કર્ણાવતી એક્સપ્રેસ ટ્રેનના દરવાજા પાસે બેસી મોબાઈલ પર વાત કરતા હતા શિક્ષક
નવસારી : નવસારીના વિજલપોર રેલ્વે ફાટકથી થોડે દૂર રેલ્વે ટ્રેક ઉપર દોડી રહેલી કર્ણાવતી એક્સપ્રેસ ટ્રેનના દરવાજા પાસે બેસીને મોબાઈલ ઉપર વાત કરી રહેલા શિક્ષકના હાથ ઉપર ચાર બદમાશોએ ઝાપટ મારી મોબાઈલ ઝૂંટવ્યો હતો. પરંતુ શિક્ષક પોતાનું બેલેન્સ ન રાખી શકતા તેઓ પણ ચાલતી ટ્રેને નીચે પટકાયા હતા. જેમાં શિક્ષકના બંને પગમાં ગંભીર ઈજાઓ થતા, તેમને તાત્કાલિક નવસારી સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન શિક્ષકે એક પગ ગુમાવવાની નોબત આવતા કરૂન્તિકા સર્જાઇ હતી.
જ્ઞાન સહાયક તરીકે નોકરી કરતા શિક્ષક સુરતથી વાપી જઇ રહ્યા હતા
મળતી માહિતી અનુસાર, સુરત શહેરના માતાવાડી વિસ્તારમાં રહેતા 35 વર્ષીય રાજેશ ધંધુકિયા શાળામાં જ્ઞાન સહાયક તરીકે ફરજ બજાવે છે. દહેજના લખીગામમાં ફરજ બજાવતા શિક્ષક રાજેશની બદલી વાપીના વાઘછીપા ગામે થઇ હતી. જેથી આજે સવારે કર્ણાવતી એક્સપ્રેસ ટ્રેનમાં રાજેશ ધંધુકિયા વાઘછીપા ગામની શાળા જોવા જઈ રહ્યા હતા. ટ્રેનના દરવાજા પાસે બેઠેલા શિક્ષક રાજેશ મોબાઈલ ઉપર કોઈની સાથે વાત કરી રહ્યા હતા, ત્યારે ટ્રેન નવસારી રેલ્વે સ્ટેશનની વિજલપોર ફાટકથી આગળ આંબેડકર નગર અને રામનગર પાસેથી પસાર થઇ રહી હતી, ત્યારે રેલ્વે ટ્રેક ઉપર ચાર યુવાનો ઉભા હતા. દરમિયાન અચાનક રાજેશના મોબાઈલ ઉપર કોઈએ ઝાપટ મારી અને તેમનો 50 હજાર રૂપિયાનો મોબાઈલ ફોન ઝૂંટવી લીધો હતો. પરંતુ આ ઘટનામાં એક બદમાશનો હાથ રાજેશના બેગમાં ભેરવાય ગયો હતો, જેથી રાજેશ પોતાનું બેલેન્સ ન રાખી શકતા તેઓ પણ ચાલુ ટ્રેને નીચે ટ્રેક પર પટકાયા હતા અને તેમના બંને પગ ટ્રેનમાં આવી જતા ગંભીર રીતે ઘવાયા હતા. ઘટના બાદ ચારેય બદમાશો ઘટના સ્થળેથી ભાગી છૂટ્યા હતા. બીજી તરફ કોઈ ટ્રેનમાંથી પટકાયુ હોવાનું જાણતા જ સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને રાજેશને તાત્કલિક એમ્બ્યુલન્સમાં નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. જ્યાં ફરજ પરના ડોકટરે તેમને ચકાસતા તેમના ડાબા પગના ઘૂંટણ નીચેનો પગ ફક્ત સ્નાયુ ઉપર જ ટકેલો હતો. જેનું ઓપરેશન કરવા છતાં શિક્ષકે પાછળથી પગ કપાવવા પડે એવી સ્થિતિ હતી, જેથી ડોકટરોએ શિક્ષક રાજેશ ધંધુકિયાનો ડાબો પગ કાપવાનો નિર્ણય કર્યો હતો. જયારે જમણા પગમાં પણ ઓપરેશન કરવા પડ્યુ હતું.
