Connect with us

ગુજરાત

નવસારીના દાંડીના દરિયા કિનારે ફરવા આવેલા રાજસ્થાની પરિવારના 4 ને દરિયો ભરખી ગયો

Published

on

બપોરના સમયે ભરતીમાં ત્રણ પરિવારો ફસાયા, બેને બચાવાયા, એકના ચાર ડૂબ્યા

નવસારી : વેકેશન શરૂ થયુ છે અને રવિવારની રજાને કારણે નવસારીના ઐતિહાસિક દાંડીના દરિયા કિનારે ફરવા આવેલા મુળ રાજસ્થાનના વર્મા પરિવારના ચાર સભ્યોને દરિયો ભરખી જતા ગમગીની છવાઈ હતી. આજે બપોરના સમયે કિનારાથી દોઢ કિલોમીટર દૂર દરિયામાં નાહવા પડેલા ત્રણ પરિવારો ભરતીના પાણીમાં ફસાયા હતા, બૂમાબૂમ થતા હોમગાર્ડ જવાનોએ દરિયામાં કૂદીને બે પરિવારોને બચાવ્યા હતા, જયારે રાજસ્થાની પરિવારના 4 સભ્યો દરિયામાં તણાઇને ગુમ થયા હતા.

રાજસ્થાનના લાછોડા ગામના રાજપૂત પરિવારના માતા, બે પુત્રો અને ભાણેજ ડૂબ્યા

નવસારી જિલ્લાના ઐતિહાસિક દાંડીના દરિયા કિનારે શનિ-રવિની રજાઓમાં મોટી સંખ્યામાં સહેલાણીઓ ફરવા આવે છે, શાળામાં વેકશન પડ્યા બાદનો આજે પહેલો રવિવાર હોવાથી દાંડીમાં હજારોની સંખ્યામાં સહેલાણીઓ સવારથી આવી રહ્યા હતા. જેમાં નવસારીના અષ્ટગામ નજીકના નવા તળાવ ગામે છેલ્લા 19 વર્ષોથી વસેલા મુળ રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના લાછોડા ગામના ગોપાલ વર્માનો પરિવાર અને તેમના ઘરે મહેમાન બનીને આવેલા લાછોડા ગામના જ સંબંધીઓ સાથે દાંડીના દરિયા કિનારે ફરવા આવ્યો હતો. બપોરના સમયમાં દરિયો કિનારાથી અંદાજે દોઢ કિલોમીટર અંદર હતો, જેથી મોટાભાગના સહેલાણીઓ દોઢ કિલોમીટર અંદર દરિયાના પાણીમાં પહોંચ્યા હતા. આકરા તાપને કારણે ઘણા લોકો દરિયાના પાણીમાં નાહવા પડ્યા હતા, પરંતુ બપોરે 12:30 વાગ્યા બાદ દરિયામાં ભરતી શરૂ થઇ, જેને પાણીમાં નાહવા પડેલા લોકો સમજી શક્યા ન હતા. ગોપાલ વર્માના પરિવારમાં તેમના પત્ની સુશીલાબેન ઉર્ફે સુખીદેવી વર્મા, મોટો પુત્ર યુવરાજસિંહ વર્મા, નાનો પુત્ર દેશરાજસિંહ વર્મા અને ભાણેજ દુર્ગાકંવર રાવણા રાજપૂત સાથે જ તેમની નજીકમાં નાહતા સુરતના મહુવાના રીન્કેશ જીતેશભાઈ, આતિશ જીતુભાઈ અને વિપુલ હળપતિ પણ તેમની સાથે દરિયામાં તણાવા લાગ્યા હતા. પાણી વધતા લોકોએ બૂમાબૂમ કરતા જ કિનારે ઉભેલા હોમગાર્ડના જવનો અને સ્થાનિકો તેમની તરફ દોડ્યા હતા અને હોમગાર્ડના જવાને 20 થી 30 મિનીટમાં રીન્કેશ, આતિશ, વિપુલને બચાવીને બહાર કાઢ્યા હતા. પરંતુ ગોપાલ વર્માની પત્ની, પુત્રો અને ભાણેજ સુધી પહોંચે ત્યાં સુધીમાં તેઓ દરિયાના પાણીમાં તણાઇને ગુમ થયા હતા.

