Connect with us

કૃષિ

વાતાવરણની માઠી અસર : બજારમાં કેસર કેરીના ભાવ ગગડ્યા

Published

on

25 મે બાદ કેરીનો સારો ફાલ આવવા સાથે ભાવ મળવાની ખેડૂતોને આશા

નવસારી : સતત બદલાતા વાતાવરણ સાથે કેરીની આશા હવે નઠારી નીવડે તો નવાઈ નહી. જેમાં પણ છેલ્લા થોડા દિવસોથી પવનો સાથે માવઠાની અસર વર્તાતા ખેડૂતોની ચિંતા વધી છે. બીજી તરફ નવસારી APMC માં ચાર દિવસોથી સતત કેરીના ભાવમાં સતત ઘટાડો નોઘાઈ રહ્યો છે. જેથી વાતાવરણના મારને કારણે ખેડૂતોને ભાવ ઓછા મળતા આર્થિક નુકશાની વેઠવાનો વારો આવ્યો છે.

અપરિપક્વ કેરીના ફળ બજારમાં ઠાલવવાથી કેરીના ભાવ ઘટ્યાનું અનુમાન

નવસારી જિલ્લાના કેરી પકવતા ખેડૂતો માટે વર્ષની મોસમ શરૂઆતથી જ નબળી રહી છે. નવેમ્બર – ડિસેમ્બર 2023 માં કેરી ઉપર ફલાવરીંગ થવાના દિવસોમાં પડેલા માવઠાએ આમ્રમંજરી ઉપર અસર વર્તાવી હતી. ત્યારબાદ ફેબ્રુઆરી – માર્ચ મહિનામાં પડેલી ગરમીએ સુકારા અને ખરણ વધતા આંબાવાડીમાં 40 થી 50 ટકા જ પાક રહેવાની સંભાવના સેવાઈ હતી. જોકે થયું પણ એવું જ એપ્રિલ મહિનામાં ગરમીનો પારો સતત 38 થી 42 ડીગ્રી જેટલો ઉંચો રહેતા કેરીના ફળ નાના રહી ગયા હતા. પાછળના ફલાવરીંગની પણ હાલમાં આશા બંધાઈ હતી, પણ હાલમાં તોફાની પવનો સાથે થયેલા માવઠાએ જે 30 થી 40 ટકા કેરીનો પાક બચ્યો હતો, એમાં પણ ખેડૂતોની ચિંતા વધી છે. જોકે બીજી તરફ બજારમાં વાતાવરણના બદલાવને કારણે બજારમાં કેરીના ભાવમાં પણ સતત ઘટાડો થઇ રહ્યો છે. જેના પાછળ વાતાવરણ સાથે જ નાના અને અપરિપક્વ ફળ તોડીને બજારમાં ઠલવાઈ રહ્યા છે, જે ગ્રાહક ખરીદે અને 80 ટકા કેરી પાકતી નથી, તેથી ગ્રાહકો પણ ફરી ખરીદી કરવા નીકળતા ન હોવાનું ખેડૂતો અનુમાન લગાવી રહ્યા છે. જોકે 25 મેં પછી કરીનો સારો ફાલ ઉતરશે, એવી આશા પણ ખેડૂતો સેવી રહ્યા છે.

નવસારી APMC માં કેસર કેરીનો ભાવ 2100 થી 1750 ઉપર આવી ગયો

કેરીના પાકને વધુ ગરમી માફક આવતી નથી. પરંતુ છેલ્લા ત્રણ વર્ષોથી વાતાવરણમાં ગરમી વધી છે, જેથી ડીસેમ્બરને બદલે આંબાવાડીઓમાં ફલાવરીંગ મોડુ આવવાથી સીઝન પણ 15 થી 25 દિવસ મોડી શરૂ થાય છે. ત્યારે ભારે પવનો અને માવઠાની અસર સાથે જ હાલમાં મહારાષ્ટ્રમાં ચુંટણીનાં માહોલને લઇને પણ મહારાષ્ટ્રની કેરીની આવક વધી છે. જેથી નવસારી APMC માં કેસરી કેરીનો પ્રતિ મણ ભાવ 2200 થી ઉપર હતો, જે ઘટીને 2000 થી 2100 પર પહોંચ્યો હતો, પરંતુ છેલા 4 દિવસોમાં રોજ 100 થી 150 રૂપિયા ભાવનો ઘટાડો નોંધાયો છે અને હાલ કેસર પ્રતિ મણ 1750 પર પહોંચ્યો છે. કેરીના ભાવ ઘટતા ખેડૂતોને આર્થિક ફટકો સહન કરવાનો વારો આવ્યો છે. જોકે 25 મેં પછી નવસારીમાં ફરી કેરી શરૂ થશે, તો ફળના ગ્રેડિંગ પ્રમાણે ખેડૂતોને સારો ભાવ મળે એવી આશા બંધાઈ છે, જયારે નીચામાં નીચો 1500 રૂપિયાનો ભાવ રહેવાની બજાર નિષ્ણાંતો અનુમાન સેવી રહ્યા છે.

