Connect with us

દક્ષિણ-ગુજરાત

નવસારી કલેક્ટરાલય ખાતે આવેદનપત્ર આપવા આવેલ જૈન સમાજ મૌન ધરણા પર બેઠો

Published

on

અધિક કલેકટરે નીચે આવીને જૈન આચાર્યના હસ્તે આવેદન ન સ્વિકારતા જૈનોમાં આક્રોશ

નવસારી : પાવાગઢમાં જૈન મૂર્તિઓને નુકસાન પહોંચાડી અને તોડી નાંખવાના વિરોધમાં નવસારી સમસ્ત જૈન સંઘ આચાર્ય રાજહંસસુરીશ્વરજીની આગેવાનીમાં જિલ્લા કલેકટરાલય ખાતે આવેદનપત્ર આપવા પહોંચ્યો, જ્યાં અધિક કલેકટર નીચે આવીને આવેદન સ્વિકારેનો આગ્રહ કર્યો, જેની સામે અધિક કલેકટરે નીચે આવવાની ના પાડી, આવેદનપત્ર સ્વિકાર્યા વિના જ કચેરીએથી જતા રહેતા જૈનોમાં આક્રોશ ફેલાયો છે. સાથે જ જ્યાં સુધી આવેદનપત્ર ન લેવાય, ત્યાં સુધી મૌન ધરણા પર બેસી જતા વિવાદ સર્જાયો છે.

હું નીચે આશિર્વાદ લેવા આવું, પણ આવેદન અહીં કેબીનમાં જ આપો – અધિક કલેકટર

પાવાગઢમાં જૈન સમાજની પૌરાણિક પ્રતિમાઓને કોઈકે તોડી નાંખતા સમગ્ર ગુજરાતના જૈન સમાજની લાગણી દુભાઈ છે. જેમાં નવસારીના સમસ્ત જૈન સંઘ દ્વારા ઘટનાને વખોડી દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવે એવી માંગ સાથે આજે સાંજે જિલ્લા કલેકટર કચેરી પહોંચી અધિક કલેકટરને આવેદનપત્ર આપવાનું આયોજન કર્યુ હતું. જેમાં આજે રજા હોવા છતાં અધિક કલેકટર કેતન જોશી ખાસ આવેદનપત્ર લેવા કચેરીએ આવ્યા હતા. દરમિયાન કલેકટર કચેરીએ જૈન સમાજ આચાર્ય રાજહંસસૂરીશ્વરજી મહારાજ તેમજ અન્ય સાધુ સાધ્વીજીઓ સાથે કલેકટર કચેરીએ પહોંચ્યો હતો. શરૂઆતમાં આચાર્ય રાજહંસસુરીશ્વરજી મહારાજે જૈનોને ધર્મના રક્ષણ કાજે ગંભીર થવા અને જૈન સાધુ સાધ્વીઓ ઉપર થતા હુમલાઓ સંદર્ભે એકસંપ થવા આહ્વાન કર્યું હતું. ત્યારબાદ જિલ્લા અધિક કલેકટર કેતન જોશીને આવેદનપત્ર આપવા જવાની તૈયારી થઈ, જૈનાચાર્ય પણ આગેવાનો સાથે જવાના હોવાથી અધિક કલેકટરને વિનંતી કરી ઓફિસના AC અને પંખા બંધ કરાવવામાં આવ્યા હતા. પરંતુ જૈન યુવાનોએ આદિક કલેકટર નીચે આવે એવી જીદ પકડતા આગેવાનો પણ તેમની વાતોમાં આવી ગયા હતા. સાથે જ ત્રણ ત્રણ વાર અધિક કલેકટરને નીચે આવી આવેદન સ્વિકારવા આગ્રહ કર્યો હતો. પરંતુ આદિક કલેક્ટરે ગુરુદેવના આશિર્વાદ લેવા નીચે આવું, પણ આવેદન અહીં કેબિનમાં જ આપોની વાત કરી હતી. પરંતુ જૈનોએ અધિક કલેકટર નીચે આવેની જીદ પકડતા અધિક કલેકટર કેતન જોશી પાછલા દરવાજેથી જતા રહ્યા હતા.

