Connect with us

અપરાધ

રજાની મજા માણતાં દાંડીના દરિયામાં ડૂબેલા ચારેય રાજસ્થાનીઓના મૃતદેહ મળ્યા

Published

on

માતા-પુત્રના દાંડી નજીકથી, જયારે ભાઈ-બહેનના મૃતદેહ બોરસી માછીવાડ નજીકથી મળ્યા

નવસારી : વેકેશન પડતા જ પરિવારો રજાની મજા માણવા પ્રવાસન સ્થળો પર નીકળી પડે છે, નવસારીના ઐતિહાસિક દાંડીના દરિયા કિનારે પણ મોટી સંખ્યામાં સહેલાણીઓ આવતા હોય છે. ત્યારે ગત રોજ મુળ રાજસ્થાનનો પરિવાર દાંડી ફરવા ગયો હતો, જેમાંથી દરિયાના પાણીમાં રજાની મજા માણી રહેલા 4 સભ્યો ડૂબીને તણાઇ ગયા હતા. જેમાં માતા પુત્રના મૃતદેહ આજે વહેલી સવારે દાંડી નજીકથી મળ્યા હતા. જયારે ભાઈ અને બહેનના મૃતદેહ દાંડીથી દૂર પૂર્ણા નદીની ખાડીમાં બોરસી માછીવાડ નજીકથી મળ્યા હતા. ચારેય મૃતકો મળતા પરિવાર અને સંબંધીઓમાં શોકની કાલીમા છવાઈ હતી.

ગોપાલ વર્માનો માળો વિખેરાયો, ફરવા આવેલી ભાણેજ પણ ખોઇ

મુળ રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના લાછુડા ગામના વતની ગોપાલ વર્મા વર્ષ 2005 માં રોજગારની શોધમાં નવસારી આવ્યા હતા અને નવસારી તાલુકાના અષ્ટગામ નજીકના નવા તળાવ ગામે વસ્યા હતા. ગોપાલ વર્મા અષ્ટગામથી સદલાવ જવાના માર્ગ પર કરીયાણાની નાની દુકાન સાથે ડ્રાઈવીંગ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. જેના બે પુત્રોમાંથી 17 વર્ષીય યુવરાજસિંહ રાજસ્થાન રહીને ભણી રહ્યો હતો, જયારે નાનો પુત્ર દેશરાજસિંહ તેની સાથે જ રહેતો હતો. પરીક્ષાનું રીઝલ્ટ આવ્યા બાદ અને શાળામાં વેકશન પડતા યુવરાજસિંહ તેની માસીની દીકરી દુર્ગાકંવર રાવણા રાજપૂત, તેની ભાભી રેખાકંવર સાથે નવસારી આવ્યો હતો. વેકેશન હોવાથી વર્મા પરિવારે ગત રોજ નવસારીના ઐતિહાસિક દાંડીના દરિયા કિનારે ફરવા જવાનો પ્લાન બનાવ્યો હતો. જેમાં ગોપાલનો મિત્ર કિશન ગુર્જર, તેની દીકરી મમતા અને પુત્ર શિવમ અને કિશનનો ભાણેજ પરેશ સાથે જોડાયા હતા. તમામ બપોરે 12 વાગ્યા આસપાસ નીકળ્યા હતા અને દાંડી પહોંચતા યુવરાજ, દેશરાજ સહિતના લોકો દોઢ કિલોમીટર દૂર દરિયામાં જવા નીચે ઉતર્યા હતા, જેમાં શિવમ અને પરેશ કિનારે જ બેઠા હતા. દરમિયાન બપોરના આકરા તાપમાં રાહત મેળવવા વર્મા પરિવારના લોકો દરિયામાં નાહવા પડ્યા હતા. દરમિયાન અંદાજે 1 થી દોઢ વાગ્યા આસપાસ ભરતી શરૂ થતા વર્મા પરિવારના યુવરાજ, દેશરાજ, તેની માતા સુશીલા અને ભાણેજ દુર્ગા દરિયાના પાણીમાં તણાવા લાગ્યા હતા. જેથી અન્ય સભ્યોએ તેમને બચાવવા માટે બૂમાબૂમ કરી હતી, જેને સાંભળી હોમગાર્ડ જવાનો દોડ્યા પણ ઝડપથી વધેલા પાણીમાં ચારેય લોકો તણાઇને ગુમ થયા હતા.

