Connect with us

દક્ષિણ-ગુજરાત

ખાનગી શાળાઓમાં થતા સ્ટેશનરીના વેપારને રોકવા સ્ટેશનરી એસોસિએશન મક્કમ

Published

on

નવસારી કલેકટર તેમજ જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર આપ્યુ

નવસારી : ખાનગી શાળાઓમાં મોંઘા પબ્લિકેશનના પુસ્તકો સાથે જ અન્ય સ્ટેશનરીના વેચાણને અટકાવવા નવસારી જિલ્લા સ્ટેશનરી એસોસિએશન છેલ્લા ત્રણ વર્ષોથી પ્રયાસ કરી રહ્યુ છે. પરંતુ ખાનગી શાળાઓએ  પોતાની મનમાની ચાલુ રાખી આ વર્ષે પણ એક ચોક્કસ દુકાનેથી પુસ્તકો સહિતની સ્ટેશનરીનો વેપાર કરાવતા સ્ટેશનરી એસોસીએશનના દુકાનદારોમાં રોષની લાગણી છે. શાળાઓ દ્વારા થતા સ્ટેશનરી વેપારને કારણે દુકાનદારોને આર્થિક ફટકો સહન કરવાનો વારો આવે છે, ત્યારે આજે સ્ટેશનરી એસોસિએશન દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી શાળામાં ચાલતા સ્ટેશનરીના વેપારને બંધ કરાવવાની માંગ કરી હતી.

શાળાઓ ખાનગી પ્રકાશનના મોંઘા પુસ્તકો પસંદ કરી, ચલાવે છે વેપાર

નવસારી શહેર અને જિલ્લામાં ચાલતી ખાનગી શાળાઓ સરકારી પાઠ્યપુસ્તકોને બદલે ખાનગી પ્રકાશનોના મોંઘા પુસ્તકોથી બાળકોને ભણાવવાનું પસંદ કરે છે. જેમાં પણ ખાનગી પ્રકાશનો પોતાના ધોરણ અનુસારના પાઠ્યપુસ્તકો શાળા સંચાલકોને બતાવી, સીધા તેમને મોટી ટકાવારી ઓફર કરીને પુસ્તકો પસંદ કરાવી લે છે. ત્યારબાદ પ્રકાશક સીધા અથવા તેમના સ્થાનિક ડિસ્ટ્રીબ્યુટર કે પછી એક સ્થાનિક સ્ટેશનરી દુકાનદાર થકી પુસ્તકો આપવાની વ્યવસ્થા ગોઠવે છે. જેના કારણે અંદાજે 500 થી 1000 અથવા તેનાથી વધુ સંખ્યા ધરાવતી શાળાના પુસ્તકો, તેની સાથે નોટબુક અને અન્ય સ્ટેશનરી કોઇએક જગ્યાએથી જ વેચાય છે અને શાળાને તગડુ કમીશન પણ આપવામાં આવતું હોય છે. જેમાં પણ ધોરણ 1 થી 5 સુધીના પુસ્તકો, નોટબુક વગેરે શાળા જ વેચે છે. જેના કારણે નવસારીના 100 થી વધુ દુકાનદારોને આર્થિક મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. શહેરની મોટાભાગની ખાનગી શાળાઓ આજ પ્રકારે પુસ્તકો, નોટબુક, કલર્સ, પેન પેન્સિલ વગેરેનું વેચાણ કરતી થઇ છે, જેથી શાળાના સત્ર ખુલવા સમયે પણ દુકાનદારોને ગ્રાહક નથી મળતા. થોડા વર્ષો અગાઉ જ્યાં દુકાનદારો 80 ટકા વેપાર કરતા હતા, ત્યાં આજે ફક્ત 20 થી 25 ટકા વેપાર પણ જેમતેમ થાય છે. જેથી ઘણી નાની સ્ટેશનરી દુકાનો તો બંધ થવા પર પહોંચી છે.