ઘટનાની જાણ થતા જિલ્લા કલેકટર, પોલીસ અધિક્ષક સહિતના અધિકારીઓ પણ દોડી આવ્યા

ઘટનાની જાણ થતા જલાલપોર પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. દરિયાની ભરતીને કારણે દરિયામાં ગુમ થયેલા ચારેય રાજસ્થાનીઓને શોધવામાં મુશ્કેલી થતા નવસારી વિજલપોર નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરતા, ફાયર બ્રિગેડના જવાનો બોટ તેમજ લાઈફ જેકેટ સહિતના સાધનો સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા. ફાયર બ્રિગેડે દરિયામાં ગુમ થયેલા માતા, પુત્રો અને ભાણેજને શોધવાની કોશિશ કરી હતી, પણ તેઓ નિષ્ફળ રહ્યા હતા. બીજી તરફ ઘટનાની ગંભીરતા જાણી નવસારી, જલાલપોરના પ્રાંત અધિકારી જનમ ઠાકોર દરિયા કિનારે પહોંચ્યા હતા. તેમની માહિતીને આધારે બાદમાં જિલ્લા કલેકટર ક્ષિપ્રા અગ્રે, જિલ્લા પોલીસ અધિક્ષક સુશિલ અગ્રવાલ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જેમણે ડીઝાસ્ટર વિભાગમાંથી જેની પણ મદદ લેવા પડે એની વ્યવસ્થા સાથે દરિયામાં ડૂબેલા ચારેય લોકોને શોધી કાઢવાની સૂચના આપી હતી.

મરીન કમાન્ડો અને SDRF ને સર્ચ ઓપરેશનમાં જોડવામાં આવ્યા

મોડી રાત સુધી દાંડીના દરિયામાં ડૂબેલા રાજસ્થાની વર્મા પરિવારના ચારેય સદસ્યોનો કોઈ પત્તો ન લગતા તંત્ર દ્વારા મોડી રાતે મરીન કમાન્ડોને બોલાવવામાં આવ્યા હતા. રાત્રી દરમિયાન ભરતીના પાણી ઉતર્યા બાદ નવસારી ફાયરના જવાનો અને મરીન કમાન્ડોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. પરંતુ વિશાળ દરિયામાં ડૂબેલા રાજસ્થાની પરિવારના ચારેય સદસ્યોના મૃતદેહોને શોધવા મોડે મોડે SDRF ની ટૂકડીને પણ બોલાવવામાં આવી હતી. જેઓ રાત્રી દરમિયાન પણ ડૂબેલા 4 લોકોને શોધવા કામે લાગ્યા હતા. પરંતુ તેમને મોડી રાત સુધી કોઈ સફળતા મળી ન હતી.

અપરાધ

વાંસદાના ચાપલધરા ગામેથી હાઈબ્રિડ ગાંજા અને ઝોમ્બી ઈ સિગારેટ સાથે બે ઝડપાયા

Published

on

By

ઝોમ્બી ઈ સિગારેટ પકડવાનો ગુજરાતનો પ્રથમ કિસ્સો

નવસારી : નવસારીના ચાપલધરા ગામે હાઈબ્રિડ ગાંજો અને ઝોમ્બી ઈ સિગારેટનું વેચાણ થતુ હોવાની બાતમીને આધારે સ્ટેટ મોનીટરીંગ સેલ પોલીસની ટીમે ગત રોજ છાપો મારી બેની ધરપકડ કરી હતી. પોલીસે ઘટના સ્થળેથી 28.15 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