કેરીનો પાક બચાવવા ખેડૂતોએ ઘણી કસરત કરી, પણ કૂદરત સામે લાચાર

વાતાવરણના મારને કારણે ખેડૂતોએ આંબાવાડીઓમાં ફળ બચાવવા જંતુનાશક દવાઓ તેમજ ખાતર પાછળ સારો એવો ખર્ચો કર્યો હતો, પણ કુદરત સામે માનવી હંમેશા પાંગળો જ સાબિત થાય છે, ત્યારે ફરી માવઠા અને પવનોએ ખેડૂતોને રાતા પાણીએ રડવાની સ્થિતિ ઉભી કરી છે, પરંતુ મેં અને જુનમાં ખેડૂતો કેરીનો સારો ભાવ મળશે એવી આશા પણ સેવી રહ્યા છે.

કૃષિ

નવસારીના કુકેરી ગામે ધીમે પગલે આવેલા દીપડાએ શ્વાનનો શિકાર કર્યો

Published

on

By

દીપડાએ કરેલ શ્વાનનો શિકાર CCTV કેમેરામાં થયો કેદ

નવસારી : નવસારી જિલ્લામાં દીપડાઓની સંખ્યા વધી છે અને દીપડાઓ ગ્રામ્ય વિસ્તારમાં પાલતુ પ્રાણીઓને પોતાનો શિકાર બનાવતા હોય છે. ત્યારે ચીખલી તાલુકાના કુકેરી ગામે કૉર્પોરેટ ઓફિસના ઓટલે સુતેલા શ્વાનને ધીમે પગલે આવેલા દીપડાએ પોતાનો શિકાર બનાવ્યો હતો. દીપડાએ કરેલ શ્વાનનો શિકાર CCTV કેમેરામાં કેદ થવા સાથે વાયરલ થતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

ચીખલી વન વિભાગે દીપડાને પાંજરે પુરવાની કાર્યવાહી હાથ ધરી

નવસારી જિલ્લાના પૂર્વ તરફના ગામડાઓ અને તાલુકાઓમાં દીપડાઓની સંખ્યા વધી છે અને દીપડાઓ રહેણાંક વિસ્તારોમાં રાત્રિના સમયે આવીને પાલતુ પ્રાણીઓને પોતાનો શિકાર બનાવી જતા રહે છે. ત્યારે ચીખલી તાલુકાના કુકેરી ગામે સરકારી શાળાની પાછળ આવેલ કોર્પોરેટ ઓફિસના ઓટલે શ્વાન સૂતો હતો. દરમિયાન રાતે 12 વાગ્યા આસપાસ એક કદ્દાવર દીપડો ધીમે પગલે શ્વાનની નજીક આવ્યો અને તેને ગળામાંથી દબોચી પોતાનો શિકાર બનાવીને લઈ ગયો હતો. થોડી જ સેકંડોમાં દીપડાએ કરેલ શ્વાનનો શિકાર CCTV કેમેરામાં કેદ થયા હતા. જે CCTV ફૂટેજ ગામમાં વાયરલ થતા ગ્રામજનોમાં ભયનો માહોલ બન્યો હતો. ઘટનાની જાણ ચીખલી વન વિભાગને કરવામાં આવતા, વન વિભાગ દ્વારા મારણ સાથે પાંજરૂ ગોઠવવાની તજવીજ હાથ ધરી છે. ઉલ્લેખનિય છે કે, કુકેરી તેમજ આસપાસના ગામડાઓમાં અગાઉ પણ દિપડા આંટાફેરા મારતા જોવા મળ્યા છે અને પાલતુ પ્રાણીઓના શિકાર પણ થયા છે. જોકે હવે ગ્રામીણોએ દિપડા સાથે રહેવાનું શીખવા પડશે.

Continue Reading

કૃષિ

જલાલપોરના કરાડી ગામે ગેરકાયદે બાંધેલા ઝીંગાના તળાવો તોડાયા

Published

on

By

જલાલપોર મામલતદારે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલનાં આદેશનો કરાવ્યો અમલ

નવસારી : નવસારી જિલ્લાના કાંઠા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ખાંજણ જમીનમાં બનેલા ઝીંગાના તળાવો ઉપર નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના આદેશાનુસાર જલાલપોર મામલતદારે લાલ આંખ કરી છે. જલાલપોરના કરાડી ગામે પૂર્ણા નદીના કિનારે 4 હેક્ટર જમીનમાં બનેલા 5 ઝીંગા તળાવોને પોલીસ પ્રોટેક્શન સાથે મામલતદારે દૂર કરાવ્યા હતા.

