Connect with us

અપરાધ

નવસારી સિવિલ હોસ્પિટલમાંથી ભાગી છૂટેલો ફાયરીંગ અને લૂટના ગુનાનો કેદી 26 વર્ષે પકડાયો

Published

on

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 10 હજારના ઇનામી આરોપીને મધ્યપ્રદેશથી ઝડપી પાડ્યો

નવસારી : કાનૂન કે હાથ લંબે હોતે હૈ… એ ઉક્તિને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે સાર્થક કરી બતાવી છે. નવસારીમાં વર્ષ 1999 માં ફાયરીંગ કરી, બાઇક ચાલકની બાઇક લૂટી લેવાના ગુનાનો કેદી બીમારીનું બહાનું કરીને નવસારી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવાતા પોલીસને ચકમો આપીને ફરાર થયો હતો. ઘણા વર્ષોથી પોલીસ પકડથી દૂર રહેલા આ ઇનામી આરોપીને અમદાવાદ ક્રાઈમ બ્રાંચે મધ્યપ્રદેશના ખંડવા જિલ્લાના હરસુદ ગામેથી છેક 26 વર્ષે દબોચી, જેલના સળીયા પાછળ ધકેલી દીધો છે.

કાચા કામના કેદી તરીકે સજા કાપતા આરોપીને જામીન ન મળતા, ભાગી છૂટ્યો હતો

મળતી માહિતી અનુસાર, નવસારીમાં રહેતા અને મુળ મહારાષ્ટ્રના ધુલિયા જિલ્લાના ભાટપૂરા ગામે રહેતો 22 વર્ષીય મોતીલાલ હરીસિંગ ઉર્ફે હંસરાજ જાદવ વર્ષ 1997 માં તેના મિત્ર પદમસીંગ સાથે, નવસારીના પારડી ગામે રહેતા ગુરૂ મિત્ર કાંતિ પટેલને મળવા ગયો હતો. જ્યાંથી રાત્રે પરત ફરતી વેળાએ પદમસીંગ પાસે રિવોલ્વર હોવાથી બંનેએ નવસારી ખાતે એક બાઇક ચાલકને અટકાવી, બે રાઉન્ડ ફાયરીંગ કરીને તેની બાઇક લૂટી લીધી હતી. જેમાં નવસારી ગ્રામ્ય પોલીસ મથકે હત્યાની કોશિસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાતા, નવસારી ગ્રામ્ય પોલીસે મોતીલાલ અને પદમસીંગની ધરપકડ કરી, બંનેને જેલમાં ધકેલી દીધા હતા. નવસારી સબજેલમાં કાચા કામના કેદી તરીકે સજા કાપતા મોતીલાલની 4 મહિના વીત્યા બાદ પણ જામીન ન થતા, તેણે મસાની બીમારીનું બહાનું બનાવી, નવસારી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયો હતો. જ્યાંથી મોતીલાલ પોલીસને ચકમો આપીને હોસ્પિટલમાંથી ફરાર થયો હતો. જેને પકડવાના પોલીસના પ્રયત્નો વિફળ રહ્યા, ત્યારે નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા તેના ઉપર 10 હજાર રૂપિયાનું ઇનામ પણ જાહેર કર્યુ હતુ.

મધ્યપ્રદેશના હરસુદ ગામે ડૉ. અજય પટેલ બની રહેતો હતો મોતીલાલ

અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા વર્ષોથી નાસતા ફરતા અરોપીઓને શોધવાની કવાયત હાથ ધરતા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે. સેસ. સિસોદિયા અને તેમની ટીમે નવસારીમાંથી ભાગી છુટેલા 10 હજારી મોતીલાલ જાદવને પકડવાનાં પ્રયાસો હાથ ધર્યા હતા. જેમાં મોતીલાલના ઘર સહિત તેના સગા સબંધી, મિત્રો વગેરેની માહિતી સાથે તેમના મોબાઇલ નંબર મેળવીને તપાસને વેગ આપ્યો હતો. જેમાં પોલીસને 6 મહીને કડી હાથ લાગી, જેમાં મોતીલાલ પોતાનુ નામ અને ઓળખ બદલી મધ્યપ્રદેશના ખંડવા જિલ્લાના હરસુદ ગામે ડૉ. અજય પટેલ બનીને રહી રહ્યો હતો અને જમીન લે-વેચનો વ્યવસાય કરતો હતો. જેથી પોલીસે મધ્યપ્રદેશના હરસુદ ગામે પહોંચી, આરોપી ડૉ. અજય ઉર્ફે મોતીલાલને ફિલગુડ ચાર રસ્તા પાસેથી 26 વર્ષે દબોચી લીધો હતો. અમદાવાદ લાવ્યા બાદ તેની કડકાઈથી પૂછપરછ કરતા તેણે તેના ગુના કબુલ્યા હતા, સાથે જ પોલીસે તેના ભાઈને બોલાવીને પણ મોતીલાલની ઓળખ કરાવતા પડાયેલ ડૉ. અજય પટેલ જ મોતીલાલ હોવાનું ખુલતા પોલીસે તેની ધરપકડ કરી, વધુ તપાસ અર્થે નવસારી ટાઉન પોલીસને સોંપ્યો હતો.

