Connect with us

દક્ષિણ-ગુજરાત

ખાનગી શાળાઓમાં થતા સ્ટેશનરીના વેપારને રોકવા સ્ટેશનરી એસોસિએશન મક્કમ

Published

on

નવસારી કલેકટર તેમજ જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર આપ્યુ

નવસારી : ખાનગી શાળાઓમાં મોંઘા પબ્લિકેશનના પુસ્તકો સાથે જ અન્ય સ્ટેશનરીના વેચાણને અટકાવવા નવસારી જિલ્લા સ્ટેશનરી એસોસિએશન છેલ્લા ત્રણ વર્ષોથી પ્રયાસ કરી રહ્યુ છે. પરંતુ ખાનગી શાળાઓએ  પોતાની મનમાની ચાલુ રાખી આ વર્ષે પણ એક ચોક્કસ દુકાનેથી પુસ્તકો સહિતની સ્ટેશનરીનો વેપાર કરાવતા સ્ટેશનરી એસોસીએશનના દુકાનદારોમાં રોષની લાગણી છે. શાળાઓ દ્વારા થતા સ્ટેશનરી વેપારને કારણે દુકાનદારોને આર્થિક ફટકો સહન કરવાનો વારો આવે છે, ત્યારે આજે સ્ટેશનરી એસોસિએશન દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી શાળામાં ચાલતા સ્ટેશનરીના વેપારને બંધ કરાવવાની માંગ કરી હતી.

શાળાઓ ખાનગી પ્રકાશનના મોંઘા પુસ્તકો પસંદ કરી, ચલાવે છે વેપાર

નવસારી શહેર અને જિલ્લામાં ચાલતી ખાનગી શાળાઓ સરકારી પાઠ્યપુસ્તકોને બદલે ખાનગી પ્રકાશનોના મોંઘા પુસ્તકોથી બાળકોને ભણાવવાનું પસંદ કરે છે. જેમાં પણ ખાનગી પ્રકાશનો પોતાના ધોરણ અનુસારના પાઠ્યપુસ્તકો શાળા સંચાલકોને બતાવી, સીધા તેમને મોટી ટકાવારી ઓફર કરીને પુસ્તકો પસંદ કરાવી લે છે. ત્યારબાદ પ્રકાશક સીધા અથવા તેમના સ્થાનિક ડિસ્ટ્રીબ્યુટર કે પછી એક સ્થાનિક સ્ટેશનરી દુકાનદાર થકી પુસ્તકો આપવાની વ્યવસ્થા ગોઠવે છે. જેના કારણે અંદાજે 500 થી 1000 અથવા તેનાથી વધુ સંખ્યા ધરાવતી શાળાના પુસ્તકો, તેની સાથે નોટબુક અને અન્ય સ્ટેશનરી કોઇએક જગ્યાએથી જ વેચાય છે અને શાળાને તગડુ કમીશન પણ આપવામાં આવતું હોય છે. જેમાં પણ ધોરણ 1 થી 5 સુધીના પુસ્તકો, નોટબુક વગેરે શાળા જ વેચે છે. જેના કારણે નવસારીના 100 થી વધુ દુકાનદારોને આર્થિક મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. શહેરની મોટાભાગની ખાનગી શાળાઓ આજ પ્રકારે પુસ્તકો, નોટબુક, કલર્સ, પેન પેન્સિલ વગેરેનું વેચાણ કરતી થઇ છે, જેથી શાળાના સત્ર ખુલવા સમયે પણ દુકાનદારોને ગ્રાહક નથી મળતા. થોડા વર્ષો અગાઉ જ્યાં દુકાનદારો 80 ટકા વેપાર કરતા હતા, ત્યાં આજે ફક્ત 20 થી 25 ટકા વેપાર પણ જેમતેમ થાય છે. જેથી ઘણી નાની સ્ટેશનરી દુકાનો તો બંધ થવા પર પહોંચી છે.

સ્ટેશનરી એસોસિએશનની લડત, પણ શિક્ષણ વિભાગની કોઇ કાર્યવાહી નહીં..!!

