Connect with us

આરોગ્ય

સાંસદ સી. આર. પાટીલની નવસારીને સ્વચ્છતામાં દેશમાં અવ્વલ બનાવવાની નેમ

Published

on

સ્વચ્છતાનો ત્રણ મહિનાનો ટાર્ગેટ, 24 દિવસમાં જિલ્લામાંથી 2700 ટન કચરો કાઢ્યો

નવસારી : નવસારી જિલ્લાને સ્વચ્છ બનાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર સાથે જ નાગરિકોને જોતરીને સાંસદ દિશા નિર્દેશ અંતર્ગત સ્વચ્છતા અભિયાન છેડવામાં આવ્યું છે. ત્રણ મહિનામાં નવસારીને સ્વચ્છતામાં અવ્વલ બનાવવાના લક્ષ્યાંક સાથે શરૂ થયેલા અભિયાનના શરૂઆતના 24 દિવસોમાં જિલ્લામાંથી 15 હજારથી વધુ લોકોના સહયોગથી 2700 ટન જેટલો કચરો કાઢવામાં આવ્યો છે. ત્યારે આગામી દિવસોમાં જિલ્લાના નાગરીકો સ્વચ્છતા અંગે પોતાની જવાબદારી સમજી શહેર, ગામ અને જિલ્લાને સ્વચ્છ રાખે એ માટેના પ્રયાસો હાથ ધરાયા છે.

“ સ્વચ્છ નવસારી, જવાબદારી અમારી “ સૂત્ર હેઠળ સૌ નાવ્સરીવાસીઓને અભિયાનમાં જોડવાનો પ્રયાસ

ભારતમાં મધ્યપ્રદેશનું ઇન્દોર શહેર સ્વચ્છતામાં દેશમાં નંબર વન રહે છે. ત્યારે નવસારી જિલ્લો પણ સ્વચ્છતામાં અગ્રેસર રહે એવા પ્રયાસો નવસારીના સાંસદ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલે હાથ ધર્યા છે. સાંસદ દિશા નિર્દેશ કાર્યક્રમ અંતર્ગત ગત 3 ડીસેમ્બર 2023 ના રોજથી જિલ્લામાં સ્વચ્છતા અભિયાન છેડવામાં આવ્યુ છે. જેમાં જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં શહેરના સામજિક, રાજકીય અગ્રણીઓ, અધિકારીઓ મળીને 40 સભ્યોની સ્ટીયરીંગ કમિટી બનાવી, નવસારી જિલ્લાની ત્રણ નગરપાલિકાઓ અને 360 ગામડાઓને સ્વચ્છ બનાવવાનું આયોજન ઘડવામાં આવ્યું છે. આ સ્વચ્છતા અભિયનાનમાં મનરેગાના કામદારો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના સફાઈ કર્મીઓ સહિત જિલ્લાની 51 સામાજિક સંસ્થાઓના સ્વયંસેવકો, ભાજપ સંગઠનના કાર્યકરો મળીને 16 હજારથી વધુ લોકોએ 340 થી વધુ વાહનો અને મશીનોના સહયોગથી 360 ગામડાઓમાંથી કુલ 394 ટન કચરો અને ત્રણ શહેરોમાંથી 2337.69 ટન કચરાની સફાઈ કરી છે. આ સાથે જ શાળા, કોલેજ, NCC, NSS ના વિદ્યાર્થીઓને વિવિધ પ્રવૃત્તિ થકી જોડીને લોક જાગૃતિના કાર્યક્રમો પણ હાથ ધરાયા છે. જેથી આગામી મહિનાઓમાં નવસારીવાસીઓ સ્વચ્છ નવસારી, જવાબદારી અમારીના સુત્રને સાર્થક કરે, એવી અપીલ પણ કરવામાં આવી છે.

પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા 15 હજાર કાપડ બેગનું કરાશે વિતરણ  

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા છેલ્લા થોડા દિવસોથી સાંસદ સી. આર. પાટીલના માર્ગદર્શનમાં શરૂ કરેલા સ્વચ્છતા અભિયાનને લોકોએ પણ આવકાર્યું છે. ખાસ કરીને જિલ્લા કલેકટર એમની ટીમ દ્વારા સોસાયટીઓમાં ફરીને સ્થાનિકોને સુકો અને ભીનો કચરો અલગ અલગ તારવી આપવા અનુરોધ પણ કરવામાં આવ્યો છે. સાથે જ લોકોને સ્વચ્છતા અભિયાનમાં જોડવા લગ્ન કે શુભ પ્રસંગોએ સ્વચ્છતા ચાંદલો, શહેરમાં ભીત ચિત્રો, 15 હજાર કાપડની બેગનું વિતરણ, હેપ્પી સ્ટ્રીટ જેવા પ્રયાસો હાથ ધરાશે. જયારે જિલ્લાના 60 સ્થળો જે ચોખ્ખા કરવામાં આવ્યા બાદ પણ ત્યાં લોકો કચરો ફેંકી જાય છે, ત્યાં વોચમેન તેમજ હોમગાર્ડ મુકવામાં આવ્યા છે. તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલા આ સ્વચ્છતા અભિયાનને લોકો આવકારી રહ્યા છે. ખાસ કરીને સ્વચ્છતા હશે તો જ સ્વસ્થતા રેહશે, એવું માનીને પણ લોકો સ્વચ્છતાને જવાબદારી સમજીને નવસારીને સ્વચ્છ બનાવવા તત્પર થયા છે.

નવસારીમાંથી શરૂ થયેલું અભિયાન સમગ્ર રાજ્યમાં ફેલાવાશે

નવસારીના સાંસદ સી. આર. પાટીલ દ્વારા અગાઉ જિલ્લાના ચીખલીને દત્તક લઇ તેને વૈશ્વિક ફલક પર નામના અપાવી હતી. ત્યારે સ્વચ્છતા માટે સરકારી તંત્ર, સમાજિક સંસ્થાઓ, ભાજપ સંગઠન તેમજ નિષ્ણાંત કન્સલ્ટન્ટના સહયોગથી સ્વચ્છતામાં નવસારીનું નામ દેશમાં ગુંજતુ થાય એવા પ્રયાસો હાથ ધર્યા છે. જેની સાથે જ સ્વચ્છતાનું ભગીરથ અભિયાન સમગ્ર ગુજરાતમાં પણ આરંભ કરવાનો રોડ મેપ તૈયાર કરાયો છે.

આરોગ્ય

કોઈપણ એલર્જીક બીમારી હોય, હવે વિનામૂલ્યે થશે સારવાર

Published

on

By

સુરત નવી સિવિલ ખાતે એલર્જી ક્લિનિક અને ઈમ્યુનોથેરાપી ક્લિનિકનો થયો પ્રારંભ

સુરત : સતત બદલાતા વાતાવરણ સાથે શહેરમાં ઉડતી ધૂળ એલર્જી વધારી શકે છે, ખાસ કરીને ઔદ્યોગિક વિકાસને કારણે શ્વાસને લગતી એલર્જીના કેસો વધી રહ્યા છે. ત્યારે સુરત નવી સિવિલ હોસ્પિટલના OPD નં. 11 ખાતે કેન્દ્રિય જળ શક્તિમંત્રી સી. આર. પાટીલના હસ્તે એલર્જી ક્લિનિક અને ઈમ્યુનો થેરાપી ક્લિનિકનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. એલર્જી ક્લિનિકમાં દર મંગળવાર તથા શુક્રવારે સવારે 10 થી બપોરના 1 વાગ્યા સુધી નિદાન સાથે સારવાર કરવામાં આવશે.