સ્ટેશનરી એસોસિએશનની લડત, પણ શિક્ષણ વિભાગની કોઇ કાર્યવાહી નહીં..!!

ખાનગી શાળાઓ અને ખાનગી પબ્લિકેશનોની મિલીભગતમાં અટવાતા સ્ટેશનરી દુકાનદારોના બનેલા નવસારી મેન્યુફેક્ચર્સ એન્ડ સ્ટેશનરી એસોસિએશન દ્વારા છેલ્લા ત્રણ વર્ષોથી શાળાઓમાં ચાલતા સ્ટેશનરીના વેપારને રોકવા માટે પ્રયાસો થઇ રહ્યા છે. પરંતુ શાળાઓ પોતાની મનમાની છોડતી નથી અને જિલ્લા શિક્ષણ વિભાગ પણ આંખ આડા કાન કરતુ હોય એવી સ્થિતિ છે. ત્યારે આજે નવસારી સ્ટેશનરી એસોસિએશન દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને ઉદ્દેશીને નવસારી જિલ્લા શિક્ષણાધિકારી જયેશ ચૌધરીને આવેદનપત્ર આપી ખાનગી શાળાઓમાં ચાલતી સ્ટેશનરીની વેચાણ પ્રવુત્તિને રોકવાની માંગ કરી હતી. સાથે જ એસોસિએશન દ્વારા જિલ્લા અધિક કલેકટર કેતન જોશી અને પ્રાથમિક શિક્ષણાધિકારી અરૂણ અગ્રવાલને પણ મળી, આવેદનપત્ર આપી તેમની વ્યથા વર્ણવી હતી. સ્ટેશનરી એસોસિએશન દ્વારા શાળામાં થતા સ્ટેશનરીના વેચાણને બંધ કરાવવાની માંગ કરી હતી, સાથે જ શાળાઓ અથવા શાળા દ્વારા સુચવેલ ચોક્કસ દુકાનેથી સ્ટેશનરી ખરીદવાનો આગ્રહ ન રાખવામાં અને વાલીઓ કોઇપણ સ્ટેશનરી દુકાનેથી શાળાના પુસ્તકો, નોટબુક અને અન્ય સ્ટેશનરી ખરીદી શકે એવી માંગ પણ ઉચ્ચારવામાં આવી હતી. સ્ટેશનરી એસો. દ્વારા એવી ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી છે કે, બીજેથી સ્ટેશનરી ખરીદવાને કારણે શાળાઓ દ્વારા બાળકોના પરિણામ કે બાળકો સાથે ભેદભાવ ન કરવામાં આવે એવી લાગણી પણ વ્યક્ત કરાઈ હતી.

શિક્ષણ વિભાગના પરિપત્રનો પણ કોઇ ફાયદો નહીં, શાળાઓ પરિપત્રને ઘોળીને પી ગઇ

નવસારી જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા ગત વર્ષે સ્ટેશનરી એસોસિએશનની રજૂઆતોને ધ્યાને લઇ જિલ્લાની તમામ ગ્રાન્ટેડ નોનગ્રાન્ટેડ ખાનગી શાળાઓને પરિપત્ર જાહેર કર્યો હતો. જેમાં શાળામાંથી કોઈપણ પ્રકારની સ્ટેશનરીના વેપારને રોકવા તેમજ કોઈપણ વાલીઓને શાળા કે અમુક ચોક્કસ જગ્યાએથી પુસ્કતો, નોટબુક કે અન્ય સ્ટેશનરી ખરીદવા દબાણ ન કરવામાં આવે એવી સ્પષ્ટ સુચના આપવામાં આવી હતી. તેમછતાં પણ ખાનગી શાળાના સંચાલકો દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીના પરિપત્રને જાણે ઘોળીને પી ગયા હોય એમ, પરિપત્રની કોઈ અમલવારી કરી નથી. જેથી શિક્ષણ વિભાગ શાળામાં વેપાર બંધ કરાવવા કડક કાર્યવાહી કરે એવી આશા નવસારી સ્ટેશનરી એસોસિએશન દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી.