સરકાર મદદ રૂપ થાય અને આવા બદમાશોની સામે કડક કાર્યવાહી કરે – રાજેશ ધંધુકિયા
ચાર યુવાનોની મોબાઈક તફડાવવાની લાલચે એક શિક્ષકે પોતાનો પગ ગુમાવવો પડ્યો છે, સાથે જ ઘરમાં કમાઉ એક જ વ્યક્તિ હોવાથી પરિવાર ઉપર પણ આભ તૂટી પડ્યુ હોય એવી સ્થિતિ બની છે. સાથે જ રાજેશ કેવી રીતે નોકરી કરી શકશે એ પણ પ્રશ્ન છે, એક તો જ્ઞાન સહાયક છે અને કાયમી થવાના સપના જોતા હતા. ત્યારે સરકાર તેમની સ્થિતિ વિષે વિચારી મદદરૂપ થાય એવી આશા રાજેશે સેવી છે. સાથે જ મોબાઈલ ઝૂંટવનારા બદમાશોને પકડી, તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે એવી માંગ કરી છે. ઉલ્લેખનિય છે કે, ટ્રેનના દરવાજા પાસે ઉભા રહી કે બેસીને મોબાઈલ જોતા કે વાત કરતા લોકોને આવા બદમાશ યુવાનો રેલ્વે ટ્રેક ઉપર ઉભા રહી ચાલુ ટ્રેને નિશાન બનાવી મોબાઈલ તફડાવી લેતા હોય છે. પરંતુ થોડા હજાર રૂપિયાના મોબાઈલ માટે ક્યારેક કોઈના જીવ પર આવી બને છે અને તેનો પરિવાર લાચાર બની જાય છે.
બાઈક ચાલકને બચાવવા જતા હાઈવા ડિવાઇડર કૂદી અન્ય હાઈવા સાથે અથડાયો
નવસારી : નવસારીના આમરી કસ્બા માર્ગ પરથી રોજના મોટી સંખ્યામાં ઓવર લોડેડ હાઈવા ટ્રક પસાર થતા હોય છે. ગતરોજ સાંજના સમયે ઓવરટેક કરવા જતા હાઈવા ટ્રકના ચાલકે સામેથી આવેલા બાઇક ચાલકને બચાવવા જતા ટ્રક ડિવાઇડર કુદાવી અને સામે ઉભેલા અન્ય હાઈવા ટ્રક સાથે ધડાકાભેર અથડાવી દીધો હતો. આકસ્માતમાં એક ચાલકનું મોત, જ્યારે બીજા ચાલકને ગંભીર અવસ્થામાં હોસ્પિટલ ખસેડ્યો હતો.
વારંવાર થતાં અકસ્માતોથી ગ્રામજનોમાં ભયનો માહોલ
મળતી માહિતી અનુસાર, નવસારીના આમરી કસ્બા માર્ગ ઉપરથી રોજના મોટી સંખ્યામાં ભારે વાહનો પસાર થાય છે. જેના કારણે છાસવારે અકસ્માતો થવાની ઘટનાઓ સામે આવતી રહે છે. ભારે વાહનોની બેફામ દોડથી આમરીના ગ્રામજનોમાં ભયનો માહોલ રહે છે. ત્યારે ગત રોજ સાંજના સમયે એક હાઈવા ટ્રકના ચાલકે ઓવરટેક કરવાની લાહ્યમાં સામેથી આવતી એક બાઈકને બચાવવા જતા ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા હાઈવા ડીવાઈડર કૂદી સામેના ટ્રેક ઉપર ઉભેલા અન્ય હાઈવા ટ્રક સાથે ભટકાયો હતો. અકસ્માતમાં હાઈવા નજીક ઉભેલા ચાલક અને સુરતના હજીરા ખાતે રહેતા મૂળ બિહારના અરૂણ ભારતીનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યુ હતુ. જ્યારે અકસ્માત સર્જનાર હાઈવા ટ્રકના ચાલક અને સુરતના ડિંડોલી ખાતે રહેતા મૂળ યુપીના મનજીત સરોજ ગંભીર રીતે ઘાયલ થતા, એને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાને પગલે ગ્રામજનો તેમજ રાહદારીઓ ભેગા થયા હતા. નવસારી ગ્રામ્ય પોલીસને ઘટનાની જાણ થતાં પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતક ચાલકના મૃતદેહને પીએમ અર્થે નવસારી સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. જ્યારે અકસ્માતને કારણે સર્જાયેલા ટ્રાફિક જામને હળવો કર્યો હતો. સમગ્ર મુદ્દે પોલીસે મનજીત સરોજ સામે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ આરંભી હતી.
29 ઓગસ્ટે નવસારી LCB પોલીસે ત્રણ લૂટારૂઓને સુરતથી પકડ્યા હતા
નવસારી : નવસારી પોલીસે થોડા દિવસ અગાઉ રાજ્યવ્યાપી લૂટ અને લૂટ વીથ મર્ડરના ગુનામાં પકડેલા લૂટારૂઓમાંથી એકે ગત રોજ પોલીસ રિમાન્ડ દરમિયાન નવસારી ગ્રામ્ય પોલીસ મથકમાં લઘુશંકાના બહાને બાથરૂમમાં જઈ ફિનાઈલ પી લેતા નવસારી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો હતો. જેની તબિયત હાલ સ્થિર હોવાની માહિતી મળી હતી.
