Connect with us

તહેવાર

ગણેશ વિસર્જન : નવસારીમાં 3 ઓવારાઓ પરથી અપાશે વિઘ્નહર્તાને વિદાય

Published

on

પોલીસ અધિકારીઓ સાથે 1000 થી વધુ પોલીસ કર્મીઓનો બંદોબસ્ત ગોઠવાયો

 નવસારી : દસ દિવસ સુધી ભારે ઉત્સાહ અને હર્ષોલ્લાસ સાથે ગણપતિ બાપ્પાની આરાધના કર્યા બાદ આવતી કાલે ગણેશ ભક્તો ભારે હૈયે બાપ્પાને વિદાય આપશે. ગણેશ વિસર્જનને લઇ નવસારી પાલિકા તેમજ વહીવટી તંત્ર સાથે પોલીસ વિભાગે પર તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે. ખાસ કરીને જિલ્લામાં 54 સ્થળોએ ગણેશ વિસર્જન થશે, જેમાં 1,000 થી વધુ પોલીસ કર્મીઓનો બંદોબસ્ત ગોઠવાયો છે.

નવસારીમાં વિરાવળ ઓવારા પાસે 3 મોટી ક્રેનની વ્યવસ્થા કરાઈ

નવસારી વિજલપોર શહેર સહિત જિલ્લામાં ભક્તિભાવથી ગણેશ ઉત્સવ ઉજવવામાં આવ્યો છે. જિલ્લામાં ગણેશ મંડળો દ્વારા અવનવી ગણેશજીની પ્રતિમાઓનું સ્થાપન કરી, ગણેશ ભક્તોને બાપ્પાના વિવિધ રૂપના દર્શન કરાવ્યા છે. 10 દિવસ દરમિયાન ગણેશ ભક્તોએ શ્રદ્ધા ભાવથી બાપ્પાની પૂજા અર્ચના કરી, ભજનોની રમઝટ બોલાવી, વિઘ્નહર્તાને પ્રસન્ન કરવાના પ્રયાસો કર્યા હતા. આવતી કાલે અનંત ચૌદસ છે, ત્યારે વિનાયકની વિદાય થશે. એકદંતને વિદાય આપવા માટે ભક્તો દ્વારા ભારે હૈયે તૈયારીઓ શરૂ કરાય છે. જેમાં જિલ્લા વહીવટી તંત્ર, નવસારી વિજલપોર પાલિકા દ્વારા વિસર્જન સ્થળોએ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. નવસારી જિલ્લામાં કુલ 54 સ્થળોએ ગણેશ વિસર્જન કરવામાં આવશે. જેમાં મુખ્યત્વે નવસારીના વિરાવળ ઓવારા પાસે નાની મોટી મૂર્તિ મળી 5000 થી વધુ ગણેશ પ્રતિમાઓનું પૂર્ણા નદીમાં વિસર્જન થશે. ત્યારે વિરાવળ ઓવારા પાસે નવસારી પાલિકા દ્વારા ત્રણ મોટી ક્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં બે ક્રેન કાર્યરત રહેશે અને એકને સ્ટેન્ડ બાય રાખવામાં આવશે. જેની સાથે જ નદી કિનારે બનાવેલા કૃત્રિમ તળાવમાં POP ની ગણેશ પ્રતિમાઓનું વિસર્જન થશે. જેથી નદીને પ્રદૂષિત થતી બચાવી શકાય. સમગ્ર વિસર્જન દરમિયાન નવસારી વિજલપુર નગરપાલિકા તેમજ સ્થાનિક તરવૈયાઓ અને ગણેશ સંગઠન મળી 400 થી વધુ લોકો સેવા આપશે. ફક્ત વિરાવળ ઓવારા પાસે કર્મચારીઓ તેમજ સ્થાનિક તરવૈયાઓ અને અન્ય મળી 250 લોકો કાર્યરત રહેશે. વિસર્જન યાત્રા દરમિયાન કોઈપણ મુશ્કેલી ન પડે એ માટે ગણેશ સંગઠન દ્વારા પણ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. ખાસ ગણેશ મંડળો પોતાના ગણપતિજીને સમયે ઉત્થાપન કરાવી યાત્રામાં જોડાય એવી અપીલ સંગઠન પ્રમુખ દ્વારા કરવામાં આવી છે. સાથે જ એક મંડળના કાર્યકરો બીજા મંડળ સાથે ઘર્ષણમાં ન ઉતરે એનું ધ્યાન રાખવા પર મંડળ આયોજકોને સૂચના આપવામાં આવી છે.