જ્યાં સુધી આવેદન લેવા નહીં આવે, ત્યાં સુધી કલેકટર કચેરીમાં મૌન ધરણા – જૈનાચાર્ય

અધિક કલેકટર નીચે આવેદન સ્વીકારવા નહીં આવી, કચેરી છોડીને જતા રહેતા જૈનોમાં આક્રોશ ફેલાયો હતો. જેમાં જૈનાચાર્ય રાજહંસ સૂરીશ્વરજી મહારાજે પણ કલેટકર જ્યાં સુધી આવેદન લેવા નહીં, આવે ત્યાં સુધી કચેરીમાં જ જેનો મૌન ધરણા ઉપર બેસવાનો આદેશ કરતા, જૈનોએ કલેકટર કચેરીમાં જ જાહેરનામાનો ભંગ કરીને કલેકટર કચેરીમાં જ મૌન ધરણા શરૂ કર્યા હતા. બીજી તરફ જૈન આગેવાનોએ જાહેરનામા સાથે જ આચાર સંહિંતાનો હવાલો આપી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. જેની સાથે જ રાજકીય અને સામાજિક આગેવાનોની મદદથી કલેકટરને આવેદન લેવા પરત આવવા મજબૂર કર્યા હતા. લગભગ એક કલાક બાદ અધિક કલેકટર કેતન જોષીએ પરત કલેકટર કચેરીએ પહોંચી જૈન આગેવાનોના હસ્તે આવેદનપત્ર સ્વિકાર્યું હતું. સાથે જ જતી વખતે જૈનાચાર્ય રાજહંસ સૂરીશ્વરજી મહારાજને વંદન કરી, આશિર્વાદ મેળવ્યા હતા. જ્યારે જૈનાચાર્યએ અધિક કલેકટરને તેમની ત્રણ માંગો સાથેના આવેદનપત્ર ઉપર ગંભીરતાથી વિચારવાની રજૂઆતો કરી હતી. જોકે અધિક કલેકટર જોશીને એમાની માંગણીઓ સરકાર સુધી પહોંચાડવા અને મૂર્તિઓ તોડનારને પકડી પાડી સખત નસિયત કરવાની માંગ પણ કરી હતી.

આવેદન પત્યુ, તો FIR દાખલ થાય ત્યાં સુધી મૌન ધરણા કરી આવેદન ચાલુ રાખવાનો આદેશ

પાવાગઢમાં ઘટેલી ઘટનાને વખોડી જિલ્લા અધિક કલેકટરને આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા. જ્યાં કલેકટરને નીચે બોલાવવાની જૈન યુવાનોની જીદ સામે કલેકટર કચેરી છોડી જતા રહ્યા હતા. જેમાં જ્યાં સુધી આવેદન ન સ્વિકારે ત્યાં સુધી કલેક્ટરાલય ખાતે મૌન ધરણા ઉપર બેસી ગયા હતા. જેમાં અનેક રજૂઆતો બાદ અધિક કલેકટરે ફરી આવી આવેદનપત્ર સ્વિકાર્યું હતું. જોકે આવેદન લેવાય ગયા પછી પણ જૈનાચાર્યએ કલેકટર કચેરી ખાતે જ્યાં સુધી સબંધિત આરોપી સામે FIR ન નોંધાય અને આરોપી સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે ત્યાં સુધી મૌન ધરણા પર બેસી આંદોલન ચાલુ રાખવાનો આગ્રહ રાખ્યો હતો. સાથે જ મંગળવારે સવારે 9 વાગ્યે રેલી યોજી, ક્લેક્ટર કચેરી નજીક જ સભા અને ધરણા કરવાની તૈયારી આરંભી હતી. જેમાં સકળ જૈન સંઘ પણ આંદોલનમાં જોડાયો હતો, પરંતુ જૈનોને સમજાવતા જિલ્લા પોલીસ તેમજ આગેવાનોને નવનેજા પાણી ઉતર્યા હતા. જેમાં બે જૈન સાધુઓ અને બેથી ત્રણ તેમના શિષ્યો ઘટના કલેકટર કચેરીમાં આખી રાત ધરણા કરેનો આગ્રહ રાખ્યો હતો. સાથે જ બીજે દિવસે સવારે ચિંતામણી દેરાસર ખાતેથી વિશાળ સંખ્યામાં જૈનોને ભેગા કરી રેલી કાઢી, કલેકટર કચેરી પાસે સભા કરી આંદોલનની રણનીતિ ઘડી હતી.

