Connect with us

તહેવાર

હેલ્લારો : પોલીસ જવાનો મન મુકીને ગરબે ઘૂમ્યા

Published

on

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલે માં જગદંબાની આરતી કરી, આપી શુભકામનાઓ

નવસારી : તહેવારોમાં સદા લોકોની સુરક્ષામાં પોતાનું મન મારીને પણ ફરજ બજાવતી નવસારી જિલ્લા પોલીસના જવાનો ગત રાતે પોલીસ પરિવાર માટે યોજાયેલા હેલ્લારો ગરબા મહોત્સવમાં મન મુકીને ગરબે ઘૂમ્યા હતા. ગરબાના પ્રારંભે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલ અને સુરત રેંજ પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહે આરતી કરી માં જગદંબાના આશિર્વાદ મેળવી, પોલીસ પરિવારને શુભકામનાઓ આપી હતી.

વરસતા વરસાદમાં ગરબાના તાલે પોલીસ જવાનો પરિવાર સાથે ગરબે ઘૂમ્યા

તહેવારોની મોસમ શરૂ થતા જ પોલીસ વિભાગ સતર્ક બને છે અને લોકોની સુરક્ષા માટે રાત દિવસ ફરજ બજાવે છે. નવરાત્રના નવ દિવસોમાં પણ પોલીસકર્મીઓ લોકોની સુરક્ષા માટે અનેક વિસ્તારોમાં ખડે પગે રહ્યા હતા. ખાસ કરીને આ વખતે નવરાત્રમાં મહિલા પોલીસકર્મીઓની અલાયદી ટુકડી બનાવી મહિલાઓની સુરક્ષા માટે તેનાત કરવામાં આવી હતી. પોલીસ જવાનો ફરજ ઉપર હોય ત્યારે તેમના પરિવારજનો પણ તહેવારની મજા માણી શકતા નથી. ત્યારે નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ દ્વારા પોલીસ જવાનો પણ તહેવારની મજા માણી શકે અને ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી શકે એ માટે આજે એક દિવસીય હેલ્લારો ગરબા મહોત્સવનું આયોજન કર્યું હતુ. જેમાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રાલયના કેબિનેટ મંત્રી તથા નવસારીના સાંસદ સી. આર. પાટીલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલે સુરત રેન્જ પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ અને નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ સાથે મા અંબેની આરતી કરી આશીર્વાદ લીધા હતા. સાથે જ પોલીસકર્મીઓને નવરાત્રી અને દિવાળીની શુભકામના પાઠવી હતી. ત્યારબાદ જિલ્લા પોલીસના અધિકારીઓ, પોલીસ કર્મીઓ અને તેમના પરિવારજનો વરસતા વરસાદમાં ગરબાના તાલે મન મૂકીને ઝુમ્યા હતા.

પોલીસ જવાનો અને તેમના પરિવારે ગરબા આયોજન માટે પોલીસ અધિક્ષકનો આભાર માન્યો 

પોલીસ અધિકારીઓ તેમજ તેમના પરિવારે જિલ્લા પોલીસ વડા દ્વારા નવરાત્રી મહોત્સવના આયોજનને લઈ ખુશી વ્યક્ત કરી હતી. તહેવારોમાં અને ખાસ કરીને નવરાત્રમાં સતત બંદોબસમાં હતા, પરંતુ આજે ગરબે ઘૂમીને ખૂબ આનંદ થયો હોવાની ભાવના પણ વ્યક્ત કરી હતી. જ્યારે પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહે પણ જિલ્લા પોલીસના ગરબા મહોત્સવના આયોજનને બિરદાવ્યો હતો.

તહેવાર

નવ દિવસ બંદોબસ્તમાં રહેલા પોલીસકર્મીઓ મન મુકીને ગરબે ઝૂમ્યા

Published

on

By

જિલ્લા પોલીસ વડા દ્વારા પોલીસ જવાનો માટે કરાયું ગરબાનું વિશેષ આયોજન

નવસારી : નવ દિવસો સુધી નવરાત્રમાં બંદોબસ્તમાં રહી લોકોની સુરક્ષામાં ખડે પગે રહેનારા નવસારી જિલ્લા પોલીસના જવાનો આજે પરિવાર સાથે મન મૂકીને ગરબે ઝૂમ્યા હતા.