લૂટારને નવસારી સિવિલ હોસ્પિટલના જેલ વોર્ડમાં સારવાર હેઠળ રખાયો
મળતી માહિતી અનુસાર, નવસારી LCB પોલીસે ગત 29 ઓગસ્ટના રોજ સુરતના કામરેજથી ત્રણ લૂટારૂઓને પકડ્યા હતા. આરોપી લૂટારૂ ટોળકી ગુજરાતના વિવિધ શહેરોમાં લોકોને કારમાં લિફ્ટ આપી અથવા અન્ય પ્રકારે અપહરણ કરી, તેની સાથે મારપીટ કરીને લૂટી લેતી હતી. આરોપીઓએ નવસારીના જલાલપોરના કુચેદ ગામ પાસે પણ એક વૃદ્ધની મોપેડને ટક્કર મારી, તેમને દવાખાને લઈ જવાના બહાને પોતાની કારમાં અપહરણ કરી, 1.67 લાખ રૂપિયાની લૂટ લચાવી, વૃદ્ધને અવાવરૂ જગ્યાએ ઉતારીને નાસી છૂટ્યા હતા. આરોપીઓ સામે લૂટ વીથ મર્ડરનો ગુનો પણ નોંધાયો હતો. ત્યારે રીઢા લૂટારૂ કલ્પેશ ઉર્ફે કાળીયો મકવાણા, સુનિલ ઉર્ફે મંગા ઓગણીયા અને મહેશ સોલંકીની ધરપકડ કરી, રિમાન્ડ મેળવી વધુ તપાસ નવસારી ગ્રામ્ય પોલીસને સોંપી હતી. દરમિયાન ગત રોજ આરોપી લૂટારૂ મહેશ સોલંકી નવસારી ગ્રામ્ય પોલીસ મથકમાં લઘુશંકાના બહાને બાથરૂમમાં ગયો હતો. જ્યાં બાથરૂમમાં મુકેલ ફિનાઇલની બાટલી ઉંચકી તેમાંથી ફિનાઈલ ગટગટાવી લીધુ હતુ. ઘટનાની જાણ થતા જ ગ્રામ્ય પોલીસ દોડતી થઈ હતી અને આરોપી મહેશને તત્કાલિક નવસારી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરે તેની સારવાર શરૂ કરતા હાલ તેની સ્થિતિ સ્થિર હોવાની માહિતી મળી છે. જોકે ઘટનાને લઈ પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે.
અકસ્માત સર્જ્યા બાદ ડમ્પર ચાલક ઘટના સ્થળેથી થયો ફરાર
નવસારી : નવસારી સુરત માર્ગ ઉપર આજે મળસ્કે મરોલી ચાર રાતા નજીક એક ટ્રક ચાલકે બાઈકને અડફેટે લેતા બાઈક સવાર બે યુવાનોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. અકસ્માત સર્જ્યા બાદ ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થતા પોલીસે તેનું પગેરૂ શોધવા તપાસ આરંભી છે.
ટ્રક અડફેટે મોતને ભેટનારા બંને યુવાનો નવસારીના જલાલપોર વિસ્તારના
મળતી માહિતી અનુસાર, નવસારીના જલાલપોર લીમડા ચોક વિસ્તારમાં રહેતો 31 વર્ષીય પ્રદીપ દેડાણીયા અને તેનો મિત્ર શહેરના બંદર રોડ વિસ્તારમાં રહેતો 27 વર્ષીય જુબેર શેખ આજે વહેલી સવારે બાઈક ઉપર સુરતના સચિન સ્થિત SMT કંપનીમાં નોકરીએ જઈ રહ્યા હતા. દરમિયાન નવસારી સુરત માર્ગ ઉપર મરોલી ચાર રસ્તાની થોડે દૂર એક ટ્રકે જુબેરની બાઈકને અડફેટે લેતા બાઈક ફસડાઈ પડી હતી અને બંને રસ્તા પર પટકાયા હતા. જેમાં જુબેરને માથામાં ગંભીર ઈજા થતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે પ્રદીપના શરીર પરથી ટ્રકનું પાછલું ટાયર ફરી વળતા તેનું પણ ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. જ્યારે રાહદારીઓ અને સ્થાનિકોએ મરોલી પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી બંને યુવાનોના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે મરોલી CHC ખાતે ખસેડ્યા હતા. જ્યારે સમગ્ર મુદ્દે અકસ્માત મોતનો ગુનો નોંધી, ફરાર થયેલા ટ્રક ચાલકને શોધવાની કવાયત હાથ ધરી હતી. જેમાં પોલીસે મરોલી ચાર રસ્તા સહિત અન્ય સ્થળોના CCTV ફૂટેજ મેળવી અકસ્માત સર્જનાર ટ્રેકને ઓળખી તો કાઢી, તેને શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે.