Connect with us

દક્ષિણ-ગુજરાત

બોર્ડ પરીક્ષાનું પરિણામ જાહેર – વિજ્ઞાન પ્રવાહમાં નવસારીની AB સ્કૂલનો દબદબો

Published

on

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં નવસારીનું 85.75 ટકા મતદાન નોંધાયુ

નવસારી : ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચમાં લેવાયેલ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની બોર્ડ પરીક્ષાનું આજે પરિણામ ઓનલાઇન જાહેર થયુ છે. નવસારી જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 85.75 ટકા ઉંચું આવ્યુ છે. જેમાં ગત વર્ષોની પેટર્ન મુજબ નવસારીની AB સ્કૂલનો દબદબો રહ્યો છે, જિલ્લાના A1 ગ્રેડના 62 વિદ્યાર્થીઓમાંથી 41 વિદ્યાર્થી ફક્ત AB સ્કૂલના જ છે.

નવસારી જિલ્લાના પરીક્ષા અપાનારા 4676 વિદ્યાર્થીઓમાંથી 4010 વિદ્યાર્થીઓ થયા પાસ

વિદ્યાર્થી કાળમાં બોર્ડ પરીક્ષાઓનું ઘણું મહત્વ છે. ખાસ કરીને ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડ પરીક્ષાઓમાં આવેલ ઉચ્ચત્તમ ગુણ વિદ્યાર્થીનું ભવિષ્ય નક્કી કરે છે. જેમાં પણ ધોરણ 12 ની પરીક્ષા ખુબ જ મહત્વની સાબિત થાય છે. ત્યારે ગત માર્ચ 2024 માં યોજાયેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાઓનું આજે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબ સાઈટ ઉપર પરિણામ જાહેર થયુ હતું. બોર્ડ પરીક્ષાનું પરિણામ જાહેર થતા જ નવસારી જિલ્લાની વિજ્ઞાન પ્રવાહની શાળાઓમાં કહીં ખુશી, કહીં ગમ જેવો માહોલ જોવા મળ્યો હતો. નવસારીમાં વિજ્ઞાન પ્રવાહમાં 4682 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી 4676 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને એમાંથી 4010 વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ થયા છે. જેમાંથી A1 ગ્રેડમાં 62 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે, જયારે A2 ગ્રેડમાં 364 વિદ્યાર્થીઓએ બાજી મારી છે.

નવસારીની AB સ્કૂલના વિદ્યાર્થીઓનો વિજ્ઞાન પ્રવાહમાં ઉજળો દેખાવ

નવસારી જિલ્લાની ખાનગી શાળાઓમાં અભ્યયાસ અને શિક્ષણને લઇને નવસારીના પરતાપોર સ્થિત આવેલી AB સ્કૂલ બોર્ડ પરીક્ષાના પરિણામોને લઇ પહેલેથી જ આગળ રહી છે. ગત વર્ષોમાં ધોરણ 10 હોય કે ધોરણ 12 બંનેમાં વિદ્યાર્થીઓનો ઉજળો દેખાવ AB સ્કૂલને જિલ્લામાં અવલ્લ નંબરે મુકે છે. ત્યારે આજે જાહેર થયેલા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું નવસારી જિલ્લાનું 85.75 ટકા પરિણામ આવ્યુ છે, જેમાંથી AB સ્કૂલનું 94.97 ટકા પરિણામ રહ્યુ છે. શાળાના 894 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 849 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. જેમાંથી શાળાના 41 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ સાથે પાસ થયા છે, જયારે 185 વિદ્યાર્થીઓ A2 ગ્રેડ સાથે ઉત્તીર્ણ થતા નવસારી જિલ્લાની વિજ્ઞાન પ્રવાહની શાળાઓમાં AB સ્કૂલનો ઉજળો દેખાવ રહ્યો છે.

સાગર ખેડૂ પરિવારનો ધ્રુવીશ ટંડેલ 96.6 ટકા સાથે શાળામાં પ્રથમ

AB સ્કૂલનો વિદ્યાર્થી ધ્રુવીશ ટંડેલે 500 માર્ક્સમાંથી કુલ 483 માર્ક્સ મેળવી 96.6 ટકા મેળવી શાળામાં પ્રથમ રહી, જિલ્લામાં મોખરે રહ્યો છે. સાગર ખેડૂ પિતાનો દીકરો ધ્રુવીશ જણાવે છે કે, શાળા સાથે માતા-પિતાનો સહયોગ ખુબ રહ્યો. રોજના રિવીઝન કરવુ જરૂરી છે, કારણ જે ભણો છો, એને રીવાઇઝ કરતા રહેશો, તો પાછળ જતા મુશ્કેલી નહીં પડે. સાથે જ વાંચન કરતા લખવાની પ્રેક્ટીસ જરૂરી થઇ જાય છે. શાળામાં 8 કલાક અને ઘરે 5 થી 6 કલાકની સખત મહેનતે આટલા પરિણામ સુધી પહોંચાડ્યો છે. જયારે ભવિષ્યમાં AI એન્જીનીયર બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

AB સ્કૂલની ક્રિષા કોરાટ GUJCET પરીક્ષામાં રાજ્યમાં પ્રથમ

નવસારીની AB સ્કૂલ તેના શૈક્ષણિક સાથે જ સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ વિદ્યાર્થીઓને અવ્વલ રાખવામાં સફળ રહી છે. બોર્ડ પરીક્ષામાં શાળાના વિદ્યાર્થીઓનો ઉજળો દેખાવ રહ્યો છે. જેની સાથે જ GUJCET પરીક્ષામાં પણ શાળાના 78 વિદ્યાર્થીઓએ 100 થી વધુ માર્ક્સ મેળવ્યા છે. જેમાંથી ક્રિષા કોરાટ 120 માંથી 120 માર્ક્સ મેળવીને રાજ્યમાં પ્રથમ રહી છે. જયારે વિજ્ઞાન પ્રવાહનાં મુખ્ય વિષયોની વાત કરીએ તો ક્રિષાએ બાયોલોજીમાં 100 માંથી 99 માર્ક્સ, ફિઝીક્સમાં 100 માંથી 98 માર્ક્સ અને કેમેસ્ટ્રીમાં 100 માંથી 99 માર્ક્સ મેળવ્યા છે. ક્રિષા પોતાની સફળતાનો શ્રેય તેના માતા-પિતા તેમજ શાળા અને શિક્ષકોને આપે છે. ખાસ કરીને બાયોલોજીમાં NCRT ના પાઠ્યપુસ્તકનું ઘણું મહત્વ હોય છે. ક્રિષાએ પુસ્તકની લાઇન ટૂ લાઇન મોઢે કરવાનો પ્રયાસ કર્યો હતો. ખાસ કરીને શબ્દ ઉપર વધારે ધ્યાન આપ્યુ હતુ. બાયોલોજીમાં ખાસ કરીને કોઇ એક પેરેગ્રાફ કે ટોપિક સમજવાનો પ્રયાસ કરતા હોય છે, પણ ક્રિષાએ મહત્વની લાઇન અલગ તારવી તેનો ચાર્ટ બનાવી યાદ રાખવાનો પ્રયાસ કર્યો હતો. સાથે જ ક્રિષા કૃષિ વૈજ્ઞાનિક બનવા માંગે છે, ઘણા વિદ્યાર્થીઓ બાયોલોજીને કારણે ડોક્ટર કે લેબોરેટરી ટેકનીશ્યન બનવા માંગતા હોય છે, પણ ભારત કૃષિ પ્રધાન દેશ હોવાથી ક્રિષા લોકોને શ્રેષ્ઠ ખોરાક મળી રહે એ માટે કૃષિ ક્ષેત્રમાં પોતાનું યોગદાન આપવા માંગે છે.

દક્ષિણ-ગુજરાત

નવસારીમાં કમોસમી વરસાદ, ખેડૂતોની ચિંતામાં વધારો

Published

on

By

નવસારી તાલુકામાં 4 કલાકમાં 4 ઈંચ વરસાદ વરસ્યો, રસ્તા થયા પાણી પાણી

નવસારી : હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ, આજે નવસારીમાં બપોર બાદ ધોધમાર કમોસમી વરસાદ શરૂ થતા જન જીવન પ્રભાવિત થયું હતુ. નવસારી તાલુકામાં જ 4 કલાકમાં 4 ઈંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસેલા માવઠાથી ડાંગર અને ચીકુના ખેડૂતોને માથે હાથ મુકી રોવાનો વારો આવ્યો છે.

ભારે વરસાદથી ગણદેવી બજારમાં ‘નદી’ ના દ્રશ્યો

હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આજે સવારથી નવસારી જિલ્લામાં કાળાંડિબાંગ વાદળો ઘેરાયા હતા અને વાતાવરણમાં બફારા સાથે ઉકળાટ પણ અનુભવાતો હતો. બપોર બાદ સાંજે 4 વાગ્યાથી નવસારી અને જલાલપોર તાલુકામાં શરૂ થયેલા કમોસમી ધોધમાર વરસાદે જનજીવન પ્રભાવિત કર્યુ હતું. નવસારી શહેરના ગ્રીડ, કબીલપોર, જુનાથાણા, લુંસીકુઈ, ઇટાળવા અને સ્ટેશન સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા શહેરના મુખ્ય રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા, જેના પરિણામે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ, ગણદેવી નગરના મુખ્ય બજારમાં પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે જાણે બજારમાંથી કોઈ નદી પસાર થઈ રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા.

કમોસમી વરસાદને કારણે ડાંગર અને ચીકુના પાકને મોટું નુકસાન

કમોસમી વરસાદને કારણે નવસારીના ડાંગર અને ચીકુના પાકને નુકશાનની ભીતિ સેવાઈ રહી છે. કારણ ખેતરોમાં હાલ ડાંગરની કાપણી થઈ રહી છે, જ્યારે કપાયેલી ડાંગર ખેતરમાં સુકવવા મુકી હતી એ ઘણી જગ્યાએ પલળી ગઈ હતી. જેને કારણે ખેડૂતોને મોટા આર્થિક નુકશાનની સંભાવના વધી છે. ચીકુના પાકમાં પણ વરસાદ મોટી નુકશાની આપશે, કારણ ચીકુની પ્રથમ સીઝન લાભ પાંચમથી શરૂ થતી હોય છે, પણ કમોસમી વરસાદને કારણે ચીકુની સાઈઝ અને ઉત્પાદન ઉપર પણ અસર પાડી છે, જેથી ખેડૂતોને આર્થિક નુકશાની વેઠવા પડશે.

સાંજે 4 થી રાતે 8 વાગ્યા સુધીમાં નવસારી તાલુકામાં 4 ઈંચ વરસાદ

નવસારીમાં આખો દિવસ ભારે ઉકળાટ બાદ વીજળીના કડાકા ભડાકા સાથે શરૂ થયેલો ભારે વરસાદે જન જીવનને પ્રભાવિત કર્યું હતું. જેમાં નવસારી તાલુકામાં સાંજે 4 થી રાતે 8 વાગ્યા સુધીમાં 106 મિમી એટલે કે 4.41 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે જલાલપોર તાલુકામાં 46 મિમી (1.91 ઈંચ) વરસાદ નોંધાયો હતો. જ્યારે આન્યા તાલુકાઓમાં ખેરગામ તાલુકામાં 28 મિમી (1.16 ઈંચ), ચીખલી તાલુકામાં 23 મિમી (0.95 ઈંચ) અને ગણદેવીમાં 9 મિમી તથા વાંસદા તાલુકામાં 2 મિમી વરસાદ નોંધાયો હતો.

Continue Reading

ગુજરાત

‘ખજૂરભાઈ’ નીતિન જાની 2027માં ચૂંટણી લડશે!

Published

on

By

રાજુલાના ખાનગી કાર્યક્રમમાં યુવાનોને રાજકારણમાં ઉતરવાની કરી હાંકલ

બારડોલી : સોશ્યલ મીડિયામાં ખજૂર – જીગલીના કૉમેડી વીડિયો થકી લોકપ્રિય અને ગરીબોના ઘરો બનાવનાર સામાજિક કાર્યકર નીતિન જાની ઉર્ફે ‘ખજૂરભાઈ’ એ સક્રિય રાજકારણમાં ઝંપલાવવાનો વિચાર કરી, આગામી વર્ષ 2027ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે, જેના કારણે રાજકીય વર્તુળોમાં ગરમાવો આવ્યો છે.

કયા પક્ષ સાથે જોડાશે એ નક્કી નહીં, પણ ચૂંટણી લડવા મક્કમ!

સોશ્યલ મીડિયામાં કૉમેડી વીડિયો થકી નામના મેળવનાર મૂળ બારડોલીના નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈ એ રાજુલાના ખાનગી કાર્યક્રમમાં ઉપસ્થિત યુવાનોને રાજકારણથી દૂર રહેવાને બદલે સક્રિય રીતે જોડાઈ, તેને નવી દિશા આપવા માટે હાંકલ કરી છે. જ્યાં યુવાનોના સવાલના જવાબમાં પોતે પણ 2027 ની વિધાનસભા ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી હતી. આ વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થતાં ‘ખજૂરભાઈ’ ના રાજકારણમાં પ્રવેશની વાત ચર્ચાએ ચઢી છે. જોકે, નીતિન જાનીએ હાલમાં કયા પક્ષમાંથી અને ક્યાંથી ચૂંટણી લડશે તે અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી, પરંતુ 2027 ની ચૂંટણી લડવા માટે તેઓ મક્કમ છે.

પાવર વિના 374 ઘર બનાવ્યા, સત્તા મળશે તો સંખ્યા વધશે

નીતિન જાનીએ અત્યાર સુધીમાં પોતાના કૉમેડી વીડિયો અને સામાજિક કાર્ય થકી કોઈ પણ સરકારી પાવર વિના 374 જેટલા જરૂરિયાતમંદ પરિવારો માટે પાકાં ઘરો બનાવ્યા છે. તેમણે જણાવ્યું કે, જો તેઓ ચૂંટણી લડીને સત્તામાં આવશે તો લોકો માટે ધાબાવાળા પાકાં ઘરો બનાવવાની સંખ્યામાં વધારો કરી શકશે. એટલું જ નહીં, તેમની ઈચ્છા ગુજરાતની ગૌશાળાઓને પણ ધાબાવાળી બનાવવાની છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આઈડિયોલોજીથી પ્રભાવિત છે ખજૂરભાઈ

હાસ્ય કલાકાર નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈનો જન્મ સુરતમાં થયો અને હાલ તેઓ સરદાર પટેલની ભૂમિ બારડોલીમાં રહે છે. જેથી જન્મથી જ સરદાર પટેલ તેમના હીરો રહ્યા છે. જોકે વર્તમાનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કાર્યપધ્ધતિથી તેઓ પ્રભાવિત છે અને વર્ષોથી તેમને પોતાના આઇડલ માને છે. ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી મોદીએ તેમના સમાજસેવાના કાર્યની સરાહના પણ કરી હતી. ત્યારે આગામી સમયમાં તેઓ કયા પક્ષ સાથે જોડાઈને રાજકીય સફર શરૂ કરે છે, એ જોવું રહ્યું.

