Connect with us

દક્ષિણ-ગુજરાત

શિક્ષકોએ આધુનિક ટેકનોલોજી પ્રમાણે વિદ્યાર્થીઓનું ઘડતર કરવુ પડશે. – પરેશ દેસાઇ

Published

on

નવસારી જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકો અને શાળાઓને એવોર્ડથી સન્માનિત કરાયા

નવસારી : 5 મી સપ્ટેમ્બર એટલે શિક્ષકોને સન્માનિત કરવાનો દિવસ. નવસારી જિલ્લામાં પણ વર્ષ દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરનારા શિક્ષકોને આજે જિલ્લા પંચાયત પ્રમુખ પરેશ દેસાઇના હસ્તે પોંખવામાં આવ્યા હતા. સાથે જ બોર્ડ પરીક્ષામાં જિલ્લામાં 100 ટકા પરિણામ મેળવનારી શાળાઓને પણ સન્માનિત કરવામાં આવી હતી.

પ્રતિભાશાળી બાળકોનું પણ કરાયુ વિશેષ સન્માન

નવસારી જિલ્લા શિક્ષણ વિભાગ અને જિલ્લા વહીવટીતંત્રના સંયુકત ઉપક્રમે આજે નવસારી તાલુકાના ખડસુપા ખાતે આવેલ એમ. એન. વિદ્યાલય ખાતે જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સન્માન સમારોહ જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઇ દેસાઇના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો. જ્યાં નવસારી જિલ્લાના પસંદગી પામેલ શ્રેષ્ઠ શિક્ષકોનું શાલ, પ્રશસ્તિપત્ર તથા રોકડ પુરસ્કાર આપી, જિલ્લા પંચાયત પ્રમુખ પરેશ દેસાઇ તેમજ અન્ય મહાનુભાવોને હાથે સન્માન કરવામાં આવ્યુ હતુ. સાથે જ જિલ્લામાં બોર્ડ પરીક્ષામાં 100 ટકા પરિણામ મેળવનારી શાળાઓ અને પ્રતિભાશાળી બાળકોનું પણ વિશેષ સન્માન કરાયુ હતુ.

શિક્ષક સમુદાય રાષ્ટ્ર ઘડતર, ચારિત્ર્ય નિર્માણ અને જ્ઞાન સમૃધ્ધ ભાવિ પેઢીના નિર્માતા બને તે આવશ્યક છે.

સમારોહમાં જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઇ દેસાઇએ જણાવ્યુ કે, શિક્ષકો પાસે સમાજને બહુ મોટી અપેક્ષાઓ રહેલી છે. માતા-પિતા તેમના સંતાનને વિદ્યા સંસ્કાર મળે તે માટે શિક્ષક પાસે શ્રધ્ધાથી મૂકે છે કે, જયાં તેનું ચારિત્ર્ય, ક્ષમતા, બુધ્ધિચાતુર્ય બધુ જ શિક્ષક એટલે ગુરૂજન ઘડશે. શિક્ષક લાગણીઓથી ભરપૂર એવા જીવંત વ્યકિતોઓને કંડારીને તેને સુંદર બનાવે છે. ભારતની સંસ્કૃતિ ગુરુ-શિષ્યની રહેલી છે. હવે શિક્ષકોએ આધુનિક ટેકનોલોજી પ્રમાણે વિદ્યાર્થીઓનું ઘડતર કરવું પડશે. શિક્ષક સમુદાય રાષ્ટ્ર ઘડતર, ચારિત્ર્ય નિર્માણ અને જ્ઞાન સમૃધ્ધ ભાવિ પેઢીના નિર્માતા બને તે આવશ્યક છે. આ સાથે જ તેમણે વિદ્યાર્થીઓને શાળામાં અભ્યાસની સાથે સ્વચ્છતા રાખવા અને પાણીનો બગાડ નહીં કરવાની અપીલ પણ કરી હતી.

શિક્ષણની સાથે સાથે જીવન ઘડતર અને વ્યક્તિત્વ વિકાસનું શિક્ષણ આપવું એ દરેક શિક્ષકની નૈતિક જવાબદારી છે.