નવસારી પોલીસ અધિક્ષક સાથે 3 DySP ના માર્ગદર્શનમાં નીકળશે વિસર્જન યાત્રા

અનંત ચૌદસને ગણેશ વિસર્જનને ધ્યાને લઇ જિલ્લા પોલીસ તંત્ર પણ સતર્ક થયું છે. પોલીસ દ્વારા વિસર્જન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તમામ ગણેશ મંડળોને જે 54 સ્થળો વિસર્જન માટે નક્કી કરવામાં આવ્યા છે, ત્યાંથી જ વિસર્જન કરવામાં આવે તેવી અપીલ કરવામાં આવી છે. જેની સાથે વિસર્જન દરમિયાન નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક સુશિલ અગ્રવાલના માર્ગદર્શનમાં 3 DySP, 18 પોલીસ ઇન્સ્પેક્ટર, 40 પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહિત પોલીસકર્મીઓ અને હોમગાર્ડ મળી 1,000 થી વધુ પોલીસ જવાનોનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેની સાથે વિસર્જન યાત્રામાં ડ્રોનથી પણ નજર રાખવામાં આવશે. જ્યારે વિસર્જન દરમિયાન ફૂટ પેટ્રોલિંગ અને કોમ્બિંગનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેથી વિસર્જન યાત્રા કોઈપણ પ્રકારના છમકલા વિના નિર્વિઘ્ને પૂર્ણ થાય.

તહેવાર

નવ દિવસ બંદોબસ્તમાં રહેલા પોલીસકર્મીઓ મન મુકીને ગરબે ઝૂમ્યા

Published

on

By

જિલ્લા પોલીસ વડા દ્વારા પોલીસ જવાનો માટે કરાયું ગરબાનું વિશેષ આયોજન

નવસારી : નવ દિવસો સુધી નવરાત્રમાં બંદોબસ્તમાં રહી લોકોની સુરક્ષામાં ખડે પગે રહેનારા નવસારી જિલ્લા પોલીસના જવાનો આજે પરિવાર સાથે મન મૂકીને ગરબે ઝૂમ્યા હતા.

પોલીસ અધિકારીઓ, જવાનો પોતાના પરિવાર સાથે હર્ષોલ્લાસ સાથે ગરબા રમ્યા

નવરાત્રિના નવ દિવસો દરમિયાન નવસારી શહેર સહિત જિલ્લામાં અનેક ઠેકાણે કોમર્શિયલ તેમજ શેરી મોહલ્લામાં ગરબાના આયોજન થયા હતા. નવરાત્રીમાં લોકો માતાજીની ભક્તિમાં મગ્ન બને છે અને નવ દિવસ ગરબે ઘૂમી માતાજીની આરાધના કરતા હોય છે. ત્યારે મોડી રાત સુધી ચાલતા ગરબામાં કોઈ અનિચ્છિય ઘટના ન બને, એ માટે જિલ્લા પોલીસના જવાનો ખડે પગે બંદોબસ્તમાં તૈનાત હોય છે. નવરાત્રના નવ દિવસો દરમિયાન પોલીસકર્મીઓ ફરજ પર હોવાથી પરિવારજનો પણ તેમના વિના ગરબા રમવામાં મૂંઝાતા હોય છે. આજે જિલ્લા પોલીસ વડા રાહુલ પટેલ દ્વારા રમઝટ 2.0 માં જિલ્લા પોલીસના અધિકારીઓ, જવાનો તેમજ તેમના પરિવાર માટે ગરબાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. નવ દિવસો સુધી સતત બંદોબસ્તમાં રહેલા પોલીસ જવાનો આજે ગરબાના સૂરમાં અને ઢોલના તાલે મન મૂકીને ઝૂમ્યા હતા. જિલ્લા પોલીસ વડા રાહુલ પટેલે પણ પોતાના પોલીસ જવાનોનો ઉત્સાહ વધાર્યો હતો.