આરોપી મોતીલાલ સામે મહારાષ્ટ્રના ધુલેમાં પણ નોંધાયો હતો ફાયરીંગ અને લૂટનો ગુનો

અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા 26 વર્ષે પકડેલા ફાયરીંગ અને લૂટના આરોપી મોતીલાલ જાદવ સામે મહારાષ્ટ્રના ધુલેમાં પણ ગુનો નોંધાયો હતો. આરોપી મોતીલાલે વર્ષ 2000 માં ધુલે જિલ્લાના બાલાપુર ગામમાં આવેલા શ્રીપતિ પેટ્રોલપંપ ઉપર ફાયરીંગ કરીને લૂટ ચલાવી હતી. જેમાં ધુલે પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. જોકે નવસારી સિવિલ હોસ્પિટલમાંથી ફરાર થયા બાદ આરોપી મોતીલાલે પરિવાર સાથે છેડો ફાડી નાખ્યો હતો અને મહારાષ્ટ્રના નાગપુર અને મધ્યપ્રદેશના ખંડવા જિલ્લાના અલગ અલગ ગામોમાં નામ બદલીને રહેતો હોવાથી પોલીસને હાથે લાગ્યો ન હતો. પરંતુ હવે પોલીસ પકડમાં આવતા નવસારી પોલીસની તપાસ બાદ તેને મહારાષ્ટ્રની ધુલે પોલીસને સોંપવામાં આવશે.

અપરાધ

નવસારીમાં મોડી રાત્રે ગેંગવોર : રેમ્બો ચપ્પુના ઘા ઝીંકાતા ૩ ગંભીર રીતે ઘાયલ

Published

on

By

આસિફ, ઇમરાન અને સિદ્ધુ સિવિલમાં ખસેડાયા, ગ્રામ્ય પોલીસની તપાસ શરૂ

નવસારી : નવસારી શહેરમાં ફરી એકવાર ગેંગવોર જોવા મળી હતી. ગત રાત્રે 12 વાગ્યા આસપાસ વિરાવળ જતા રસ્તા પર, બોસ્ટન ટી સામે બે જૂથ વચ્ચે લોહિયાળ મારામારી થઈ હતી. જેમાં ત્રણ યુવાનો ગંભીર રીતે ઘવાતા તેમને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાંથી એકને ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

રીઢા ગુનેગાર સિદ્ધુ થોરાટની ટોળકી અને અન્ય ગેંગ વચ્ચે થઈ હતી મારામારી

મળતી માહિતી અનુસાર, નવસારી શહેરમાં ગત રાતે રીઢા ગુનેગારો વચ્ચે ખુની ખેલ ખેલાયો હતો. શહેરના વિરાવળ નજીક બોસ્ટન ટી સ્ટોલ પાસે થયેલી માથાકૂટમાં બંને જૂથોએ રેમ્બો છરો સાથે ધારદાર હથિયારોથી એકબીજા ઉપર પ્રાણઘાતક વાર કરી મારામારી કરી હતી. જેમાં ત્રણ લોકો ગંભીર રીતે ઘવાયા હતા. જેમાં મારામારીમાં પંકાયેલો સિદ્ધુ થોરાટ, ઈમરાન શેખ અને આસિફને ઘાયલાવસ્થામાં નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાંથી આસિફની સ્થિતિ વધુ ગંભીર જણાતા તેને ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો.

જૂની અદાવત અથવા વર્ચસ્વ માટે ખૂની ખેલ ખેલાયો હોવાનું પ્રાથમિક તારણ

વિવાવળના બોસ્ટન ટી સ્ટોલ પાસે થયેલ આ ખૂની મારમારી જૂની અદાવત અથવા વર્ચસ્વની લડાઈમાં થઈ હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. આ સનસનાટીભરી ઘટનાની જાણ થતાં નવસારી ગ્રામ્ય પોલીસે મારામારી મુદ્દે કાયદેસરની તપાસ શરૂ કરી છે. જ્યારે મોડી રાત્રે થયેલી આ મારામારીને કારણે વિસ્તારમાં તંગદીલીનો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે પોલીસ ચોપડે હજી કોઈ ફરિયાદ નોંધાઈ નથી, પરંતુ સાંજ સુધીમાં ફરિયાદ નોંધાય અને પોલીસ ફરાર થયેલા આરોપીઓને પકડવાની કવાયત શરૂ કરે એવી સંભાવના જોવાઈ રહી છે.

સિદ્ધુ થોરાટ અને તેની ટોળકીનું અગાઉ પોલીસે કાઢ્યું હતું સરઘસ

ઘાયલ થયેલો આરોપી સિદ્ધુ થોરાટ વિજલપોર વિસ્તારમાં રીઢો ગુનેગાર છે અને અગાઉ અનેકવાર મારમારી સહિતના વિવિધ ગુનાઓમાં પોલીસના હાથે પકડાઈ ચૂક્યો છે. જેમાં મારામારીની અન્ય ઘટનામાં પોલીસે સિદ્ધુ અને તેના બે સાથીઓનો ગુનાના રિકંસ્ટ્રક્ષન કરવા સાથે કાયદાનું ભાન કરાવવા જાહેરમાં સરઘસ કાઢ્યું હતું.

Continue Reading

અપરાધ

ટ્રાફિક ઈ-ચલણના નામે ફોન હેક કરીને દોઢ લાખની ઠગાઈ કરનારા ઝડપાયા

Published

on

By

નવસારી સાયબર ક્રાઈમે વાપીથી 4 ઠગોની ધરપકડ કરી

નવસારી : ટ્રાફિક નિયમ ભંગનું ઓનલાઈન ચલણ ભરવાના બહાને મોબાઈલમાં ertochallan.apk ફાઇલ મોકલીને લોકોના એકાઉન્ટમાંથી લાખો રૂપિયા સેરવી લેતી એક ગેંગનો પર્દાફાશ થયો છે. નવસારી સાયબર ક્રાઈમ પોલીસે આ મામલે વલસાડના વાપી ખાતેથી 4 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે હવે આ ગેંગના મુખ્ય સૂત્રધારો અને ‘apk’ ફાઇલના સ્ત્રોત સુધી પહોંચવા માટે કવાયત હાથ ધરી છે.

ગણદેવીના વ્યક્તિને ertochallan.apk મોકલી કરી, દોઢ લાખ પડાવ્યા

નવસારીના ગણદેવી વિસ્તારના એક વ્યક્તિને થોડા દિવસો પહેલાં તેના વોટ્સએપ પર ટ્રાફિક નિયમ ભંગ બદલ ઓનલાઈન ચલણ ભરવા માટે ertochallan.apk ફાઇલ સાથેનો મેસેજ મળ્યો હતો. આ વ્યક્તિએ આ ફાઇલ ડાઉનલોડ કરતા જ સાયબર ઠગોએ તરત જ તેનો મોબાઈલ ફોન હેક કરી લીધો હતો. બાદમાં, ગણતરીની મિનિટોમાં જ તેના બેંક એકાઉન્ટમાંથી ત્રણ ટ્રાન્ઝેક્શનમાં કુલ 1.50 લાખ રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હતા. પોતાની સાથે થયેલ આ ઓનલાઈન છેતરપિંડીની જાણ થતાં જ પીડિત વ્યક્તિએ તાત્કાલિક નવસારી સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ પકડમાં આવેલા 4 આરોપીઓ માત્ર પ્યાદા

ફરિયાદ મળતા જ નવસારી સાયબર ક્રાઈમની ટીમે ટ્રાન્સફર થયેલી રકમ જે બેંક એકાઉન્ટમાં ગઈ હતી તેની કડી મેળવી. પોલીસે તપાસના આધારે વાપીના ચલા ખાતે રહેતા 27 વર્ષીય પ્રકાશ તિવારીને ઝડપી પાડ્યો હતો. તેની કડકાઈથી પૂછપરછ કરતા અન્ય ત્રણ સાગરીતો વાપીના બલીઠા ચેકપોસ્ટ નજીક, આટીયાવાડ 23 વર્ષીય સચિન સિંઘ અને 31 વર્ષીય રમેશ મંડળ તેમજ વાપીના મોરાઈ ગામે રહેતા 24 વર્ષીય સોમોકુમાર શર્માના નામો ખુલતા પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી હતી. જોકે, સાયબર ક્રાઈમના અધિકારી અનુસાર, પકડાયેલા ચારેય આરોપીઓ આ ટોળકીના માત્ર પ્યાદાં છે. આરોપી પ્રકાશ તિવારી બેંક એકાઉન્ટ હોલ્ડર છે, જ્યારે અન્ય ત્રણ આરોપીઓ દલાલ તરીકે અથવા તો એકાઉન્ટ શોધી આપવાનું કામ કરતા હતા.