જિલ્લા કલેકટર ક્ષિપ્રા અગ્રેએ પારિતોષિક મેળવનાર શ્રેષ્ઠ શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતાં. સાથે જ તેમણે પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના 5 સપ્ટેમ્બરને સમગ્ર દેશમાં શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે. ડૉ. રાધાકૃષ્ણના નિબંધ-લેખનની શિખામણ આપણા જીવનમાં ઉતારવાની જરૂર છે. તેઓ દ્વારા શિક્ષણની સાથે સાથે વ્યક્તિત્વના વિકાસ માટે જે પ્રયાસો થયા તેનો આપણે અમલ કરી શિક્ષણ આપીશું તો જ શિક્ષક દિનની ઉજવણી સાર્થક ગણાશે. સમાજના નિર્માણમાં શિક્ષિત વ્યક્તિની ભૂમિકા મહત્વની છે. ભારતને વિકસીત દેશની હરોળમાં આવવા માટે માનવ સંશાધનના વિકાસની જરૂર છે. જે માટે શૈક્ષણિક સંસ્થાઓની મહત્વની ભૂમિકા છે. ત્યારે શિક્ષકોએ ખાસ ધ્યાન કેન્દ્રીત કરીને શિક્ષણની સાથે સાથે જીવન ઘડતર અને વ્યક્તિત્વ વિકાસનું શિક્ષણ આપવું એ દરેક શિક્ષકની નૈતિક જવાબદારી છે.

સમારોહમાં મહાનુભાવો સાથે શિક્ષકો પણ રહ્યા ઉપસ્થિત

કાર્યક્રમના પ્રારંભમાં જિલ્લા શિક્ષણ અને તાલીમના આચાર્ય ડો. યોગેશભાઇ પટેલે મહેમાનોને આવકારી પ્રાસંગિક પ્રવચન કર્યુ હતુ. સાથે જ નવસારીના આદિવાસી બાહુલ્ય ધરાવતા વાંસદા તાલુકાની રંગપુર પ્રાથમિક શાળાના શિક્ષક કેતન સોલંકીને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક પુરસ્કાર મેળવવા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી. સમારોહમાં જિલ્લા શિક્ષણાધિકારી જયેશભાઇ ચૌધરી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો. અરૂણકુમાર અગ્રવાલ સહિત અધિકારીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

દક્ષિણ-ગુજરાત

નવસારી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, 5 તાલુકાઓમાં અડધો ઇંચથી વધુ વરસાદ નોંધાયો

Published

on

By

આગામી 24 કલાકમાં નવસારીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

નવસારી : નવસારી જિલ્લામાં વરસાદની વધીવત શરૂઆત થઇ છે અને પ્રથમ ઇનિંગમાં જ મેઘરાજાએ જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરાવી દીધી છે. નવસારીમાં આજે વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ સાથે વરસાદ વરસતા 5 તાલુકાઓમાં અડધો ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો, જયારે એક તાલુકામાં 7 મિમી વરસાદ પડ્યો છે. બીજી તરફ હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકમાં નવસારી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

જિલ્લામાં વરસાદી ઝાપટાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી

ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઇ છે. રાજયના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદે જન જીવન પ્રભાવિત કર્યુ છે. ત્યારે દક્ષિણના નવસારી જિલ્લામાં પણ ગત રોજથી બનેલા વરસાદી માહોલથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ચોમાસાની વિધિવત શરૂઆત થતા ખેડૂતો પણ હરખાયા છે, જોકે કામોસમી વરસાદને કારણે ડાંગર પકવતા ખેડૂતોની સ્થિતિ કફોડી થઇ હતી, મોડે મોડે ડાંગર કાપ્યા બાદ તેને મહામહેનતે વેચી શક્યા છે, ત્યાં ખેડૂતો હવે ચોમાસું ડાંગરની તૈયારીમાં જોતરાયા છે. આજે સવારથી નવસારી જિલ્લામાં થોડા થોડા સમયે પડેલા વરસાદી ઝાપટાથી રાતે 10 વાગ્યે પુરા થતા 16 કલાકમાં જિલ્લાના 5 તાલુકાઓમાં અડધો ઇંચ કે તેથી વધુ વરસાદ નોંધાયો છે, જયારે એક ખેરગામ તાલુકામાં ફક્ત 7 મિમી વરસાદ પડ્યો હતો.

નવસારી જિલ્લામાં રાતે 10 વાગ્યે પુરા થતા 16 કલાકના વરસાદી આંકડા

નવસારી : 17 મિમી,           ચીખલી : 16 મિમી,

જલાલપોર : 14 મિમી,         ખેરગામ : 07 મિમી,

ગણદેવી : 17 મિમી,            વાંસદા : 20 મિમી.

Continue Reading

દક્ષિણ-ગુજરાત

દેવધા સ્થિત દેવસરોવર ડેમના 20 દરવાજા ખોલાયા, 20 બાકી

Published

on

By

અંબિકા નદી કિનારાનાં 16 ગામોને કરાયા એલર્ટ

નવસારી : નવસારીના ગણદેવી તાલુકાના દેવધા ગામ પાસે અંબિકા નદી ઉપર બનેલ દેવ સરોવર ટાઇડલ ડેમના 40 માંથી 20 દરવાજાને આજે અધિકારીઓની ઉપસ્થિતિમાં ખોલવામાં આવ્યા હતા. ડેમના દરવાજા ખોલતા પૂર્વે અંબિકા કિનારાના 16 ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા.