બેથી 5 વર્ષ સુધી ચાલતી એલર્જીની સારવારમાં દોઢથી બે લાખનો ખર્ચ : અહીં વિનામૂલ્યે થશે સારવાર

 

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલે જણાવ્યું હતું કે, સુરત નવી સિવિલ હોસ્પિટલના તબીબોએ લોકોની નિરંતર સેવા કરીને લોકોનો વિશ્વાસ જીત્યો છે. એલર્જી ક્લિનિક શરૂ થવાથી સુરત સહિત દક્ષિણ ગુજરાતના દર્દીઓને એલર્જીની સારવાર વિના મૂલ્યે મળી રહેશે. સામાન્ય રીતે ખાનગી હોસ્પિટલમાં એલર્જીના નિદાન તેમજ સારવારનો ખર્ચ દોઢથી બે લાખ રૂપિયા સુધી થતો હોય છે. જે સિવિલમાં વિનામૂલ્યે શકય બનશે.

શરદી, કફ સહિત શ્વાસને લગતી અનેક એલર્જીનું સ્ક્રીન પ્રીક ટેસ્ટથી થશે વિનામૂલ્યે નિદાન

નોંધનીય છે કે, એલર્જી ક્લિનિક ખાતે સ્ક્રીન પ્રીક ટેસ્ટથી એલર્જીનું નિદાન કરવામાં આવશે. જેમાં જૂની ઘુળના કીડા, પરગરજ, ફૂગ ખાધ્ય પદાર્થ (મગફળી, દૂધ, ઈંડા તથા પાળતું પ્રાણીઓ જેમા બિલાડી, કુતરાની રૂવાટીના એલજન્સ તથા પ્રાણીઓ અને પક્ષીઓથી થતી એલર્જી) દર્દીઓના લક્ષણ તથા પર્યાવરણમાં રહેલા એલજન્સને ધ્યાનમાં રાખીને હાથ કે બરડાની ચામડી ઉપર એલજન્સના ટીપા મુકીને લેનસેટથી પ્રીક કરવામાં આવશે. અને જે ટેસ્ટના રિપોર્ટના આધારે 10 થી 15 મિનિટમાં એલર્જીનું પરિણામ મળી જશે. શરદી, કફ સહિત શ્વાસને લગતી અનેક એલર્જીનું નિદાન તથા સારવાર હવે નવી સિવિલ હોસ્પિટલના એલર્જી ટેસ્ટિંગ એન્ડ ઈમ્યુનોથેરાપી ક્લિનિકમાં વિના મુલ્યે થશે. ખાનગી હોસ્પિટલમાં બેથી પાંચ વર્ષ સુધી ચાલતી એલર્જીની સારવારમાં દોઢથી બે લાખ રૂપિયા ખર્ચ થાય છે.

ક્લિનિકના પ્રારંભ પ્રસંગે મહાનુભાવો તેમજ હોસ્પિટલના ડોકટરો રહ્યા ઉપસ્થિત

આ પ્રસંગે પૂર્વ અધિક નિયામક ડો. વિકાસબેન દેસાઈ, મનપાના પૂર્વ સ્થાયી સમિતિના ચેરમેન પરેશ પટેલ, મેડિકલ કોલેજના ડીન ડો. જયેશ બ્રહ્મભટ્ટ, તબીબ અધિક્ષક ડો. ધારિત્રી પરમાર, RMO ડો. કેતન નાયક, ચેસ્ટ વિભાગના વડા ડો. પારૂલ વડગામા, નર્સિંગ કાઉન્સિલના ઈકબાલ કડીવાલા, SMCA ના ડો. પરેશ કોઠારી,  IMA ના પ્રમુખ દિકન શાસ્ત્રી, RSS ના દિનેશ પટેલ અને નંદુજી શર્મા તથા તબીબો, વિવિધ વિભાગના વડાઓ, નર્સિંગ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.