પોલીસ અધિકારીઓ, જવાનો પોતાના પરિવાર સાથે હર્ષોલ્લાસ સાથે ગરબા રમ્યા

નવરાત્રિના નવ દિવસો દરમિયાન નવસારી શહેર સહિત જિલ્લામાં અનેક ઠેકાણે કોમર્શિયલ તેમજ શેરી મોહલ્લામાં ગરબાના આયોજન થયા હતા. નવરાત્રીમાં લોકો માતાજીની ભક્તિમાં મગ્ન બને છે અને નવ દિવસ ગરબે ઘૂમી માતાજીની આરાધના કરતા હોય છે. ત્યારે મોડી રાત સુધી ચાલતા ગરબામાં કોઈ અનિચ્છિય ઘટના ન બને, એ માટે જિલ્લા પોલીસના જવાનો ખડે પગે બંદોબસ્તમાં તૈનાત હોય છે. નવરાત્રના નવ દિવસો દરમિયાન પોલીસકર્મીઓ ફરજ પર હોવાથી પરિવારજનો પણ તેમના વિના ગરબા રમવામાં મૂંઝાતા હોય છે. આજે જિલ્લા પોલીસ વડા રાહુલ પટેલ દ્વારા રમઝટ 2.0 માં જિલ્લા પોલીસના અધિકારીઓ, જવાનો તેમજ તેમના પરિવાર માટે ગરબાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. નવ દિવસો સુધી સતત બંદોબસ્તમાં રહેલા પોલીસ જવાનો આજે ગરબાના સૂરમાં અને ઢોલના તાલે મન મૂકીને ઝૂમ્યા હતા. જિલ્લા પોલીસ વડા રાહુલ પટેલે પણ પોતાના પોલીસ જવાનોનો ઉત્સાહ વધાર્યો હતો.

Continue Reading

તહેવાર

શ્રીજી ભક્તોએ ભારે હૈયે આપી બાપ્પાને વિદાય

Published

on

By

નવસારીમાં 4335 ગણેશ પ્રતિમાઓનું આસ્થાના ઓવારેથી થયુ વિસર્જન

નવસારી : ધામધૂમથી ભગવાન શ્રી ગણપતિને લાવ્યા બાદ 10 દિવસો સુધી શ્રીજીની ભક્તિભાવથી પૂજા કર્યા બાદ આજે ભક્તોએ હર્ષોલ્લાસ સાથે ભારે હૈયે બાપ્પાને વિદાય આપી હતી. નવસારીના વિરાવળ સ્થિત આસ્થાના ઓવારા સહિત 5 ઓવારાઓ પરથી 4335 ગણેશ પ્રતિમાઓનું વિસર્જન કરાયું હતું.

પૂર્ણા નદીના ધસમસતા પાણીના પ્રવાહમાં ક્રેનની મદદથી કરાઈ રહ્યુ છે વિસર્જન

ગણેશોત્સવ આવતા જ ભક્તોના મન પ્રફુલ્લિત થઈ જાય છે. દૂંદાળા દેવને ધામધૂમથી પોતાના મંડપ કે ઘરે લાવતા હોય છે. ગણેશ ચતુર્થીએ ભક્તિભાવ સાથે શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે લંબોદરની સ્થાપના કર્યા બાદ 10 દિવસો સુધી શ્રધ્ધાથી તેમની આરાધનામાં ગાળ્યા હતા. જ્યારે આજે અનંત ચતુર્થીના દિને શ્રીજી ભક્તોએ ભીની આંખે ભગવાનને વિદાય આપી હતી. એકદંતને વિદાય આપવા વિવિધ ગણેશ મંડળોએ ઢોલ, નગારા, તાસા, મંજીરા તેમજ DJ ના તાલે નાચતા નાચતા વિસર્જન યાત્રામાં જોડાયા હતા. બપોરે 12 વાગ્યા બાદ નવસારી શહેરના રાજમાર્ગો ઉપર વિસર્જન યાત્રા શરૂ થઈ હતી, જેમાં મોટી ગણેશ પ્રતિમાઓ બપોર બાદ વિસર્જન યાત્રામાં જોડાઈ હતી. શહેરની મોટા ભાગની ગણેશ પ્રતિમાઓનું વિરાવળ સ્થિત પૂર્ણા નદીના ઓવારાથી વિસર્જિત કરાઈ હતી. પરંતુ નવસારીના ઉપરવાસના જિલ્લાઓમાં પડેલા ભારે વરસાદને કારણે પૂર્ણા નદીની જળ સપાટી વધતા વિસર્જનમાં વિઘ્ન જણાતું હતું. પણ જ્યારે ખુદ વિઘ્નહર્તાનું જ વિસર્જન હોય, ત્યારે આવા વિઘ્નો પાંગળા સાબિત થાય છે. મહાનગર પાલિકા દ્વારા કરાયેલ ક્રેનની વ્યવસ્થા અને વિરાવળના તરવૈયાઓની મહેનતથી રાતે 8:30 વાગ્યા સુધીમાં વિરાવળ સ્થિત આસ્થાના ઓવારેથી 133 મોટી અને 1998 નાની ગણેશ પ્રતિમાઓનું વિસર્જન થયું હતું. જોકે વિસર્જન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ઘટે તો, તેને પહોંચી વળવા મહાનગર પાલિકાના ફાયર બ્રિગેડના જવાનો અને નવસારી પોલીસના જવાનો ખડે પગે તૈયાર હતા. જ્યારે નવસારી પોલીસના જવાનોએ વિસર્જન પ્રક્રિયામાં ખડે પગે ટ્રાફિક સંચાલન તેમજ સુરક્ષાની ઉમદા કામગીરી કરી હતી.

નવસારીના 5 ઓવારાઓ ઉપરથી 416 મોટી અને 3919 પ્રતિમાઓનું વિસર્જન

નવસારી મહાનગર પાલિકા વિસ્તારમાં ગણેશ વિસર્જનને લઈને ત્રણ મુખ્ય ઓવારાઓ ઉપર વિસર્જનની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. જેની સાથે દાંડી અને એરૂ ખાતે પણ વિસર્જનની વ્યવસ્થા ગોઠવાઈ હતી. જેમાં સવારથી રાતે 8:30 વાગ્યા સુધીમાં વિરાવળ ઓવારાથી 133 મોટી અને 1998 નાની, દાંડી ઓવારાથી 52 મોટી અને 296 નાની, જલાલપોર ઓવારાથી 51 મોટી અને 538 નાની, એરૂ ઓવારાથી 37 મોટી અને 256 નાની, જ્યારે ધારાગિરી ઓવારાથી 143 મોટી અને 831 નાની મળી કુલ 4335 પ્રતિમાઓનું વિસર્જન થયું હતું.

Continue Reading

તહેવાર

શ્રીજીને 8000 કિલો ગુલાલ ઉડાવી આપી વિદાય

Published

on

By

વિજલપોરના શિવ રાણા ગ્રુપ દ્વારા મહારાષ્ટ્રીયન સ્ટાઈલમાં ગણેશ વિસર્જન

નવસારી : નવસારીમાં આજે ભક્તોએ હર્ષોલ્લાસ સાથે ભીની આંખે બાપ્પાને વિદાય આપી હતી. જેમાં નવસારી શહેરના વિજલપોર વિસ્તારના શિવ રાણા ગ્રુપ દ્વારા મહારાષ્ટ્રીયન સ્ટાઈલમાં 8000 કિલો ગુલાલ ઉડાવીને શ્રીજીને વિદાય આપતા સમગ્ર વિજલપોર ગુલાલના રંગે રંગાયું હતું.

1985 થી અંબાજી નગરમાં મહારાષ્ટ્રીયન સ્ટાઈલમાં ઉજવાય છે ગણેશોત્સ

નવસારીમાં 10 દિવસો સુધી ભકતોએ ભક્તિભાવ પૂર્વક શ્રી ગણપતિજીની પૂજા અર્ચના કરી હતી. રોજ બાપ્પાની ભાવથી આરતી કરી, તેમને ભાવતા ભોજન પીરસ્યા હતા. પરંતુ આજે અનંત ચૌદશના દીને ગણેશજીએ નીજ ધામ જવાની તૈયારી કરતા જ ભક્તોની આંખો ભીની થઈ ગઈ હતી. જોકે ગણેશ વિસર્જન યાત્રામાં ભક્તોએ બાપ્પાને અનોખી રીતે વિદાય આપવાનું આયોજન કર્યું હતું. જેમાં નવસારી શહેરના વિજલપોરના અંબાજી નગરનું શિવ રાણા ગ્રુપ 1985 થી ગણેશોત્સવ ઉજવતો આવ્યો છે. વર્ષોથી ગ્રુપના સભ્યો મહારાષ્ટ્રીયન સ્ટાઈલમાં બાપ્પાને વિદાય આપે છે. આજે વિસર્જન યાત્રામાં શિવ રાણા ગ્રુપ દ્વારા મહારાષ્ટ્રીયન બેન્ડ સાથે જ મહારાષ્ટ્રથી 8000 કિલો ગુલાલ મંગાવ્યો હતો. બપોરે વિસર્જન યાત્રાની તૈયારી કરતા જ બે JCB મશીનમાં હજારો કિલો ગુલાલ ભરવામાં આવ્યો હતો. જ્યારે ગણપતિ બાપ્પાની યાત્રા નીકળી કે ભક્તોએ ગુલાલ ઉડાવી તેમને હર્ષોલ્લાસ સાથે વિદાય આપી હતી. ગુલાલની છોળો ઊડતા સમગ્ર વાતાવરણ લાલ થયુ હતું. એટલું જ નહીં વિસર્જન યાત્રામાં વિજલપોર ગુલાલના રંગે રંગાયું હતું. જ્યારે મહારાષ્ટ્રીયન બેન્ડના તાલે શ્રીજી ભક્તો ઝૂમતા વિરાવળ ઓવારા તરફ આગળ વધ્યા હતા. પરંતુ 10 દિવસ સુધી બાપ્પાની આગતા સ્વાગતા કર્યા બાદ તેમને વિદાય આપતા શિવ રાણા ગ્રુપના સૌની આંખો ભીંજાઈ હતી.

Continue Reading
Advertisement

Trending