Connect with us

અકસ્માત

ઇટાળવા છાપરા માર્ગ પર ઢોર વચ્ચે આવતા કાર તળાવમાં ઉતરી

Published

on

કાર તળાવને કિનારે અટકી જતા, કારમાં સવાર લોકોનો આબાદ બચાવ

નવસારી : નવસારીના ઇટાળવાથી છાપરા જતા માર્ગ પર આજે સાંજે એરૂ તરફ જઈ રહેલી એક કાર સામે અચાનક ઢોર આવી ચડતા, કાર રસ્તાની બાજુમાં આવેલા તળાવમાં ઉતરી ગઈ હતી. ઘટનામાં કાર તળાવ કિનારે જ અટકી જતા, કારમાં સવાર તમામ લોકોનો આબાદ બચાવ થયો હતો.

નવસારી પાલિકા ઢોર પકડવાની કામગીરીના બણગા ફૂંકે, પણ વાસ્તવિકતા અલગ

નવસારી શહેરના ઇટાળવાથી છાપરા જતા માર્ગ ઉપર આજે સાંજે એક કાળા રંગની ઓરા કાર એરૂ તરફ જઈ રહી હતી, દરમિયાન દાંતેજ પાસે એક ગાય અચાનક રસ્તા પર આવી ચડી હતી. જેના કારણે કાર ચાલકે પણ ગાય સાથે અકસ્માત થતો અટકાવવા સ્ટીયરીંગ ફેરવ્યુ અને બચવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં કાર રસ્તાની બાજુમાં આવેલા તળાવની પાળે લગાવેલ ફેન્સીંગ તોડીને તળાવમાં ઉતરી ગઈ હતી. જોકે નસીબ સંજોગે કર તળાવનાં ઉંડા પાણીમાં નહીં, પણ કિનારે જ અટકી જતા કારમાં સવાર લોકોનો જીવમાં જીવ આવ્યો હતો. ઘટના સ્થળે ભેગા થયેલા લોકોએ તાત્કાલિક તળાવ કિનારે ઉતરી કારમાં સવાર તમામ લોકોને બચાવી લીધા હતા. ઘટનાની જાણ થતા નવસરી ગ્રામ્ય પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. ઉલ્લેખનિય છે કે, નવસરી વિજલપોર પાલિકા દ્વારા શહેરમાં રખડતા ઢોર પકડવાની કામગીરી કરાતી હોવાના બણગા ફૂંકવામાં આવે છે, પરંતુ થોડા સમયની કામગીરી બાદ પાલિકા પણ આળસ કરીને બેસી રહે છે. જેના કારણે શહેરમાં રખડતા ઢોરની સંખ્યામાં કોઈ ઘટાડો આવતો નથી. ક્યારેક પશુ પલકો પણ પોતાના ઢોર ચરાવવા જતા અથવા ચરાવીને આવતા સમયે પણ ઢોર ઉપર પુરતું ધ્યાન આપતા ન હોવાથી ઢોર પોતાની મન મરજીથી ગમે ત્યાં ફરતા રહે છે. જેના કારણે વાહનોથી ધમધમતા રસ્તાઓ ઉપર અકસ્માતની ધટના પણ બની જતી હોય છે. જેથી પાલિકા રખડતા ઢોર મુદ્દે યોગ્ય કાર્યવાહી કરે એજ શહેરીજનોની લાગણી રહી છે.

અકસ્માત

નવસારીના વાસણ ગામે ST બસ ઘરમાં ભટકાઈ, દીવાલને નુકશાન

Published

on

By

અકસ્માતમાં 17 માંથી 7 મુસાફરોને સામાન્ય ઈજા

નવસારી : નવસારીના ગણદેવી તાલુકાના ભાગળથી અમલસાડ જઈ રહેલી ST બસ આજે સવારે વાસણ ગામના એક ઘર સાથે ભટકાઈ હતી. અકસ્માતમાં ઘરની દીવાલને નુકશાન થયુ હતું. જ્યારે બસમાં સવાર 17 માંથી 7 મુસાફરોને સામાન્ય ઈજા થવાની માહિતી મળી હતી.