દક્ષિણ-ગુજરાત

નવસારીમાં કમોસમી વરસાદ, ખેડૂતોની ચિંતામાં વધારો

Published

on

By

નવસારી તાલુકામાં 4 કલાકમાં 4 ઈંચ વરસાદ વરસ્યો, રસ્તા થયા પાણી પાણી

નવસારી : હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ, આજે નવસારીમાં બપોર બાદ ધોધમાર કમોસમી વરસાદ શરૂ થતા જન જીવન પ્રભાવિત થયું હતુ. નવસારી તાલુકામાં જ 4 કલાકમાં 4 ઈંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસેલા માવઠાથી ડાંગર અને ચીકુના ખેડૂતોને માથે હાથ મુકી રોવાનો વારો આવ્યો છે.

ભારે વરસાદથી ગણદેવી બજારમાં ‘નદી’ ના દ્રશ્યો

હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આજે સવારથી નવસારી જિલ્લામાં કાળાંડિબાંગ વાદળો ઘેરાયા હતા અને વાતાવરણમાં બફારા સાથે ઉકળાટ પણ અનુભવાતો હતો. બપોર બાદ સાંજે 4 વાગ્યાથી નવસારી અને જલાલપોર તાલુકામાં શરૂ થયેલા કમોસમી ધોધમાર વરસાદે જનજીવન પ્રભાવિત કર્યુ હતું. નવસારી શહેરના ગ્રીડ, કબીલપોર, જુનાથાણા, લુંસીકુઈ, ઇટાળવા અને સ્ટેશન સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા શહેરના મુખ્ય રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા, જેના પરિણામે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ, ગણદેવી નગરના મુખ્ય બજારમાં પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે જાણે બજારમાંથી કોઈ નદી પસાર થઈ રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા.

કમોસમી વરસાદને કારણે ડાંગર અને ચીકુના પાકને મોટું નુકસાન

કમોસમી વરસાદને કારણે નવસારીના ડાંગર અને ચીકુના પાકને નુકશાનની ભીતિ સેવાઈ રહી છે. કારણ ખેતરોમાં હાલ ડાંગરની કાપણી થઈ રહી છે, જ્યારે કપાયેલી ડાંગર ખેતરમાં સુકવવા મુકી હતી એ ઘણી જગ્યાએ પલળી ગઈ હતી. જેને કારણે ખેડૂતોને મોટા આર્થિક નુકશાનની સંભાવના વધી છે. ચીકુના પાકમાં પણ વરસાદ મોટી નુકશાની આપશે, કારણ ચીકુની પ્રથમ સીઝન લાભ પાંચમથી શરૂ થતી હોય છે, પણ કમોસમી વરસાદને કારણે ચીકુની સાઈઝ અને ઉત્પાદન ઉપર પણ અસર પાડી છે, જેથી ખેડૂતોને આર્થિક નુકશાની વેઠવા પડશે.

સાંજે 4 થી રાતે 8 વાગ્યા સુધીમાં નવસારી તાલુકામાં 4 ઈંચ વરસાદ

નવસારીમાં આખો દિવસ ભારે ઉકળાટ બાદ વીજળીના કડાકા ભડાકા સાથે શરૂ થયેલો ભારે વરસાદે જન જીવનને પ્રભાવિત કર્યું હતું. જેમાં નવસારી તાલુકામાં સાંજે 4 થી રાતે 8 વાગ્યા સુધીમાં 106 મિમી એટલે કે 4.41 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે જલાલપોર તાલુકામાં 46 મિમી (1.91 ઈંચ) વરસાદ નોંધાયો હતો. જ્યારે આન્યા તાલુકાઓમાં ખેરગામ તાલુકામાં 28 મિમી (1.16 ઈંચ), ચીખલી તાલુકામાં 23 મિમી (0.95 ઈંચ) અને ગણદેવીમાં 9 મિમી તથા વાંસદા તાલુકામાં 2 મિમી વરસાદ નોંધાયો હતો.