Continue Reading

આરોગ્ય

નવસારીમાં પૂર્ણાના પાણી ઓસરતા ગંદકીનુ સામ્રાજ્ય

Published

on

By

લોકો ઘર, ઓફિસો અને દુકાનોમાં સફાઇમાં જોડાયા

નવસારી : નવસારી શહેરમાં શુક્રવારે પૂર્ણા નદીએ રૌદ્ર રૂપ ધારણ કરતા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં 4 થી 8 ફૂટ પુરના પાણી ભરાઇ જતા, લાખો લોકોને મુશ્કેલી વેઠવા પડી હતી. આજે વહેલી સવારથી પુરના પાણી ઓસરતા પુર અસરગ્રસ્ત વિસ્તરોમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યુ હતુ. પાલિકા સફાઇકર્મીઓની ફોજ ઉતારી સફાઇ કરાવે, એવી સ્થાનિકોમાં માંગ ઉઠી છે.

નિચાણવાળા વિસ્તારોના રસ્તાઓ, મોહલ્લા, સોસાયટીઓમાં કાદવ જ કાદવ

નવસારી તેમજ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે નવસારી નજીકથી પસારથતી પૂર્ણા નદીની જળસપાટી વધતા પુરની સ્થિતિ બની હતી. સવારથી બપોર સુધીમાં પૂર્ણા 30 ફૂટે પહોંચી જતા શહેરના નિચાણવાળા વિસ્તારોમાં 4 થી 8 ફૂટ પુરના પાણી ભરતા હજારો લોકોને સ્થળાંતરિત કરવા પડ્યા હતા. પુરના પાણી નિચાણવાળા વિસ્તારના ઘરોમાં ભરાઇ ગયા હતા. પુરના પાણી ગત મોડી રાતે ઉતર્યા હતા, ત્યારબાદ શહેરનાં નિચાણવાળા વિસ્તારોમાં કાદવ કીચડ રહી ગયો હતો. લોકોના ઘરો, દુકાનો, ઓફિસો, કારખાનાઓમાં પણ પુરને કારણે કાદવ થઇ ગયો હતો. જેથી વહેલી સવારથી જ અસરગ્રસ્તો દ્વારા પોતાના ઘર, દુકાનો, ઓફિસો, કારખાનાઓમાં સાફ સફાઇ હાથ ધરી હતી. જેમાં પુરના પાણીમાં પલળી જવાથી ખરાબ થયેલા અનાજ સહિતના સામાનને ફેંકી દેવા પડ્યો હતો. જેને કારણે પુર અસરગ્રસ્ત લોકોને હજારોથી લાખો રૂપિયાનું નુકશાન થવાનો અંદાજો છે.

પાલિકા દ્વારા યુદ્ધના ધોરણે સફાઇ શરૂ ન કરાતા લોકોમાં આક્રોશ

નવસારી શહેરમાં પુરના પાણી ઓસર્યા બાદ શહેરના નિચાણવાળા વિસ્તારોમાં ગંદકી ફેલાય છે. શહેરના 40 ટકા વિસ્તારમાં રસ્તાઓ, શેરી, મોહલ્લા, સોસાયટીઓમાં કાદવ કીચડ તેમજ પુરમાં તણાઈ આવેલ કચરો જોવા મળ્યો હતો. લોકોએ પોતાના ઘર, ઓફીસ, દુકાનોમાં સફાઇ હાથ ધરી હતી, પણ પાલિકા દ્વારા સફાઇમાં આળસ કરી હોવાની લોકચર્ચા ઉઠી છે. રસ્તાઓ ઉપર પાલિકાના એકલ દોકલ સફાઇકર્મીઓ દેખાતા સ્થાનિકોએ પાલિકાએ યુદ્ધના ધોરણે સફાઇકર્મીઓની ફોજ ઉતારવામાં આવે તો શહેર સ્વચ્છ થશે, નહીં તો ગંદકીને કારણે વિસ્તારમાં રોગચાળો ફેલાવવાની સંભાવના વ્યક્ત કરી હતી.

