Connect with us

તહેવાર

ગણેશ વિસર્જન : નવસારીમાં 3 ઓવારાઓ પરથી અપાશે વિઘ્નહર્તાને વિદાય

Published

on

પોલીસ અધિકારીઓ સાથે 1000 થી વધુ પોલીસ કર્મીઓનો બંદોબસ્ત ગોઠવાયો

 નવસારી : દસ દિવસ સુધી ભારે ઉત્સાહ અને હર્ષોલ્લાસ સાથે ગણપતિ બાપ્પાની આરાધના કર્યા બાદ આવતી કાલે ગણેશ ભક્તો ભારે હૈયે બાપ્પાને વિદાય આપશે. ગણેશ વિસર્જનને લઇ નવસારી પાલિકા તેમજ વહીવટી તંત્ર સાથે પોલીસ વિભાગે પર તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે. ખાસ કરીને જિલ્લામાં 54 સ્થળોએ ગણેશ વિસર્જન થશે, જેમાં 1,000 થી વધુ પોલીસ કર્મીઓનો બંદોબસ્ત ગોઠવાયો છે.

નવસારીમાં વિરાવળ ઓવારા પાસે 3 મોટી ક્રેનની વ્યવસ્થા કરાઈ

નવસારી વિજલપોર શહેર સહિત જિલ્લામાં ભક્તિભાવથી ગણેશ ઉત્સવ ઉજવવામાં આવ્યો છે. જિલ્લામાં ગણેશ મંડળો દ્વારા અવનવી ગણેશજીની પ્રતિમાઓનું સ્થાપન કરી, ગણેશ ભક્તોને બાપ્પાના વિવિધ રૂપના દર્શન કરાવ્યા છે. 10 દિવસ દરમિયાન ગણેશ ભક્તોએ શ્રદ્ધા ભાવથી બાપ્પાની પૂજા અર્ચના કરી, ભજનોની રમઝટ બોલાવી, વિઘ્નહર્તાને પ્રસન્ન કરવાના પ્રયાસો કર્યા હતા. આવતી કાલે અનંત ચૌદસ છે, ત્યારે વિનાયકની વિદાય થશે. એકદંતને વિદાય આપવા માટે ભક્તો દ્વારા ભારે હૈયે તૈયારીઓ શરૂ કરાય છે. જેમાં જિલ્લા વહીવટી તંત્ર, નવસારી વિજલપોર પાલિકા દ્વારા વિસર્જન સ્થળોએ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. નવસારી જિલ્લામાં કુલ 54 સ્થળોએ ગણેશ વિસર્જન કરવામાં આવશે. જેમાં મુખ્યત્વે નવસારીના વિરાવળ ઓવારા પાસે નાની મોટી મૂર્તિ મળી 5000 થી વધુ ગણેશ પ્રતિમાઓનું પૂર્ણા નદીમાં વિસર્જન થશે. ત્યારે વિરાવળ ઓવારા પાસે નવસારી પાલિકા દ્વારા ત્રણ મોટી ક્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં બે ક્રેન કાર્યરત રહેશે અને એકને સ્ટેન્ડ બાય રાખવામાં આવશે. જેની સાથે જ નદી કિનારે બનાવેલા કૃત્રિમ તળાવમાં POP ની ગણેશ પ્રતિમાઓનું વિસર્જન થશે. જેથી નદીને પ્રદૂષિત થતી બચાવી શકાય. સમગ્ર વિસર્જન દરમિયાન નવસારી વિજલપુર નગરપાલિકા તેમજ સ્થાનિક તરવૈયાઓ અને ગણેશ સંગઠન મળી 400 થી વધુ લોકો સેવા આપશે. ફક્ત વિરાવળ ઓવારા પાસે કર્મચારીઓ તેમજ સ્થાનિક તરવૈયાઓ અને અન્ય મળી 250 લોકો કાર્યરત રહેશે. વિસર્જન યાત્રા દરમિયાન કોઈપણ મુશ્કેલી ન પડે એ માટે ગણેશ સંગઠન દ્વારા પણ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. ખાસ ગણેશ મંડળો પોતાના ગણપતિજીને સમયે ઉત્થાપન કરાવી યાત્રામાં જોડાય એવી અપીલ સંગઠન પ્રમુખ દ્વારા કરવામાં આવી છે. સાથે જ એક મંડળના કાર્યકરો બીજા મંડળ સાથે ઘર્ષણમાં ન ઉતરે એનું ધ્યાન રાખવા પર મંડળ આયોજકોને સૂચના આપવામાં આવી છે.