Continue Reading

તહેવાર

શ્રીજી ભક્તોએ ભારે હૈયે આપી બાપ્પાને વિદાય

Published

on

By

નવસારીમાં 4335 ગણેશ પ્રતિમાઓનું આસ્થાના ઓવારેથી થયુ વિસર્જન

નવસારી : ધામધૂમથી ભગવાન શ્રી ગણપતિને લાવ્યા બાદ 10 દિવસો સુધી શ્રીજીની ભક્તિભાવથી પૂજા કર્યા બાદ આજે ભક્તોએ હર્ષોલ્લાસ સાથે ભારે હૈયે બાપ્પાને વિદાય આપી હતી. નવસારીના વિરાવળ સ્થિત આસ્થાના ઓવારા સહિત 5 ઓવારાઓ પરથી 4335 ગણેશ પ્રતિમાઓનું વિસર્જન કરાયું હતું.

પૂર્ણા નદીના ધસમસતા પાણીના પ્રવાહમાં ક્રેનની મદદથી કરાઈ રહ્યુ છે વિસર્જન

ગણેશોત્સવ આવતા જ ભક્તોના મન પ્રફુલ્લિત થઈ જાય છે. દૂંદાળા દેવને ધામધૂમથી પોતાના મંડપ કે ઘરે લાવતા હોય છે. ગણેશ ચતુર્થીએ ભક્તિભાવ સાથે શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે લંબોદરની સ્થાપના કર્યા બાદ 10 દિવસો સુધી શ્રધ્ધાથી તેમની આરાધનામાં ગાળ્યા હતા. જ્યારે આજે અનંત ચતુર્થીના દિને શ્રીજી ભક્તોએ ભીની આંખે ભગવાનને વિદાય આપી હતી. એકદંતને વિદાય આપવા વિવિધ ગણેશ મંડળોએ ઢોલ, નગારા, તાસા, મંજીરા તેમજ DJ ના તાલે નાચતા નાચતા વિસર્જન યાત્રામાં જોડાયા હતા. બપોરે 12 વાગ્યા બાદ નવસારી શહેરના રાજમાર્ગો ઉપર વિસર્જન યાત્રા શરૂ થઈ હતી, જેમાં મોટી ગણેશ પ્રતિમાઓ બપોર બાદ વિસર્જન યાત્રામાં જોડાઈ હતી. શહેરની મોટા ભાગની ગણેશ પ્રતિમાઓનું વિરાવળ સ્થિત પૂર્ણા નદીના ઓવારાથી વિસર્જિત કરાઈ હતી. પરંતુ નવસારીના ઉપરવાસના જિલ્લાઓમાં પડેલા ભારે વરસાદને કારણે પૂર્ણા નદીની જળ સપાટી વધતા વિસર્જનમાં વિઘ્ન જણાતું હતું. પણ જ્યારે ખુદ વિઘ્નહર્તાનું જ વિસર્જન હોય, ત્યારે આવા વિઘ્નો પાંગળા સાબિત થાય છે. મહાનગર પાલિકા દ્વારા કરાયેલ ક્રેનની વ્યવસ્થા અને વિરાવળના તરવૈયાઓની મહેનતથી રાતે 8:30 વાગ્યા સુધીમાં વિરાવળ સ્થિત આસ્થાના ઓવારેથી 133 મોટી અને 1998 નાની ગણેશ પ્રતિમાઓનું વિસર્જન થયું હતું. જોકે વિસર્જન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ઘટે તો, તેને પહોંચી વળવા મહાનગર પાલિકાના ફાયર બ્રિગેડના જવાનો અને નવસારી પોલીસના જવાનો ખડે પગે તૈયાર હતા. જ્યારે નવસારી પોલીસના જવાનોએ વિસર્જન પ્રક્રિયામાં ખડે પગે ટ્રાફિક સંચાલન તેમજ સુરક્ષાની ઉમદા કામગીરી કરી હતી.