Continue Reading

આરોગ્ય

નવસારીના મુનસાડ ગામે ઝાડા ઉલ્ટીનો વાવર, આરોગ્ય વિભાગ દોડતું થયુ

Published

on

By

તમામને ઉગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે ખસેડાયા, એક નવસારી સિવિલ હોસ્પિટલમાં

નવસારી : ચોમાસુ શરૂ થતા પાણીજન્ય રોગોની સમસ્યા સામે આવતી હોય છે. જેમાં નવસારીના પૂર્વ પટ્ટીના મુનસાડ ગામે બે દિવસમાં 15 લોકોને ઝાડા ઉલ્ટીની સમસ્યા જાણતા તેમને નજીકના ઉગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર આર્થિક ખસેડવામાં આવ્યા હતા. જ્યારે એકની તબિયત વધુ બગડતા નવસારી સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા નવસારી આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઈ છે. સાથે જ કોલેરા છે કે કેમ..? એ માટે સેમ્પલ લઇ લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલ્યા છે.

ચોમાસુ શરૂ થતા જ પાણીજન્ય રોગોની વધે છે સમસ્યા

ચોમાસુ આવતા જ વરસાદી પાણીથી ખાબોચિયા ભરાવાને કારણે મચ્છર અને માખીનો ઉપદ્રવ વધી જાય છે. જેથી શહેર ગ્રામ્ય વિસ્તારના શ્રમિક વિસ્તારોમાં પાણીજન્ય રોગ થવાની સંભાવના પણ વધી જતી હોય છે. સાથે જ વરસાદમાં પલળવાથી શરદી ખાંસી અને તાવની બીમારી પણ સામાન્ય બનતી હોય છે. ત્યારે નવસારી તાલુકાના બારડોલી રોડ ઉપર આવેલ મુનસાડ ગામના હળપતિવાસમાં બે દિવસથી લોકોને ઝાડા ઉલ્ટીની સમસ્યા જણાઈ હતી. જેમાં ગતરોજ 11 લોકોને તબિયત બગડતા નજીકના ઉગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી એકની તબિયત વધુ બગડતા તેને નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આજે પણ વધુ ચાર લોકોને ઝાડા ઉલ્ટીની સમસ્યા થતા, ઉગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયા હતા. બે દિવસમાં 15 લોકોને ઝાડા ઉલ્ટીની સમસ્યા જણાતા નવસારી જિલ્લા આરોગ્ય વિભાગ દોડતું થયું હતુ. સાથે જ ઝાડા ઉલ્ટીની સમસ્યા શાને કારણે છે..? તે ચકાસવા મુનસાડ ગામમાં પાણીના સેમ્પલ લઈ, તેને લેબોરેટરીમાં મોકલી કોલેરા છે કે કેમ..? એની ચકાસણી કરવાના પ્રયાસો પણ આરંભ્યા છે. સાથે જ ગામમાં અસરગ્રસ્ત વિસ્તારમાં ક્લોરિનેશનની પ્રક્રિયા હાથ ધરવા સાથે પીવાના પાણીમાં કોઈ લીકેજ છે કે કેમ..? એની પણ ગ્રામ પંચાયતને તપાસ કરવા સૂચના આપી છે.

ઝાડા ઉલ્ટીનું કારણ ફૂડ પોઈઝનિંગ પણ હોઈ શકે..!!!

ઉગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર લઈ રહેલા દર્દીઓના કેટલાક સગાઓએ ગામમાં એક દુકાનના ઉદ્ઘાટન પ્રસંગે કરેલા નાસ્તા બાદ લોકોને ઝાડા ઉલ્ટીની સમસ્યા થઈ હોવાનું જણાવ્યું હતુ. જેથી અસરગ્રસ્તોને ફૂડ પોઈઝનિંગની અસર હોય એવું પણ પ્રાથમિક તબક્કે અનુમાન લગાવાઇ રહ્યું છે. જ્યારે કેટલાક લોકોએ ફળિયામાં પાણી સમસ્યા હોવાનું કહેતા આરોગ્ય વિભાગ દ્વારા પાણીના સેમ્પલ લઇ લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલ્યા છે. જોકે રિપોર્ટ બાદ જ ખરી હકીકત સામે આવશે.

Continue Reading
Advertisement

Trending