નવસારી પોલીસ અધિક્ષક સાથે 3 DySP ના માર્ગદર્શનમાં નીકળશે વિસર્જન યાત્રા

અનંત ચૌદસને ગણેશ વિસર્જનને ધ્યાને લઇ જિલ્લા પોલીસ તંત્ર પણ સતર્ક થયું છે. પોલીસ દ્વારા વિસર્જન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તમામ ગણેશ મંડળોને જે 54 સ્થળો વિસર્જન માટે નક્કી કરવામાં આવ્યા છે, ત્યાંથી જ વિસર્જન કરવામાં આવે તેવી અપીલ કરવામાં આવી છે. જેની સાથે વિસર્જન દરમિયાન નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક સુશિલ અગ્રવાલના માર્ગદર્શનમાં 3 DySP, 18 પોલીસ ઇન્સ્પેક્ટર, 40 પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહિત પોલીસકર્મીઓ અને હોમગાર્ડ મળી 1,000 થી વધુ પોલીસ જવાનોનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેની સાથે વિસર્જન યાત્રામાં ડ્રોનથી પણ નજર રાખવામાં આવશે. જ્યારે વિસર્જન દરમિયાન ફૂટ પેટ્રોલિંગ અને કોમ્બિંગનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેથી વિસર્જન યાત્રા કોઈપણ પ્રકારના છમકલા વિના નિર્વિઘ્ને પૂર્ણ થાય.

તહેવાર

ઉર્જા બદલાતી નથી, એનું સ્વરૂપ બદલાય છે, વિજ્ઞાનનો સિદ્ધાંત હજારો વર્ષો પૂર્વે ગીતાએ દર્શાવ્યો

Published

on

By

મહર્ષિ દયાનંદ સ્મારક ગુરૂકુળમાં ગીતા જયંતીની થઇ ભવ્ય ઉજવણી

નવસારી : ભારતીય સંસ્કૃતિમાં અનેક ધર્મગ્રંથોએ જીવન સરળતાથી જીવવાના મુલ્યો શીખવે છે. જેમાં પણ શ્રીમદ્દ ભગવદ ગીતા હજારો વર્ષો વીતવા છતાં પણ આજે પણ એટલી જ ઉપયોગી છે. ત્યારે નવસારીના સુપા ગામે આવેલ મહર્ષિ દયાનંદ સ્મારક ગુરૂકુળમાં ભ્રહ્મચારીઓએ ગીતાના શ્લોકોનું પઠન કરી ભવ્ય રીતે ગીતા જયંતીની ઉજવણી કરી હતી. જેમાં યજ્ઞની રુચાઓથી સમગ્ર આશ્રમનું પ્રાંગણ ગુંજી ઉઠ્યુ હતુ.

ગીતા જીવન જીવવાની કળા શીખવે છે : ડો. ચંદ્રગુપ્ત

નવસારી જિલ્લામાં વર્ષોથી વૈદિક કાળની જેમ આશ્રમ પ્રથાથી શિક્ષણ આપતા મહર્ષિ દયાનંદ સ્મારક ગુરૂકુળ ખાતે આજે હર્ષોલ્લાસ સાથે ગીતા જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. ગુરૂકુળ, જે શતાબ્દી જૂની આર્ય સંસ્કૃતિ અને આધુનિક શિક્ષણનો સમન્વયને આધારે બાળકોને સનાતન ધર્મની પરંપરા સાથે જ આધુનિક શિક્ષણ આપે છે, ત્યારે ગીતા જયંતીના પવિત્ર દિવસે શ્રીમદ્દ ભગવદ ગીતા અને તેના જીવન મુલ્યોએ સૌને પ્રેરિત કર્યા હતા. આ ઉજવણીમાં ગુરૂકુળના કેમ્પસ ડાયરેક્ટર ડૉ. ચંદ્રગુપ્તે જીવનમાં ગીતા અધ્યાયના પઠનનું મહત્વ સમજાવ્યુ હતુ. સાથે જ તેમણે શાસ્ત્રીય ઉદાહરણ સાથે આધુનિક વિજ્ઞાન અને ગીતાના ઊર્જા-સિદ્ધાંત વચ્ચેના સંબંધોને રેખાંકિત કરતા જણાવ્યુ હતુ કે, ઊર્જા અમર છે અને તેનું માત્ર સ્વરૂપ બદલી શકાય છે. આ વિજ્ઞાનના સિદ્ધાંતો ગીતા દ્વારા હજારો વર્ષ પહેલાં રજૂ કરાયા હતા. જીવનના દરેક તબક્કામાં અને આજના પરિપ્રેક્ષ્યમાં આવતા તમામ કામોમાં ગીતા જીવન જીવવાની કળા શીખવે છે. 

સંસ્કૃત પાઠશાળાના બ્રહ્મચારીઓએ ગીતાના શ્લોકોનું પઠન કરી, સંસ્કૃતિને ઉજાગર કરી

ગુરૂકુળના સહ કેમ્પસ ડાયરેક્ટર સુરેશભાઈ રત્નાણીએ ગીતાને જીવન બદલવાની જડીબુટ્ટી તરીકે વર્ણવી, વિદ્યાર્થીઓને નિયમિત ગીતા પઠન કરવાની સલાહ આપી હતી. જયારે ગુરુકુળના સંસ્કૃત પાઠશાળાના બ્રહ્મચારીઓએ શ્રીમદ્દ ભગવદ ગીતાના શ્લોકોનું પઠન કરી આ દિવસે સનાતન સંસ્કૃતિને ઉજાગર કરી હતી. જેમાં વિધિવત યજ્ઞ-હવન સાથે આ ઉજવણીનો પ્રારંભ કરાયો હતો. યજ્ઞમાં ગુરુકુળના આચાર્ય દીપેશજી, આચાર્ય વિવેકાનંદજી, આચાર્ય પ્રતીકજી અને શ્રદ્ધાનંદ આશ્રમના ગૃહપતિઓએ પણ ભાગ લીધો.

જિલ્લા શિક્ષણાધિકારીએ સાંસ્કૃતિક ધરોહર અને તેની જાળવણી માટે આપી શુભેચ્છા

ગીતા જયંતીની ઉજવણીમાં ગુજરાત ગુરૂકુળ સભાના પદાધિકારીઓએ વિદ્યાર્થીઓ અને કર્મચારીઓની પ્રશંસા કરી હતી. સંસ્થાના મંત્રી પંકજસિંહ ઠાકોરે આશ્રમ દ્વારા ઉંચા શિક્ષણ સાથે વધુ તકો પૂરી પાડવામાં આવી રહી હોવાના વખાણ કર્યા કરી, વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા  હતા. જયારે નવસારી જિલ્લા શિક્ષણાધિકારી જયેશ ચૌધરીએ સંસ્થાની સાંસ્કૃતિક ધરોહર અને તેની જાળવણી માટે શુભેચ્છા આપી હતી.

Continue Reading

તહેવાર

હેલ્લારો : પોલીસ જવાનો મન મુકીને ગરબે ઘૂમ્યા

Published

on

By

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલે માં જગદંબાની આરતી કરી, આપી શુભકામનાઓ

નવસારી : તહેવારોમાં સદા લોકોની સુરક્ષામાં પોતાનું મન મારીને પણ ફરજ બજાવતી નવસારી જિલ્લા પોલીસના જવાનો ગત રાતે પોલીસ પરિવાર માટે યોજાયેલા હેલ્લારો ગરબા મહોત્સવમાં મન મુકીને ગરબે ઘૂમ્યા હતા. ગરબાના પ્રારંભે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલ અને સુરત રેંજ પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહે આરતી કરી માં જગદંબાના આશિર્વાદ મેળવી, પોલીસ પરિવારને શુભકામનાઓ આપી હતી.

વરસતા વરસાદમાં ગરબાના તાલે પોલીસ જવાનો પરિવાર સાથે ગરબે ઘૂમ્યા

તહેવારોની મોસમ શરૂ થતા જ પોલીસ વિભાગ સતર્ક બને છે અને લોકોની સુરક્ષા માટે રાત દિવસ ફરજ બજાવે છે. નવરાત્રના નવ દિવસોમાં પણ પોલીસકર્મીઓ લોકોની સુરક્ષા માટે અનેક વિસ્તારોમાં ખડે પગે રહ્યા હતા. ખાસ કરીને આ વખતે નવરાત્રમાં મહિલા પોલીસકર્મીઓની અલાયદી ટુકડી બનાવી મહિલાઓની સુરક્ષા માટે તેનાત કરવામાં આવી હતી. પોલીસ જવાનો ફરજ ઉપર હોય ત્યારે તેમના પરિવારજનો પણ તહેવારની મજા માણી શકતા નથી. ત્યારે નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ દ્વારા પોલીસ જવાનો પણ તહેવારની મજા માણી શકે અને ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી શકે એ માટે આજે એક દિવસીય હેલ્લારો ગરબા મહોત્સવનું આયોજન કર્યું હતુ. જેમાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રાલયના કેબિનેટ મંત્રી તથા નવસારીના સાંસદ સી. આર. પાટીલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલે સુરત રેન્જ પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ અને નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ સાથે મા અંબેની આરતી કરી આશીર્વાદ લીધા હતા. સાથે જ પોલીસકર્મીઓને નવરાત્રી અને દિવાળીની શુભકામના પાઠવી હતી. ત્યારબાદ જિલ્લા પોલીસના અધિકારીઓ, પોલીસ કર્મીઓ અને તેમના પરિવારજનો વરસતા વરસાદમાં ગરબાના તાલે મન મૂકીને ઝુમ્યા હતા.

પોલીસ જવાનો અને તેમના પરિવારે ગરબા આયોજન માટે પોલીસ અધિક્ષકનો આભાર માન્યો 

પોલીસ અધિકારીઓ તેમજ તેમના પરિવારે જિલ્લા પોલીસ વડા દ્વારા નવરાત્રી મહોત્સવના આયોજનને લઈ ખુશી વ્યક્ત કરી હતી. તહેવારોમાં અને ખાસ કરીને નવરાત્રમાં સતત બંદોબસમાં હતા, પરંતુ આજે ગરબે ઘૂમીને ખૂબ આનંદ થયો હોવાની ભાવના પણ વ્યક્ત કરી હતી. જ્યારે પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહે પણ જિલ્લા પોલીસના ગરબા મહોત્સવના આયોજનને બિરદાવ્યો હતો.

Continue Reading

તહેવાર

નવસારીમાં ભક્તોએ ભારી હૃદયે વિઘ્નહર્તાને આપી વિદાય

Published

on

By

શ્રી ગણેશજીના વિસર્જન દરમિયાન અનેક આંખો ભીની થઈ

નવસારી : નવસારીમાં 10 દિવસ સુધી ભક્તિ ભાવ અને શ્રદ્ધાથી શ્રી ગણેશજીની આરાધના કર્યા બાદ આજે શ્રીજી ભક્તોએ બાપ્પાને અશ્રુભીની આંખે અને ભારે હૃદયે પૂર્ણાના ઓવારેથી વિદાય આપી હતી. વહેલી સવારથી ઘરના અને નાના મંડળોના એકદંતની પ્રતિમાઓનો વિસર્જન શરૂ થયું હતુ. જ્યારે બપોર બાદ મોટી પ્રતિમાઓનું વિસર્જન શરૂ થશે.

નવસારીમાં અત્યાર સુધીમાં 1671 નાની અને 58 મોટી પ્રતિમાઓનું થયું વિસર્જન

નવસારી શહેર અને જિલ્લામાં ગણેશ ભક્તોએ દસ દિવસ સુધી શ્રી વિનાયકની હૃદયના ઉમળકાથી પૂજા અર્ચના કરી હતી. શહેરમાં અનેક ઠેકાણે 10 થી 25 ફૂટ ઊંચી પ્રતિમાઓનું સ્થાપન કરવામાં આવ્યું હતુ. અનેક મંડળોમાં લાખોના ખર્ચે કરેલા ડેકોરેશનને જોવા, સાથે જ શ્રી ગણેશજીના દર્શનાર્થે લાખો શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા. દસ દિવસ પૂર્ણ થતા આજે અનંત ચતુર્દશીના પાવન પર્વ પર ભક્તોએ ભારે હૃદયે ભક્તોએ બાપ્પાની વિદાયની તૈયારી કરી હતી. ઢોલ નગારા તેમજ DJ ના તાલે નૃત્ય કરતા ભવ્ય વિસર્જન યાત્રા કાઢી હતી. સવારથી નવસારી વિજલપોર શહેરના વિરાવળ, ધારાગીરી અને જલાલપોર સ્થિત સરસ્વતી માતાજીના મંદિર પાસેના ઓવારા પાસે હજારો ગણેશ ભક્તો નાની અને મોટી પ્રતિમાઓ લઈને પહોંચ્યા હતા. ખાસ કરીને શહેરની અંદાજિત 300 જેટલી વિશાળ પ્રતિમાઓનું વિરાવળ ખાતે પૂર્ણા નદીના ઓવારાથી વિસર્જન કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. વિરાવળ ઓવારા પાસે બે કૃત્રિમ તળાવમાં POP ની પ્રતિમાઓનું વિસર્જન થઈ રહ્યું છે. જ્યારે બે મોટી ક્રેન મારફતે મોટી પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. સવારથી અત્યાર સુધીમાં 1671 નાની અને 58 મોટી પ્રતિમાઓનું વિસર્જન વિરાવળ ગામના તરવૈયાઓ દ્વારા કરાવવામાં આવ્યું છે. હવે શહેરની જાણીતી અને મોટી પ્રતિમાઓની વિસર્જન યાત્રા નીકળશે. જેને જોવા લાખોની સંખ્યામાં શ્રીજી ભક્તો નવસારીના રાજમાર્ગો ઉપર ઉમટી પડશે. જ્યારે રાજકીય પક્ષો દ્વારા પણ શ્રી ગણપતિની પ્રતિમાઓનું વિસર્જન યાત્રા દરમિયાન ફુલહાર અર્પણ કરી સ્વાગત કરવામાં આવશે.

Continue Reading
Advertisement

Trending