આ રીતે ચલાવવામાં આવે છે સમગ્ર નેટવર્ક

સાયબર ઠગો સ્થાનિક સ્તરે ગરીબ કે જરૂરિયાતમંદ લોકોને 5 થી 10 હજારની લાલચ આપીને તેમના બેંક એકાઉન્ટ ભાડે રાખતા હોય છે, અથવા તો તેમના નામે નવા એકાઉન્ટ ખોલાવતા હોય છે. સમગ્ર મુદ્દે પોલીસ ertochallan.apk ફાઇલ કોણે અને ક્યાંથી મોકલી હતી, તેમજ આ સમગ્ર નેટવર્કના મુખ્ય આરોપીઓ કોણ છે, તેનું પગેરૂ શોધવા મથામણ કરી રહી છે.

વાંચકો માટે ચેતવણી

કોઈપણ અજાણી કે શંકાસ્પદ .apk ફાઇલ ડાઉનલોડ કરશો નહીં.

ટ્રાફિક ચલણ ભરવા માટે હંમેશા સરકારી વેબસાઇટ અથવા સત્તાવાર એપ્લિકેશનનો જ ઉપયોગ કરો.

જો કોઈ વ્યક્તિ વોટ્સએપ પર ચલણ ભરવા માટે લિંક કે ફાઇલ મોકલે, તો સાવચેત રહો અને બેંકની વિગતો આપવાનું ટાળો.

Continue Reading

અકસ્માત

આમરી કસબા માર્ગ પર બે હાઈવા ટ્રક ભટકાતા એકનું મોત એક ઘાયલ

Published

on

By

બાઈક ચાલકને બચાવવા જતા હાઈવા ડિવાઇડર કૂદી અન્ય હાઈવા સાથે અથડાયો

નવસારી : નવસારીના આમરી કસ્બા માર્ગ પરથી રોજના મોટી સંખ્યામાં ઓવર લોડેડ હાઈવા ટ્રક પસાર થતા હોય છે. ગતરોજ સાંજના સમયે ઓવરટેક કરવા જતા હાઈવા ટ્રકના ચાલકે સામેથી આવેલા બાઇક ચાલકને બચાવવા જતા ટ્રક ડિવાઇડર કુદાવી અને સામે ઉભેલા અન્ય હાઈવા ટ્રક સાથે ધડાકાભેર અથડાવી દીધો હતો. આકસ્માતમાં એક ચાલકનું મોત, જ્યારે બીજા ચાલકને ગંભીર અવસ્થામાં હોસ્પિટલ ખસેડ્યો હતો.

વારંવાર થતાં અકસ્માતોથી ગ્રામજનોમાં ભયનો માહોલ

મળતી માહિતી અનુસાર, નવસારીના આમરી કસ્બા માર્ગ ઉપરથી રોજના મોટી સંખ્યામાં ભારે વાહનો પસાર થાય છે. જેના કારણે છાસવારે અકસ્માતો થવાની ઘટનાઓ સામે આવતી રહે છે. ભારે વાહનોની બેફામ દોડથી આમરીના ગ્રામજનોમાં ભયનો માહોલ રહે છે. ત્યારે ગત રોજ સાંજના સમયે એક હાઈવા ટ્રકના ચાલકે ઓવરટેક કરવાની લાહ્યમાં સામેથી આવતી એક બાઈકને બચાવવા જતા ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા હાઈવા ડીવાઈડર કૂદી સામેના ટ્રેક ઉપર ઉભેલા અન્ય હાઈવા ટ્રક સાથે ભટકાયો હતો. અકસ્માતમાં હાઈવા નજીક ઉભેલા ચાલક અને સુરતના હજીરા ખાતે રહેતા મૂળ બિહારના અરૂણ ભારતીનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યુ હતુ. જ્યારે અકસ્માત સર્જનાર હાઈવા ટ્રકના ચાલક અને સુરતના ડિંડોલી ખાતે રહેતા મૂળ યુપીના મનજીત સરોજ ગંભીર રીતે ઘાયલ થતા, એને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાને પગલે ગ્રામજનો તેમજ રાહદારીઓ ભેગા થયા હતા. નવસારી ગ્રામ્ય પોલીસને ઘટનાની જાણ થતાં પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતક ચાલકના મૃતદેહને પીએમ અર્થે નવસારી સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. જ્યારે અકસ્માતને કારણે સર્જાયેલા ટ્રાફિક જામને હળવો કર્યો હતો. સમગ્ર મુદ્દે પોલીસે મનજીત સરોજ સામે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ આરંભી હતી.

Continue Reading
Advertisement

Trending