15 JCB મશીનોની મદદથી 5 ઝીંગા તળાવોને તોડી દૂર કરાયા

નવસારી જિલ્લાને 52 કિમી લાંબો દરિયા કિનારો છે. જેની નજીક કાંઠાનાં ગામડાઓની ખાંજણ જમીનમાં મત્સ્યાધ્યોગને પ્રોત્સાહન આપવા ઝીંગાના તળાવો વિકસાવાયા છે. પરંતુ ઘણી જગ્યાએ નિયમોને નેવે મુકીને આડેધડ બનાવી દેવાયેલા ઝીંગાના તળાવો ભરતીનાં પાણી, કે ચોમાસામાં દરિયાને મળતા પાણીને અવરોધે છે અને તેના કારણે કાંઠાના ગામડાઓને મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. જલાલપોર તાલુકાના કરાડી ગામે પૂર્ણા નદીના કિનારે CRZ ના નિયમોનું ઉલ્લંઘન કરીને 4 હેક્ટર જમીનમાં બનાવેલા 5 ઝીંગા તળાવો દૂર કરવા નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલનાં આદેશની જલાલપોર મામલતદારે અમલવારી કરી, ગેરકાયદે બનેલા પાંચેય ઝીંગા તળાવોને દૂર કરાવ્યા હતા. જલાલપોર મામલતદાર મૃણાલદાન ગઢવી આજે પોલીસ પ્રોટેક્શન સાથે 15 JCB મશીનો લઇ કરાડી પહોંચ્યા હતા. જ્યાં તેમણે NGT ના આદેશાનુસાર પૂર્ણા નદી કિનારે ગેરકાયદેસર રીતે નિયમોને નેવે મુકીને બનાવેલા પાંચેય ઝીંગા તળાવોને JCB મશીનની મદદથી તોડીને દૂર કર્યા હતા. આગામી દિવસોમાં પણ જલાલપોર તાલુકાના કાંઠાના ગામોમાં ગેરકાયદેસર રીતે બનેલા ઝીંગા તળાવોને પણ દૂર કરવાની કાર્યવાહી કરવાની તૈયારી પણ તેમણે દર્શાવી હતી.

Continue Reading

કૃષિ

ચીખલીના સાદકપોર ગામેથી વધુ એક દીપડો પાંજરે પુરાયો

Published

on

By

ચીખલી રેંજમાંથી એક મહિનામાં 6 દીપડા પકડાયા

નવસારી : નવસારી જિલ્લામાં દીપડાઓની સંખ્યા વધી રહી છે, જેને કારણે ખેતી અને વાડી વિસ્તારમાં દીપડાઓ દેખાવાની ઘટનાઓ સામાન્ય થઇ રહી છે. જેમાં છેલ્લા થોડા દિવસોથી ચીખલીના સાદકપોર ગામે આંટાફેરા મારતો દીપડો ગત મોડી રાતે પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે.

સાદકપોરમાં પાંજરે પુરાયેલા દીપડાને જંગલમાં છોડવાની તજવીજ હાથ ધરાઈ

નવસારી જિલ્લો દીપડાઓ માટે અભયારણ્ય બની રહ્યું છે. ખાસ કરીને જિલ્લાના આદિવાસી પટ્ટાના તાલુકાઓમાં દીપડાની વસ્તી થોડા વર્ષોમાં ખાસ્સી વધી છે. જેનું કારણ દીપડાઓ માટે આબોહવા માફક આવવા સાથે જ નદી કોતરો સાથે ખેતી અને વાડી વિસ્તાર, જેમાં જંગલી ભુંડ અને મરઘા ફાર્મ થકી શિકાર મળી રહે છે. જોકે દીપડાઓ નજીકની માનવ વસ્તીમાં આવી શ્વાન અને વાછરાડાનો પણ શિકાર કરી લેતા હોય છે. જેમાં પણ છેલ્લા થોડા મહિનાઓમાં દીપડા દેખાવાની ઘટનાઓ સામાન્ય બનવા સાથે વન વિભાગ દ્વારા પણ ઘણા દીપડાઓને પાંજરે પુર્યા છે. ગત રાતે જિલ્લાના ચીખલી તાલુકાના સાદકપોર ગામે બામણીયા ફળિયામાં અલ્પેશ પટેલની વાડીમાં ગોઠવેલા પાંજરામાં શિકારની લાલચમાં એક માદા દીપડો પાંજરે પુરાયો હતો. દીપડાની દહાડ સાંભળીને ગ્રામજનો ભેગા થયા હતા અને ગામના સરપંચે ચીખલી વન વિભાગને જાણ કરતા વનકર્મીઓએ દીપડાનો કબ્જો લઇ, તેને ચીખલી વન કચેરીએ લઇ આવ્યા હતા. જ્યાં વેટરનરી ડોક્ટર દ્વારા દીપડાની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી, જેમાં દીપડો માદા દીપડો હોવા સાથે તેની અંદાજીત ઉંમર 3 વર્ષની હોવાનું ખુલ્યુ હતુ. વન વિભાગ દ્વારા ઉચ્ચ અધિકારીની સૂચના અનુસાર જંગલમાં છોડવાની તજવીજ હાથ ધરવામાં આવશે.

Continue Reading
Advertisement

Trending