Continue Reading

અપરાધ

નવસારીમાં મોડી રાત્રે ગેંગવોર : રેમ્બો ચપ્પુના ઘા ઝીંકાતા ૩ ગંભીર રીતે ઘાયલ

Published

on

By

આસિફ, ઇમરાન અને સિદ્ધુ સિવિલમાં ખસેડાયા, ગ્રામ્ય પોલીસની તપાસ શરૂ

નવસારી : નવસારી શહેરમાં ફરી એકવાર ગેંગવોર જોવા મળી હતી. ગત રાત્રે 12 વાગ્યા આસપાસ વિરાવળ જતા રસ્તા પર, બોસ્ટન ટી સામે બે જૂથ વચ્ચે લોહિયાળ મારામારી થઈ હતી. જેમાં ત્રણ યુવાનો ગંભીર રીતે ઘવાતા તેમને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાંથી એકને ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

રીઢા ગુનેગાર સિદ્ધુ થોરાટની ટોળકી અને અન્ય ગેંગ વચ્ચે થઈ હતી મારામારી

મળતી માહિતી અનુસાર, નવસારી શહેરમાં ગત રાતે રીઢા ગુનેગારો વચ્ચે ખુની ખેલ ખેલાયો હતો. શહેરના વિરાવળ નજીક બોસ્ટન ટી સ્ટોલ પાસે થયેલી માથાકૂટમાં બંને જૂથોએ રેમ્બો છરો સાથે ધારદાર હથિયારોથી એકબીજા ઉપર પ્રાણઘાતક વાર કરી મારામારી કરી હતી. જેમાં ત્રણ લોકો ગંભીર રીતે ઘવાયા હતા. જેમાં મારામારીમાં પંકાયેલો સિદ્ધુ થોરાટ, ઈમરાન શેખ અને આસિફને ઘાયલાવસ્થામાં નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાંથી આસિફની સ્થિતિ વધુ ગંભીર જણાતા તેને ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો.

જૂની અદાવત અથવા વર્ચસ્વ માટે ખૂની ખેલ ખેલાયો હોવાનું પ્રાથમિક તારણ

વિવાવળના બોસ્ટન ટી સ્ટોલ પાસે થયેલ આ ખૂની મારમારી જૂની અદાવત અથવા વર્ચસ્વની લડાઈમાં થઈ હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. આ સનસનાટીભરી ઘટનાની જાણ થતાં નવસારી ગ્રામ્ય પોલીસે મારામારી મુદ્દે કાયદેસરની તપાસ શરૂ કરી છે. જ્યારે મોડી રાત્રે થયેલી આ મારામારીને કારણે વિસ્તારમાં તંગદીલીનો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે પોલીસ ચોપડે હજી કોઈ ફરિયાદ નોંધાઈ નથી, પરંતુ સાંજ સુધીમાં ફરિયાદ નોંધાય અને પોલીસ ફરાર થયેલા આરોપીઓને પકડવાની કવાયત શરૂ કરે એવી સંભાવના જોવાઈ રહી છે.

સિદ્ધુ થોરાટ અને તેની ટોળકીનું અગાઉ પોલીસે કાઢ્યું હતું સરઘસ

ઘાયલ થયેલો આરોપી સિદ્ધુ થોરાટ વિજલપોર વિસ્તારમાં રીઢો ગુનેગાર છે અને અગાઉ અનેકવાર મારમારી સહિતના વિવિધ ગુનાઓમાં પોલીસના હાથે પકડાઈ ચૂક્યો છે. જેમાં મારામારીની અન્ય ઘટનામાં પોલીસે સિદ્ધુ અને તેના બે સાથીઓનો ગુનાના રિકંસ્ટ્રક્ષન કરવા સાથે કાયદાનું ભાન કરાવવા જાહેરમાં સરઘસ કાઢ્યું હતું.

Continue Reading
Advertisement

Trending