ખાનગી શાળાઓ અને ખાનગી પબ્લિકેશનોની મિલીભગતમાં અટવાતા સ્ટેશનરી દુકાનદારોના બનેલા નવસારી મેન્યુફેક્ચર્સ એન્ડ સ્ટેશનરી એસોસિએશન દ્વારા છેલ્લા ત્રણ વર્ષોથી શાળાઓમાં ચાલતા સ્ટેશનરીના વેપારને રોકવા માટે પ્રયાસો થઇ રહ્યા છે. પરંતુ શાળાઓ પોતાની મનમાની છોડતી નથી અને જિલ્લા શિક્ષણ વિભાગ પણ આંખ આડા કાન કરતુ હોય એવી સ્થિતિ છે. ત્યારે આજે નવસારી સ્ટેશનરી એસોસિએશન દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને ઉદ્દેશીને નવસારી જિલ્લા શિક્ષણાધિકારી જયેશ ચૌધરીને આવેદનપત્ર આપી ખાનગી શાળાઓમાં ચાલતી સ્ટેશનરીની વેચાણ પ્રવુત્તિને રોકવાની માંગ કરી હતી. સાથે જ એસોસિએશન દ્વારા જિલ્લા અધિક કલેકટર કેતન જોશી અને પ્રાથમિક શિક્ષણાધિકારી અરૂણ અગ્રવાલને પણ મળી, આવેદનપત્ર આપી તેમની વ્યથા વર્ણવી હતી. સ્ટેશનરી એસોસિએશન દ્વારા શાળામાં થતા સ્ટેશનરીના વેચાણને બંધ કરાવવાની માંગ કરી હતી, સાથે જ શાળાઓ અથવા શાળા દ્વારા સુચવેલ ચોક્કસ દુકાનેથી સ્ટેશનરી ખરીદવાનો આગ્રહ ન રાખવામાં અને વાલીઓ કોઇપણ સ્ટેશનરી દુકાનેથી શાળાના પુસ્તકો, નોટબુક અને અન્ય સ્ટેશનરી ખરીદી શકે એવી માંગ પણ ઉચ્ચારવામાં આવી હતી. સ્ટેશનરી એસો. દ્વારા એવી ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી છે કે, બીજેથી સ્ટેશનરી ખરીદવાને કારણે શાળાઓ દ્વારા બાળકોના પરિણામ કે બાળકો સાથે ભેદભાવ ન કરવામાં આવે એવી લાગણી પણ વ્યક્ત કરાઈ હતી.

શિક્ષણ વિભાગના પરિપત્રનો પણ કોઇ ફાયદો નહીં, શાળાઓ પરિપત્રને ઘોળીને પી ગઇ

નવસારી જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા ગત વર્ષે સ્ટેશનરી એસોસિએશનની રજૂઆતોને ધ્યાને લઇ જિલ્લાની તમામ ગ્રાન્ટેડ નોનગ્રાન્ટેડ ખાનગી શાળાઓને પરિપત્ર જાહેર કર્યો હતો. જેમાં શાળામાંથી કોઈપણ પ્રકારની સ્ટેશનરીના વેપારને રોકવા તેમજ કોઈપણ વાલીઓને શાળા કે અમુક ચોક્કસ જગ્યાએથી પુસ્કતો, નોટબુક કે અન્ય સ્ટેશનરી ખરીદવા દબાણ ન કરવામાં આવે એવી સ્પષ્ટ સુચના આપવામાં આવી હતી. તેમછતાં પણ ખાનગી શાળાના સંચાલકો દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીના પરિપત્રને જાણે ઘોળીને પી ગયા હોય એમ, પરિપત્રની કોઈ અમલવારી કરી નથી. જેથી શિક્ષણ વિભાગ શાળામાં વેપાર બંધ કરાવવા કડક કાર્યવાહી કરે એવી આશા નવસારી સ્ટેશનરી એસોસિએશન દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી.

અપરાધ

વાંસદાના ચાપલધરા ગામેથી હાઈબ્રિડ ગાંજા અને ઝોમ્બી ઈ સિગારેટ સાથે બે ઝડપાયા

Published

on

By

ઝોમ્બી ઈ સિગારેટ પકડવાનો ગુજરાતનો પ્રથમ કિસ્સો

નવસારી : નવસારીના ચાપલધરા ગામે હાઈબ્રિડ ગાંજો અને ઝોમ્બી ઈ સિગારેટનું વેચાણ થતુ હોવાની બાતમીને આધારે સ્ટેટ મોનીટરીંગ સેલ પોલીસની ટીમે ગત રોજ છાપો મારી બેની ધરપકડ કરી હતી. પોલીસે ઘટના સ્થળેથી 28.15 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