Continue Reading

ગુજરાત

‘ખજૂરભાઈ’ નીતિન જાની 2027માં ચૂંટણી લડશે!

Published

on

By

રાજુલાના ખાનગી કાર્યક્રમમાં યુવાનોને રાજકારણમાં ઉતરવાની કરી હાંકલ

બારડોલી : સોશ્યલ મીડિયામાં ખજૂર – જીગલીના કૉમેડી વીડિયો થકી લોકપ્રિય અને ગરીબોના ઘરો બનાવનાર સામાજિક કાર્યકર નીતિન જાની ઉર્ફે ‘ખજૂરભાઈ’ એ સક્રિય રાજકારણમાં ઝંપલાવવાનો વિચાર કરી, આગામી વર્ષ 2027ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે, જેના કારણે રાજકીય વર્તુળોમાં ગરમાવો આવ્યો છે.

કયા પક્ષ સાથે જોડાશે એ નક્કી નહીં, પણ ચૂંટણી લડવા મક્કમ!

સોશ્યલ મીડિયામાં કૉમેડી વીડિયો થકી નામના મેળવનાર મૂળ બારડોલીના નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈ એ રાજુલાના ખાનગી કાર્યક્રમમાં ઉપસ્થિત યુવાનોને રાજકારણથી દૂર રહેવાને બદલે સક્રિય રીતે જોડાઈ, તેને નવી દિશા આપવા માટે હાંકલ કરી છે. જ્યાં યુવાનોના સવાલના જવાબમાં પોતે પણ 2027 ની વિધાનસભા ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી હતી. આ વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થતાં ‘ખજૂરભાઈ’ ના રાજકારણમાં પ્રવેશની વાત ચર્ચાએ ચઢી છે. જોકે, નીતિન જાનીએ હાલમાં કયા પક્ષમાંથી અને ક્યાંથી ચૂંટણી લડશે તે અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી, પરંતુ 2027 ની ચૂંટણી લડવા માટે તેઓ મક્કમ છે.

પાવર વિના 374 ઘર બનાવ્યા, સત્તા મળશે તો સંખ્યા વધશે

નીતિન જાનીએ અત્યાર સુધીમાં પોતાના કૉમેડી વીડિયો અને સામાજિક કાર્ય થકી કોઈ પણ સરકારી પાવર વિના 374 જેટલા જરૂરિયાતમંદ પરિવારો માટે પાકાં ઘરો બનાવ્યા છે. તેમણે જણાવ્યું કે, જો તેઓ ચૂંટણી લડીને સત્તામાં આવશે તો લોકો માટે ધાબાવાળા પાકાં ઘરો બનાવવાની સંખ્યામાં વધારો કરી શકશે. એટલું જ નહીં, તેમની ઈચ્છા ગુજરાતની ગૌશાળાઓને પણ ધાબાવાળી બનાવવાની છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આઈડિયોલોજીથી પ્રભાવિત છે ખજૂરભાઈ

હાસ્ય કલાકાર નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈનો જન્મ સુરતમાં થયો અને હાલ તેઓ સરદાર પટેલની ભૂમિ બારડોલીમાં રહે છે. જેથી જન્મથી જ સરદાર પટેલ તેમના હીરો રહ્યા છે. જોકે વર્તમાનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કાર્યપધ્ધતિથી તેઓ પ્રભાવિત છે અને વર્ષોથી તેમને પોતાના આઇડલ માને છે. ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી મોદીએ તેમના સમાજસેવાના કાર્યની સરાહના પણ કરી હતી. ત્યારે આગામી સમયમાં તેઓ કયા પક્ષ સાથે જોડાઈને રાજકીય સફર શરૂ કરે છે, એ જોવું રહ્યું.