ગણદેવી અને બીલીમોરા શહેર અને 20 થી વધુ ગામો માટે દેવ સરોવર ડેમ જીવાદોરી સમાન

નવસારી જિલ્લાનો ગણદેવી તાલુકો નંદનવન તરીકે ઓળખાય છે. કારણ અહીં ચીકુ અને આંબાવાડીઓ મોટા પ્રમાણ છે, સાથે જ ડાંગર તેમજ શેરડી સાથે જ અન્ય બાગાયતી પાકોનું ઉત્પાદન પણ ગણદેવીમાં થાય છે. ત્યારે ગણદેવી અને બીલીમોરા શહેર તેમજ અંબિકા નદીના કિનારાના 20 થી વધુ ગામોને પીવાના પાણી સાથે જ સિંચાઈ માટે પુરતું પાણી મળી રહે એ હેતૂથી તાલુકાના દેવધા ગામ નજીક અંબિકા ઉપર દેવ સરોવર ટાઇડલ ડેમ (દેવધા ડેમ) બનાવવામાં આવ્યો હતો. અંબિકા નદીમાં ચોમાસા પૂર્વે પાણીની આવક વધતા ડેમના દરવાજા ડ્રેનેજ વિભાગ દ્વારા ખોલી નાંખવામાં આવે છે. નવસારીના ઉપરવાસના જિલ્લા ડાંગમાં ગત મે મહિનાથી સારો વરસાદ વરસતા અંબિકા નદી બે કાંઠે વહેતી થઇ હતી. જેમાં જૂનના મધ્યથી વરસાદની શરૂઆત થતા, આજે ડ્રેનેજ વિભાગના ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર ખુશ્બુ પટેલની ઉપસ્થિતિમાં દેવ સરોવર ડેમના 40 માંથી 20 દરવાજાને રૂટીન પ્રક્રિયા હેઠળ ખોલવામાં આવ્યા હતા. નદીમાં પાણીની આવક વધુ થશે, તો બાકીના 20 દરવાજાઓને પણ ખોલી દેવામાં આવશે. ડેમના દરવાજા ખોલવા પૂર્વે તંત્ર દ્વારા અંબિકા નદીના કિનારાના 16 ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા. ડેમના દરવાજા ખોલાતા જ પશ્ચિમ તરફનો નજારો આહ્લાદક બન્યો હતો. ડેમના દરવાજા ખુલતા માછીમારો પણ કિનારેથી અને નદીમાં હોડકા લઇ માછલી પકડતા પણ જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, દેવધાનો દેવ સરોવર ટાઇડલ ડેમ તાલુકાના બે શહેરો અને 20 થી વધુ ગામડાઓ માટે જીવાદોરી સમાન છે.

Continue Reading

ગુજરાત

નવસારીમાં 45 ગ્રામ પંચાયતોમાં સામાન્ય અને 14 ગ્રામ પંચાયતોમાં પેટા ચુંટણી

Published

on

જિલ્લામાં 1.08 લાખ મતદારો 22 જૂને મતદાન કરી ચુંટશે ગ્રામ્ય સરકાર

નવસારી : ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચુંટણીનું બ્યુગલ વાગી ચુક્યુ છે અને ચુંટણી મેદાનમાં ઉતરનારા મહારથીઓ પણ સજ્જ થઇ ચુક્યા છે. ત્યારે નવસારી જિલ્લામાં પણ 56 માંથી 11 ગ્રામ પંચાયતો સમરસ થતા હવે 45 ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચુંટણી, જયારે 82 ગ્રામ પંચાયતોમાંથી 14 ગ્રામ પંચાયતોમાં પેટા ચુંટણી, આગામી 22 જૂન, 2025 ના રોજ યોજાશે.