નવસારીના 5 ઓવારાઓ ઉપરથી 416 મોટી અને 3919 પ્રતિમાઓનું વિસર્જન

નવસારી મહાનગર પાલિકા વિસ્તારમાં ગણેશ વિસર્જનને લઈને ત્રણ મુખ્ય ઓવારાઓ ઉપર વિસર્જનની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. જેની સાથે દાંડી અને એરૂ ખાતે પણ વિસર્જનની વ્યવસ્થા ગોઠવાઈ હતી. જેમાં સવારથી રાતે 8:30 વાગ્યા સુધીમાં વિરાવળ ઓવારાથી 133 મોટી અને 1998 નાની, દાંડી ઓવારાથી 52 મોટી અને 296 નાની, જલાલપોર ઓવારાથી 51 મોટી અને 538 નાની, એરૂ ઓવારાથી 37 મોટી અને 256 નાની, જ્યારે ધારાગિરી ઓવારાથી 143 મોટી અને 831 નાની મળી કુલ 4335 પ્રતિમાઓનું વિસર્જન થયું હતું.

Continue Reading

તહેવાર

શ્રીજીને 8000 કિલો ગુલાલ ઉડાવી આપી વિદાય

Published

on

By

વિજલપોરના શિવ રાણા ગ્રુપ દ્વારા મહારાષ્ટ્રીયન સ્ટાઈલમાં ગણેશ વિસર્જન

નવસારી : નવસારીમાં આજે ભક્તોએ હર્ષોલ્લાસ સાથે ભીની આંખે બાપ્પાને વિદાય આપી હતી. જેમાં નવસારી શહેરના વિજલપોર વિસ્તારના શિવ રાણા ગ્રુપ દ્વારા મહારાષ્ટ્રીયન સ્ટાઈલમાં 8000 કિલો ગુલાલ ઉડાવીને શ્રીજીને વિદાય આપતા સમગ્ર વિજલપોર ગુલાલના રંગે રંગાયું હતું.

1985 થી અંબાજી નગરમાં મહારાષ્ટ્રીયન સ્ટાઈલમાં ઉજવાય છે ગણેશોત્સ

નવસારીમાં 10 દિવસો સુધી ભકતોએ ભક્તિભાવ પૂર્વક શ્રી ગણપતિજીની પૂજા અર્ચના કરી હતી. રોજ બાપ્પાની ભાવથી આરતી કરી, તેમને ભાવતા ભોજન પીરસ્યા હતા. પરંતુ આજે અનંત ચૌદશના દીને ગણેશજીએ નીજ ધામ જવાની તૈયારી કરતા જ ભક્તોની આંખો ભીની થઈ ગઈ હતી. જોકે ગણેશ વિસર્જન યાત્રામાં ભક્તોએ બાપ્પાને અનોખી રીતે વિદાય આપવાનું આયોજન કર્યું હતું. જેમાં નવસારી શહેરના વિજલપોરના અંબાજી નગરનું શિવ રાણા ગ્રુપ 1985 થી ગણેશોત્સવ ઉજવતો આવ્યો છે. વર્ષોથી ગ્રુપના સભ્યો મહારાષ્ટ્રીયન સ્ટાઈલમાં બાપ્પાને વિદાય આપે છે. આજે વિસર્જન યાત્રામાં શિવ રાણા ગ્રુપ દ્વારા મહારાષ્ટ્રીયન બેન્ડ સાથે જ મહારાષ્ટ્રથી 8000 કિલો ગુલાલ મંગાવ્યો હતો. બપોરે વિસર્જન યાત્રાની તૈયારી કરતા જ બે JCB મશીનમાં હજારો કિલો ગુલાલ ભરવામાં આવ્યો હતો. જ્યારે ગણપતિ બાપ્પાની યાત્રા નીકળી કે ભક્તોએ ગુલાલ ઉડાવી તેમને હર્ષોલ્લાસ સાથે વિદાય આપી હતી. ગુલાલની છોળો ઊડતા સમગ્ર વાતાવરણ લાલ થયુ હતું. એટલું જ નહીં વિસર્જન યાત્રામાં વિજલપોર ગુલાલના રંગે રંગાયું હતું. જ્યારે મહારાષ્ટ્રીયન બેન્ડના તાલે શ્રીજી ભક્તો ઝૂમતા વિરાવળ ઓવારા તરફ આગળ વધ્યા હતા. પરંતુ 10 દિવસ સુધી બાપ્પાની આગતા સ્વાગતા કર્યા બાદ તેમને વિદાય આપતા શિવ રાણા ગ્રુપના સૌની આંખો ભીંજાઈ હતી.

Continue Reading
Advertisement

Trending