SMC પોલીસે વાપીના આતિફને વોન્ટેડ જાહેર કર્યો

મળતી માહિતી અનુસાર, સ્ટેટ મોનીટરીંગ સેલ પોલીસની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ચાપલધરા ગામે રહેતો મિલન ધનગર હાઈબ્રિડ ગાંજાનું વેચાણ કરે છે. જેને આધારે ગત રોજ SMC ના PI સી. એચ. પનારા અને તેમની ટીમે ચાપલધરા ગામના વચલા ફળિયા, અંબા માતાજી મંદિર પાછળ રહેતા મિલન ધનગરના ઘરે છાપો માર્યો હતો. છાપા દરમિયાન પોલીસને મિલન પાસેથી 8 લાખ રૂપિયાનો 80 ગ્રામ હાઈબ્રિડ ગાંજો જથ્થો મળી આવ્યો હતો. જેની સાથે જ ગાંજાના સક્રિય ઘટકની હાજરીવાળી (THC) 20 લાખ રૂપિયાની 20 ઈ સિગારેટ પણ મળી આવી હતી. પોલીસે ઘટના સ્થળેથી મિલન સાથે તેના સાથીદાર તન્મયકુમાર પટેલની ધરપકડ કરી હતી. આરોપી મિલનની પૂછપરછમાં હાઈબ્રિડ ગાંજો તેને વાપીના આતિફે પહોંચાડી હતી. જેથી પોલીસે આતિફને વોન્ટેડ જાહેર કર્યો હતો. જ્યારે ઝોમ્બી ઈ સિગારેટ ડાર્ક વેબથી મંગાવી હતી. પોલીસે ઘટના સ્થળેથી હાઈબ્રિડ ગાંજો, ઈ સિગારેટ અને મોબાઈલ ફોન મળી કુલ 28.15 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. સાથે જ સમગ્ર મુદ્દે SMC પોલીસ મથકે ધી નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટેન્સ એક્ટ (NDPS) અને ધી પ્રોહીબિશન એક્ટ ઇલેક્ટ્રોનિક સિગારેટ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ આરંભી છે. ઉલ્લેખનિય છે કે, ગાંજાના સક્રિય ઘટક ધરાવતી ઝોમ્બી ઈ સિગારેટ પકડાયાનો આ ગુજરાતનો પ્રથમ ગુનો છે.

Continue Reading

દક્ષિણ-ગુજરાત

નવસારીના આશાપુરી માતાજી મંદિર પાછળ ઉભેલી કારમાં લાગી આગ

Published

on

By

આગમાં કારમાં સવાર મહિલા અને બે બાળકોનો આબાદ બચાવ

નવસારી : નવસારીના આશાપુરી માતાજી મંદિર પાછળના શોપિંગ સેન્ટર નજીક ઉભેલી કારમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. આગ લાગી, ત્યારે કારમાં એક મહિલા અને બે બાળકો બેઠા હતા, જેઓ સમય સૂચકતા વાપરી કારમાંથી ઉતરી જતા, તેમનો આબાદ બચાવ થયો હતો. અડધો કલાક બાદ ઘટના સ્થળે પહોંચેલી નવસારી ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવ્યો, પરંતુ ત્યાં સુધીમાં કાર સંપૂર્ણ બળીને ખાક થઈ હતી.

કારમાં લાગેલ આગથી AB kids ના ભુલકાઓ મુશ્કેલીમાં મુકાયા, સંચાલકોએ બાળકોને સુરક્ષિત બહાર ખસેડ્યા

