના વિવિધ ગુનાઓમાં પોલીસના હાથે પકડાઈ ચૂક્યો છે. જેમાં મારામારીની અન્ય ઘટનામાં પોલીસે સિદ્ધુ અને તેના બે સાથીઓનો ગુનાના રિકંસ્ટ્રક્ષન કરવા સાથે કાયદાનું ભાન કરાવવા જાહેરમાં સરઘસ કાઢ્યું હતું.