 

દક્ષિણ-ગુજરાત

નવસારીમાં કમોસમી વરસાદ, ખેડૂતોની ચિંતામાં વધારો

Published

on

By

નવસારી તાલુકામાં 4 કલાકમાં 4 ઈંચ વરસાદ વરસ્યો, રસ્તા થયા પાણી પાણી

નવસારી : હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ, આજે નવસારીમાં બપોર બાદ ધોધમાર કમોસમી વરસાદ શરૂ થતા જન જીવન પ્રભાવિત થયું હતુ. નવસારી તાલુકામાં જ 4 કલાકમાં 4 ઈંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસેલા માવઠાથી ડાંગર અને ચીકુના ખેડૂતોને માથે હાથ મુકી રોવાનો વારો આવ્યો છે.

ભારે વરસાદથી ગણદેવી બજારમાં ‘નદી’ ના દ્રશ્યો

હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આજે સવારથી નવસારી જિલ્લામાં કાળાંડિબાંગ વાદળો ઘેરાયા હતા અને વાતાવરણમાં બફારા સાથે ઉકળાટ પણ અનુભવાતો હતો. બપોર બાદ સાંજે 4 વાગ્યાથી નવસારી અને જલાલપોર તાલુકામાં શરૂ થયેલા કમોસમી ધોધમાર વરસાદે જનજીવન પ્રભાવિત કર્યુ હતું. નવસારી શહેરના ગ્રીડ, કબીલપોર, જુનાથાણા, લુંસીકુઈ, ઇટાળવા અને સ્ટેશન સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા શહેરના મુખ્ય રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા, જેના પરિણામે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ, ગણદેવી નગરના મુખ્ય બજારમાં પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે જાણે બજારમાંથી કોઈ નદી પસાર થઈ રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા.

કમોસમી વરસાદને કારણે ડાંગર અને ચીકુના પાકને મોટું નુકસાન

કમોસમી વરસાદને કારણે નવસારીના ડાંગર અને ચીકુના પાકને નુકશાનની ભીતિ સેવાઈ રહી છે. કારણ ખેતરોમાં હાલ ડાંગરની કાપણી થઈ રહી છે, જ્યારે કપાયેલી ડાંગર ખેતરમાં સુકવવા મુકી હતી એ ઘણી જગ્યાએ પલળી ગઈ હતી. જેને કારણે ખેડૂતોને મોટા આર્થિક નુકશાનની સંભાવના વધી છે. ચીકુના પાકમાં પણ વરસાદ મોટી નુકશાની આપશે, કારણ ચીકુની પ્રથમ સીઝન લાભ પાંચમથી શરૂ થતી હોય છે, પણ કમોસમી વરસાદને કારણે ચીકુની સાઈઝ અને ઉત્પાદન ઉપર પણ અસર પાડી છે, જેથી ખેડૂતોને આર્થિક નુકશાની વેઠવા પડશે.

સાંજે 4 થી રાતે 8 વાગ્યા સુધીમાં નવસારી તાલુકામાં 4 ઈંચ વરસાદ

નવસારીમાં આખો દિવસ ભારે ઉકળાટ બાદ વીજળીના કડાકા ભડાકા સાથે શરૂ થયેલો ભારે વરસાદે જન જીવનને પ્રભાવિત કર્યું હતું. જેમાં નવસારી તાલુકામાં સાંજે 4 થી રાતે 8 વાગ્યા સુધીમાં 106 મિમી એટલે કે 4.41 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે જલાલપોર તાલુકામાં 46 મિમી (1.91 ઈંચ) વરસાદ નોંધાયો હતો. જ્યારે આન્યા તાલુકાઓમાં ખેરગામ તાલુકામાં 28 મિમી (1.16 ઈંચ), ચીખલી તાલુકામાં 23 મિમી (0.95 ઈંચ) અને ગણદેવીમાં 9 મિમી તથા વાંસદા તાલુકામાં 2 મિમી વરસાદ નોંધાયો હતો.