નવસારી શહેરના દુધિયા તળાવથી વિજલપોર જતા માર્ગ ઉપર આશાપુરી માતાજીના મંદિર પાછળ આવેલ શોપિંગ સેન્ટરની એક દુકાન બહાર ઉભેલી કારમાં અચાનક આગ લાગતા ભાગદોડ મચી ગઈ હતી. આગ લાગી ત્યારે કારમાં એક મહિલા અને બે બાળકો બેઠા હતા, જેઓ તાત્કાલિક કારમાંથી ઉતરી જતા તેમનો આબાદ બચાવ થયો હતો. જ્યારે કાર માલિકે ફાયર એક્સ્ટીંગ્યુસરથી આગ ઓલવવાનો પ્રયાસ કર્યો, પણ થોડી જ ક્ષણોમાં આગે વિકરાળ રૂપ ધારણ કરતા કાબુમા આવી ન હતી. બીજી તરફ શોપિંગ સેન્ટરમાં ઉપરના માળે AB kids નર્સરી પણ ચાલે છે, કારમાં આગને કારણે ઉઠેલી ઉંચી જ્વાળાઓ અને ધુમાડાને કારણે ઉપર અભ્યાસ કરી રહેલા 100 થી વધુ ભુલકાઓ તેમજ શિક્ષકો મુશ્કેલીમાં મુકાયા હતા. જોકે સંચાલકોએ સમય સૂચકતા વાપરી તમામ બાળકોને પાછળના ગ્રાઉન્ડમાં અને સામે આશાપુરી માતાજી મંદિરમાં સુરક્ષિત ખસેડી લેતા, મોટી દુર્ઘટના ટળી હતી. આગ કાબૂમાં લાવવામાં મુશ્કેલી જણાતા તાત્કાલિક નવસારી ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. પરંતુ ફાયર બ્રિગેડના જવાનો અડધો કલાક બાદ ફાયર ફાઇટર સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા. જેમણે તરત પાણી અને ફોમનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગ ઓલવાઈ તો ગઈ, પણ કાર સંપૂર્ણ બળીને ખાક થતા મોટુ નુકશાન થયુ હતુ.

Continue Reading

ગુજરાત

ED સામેના કોંગ્રેસના વિરોધને ભાજપે વખોડી, સૂત્રોચ્ચાર સાથે નોંધાવ્યો વિરોધ

Published

on

By

નેશનલ હેરાલ્ડ કૌભાંડમાં રાહુલ – સોનિયા ગાંધી સામે ED એ ચાર્જશીટમાં લગાવ્યા આરોપ

નવસારી : નેશનલ હેરાલ્ડ કૌભાંડમાં ED દ્વારા ચાર્જશીટમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા સોનિયા ગાંધી અને લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધીના ઉપર આરોપ મઢતા, કોંગ્રેસે ષડયંત્રના આક્ષેપ સાથે ED કાર્યાલય સામે કરેલા વિરોધને ભાજપે વખોડી સામે વિરોધ નોંધાવ્યો હતો. નવસારી જિલ્લા ભાજપ યુવા મોર્ચાએ પણ શહેરના જુનાથાણા સર્કલ પાસે કોંગ્રેસના વિરોધને ખોટો ગણાવી, તેની સામે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યુ હતુ.

કોંગ્રેસે ન્યાયતંત્ર ઉપર વિશ્વાસ રાખી તપાસમાં સહયોગ કરવો જોઈએ – ભાજપ

નેશનલ હેરાલ્ડ કૌભાંડ પ્રકરણમાં ED દ્વારા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષા સોનિયા ગાંધી અને લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધી સામે આરોપ મઢેલી ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરતા, કોર્ટે આગામી 25 એપ્રિલે સુનવણી આપી છે. ED એ સોનિયા અને રાહુલ ગાંધી સામે આરોપ મઢતા કોંગ્રેસમાં ભૂકંપ જેવી સ્થિતિ બની છે, કોંગ્રેસે ઉગ્રતાથી સમગ્ર પ્રકરણમાં બદલાની ભાવનાથી કાર્યવાહી થતી હોવાના આક્ષેપ સાથે ED કાર્યાલય સામે વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. જેની સામે ભાજપે પણ ન્યાયતંત્રમાં વિશ્વાસ રાખો સૂર સાથે કોંગ્રેસના વિરોધને વખોડી સામે વિરોધ નોંધાવ્યો હતો. જેમાં નવસારી જિલ્લા યુવા મોર્ચાએ જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહની આગેવાનીમાં નવસારી શહેરના જુનાથાણા સર્કલ પાસે ભેગા થઈ સૂત્રોચ્ચાર કરી, વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. સાથે જ કોંગ્રેસે ન્યાયતંત્ર ઉપર વિશ્વાસ રાખી તપાસમાં સહકાર આપવો જોઈએની વાત કરી કોંગ્રેસના વિરોધને વખોડી કાઢ્યો હતો.

 

Continue Reading
Advertisement

Trending