બસ ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત

મળતી માહિતી અનુસાર, નવસારીના બીલીમોરા ST ડેપોની બસ આજે વહેલી સવારે ગણદેવી તાલુકાના ભાગળ ગામેથી 17 મુસાફરોને લઈને અમલસાડ આવવા નીકળી હતી. જે બસ સવારે 7:30 વાગ્યા આસપાસ વાસણ ગામેથી પસાર થતી હતી, ત્યારે અચાનક ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને બસ રસ્તાની કિનારે આવેલા હસમુખ પટેલના ઘરમાં અથડાવી દીધી હતી. ઘર સાથે અથડાતા બસની કેબીન ચગદાઈ ગઈ હતી. જ્યારે ધડાકાભેર અથડાવાને કારણે બસમાં સવાર 17 માંથી 7 મુસાફરોને સામાન્ય ઈજાઓ થઈ હતી. બીજી તરફ બસ અથડાતા હસમુખ પટેલનો પરિવાર પણ ઘરની બહાર દોડી આવ્યો હતો. અકસ્માતમાં ઘરની મુખ્ય દીવાલને નુકશાન થયુ હતું. ઘટનાની જાણ થતા બીલીમોરા ST ડેપોના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સ્થિતિ જાણી હતી. જ્યારે સમગ્ર મુદ્દે ઘર માલિક હસમુખ પટેલે બસ ચાલક સામે ગણદેવી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે, બસ અકસ્માત મુદ્દે ST વિભાગ દ્વારા પણ બસ ચાલક સામે ખાતાકીય કાર્યવાહી કરવામાં આવશે.

Continue Reading

અકસ્માત

કરૂન્તિકા : 4 બદમાશોએ ચાલતી ટ્રેને મોબાઈલ ઝૂંટવતા નીચે પટકાયેલા શિક્ષકે પગ ગુમાવ્યો

Published

on

By

કર્ણાવતી એક્સપ્રેસ ટ્રેનના દરવાજા પાસે બેસી મોબાઈલ પર વાત કરતા હતા શિક્ષક

નવસારી : નવસારીના વિજલપોર રેલ્વે ફાટકથી થોડે દૂર રેલ્વે ટ્રેક ઉપર દોડી રહેલી કર્ણાવતી એક્સપ્રેસ ટ્રેનના દરવાજા પાસે બેસીને મોબાઈલ ઉપર વાત કરી રહેલા શિક્ષકના હાથ ઉપર ચાર બદમાશોએ ઝાપટ મારી મોબાઈલ ઝૂંટવ્યો હતો. પરંતુ શિક્ષક પોતાનું બેલેન્સ ન રાખી શકતા તેઓ પણ ચાલતી ટ્રેને નીચે પટકાયા હતા. જેમાં શિક્ષકના બંને પગમાં ગંભીર ઈજાઓ થતા, તેમને તાત્કાલિક નવસારી સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન શિક્ષકે એક પગ ગુમાવવાની નોબત આવતા કરૂન્તિકા સર્જાઇ હતી.

જ્ઞાન સહાયક તરીકે નોકરી કરતા શિક્ષક સુરતથી વાપી જઇ રહ્યા હતા

મળતી માહિતી અનુસાર, સુરત શહેરના માતાવાડી વિસ્તારમાં રહેતા 35 વર્ષીય રાજેશ ધંધુકિયા શાળામાં જ્ઞાન સહાયક તરીકે ફરજ બજાવે છે. દહેજના લખીગામમાં ફરજ બજાવતા શિક્ષક રાજેશની બદલી વાપીના વાઘછીપા ગામે થઇ હતી. જેથી આજે સવારે કર્ણાવતી એક્સપ્રેસ ટ્રેનમાં રાજેશ ધંધુકિયા વાઘછીપા ગામની શાળા જોવા જઈ રહ્યા હતા. ટ્રેનના દરવાજા પાસે બેઠેલા શિક્ષક રાજેશ મોબાઈલ ઉપર કોઈની સાથે વાત કરી રહ્યા હતા, ત્યારે ટ્રેન નવસારી રેલ્વે સ્ટેશનની વિજલપોર ફાટકથી આગળ આંબેડકર નગર અને રામનગર પાસેથી પસાર થઇ રહી હતી, ત્યારે રેલ્વે ટ્રેક ઉપર ચાર યુવાનો ઉભા હતા. દરમિયાન અચાનક રાજેશના મોબાઈલ ઉપર કોઈએ ઝાપટ મારી અને તેમનો 50 હજાર રૂપિયાનો મોબાઈલ ફોન ઝૂંટવી લીધો હતો. પરંતુ આ ઘટનામાં એક બદમાશનો હાથ રાજેશના બેગમાં ભેરવાય ગયો હતો, જેથી રાજેશ પોતાનું બેલેન્સ ન રાખી શકતા તેઓ પણ ચાલુ ટ્રેને નીચે ટ્રેક પર પટકાયા હતા અને તેમના બંને પગ ટ્રેનમાં આવી જતા ગંભીર રીતે ઘવાયા હતા. ઘટના બાદ ચારેય બદમાશો ઘટના સ્થળેથી ભાગી છૂટ્યા હતા. બીજી તરફ કોઈ ટ્રેનમાંથી પટકાયુ હોવાનું જાણતા જ સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને રાજેશને તાત્કલિક એમ્બ્યુલન્સમાં નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. જ્યાં ફરજ પરના ડોકટરે તેમને ચકાસતા તેમના ડાબા પગના ઘૂંટણ નીચેનો પગ ફક્ત સ્નાયુ ઉપર જ ટકેલો હતો. જેનું ઓપરેશન કરવા છતાં શિક્ષકે પાછળથી પગ કપાવવા પડે એવી સ્થિતિ હતી, જેથી ડોકટરોએ શિક્ષક રાજેશ ધંધુકિયાનો ડાબો પગ કાપવાનો નિર્ણય કર્યો હતો. જયારે જમણા પગમાં પણ ઓપરેશન કરવા પડ્યુ હતું.