સામાન્ય ચુંટણીમાં 126 ઉમ્દેવારો સરપંચ અને 433 ઉમેદવારો સભ્યની ચુંટણી લડશે

નવસારી જિલ્લામાં છેલ્લા કેટલાક વર્ષોથી ગ્રામ પંચાયતોમાં વહીવટદારોનું શાસન હતુ. પરંતુ હવે ગ્રામ પંચાયતોની ચુંટણી બાદ ગામ સરકાર રચાશે. ગ્રામ પંચાયતોની જાહેરાત થયા બાદ જ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો પોતાના સમર્પિત ઉમેદવારોને ચુંટણી મેદાનમાં ઉતારવા થનગની રહ્યા હતા. જેમાં જિલ્લાના 5 તાલુકાઓની 56 ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચુંટણી, જયારે 82 ગ્રામ પંચાયતોમાં પેટા ચુંટણી યોજવાની ઘોષણા થઇ હતી. ઉમેદવારીપત્રો ભરાયા બાદ અનેક કારણોમાં સામાન્ય ચુંટણીમાં સરપંચ માટે 183 ઉમેદવારોએ 184 ફોર્મ ભર્યા હતા. જયારે સભ્ય પદ માટે 700 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાંથી સરપંચમાં 1 અને સભ્યમાં 16 ફોર્મ અમાન્ય ઠર્યા હતા અને 45 સરપંચ ઉમેદવારોએ અને 23 સભ્ય ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચ્યા હતા. જયારે 11 ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઇ છે. જેથી હવે જિલ્લામાં 45 ગ્રામ પંચાયતોમાં સરપંચ પદ માટે 126 ઉમેદવારો અને સભ્ય પદ માટે 433 ઉમેદવારો ચુંટણી મેદાનમાં ઉતર્યા છે. આગામી 22 જૂને, 45 ગામોના 53,410 પુરૂષ અને 55,276 મહિલા મતદારો મળીને કુલ 108686 મતદારો પોતાના ભાવી સરપંચ અને વોર્ડ સભ્યોને ચુંટશે.

14 ગ્રામ પંચાયતની પેટા ચુંટણીમાં 26,441 મતદારો કરશે મતદાન

બીજી તરફ જિલ્લામાં 82 ગ્રામ પંચાયતોમાં પેટા ચુંટણી પણ જાહેર થઇ હતી. જેમાં પણ મોટી સંખ્યામાં ઉમેદવારો ચુંટણી જંગ લડવા તૈયાર થયા હતા. જેમાં સરપંચ માટે 28 ઉમેદવારો અને સભ્ય માટે 85 ઉમેદવારોએ ચુંટણી જંગમાં ઝંપલાવવા કમર કસી હતી. પરંતુ 2 સભ્ય પદ માટેના ઉમેદવારોના ફોર્મ અમાન્ય ઠર્યા હતા અને સરપંચના 8 અને સભ્યના 8 ઉમેદવારીપત્રો પરત ખેંચાયા હતા. જેમાં 1 સરપંચ અને 42 સભ્યો બિનહરીફ જાહેર થયા છે. જેથી હવે 14 ગ્રામ પંચાયતોમાં 19 ઉમેદારો સરપંચ પદ માટે અને ૩૩ ઉમેદવારો સભ્ય પદ માટે ચુંટણી જંગ ખેલશે. પેટા ચુંટણીમાં 13,241 પુરૂષ અને 13,200 મહિલા મતદારો મળીને કુલ 26,441 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

જે ગામોમાં સામાન્ય ચુંટણી યોજાવાની છે, એ ગામોની તાલુકા અનુસાર યાદી

નવસારી ગ્રામ્ય : દંડેશ્વર અને નવા તળાવ

જલાલપોર : સિસોદ્રા પારડી (આરક) જૂથ, પનાર, કણીયેટ ચોરમલા ભાઠા, માછીવાડ, માછીવાડ (દીવાદાંડી), આસણા, દાંતી, કૃષ્ણપુર અને ઓન્જલ

ગણદેવી : પીપલધરા, સરીબુજરંગ, તલોધ, અંચેલી, તોરણ ગામ, એંધલ, પીંજરા, વેગામ અને અમલસાડ

ચીખલી : કણભઈ, સતાડીયા, રૂમલા, આંબાપાડા, સ્યાદા, તલાવચોરા, બારોલીયા મંદિર ફળિયા,

વાંસદા : મહુવાસ, અંકલાછ/કામળઝરી જૂથ, લાકડબારી, ગંગપુર, ઉમરકુઇ, મીંઢાબારી, કુકડા, કુરેલિયા, ગોધાબારી, ચોંઢા, કાવડેજ, પીપલખેડ, રવાણીયા, વાઘાબારી, પાલગભાણ, કંબોયા, પ્રતાપનગર અને વાંદરવેલા

જે ગામોમાં પેટા ચુંટણી યોજાવાની છે, એ ગામોની તાલુકા અનુસાર યાદી

નવસારી ગ્રામ્ય : નસીલપોર/વીરવાડી જૂથ, વાડા (અદડા) અને પરતાપોર

જલાલપોર : સાગરા

ગણદેવી : આંતલિયા, માસા, ઉંડાચ લુહાર ફળિયા અને વડસાંગળ

ચીખલી : ઘેકટી, નોગામા, સાદકપોર, ઢોલુમ્બર, સોલધરા અને આમધરા

Continue Reading
Advertisement

Trending