Continue Reading

અપરાધ

નવસારીમાં મોડી રાત્રે ગેંગવોર : રેમ્બો ચપ્પુના ઘા ઝીંકાતા ૩ ગંભીર રીતે ઘાયલ

Published

on

By

આસિફ, ઇમરાન અને સિદ્ધુ સિવિલમાં ખસેડાયા, ગ્રામ્ય પોલીસની તપાસ શરૂ

નવસારી : નવસારી શહેરમાં ફરી એકવાર ગેંગવોર જોવા મળી હતી. ગત રાત્રે 12 વાગ્યા આસપાસ વિરાવળ જતા રસ્તા પર, બોસ્ટન ટી સામે બે જૂથ વચ્ચે લોહિયાળ મારામારી થઈ હતી. જેમાં ત્રણ યુવાનો ગંભીર રીતે ઘવાતા તેમને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાંથી એકને ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

રીઢા ગુનેગાર સિદ્ધુ થોરાટની ટોળકી અને અન્ય ગેંગ વચ્ચે થઈ હતી મારામારી

મળતી માહિતી અનુસાર, નવસારી શહેરમાં ગત રાતે રીઢા ગુનેગારો વચ્ચે ખુની ખેલ ખેલાયો હતો. શહેરના વિરાવળ નજીક બોસ્ટન ટી સ્ટોલ પાસે થયેલી માથાકૂટમાં બંને જૂથોએ રેમ્બો છરો સાથે ધારદાર હથિયારોથી એકબીજા ઉપર પ્રાણઘાતક વાર કરી મારામારી કરી હતી. જેમાં ત્રણ લોકો ગંભીર રીતે ઘવાયા હતા. જેમાં મારામારીમાં પંકાયેલો સિદ્ધુ થોરાટ, ઈમરાન શેખ અને આસિફને ઘાયલાવસ્થામાં નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાંથી આસિફની સ્થિતિ વધુ ગંભીર જણાતા તેને ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો.

જૂની અદાવત અથવા વર્ચસ્વ માટે ખૂની ખેલ ખેલાયો હોવાનું પ્રાથમિક તારણ

વિવાવળના બોસ્ટન ટી સ્ટોલ પાસે થયેલ આ ખૂની મારમારી જૂની અદાવત અથવા વર્ચસ્વની લડાઈમાં થઈ હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. આ સનસનાટીભરી ઘટનાની જાણ થતાં નવસારી ગ્રામ્ય પોલીસે મારામારી મુદ્દે કાયદેસરની તપાસ શરૂ કરી છે. જ્યારે મોડી રાત્રે થયેલી આ મારામારીને કારણે વિસ્તારમાં તંગદીલીનો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે પોલીસ ચોપડે હજી કોઈ ફરિયાદ નોંધાઈ નથી, પરંતુ સાંજ સુધીમાં ફરિયાદ નોંધાય અને પોલીસ ફરાર થયેલા આરોપીઓને પકડવાની કવાયત શરૂ કરે એવી સંભાવના જોવાઈ રહી છે.

સિદ્ધુ થોરાટ અને તેની ટોળકીનું અગાઉ પોલીસે કાઢ્યું હતું સરઘસ

ઘાયલ થયેલો આરોપી સિદ્ધુ થોરાટ વિજલપોર વિસ્તારમાં રીઢો ગુનેગાર છે અને અગાઉ અનેકવાર મારમારી સહિતના વિવિધ ગુનાઓમાં પોલીસના હાથે પકડાઈ ચૂક્યો છે. જેમાં મારામારીની અન્ય ઘટનામાં પોલીસે સિદ્ધુ અને તેના બે સાથીઓનો ગુનાના રિકંસ્ટ્રક્ષન કરવા સાથે કાયદાનું ભાન કરાવવા જાહેરમાં સરઘસ કાઢ્યું હતું.

Continue Reading
Advertisement

Trending