SMC પોલીસે વાપીના આતિફને વોન્ટેડ જાહેર કર્યો

મળતી માહિતી અનુસાર, સ્ટેટ મોનીટરીંગ સેલ પોલીસની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ચાપલધરા ગામે રહેતો મિલન ધનગર હાઈબ્રિડ ગાંજાનું વેચાણ કરે છે. જેને આધારે ગત રોજ SMC ના PI સી. એચ. પનારા અને તેમની ટીમે ચાપલધરા ગામના વચલા ફળિયા, અંબા માતાજી મંદિર પાછળ રહેતા મિલન ધનગરના ઘરે છાપો માર્યો હતો. છાપા દરમિયાન પોલીસને મિલન પાસેથી 8 લાખ રૂપિયાનો 80 ગ્રામ હાઈબ્રિડ ગાંજો જથ્થો મળી આવ્યો હતો. જેની સાથે જ ગાંજાના સક્રિય ઘટકની હાજરીવાળી (THC) 20 લાખ રૂપિયાની 20 ઈ સિગારેટ પણ મળી આવી હતી. પોલીસે ઘટના સ્થળેથી મિલન સાથે તેના સાથીદાર તન્મયકુમાર પટેલની ધરપકડ કરી હતી. આરોપી મિલનની પૂછપરછમાં હાઈબ્રિડ ગાંજો તેને વાપીના આતિફે પહોંચાડી હતી. જેથી પોલીસે આતિફને વોન્ટેડ જાહેર કર્યો હતો. જ્યારે ઝોમ્બી ઈ સિગારેટ ડાર્ક વેબથી મંગાવી હતી. પોલીસે ઘટના સ્થળેથી હાઈબ્રિડ ગાંજો, ઈ સિગારેટ અને મોબાઈલ ફોન મળી કુલ 28.15 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. સાથે જ સમગ્ર મુદ્દે SMC પોલીસ મથકે ધી નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટેન્સ એક્ટ (NDPS) અને ધી પ્રોહીબિશન એક્ટ ઇલેક્ટ્રોનિક સિગારેટ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ આરંભી છે. ઉલ્લેખનિય છે કે, ગાંજાના સક્રિય ઘટક ધરાવતી ઝોમ્બી ઈ સિગારેટ પકડાયાનો આ ગુજરાતનો પ્રથમ ગુનો છે.

Continue Reading

ગુજરાત

ED સામેના કોંગ્રેસના વિરોધને ભાજપે વખોડી, સૂત્રોચ્ચાર સાથે નોંધાવ્યો વિરોધ

Published

on

By

નેશનલ હેરાલ્ડ કૌભાંડમાં રાહુલ – સોનિયા ગાંધી સામે ED એ ચાર્જશીટમાં લગાવ્યા આરોપ

નવસારી : નેશનલ હેરાલ્ડ કૌભાંડમાં ED દ્વારા ચાર્જશીટમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા સોનિયા ગાંધી અને લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધીના ઉપર આરોપ મઢતા, કોંગ્રેસે ષડયંત્રના આક્ષેપ સાથે ED કાર્યાલય સામે કરેલા વિરોધને ભાજપે વખોડી સામે વિરોધ નોંધાવ્યો હતો. નવસારી જિલ્લા ભાજપ યુવા મોર્ચાએ પણ શહેરના જુનાથાણા સર્કલ પાસે કોંગ્રેસના વિરોધને ખોટો ગણાવી, તેની સામે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યુ હતુ.

કોંગ્રેસે ન્યાયતંત્ર ઉપર વિશ્વાસ રાખી તપાસમાં સહયોગ કરવો જોઈએ – ભાજપ

નેશનલ હેરાલ્ડ કૌભાંડ પ્રકરણમાં ED દ્વારા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષા સોનિયા ગાંધી અને લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધી સામે આરોપ મઢેલી ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરતા, કોર્ટે આગામી 25 એપ્રિલે સુનવણી આપી છે. ED એ સોનિયા અને રાહુલ ગાંધી સામે આરોપ મઢતા કોંગ્રેસમાં ભૂકંપ જેવી સ્થિતિ બની છે, કોંગ્રેસે ઉગ્રતાથી સમગ્ર પ્રકરણમાં બદલાની ભાવનાથી કાર્યવાહી થતી હોવાના આક્ષેપ સાથે ED કાર્યાલય સામે વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. જેની સામે ભાજપે પણ ન્યાયતંત્રમાં વિશ્વાસ રાખો સૂર સાથે કોંગ્રેસના વિરોધને વખોડી સામે વિરોધ નોંધાવ્યો હતો. જેમાં નવસારી જિલ્લા યુવા મોર્ચાએ જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહની આગેવાનીમાં નવસારી શહેરના જુનાથાણા સર્કલ પાસે ભેગા થઈ સૂત્રોચ્ચાર કરી, વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. સાથે જ કોંગ્રેસે ન્યાયતંત્ર ઉપર વિશ્વાસ રાખી તપાસમાં સહકાર આપવો જોઈએની વાત કરી કોંગ્રેસના વિરોધને વખોડી કાઢ્યો હતો.