સરકાર મદદ રૂપ થાય અને આવા બદમાશોની સામે કડક કાર્યવાહી કરે – રાજેશ ધંધુકિયા

ચાર યુવાનોની મોબાઈક તફડાવવાની લાલચે એક શિક્ષકે પોતાનો પગ ગુમાવવો પડ્યો છે, સાથે જ ઘરમાં કમાઉ એક જ વ્યક્તિ હોવાથી પરિવાર ઉપર પણ આભ તૂટી પડ્યુ હોય એવી સ્થિતિ બની છે. સાથે જ રાજેશ કેવી રીતે નોકરી કરી શકશે એ પણ પ્રશ્ન છે, એક તો જ્ઞાન સહાયક છે અને કાયમી થવાના સપના જોતા હતા. ત્યારે સરકાર તેમની સ્થિતિ વિષે વિચારી મદદરૂપ થાય એવી આશા રાજેશે સેવી છે. સાથે જ મોબાઈલ ઝૂંટવનારા બદમાશોને પકડી, તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે એવી માંગ કરી છે. ઉલ્લેખનિય છે કે, ટ્રેનના દરવાજા પાસે ઉભા રહી કે બેસીને મોબાઈલ જોતા કે વાત કરતા લોકોને આવા બદમાશ યુવાનો રેલ્વે ટ્રેક ઉપર ઉભા રહી ચાલુ ટ્રેને નિશાન બનાવી મોબાઈલ તફડાવી લેતા હોય છે. પરંતુ થોડા હજાર રૂપિયાના મોબાઈલ માટે ક્યારેક કોઈના જીવ પર આવી બને છે અને તેનો પરિવાર લાચાર બની જાય છે. 

બદમાશે ચાલતી ટ્રેને મોબાઈલ ઝુંટવતા, શિક્ષક નીચે પટકાયા, પગ ગુમાવ્યો

Continue Reading

અકસ્માત

નવસારીના ઇટાળવા નજીક અકસ્માત સર્જનાર ST બસ ચાલકની ધરપકડ

Published

on

By

બીલીમોરાથી નવસારી આવતી ST બસની અડફેટે યુવાન મોતને ભેટ્યો હતો

નવસારી : નવસારી ગણદેવી માર્ગ પર શહેરના ઇટાળવા નજીક ગત રોજ બીલીમોરાથી નવસારી આવી રહેલી ST બસની અડફેટે ચઢતા 35 વર્ષીય યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નીપજ્યુ હતુ. જેમાં પોલીસે બસના ચાલકની અકસ્માત મોતના ગુના હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી હતી.

બેદરકારી દાખવનાર બસ ચાલક સામે ST વિભાગ કરશે ખાતાકીય તપાસ

મળતી માહિતી અનુસાર, નવસારી વિજલપોર શહેરના ઇટાળવાના દોઝી ફળિયામાં રહેતો 35 વર્ષીય રાજુ હળપતિ ગત રોજ રાતે 7:30 વાગ્યા આસપાસ પોતાના ફળિયાથી સામે છેડે કોઈ કામ અર્થે જવા નીકળ્યો હતો. પરંતુ રસ્તો ક્રોસ કરવા ગયો ત્યાં જ રાજુ બીલીમોરાથી નવસારી પુર ઝડપે આવી રહેલી ST બસની અડફેટે ચઢ્યો હતો. બસ સાથે ભટકયા બાદ રસ્તા પર પટકાતા બસનું તોતિંગ ટાયર તેના ઉપરથી ફરી જતા, રાજુ હળપતિનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નીપજ્યુ હતું. સમગ્ર પ્રકરણમાં મૃતકની માતા કમળાબેન હળપતિની ફરિયાદના આધારે બસ ચાલક વિરૂદ્ધ અકસ્માત મોતનો ગુનો નોંધ્યો હતો. જેમાં આજે પોલીસે અકસ્માત સર્જનાર ST બસના ચાલક અને વલસાડ જિલ્લાના ડુંગરી તાલુકાના માલવણ ગામના યોગેશ પટેલની ધરપકડ કરી તપાસને વેગ આપ્યો છે. બીજી તરફ ST વિભાગ દ્વારા પણ અકસ્માતમાં ચાલકની બેદરકારી હોવાની વાત કરી, જો ચાલકની જવાબદારી નક્કી થશે તો ખાતાકીય કાર્યવાહી કરવામાં આવશે અને મૃતક યુવાનના પરિવારને કોર્ટના હુકમ વળતરની કાર્યવાહી કરાશે.

Continue Reading
Advertisement

Trending