Continue Reading

ગુજરાત

‘ખજૂરભાઈ’ નીતિન જાની 2027માં ચૂંટણી લડશે!

Published

on

By

રાજુલાના ખાનગી કાર્યક્રમમાં યુવાનોને રાજકારણમાં ઉતરવાની કરી હાંકલ

બારડોલી : સોશ્યલ મીડિયામાં ખજૂર – જીગલીના કૉમેડી વીડિયો થકી લોકપ્રિય અને ગરીબોના ઘરો બનાવનાર સામાજિક કાર્યકર નીતિન જાની ઉર્ફે ‘ખજૂરભાઈ’ એ સક્રિય રાજકારણમાં ઝંપલાવવાનો વિચાર કરી, આગામી વર્ષ 2027ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે, જેના કારણે રાજકીય વર્તુળોમાં ગરમાવો આવ્યો છે.

કયા પક્ષ સાથે જોડાશે એ નક્કી નહીં, પણ ચૂંટણી લડવા મક્કમ!

સોશ્યલ મીડિયામાં કૉમેડી વીડિયો થકી નામના મેળવનાર મૂળ બારડોલીના નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈ એ રાજુલાના ખાનગી કાર્યક્રમમાં ઉપસ્થિત યુવાનોને રાજકારણથી દૂર રહેવાને બદલે સક્રિય રીતે જોડાઈ, તેને નવી દિશા આપવા માટે હાંકલ કરી છે. જ્યાં યુવાનોના સવાલના જવાબમાં પોતે પણ 2027 ની વિધાનસભા ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી હતી. આ વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થતાં ‘ખજૂરભાઈ’ ના રાજકારણમાં પ્રવેશની વાત ચર્ચાએ ચઢી છે. જોકે, નીતિન જાનીએ હાલમાં કયા પક્ષમાંથી અને ક્યાંથી ચૂંટણી લડશે તે અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી, પરંતુ 2027 ની ચૂંટણી લડવા માટે તેઓ મક્કમ છે.

પાવર વિના 374 ઘર બનાવ્યા, સત્તા મળશે તો સંખ્યા વધશે

નીતિન જાનીએ અત્યાર સુધીમાં પોતાના કૉમેડી વીડિયો અને સામાજિક કાર્ય થકી કોઈ પણ સરકારી પાવર વિના 374 જેટલા જરૂરિયાતમંદ પરિવારો માટે પાકાં ઘરો બનાવ્યા છે. તેમણે જણાવ્યું કે, જો તેઓ ચૂંટણી લડીને સત્તામાં આવશે તો લોકો માટે ધાબાવાળા પાકાં ઘરો બનાવવાની સંખ્યામાં વધારો કરી શકશે. એટલું જ નહીં, તેમની ઈચ્છા ગુજરાતની ગૌશાળાઓને પણ ધાબાવાળી બનાવવાની છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આઈડિયોલોજીથી પ્રભાવિત છે ખજૂરભાઈ

હાસ્ય કલાકાર નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈનો જન્મ સુરતમાં થયો અને હાલ તેઓ સરદાર પટેલની ભૂમિ બારડોલીમાં રહે છે. જેથી જન્મથી જ સરદાર પટેલ તેમના હીરો રહ્યા છે. જોકે વર્તમાનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કાર્યપધ્ધતિથી તેઓ પ્રભાવિત છે અને વર્ષોથી તેમને પોતાના આઇડલ માને છે. ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી મોદીએ તેમના સમાજસેવાના કાર્યની સરાહના પણ કરી હતી. ત્યારે આગામી સમયમાં તેઓ કયા પક્ષ સાથે જોડાઈને રાજકીય સફર શરૂ કરે છે, એ જોવું રહ્યું.