 

Continue Reading

ગુજરાત

બીલીમોરાના વાલ્મિકી વાસમાં DGVCL ના સ્માર્ટ મીટરનો વિરોધ

Published

on

By

DGVCL દ્વારા જબરદસ્તી સ્માર્ટ મીટર લગાવવામાં આવતા હોવાના આક્ષેપો

નવસારી : દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા નવસારી જિલ્લાના ગ્રાહકોને ત્યાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, પરંતુ ગ્રાહકોની જાણ બહાર સ્માર્ટ મીટર લગાવવામાં આવતા લોકોમાં રોષ ફેલાયો છે. નવસારીના ઘેલખડીમાં વિરોધ થયા બાદ બીલીમોરા શહેરના વાલ્મિકી વાસમાં પણ જબરદસ્તી સ્માર્ટ મીટર લગાવતા વીજ કંપનીના કર્મચારીઓનો સ્થાનિકોએ વિરોધ કરી કામગીરી અટકાવી હતી.

બીલીમોરા શહેરમાં અંદાજે 1500 સ્માર્ટ મીટર લાગી ગયા

ડિજીટલ યુગમાં દરેક વસ્તુઓ સ્માર્ટ થઈ રહી છે. જેમાં સરકારો પણ સ્માર્ટ થવાનો પ્રયાસ કરી રહી છે, ત્યારે ગુજરાત સરકાર હસ્તકની વીજ કંપનીઓ દ્વારા બીલની ઝંઝટમાંથી બહાર નીકળવા અને વીજ વપરાશ ઘટાડવા માટે ડીજીટલ એટલે કે સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત કરી છે. જેમાં સ્માર્ટ મીટરમાં વધારે યુનિટ ફરી જતા ગ્રાહકોને બે મહિનાના બીલના રૂપિયા થોડા દિવસોમાં જ વપરાય જતા હોવાની ફરિયાદો ઉઠી હતી. દરમિયાન છેલ્લા થોડા દિવસોથી નવસારી જિલ્લામાં પણ દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત કરી છે. જેમાં ગત રોજ નવસારી શહેરના ઘેલખડી વિસ્તારમાં આવેલ ચોકલેટ હાઉસિંગ સોસાયટીમાં જબરદસ્તી લગાવવામાં આવેલા સ્માર્ટ મીટર દૂર કરવાની સ્થાનિકોએ માંગ કરી હતી. ત્યારે આજે બીલીમોરા શહેરના વાલ્મિકી વાસમાં પણ DGVCL ના અધિકારીઓ કર્મચારીઓએ કોઈપણ પ્રકારની જાણ કર્યા વિના જબરદસ્તીથી ગ્રાહકોના જૂના મીટર કાઢી નવા સ્માર્ટ મીટર લગાવી દીધાના આક્ષેપો સાથે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો. જેમાં DGVCL ના અધિકારીઓ અને કર્મીઓ સાથે સ્થાનિકોની ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી અને લોકોએ સ્માર્ટ મીટર લગાવવાની કામગીરીને અટકાવી દીધી હતી. સાથે જ વાલ્મિકી વાસના જે 15 થી 20 ઘરોમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા હતા એને પણ કાઢી લેવાની માંગ કરી હતી. જોકે DGVCL ના અધિકારીએ તેમની પાસે સ્માર્ટ મીટર લગાવવા ભારત સરકારનો રાજપત્ર હોવાની વાત કરી, દરેક ગ્રાહકને ત્યાં સ્માર્ટ મીટર લગાવવા તૈયારી દર્શાવી હતી. જયારે બીલીમોરા શહેરમાં અત્યાર સુધીમાં અંદાજે 1500 ગ્રાહકોને ત્યાં સ્માર્ટ મીટર લાગી ગયા હોવાની માહિતી આપી હતી. પરંતુ લોકોના વિરોધને પગલે હાલ વીજ કંપનીના અધિકારીઓ કર્મચારીઓએ પણ કામગીરી રોકવાની ફરજ પડી હતી.

 

Continue Reading
Advertisement

Trending