Continue Reading

અપરાધ

નવસારીમાં મોડી રાત્રે ગેંગવોર : રેમ્બો ચપ્પુના ઘા ઝીંકાતા ૩ ગંભીર રીતે ઘાયલ

Published

on

By

આસિફ, ઇમરાન અને સિદ્ધુ સિવિલમાં ખસેડાયા, ગ્રામ્ય પોલીસની તપાસ શરૂ

નવસારી : નવસારી શહેરમાં ફરી એકવાર ગેંગવોર જોવા મળી હતી. ગત રાત્રે 12 વાગ્યા આસપાસ વિરાવળ જતા રસ્તા પર, બોસ્ટન ટી સામે બે જૂથ વચ્ચે લોહિયાળ મારામારી થઈ હતી. જેમાં ત્રણ યુવાનો ગંભીર રીતે ઘવાતા તેમને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાંથી એકને ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

રીઢા ગુનેગાર સિદ્ધુ થોરાટની ટોળકી અને અન્ય ગેંગ વચ્ચે થઈ હતી મારામારી

મળતી માહિતી અનુસાર, નવસારી શહેરમાં ગત રાતે રીઢા ગુનેગારો વચ્ચે ખુની ખેલ ખેલાયો હતો. શહેરના વિરાવળ નજીક બોસ્ટન ટી સ્ટોલ પાસે થયેલી માથાકૂટમાં બંને જૂથોએ રેમ્બો છરો સાથે ધારદાર હથિયારોથી એકબીજા ઉપર પ્રાણઘાતક વાર કરી મારામારી કરી હતી. જેમાં ત્રણ લોકો ગંભીર રીતે ઘવાયા હતા. જેમાં મારામારીમાં પંકાયેલો સિદ્ધુ થોરાટ, ઈમરાન શેખ અને આસિફને ઘાયલાવસ્થામાં નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાંથી આસિફની સ્થિતિ વધુ ગંભીર જણાતા તેને ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો.

જૂની અદાવત અથવા વર્ચસ્વ માટે ખૂની ખેલ ખેલાયો હોવાનું પ્રાથમિક તારણ

વિવાવળના બોસ્ટન ટી સ્ટોલ પાસે થયેલ આ ખૂની મારમારી જૂની અદાવત અથવા વર્ચસ્વની લડાઈમાં થઈ હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. આ સનસનાટીભરી ઘટનાની જાણ થતાં નવસારી ગ્રામ્ય પોલીસે મારામારી મુદ્દે કાયદેસરની તપાસ શરૂ કરી છે. જ્યારે મોડી રાત્રે થયેલી આ મારામારીને કારણે વિસ્તારમાં તંગદીલીનો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે પોલીસ ચોપડે હજી કોઈ ફરિયાદ નોંધાઈ નથી, પરંતુ સાંજ સુધીમાં ફરિયાદ નોંધાય અને પોલીસ ફરાર થયેલા આરોપીઓને પકડવાની કવાયત શરૂ કરે એવી સંભાવના જોવાઈ રહી છે.

સિદ્ધુ થોરાટ અને તેની ટોળકીનું અગાઉ પોલીસે કાઢ્યું હતું સરઘસ

ઘાયલ થયેલો આરોપી સિદ્ધુ થોરાટ વિજલપોર વિસ્તારમાં રીઢો ગુનેગાર છે અને અગાઉ અનેકવાર મારમારી સહિતના વિવિધ ગુનાઓમાં પોલીસના હાથે પકડાઈ ચૂક્યો છે. જેમાં મારામારીની અન્ય ઘટનામાં પોલીસે સિદ્ધુ અને તેના બે સાથીઓનો ગુનાના રિકંસ્ટ્રક્ષન કરવા સાથે કાયદાનું ભાન કરાવવા જાહેરમાં સરઘસ કાઢ્યું હતું.

Continue Reading
Advertisement

Trending