દરિયામાં ડૂબેલા ચારેયને શોધવા ફાયર બ્રિગેડ, મરીન કમાન્ડો અને SDRF ને કામે લગાડાઈ

ઘટનાની જાણ થતા તંત્રના ઉચ્ચ અધિકારીઓ સહિત નવસારી વિજલપોર પાલિકાના ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને દરિયામાં ગુમ થયેલા રાજસ્થાની પરિવારના ચારેય લોકોને શોધવાનો પ્રયાસ કર્યો હતો. સ્પીડ બોટ લઇને દરિયામાં ગયા બાદ પણ ફાયરના જવાનોને ચારેયમાંથી એક પણ મળી ન આવતા તેઓ કિનારે પરત ફર્યા હતા. દાંડી પહોંચેલા કલેકટરે ડીઝાસ્ટર વિભાગને જાણ કરી, મરીન કમાન્ડો અને SDRF ના જવાનોની ટીમ બોલાવી સર્ચ ઓપરેશનને વેગ આપ્યો હતો. જેમાં 15 કલાકની મહેનત બાદ દાંડી નજીકના ફાર્મ હાઉસ પાસેથી યુવરાજ અને બાબા સ્વામી આશ્રમના પાછળથી સુશીલા વર્માનો મૃતદેહ મળ્યો હતો. જેની સાથે જ શોધખોળ કરનારી એક ટૂકડીને બોરસી માછીવાડ ગામ પાસેની પૂર્ણા નદીની ખાડીમાં મૃતદેહો દેખાયા હોવાની માહિતી મળતા, એક ટૂકડી દાંડીથી સ્પીડ બોટ મારફતે ખાડીઅ પહોંચી હતી અને ત્યાંથી દેશરાજ વર્મા અને દુર્ગા રાવણા રાજપૂતનાં મૃતદેહને શોધીને નવસારી સિવિલ હોસ્પિટલ મોકલ્યા હતા. દાંડીમાં જીવ ગુમાવનારા ચારેયના મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરાવી, તેમને મોડી સાંજે પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા.

દરિયામાં જીવ ગુમાવનાર ચારેય મૃતદેહ રાજસ્થાન લઇ જવાની કરાઈ તૈયારી

પોતાના સ્વજનોના ગુમાવવાના દુઃખ સાથે ગોપાલ વર્માના સંબંધીઓએ તમામની અંતિમ ક્રિયા રાજસ્થાન તેમના વતનમાં કરવાનો નિર્ણય કર્યો હતો. જેથી માતા બે પુત્રો અને ભાણેજના મૃતદેહોને રાજસ્થાન લઇ જવા લાકડાની ચાર પેટી બનાવડાવી હતી અને તેને રાજસ્થાન લઇ જવા માટેની તમામ વ્યવસ્થા ગોઠવી દીધી હતી. બપોર બાદ જયારે ચારેયના મૃતદેહો મળ્યા, બાદ તેમને લાકડાની પેટીમાં મુકીને પ્રથમ ગોપાલ વર્માના નવસારીના નવા તળાવ ખાતેના ઘરે લઇ જવામાં આવ્યા હતા. ગામમાં મૃતદેહો પહોંચતા જ ગ્રામજનો તેમજ મોટી સંખ્યામાં રાજસ્થાનીઓ ભેગા થયા હતા અને ચારેય મૃતકોને અંતિમ વિદાય આપી હતી.

તંત્ર દ્વારા આજે પણ સહેલાણીઓ માટે દરિયા કિનારે પ્રતિબંધ લગાવાયો

ઐતીસસિક દાંડીના દરિયા કિનારે રવિવાર અને વેકેશનની રજાને કારણે ગત રોજ અંદાજે 5 હજાર લોકોની ભીડ જામી હતી. જેમાં દરિયા વિષેની માહિતી ન હોવાને કારણે દોઢ કિલોમીટર અંદર જઈ મજા માણી રહેલા પરિવારોમાંથી 7 લોકો દરિયાના પાણીમાં તણાવા લાગ્યા હતા, જેમાંથી 3 ને બચાવી લેવાયા હતા, જયારે 4 ડૂબી ગયા હતા. ઘટનાને જોતા ગત રોજ સાંજે જ તંત્ર દ્વારા દરિયા કિનારો ખાલી કરાવી દેવામાં આવ્યો હતો. જયારે આજે પણ સહેલાણીઓ માટે દાંડીના દરિયા કિનારે પ્રવેશ બંધ રાખવામાં આવ્યો હતો.

અપરાધ

નવસારીમાં મોડી રાત્રે ગેંગવોર : રેમ્બો ચપ્પુના ઘા ઝીંકાતા ૩ ગંભીર રીતે ઘાયલ

Published

on

By

આસિફ, ઇમરાન અને સિદ્ધુ સિવિલમાં ખસેડાયા, ગ્રામ્ય પોલીસની તપાસ શરૂ

નવસારી : નવસારી શહેરમાં ફરી એકવાર ગેંગવોર જોવા મળી હતી. ગત રાત્રે 12 વાગ્યા આસપાસ વિરાવળ જતા રસ્તા પર, બોસ્ટન ટી સામે બે જૂથ વચ્ચે લોહિયાળ મારામારી થઈ હતી. જેમાં ત્રણ યુવાનો ગંભીર રીતે ઘવાતા તેમને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાંથી એકને ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

રીઢા ગુનેગાર સિદ્ધુ થોરાટની ટોળકી અને અન્ય ગેંગ વચ્ચે થઈ હતી મારામારી

મળતી માહિતી અનુસાર, નવસારી શહેરમાં ગત રાતે રીઢા ગુનેગારો વચ્ચે ખુની ખેલ ખેલાયો હતો. શહેરના વિરાવળ નજીક બોસ્ટન ટી સ્ટોલ પાસે થયેલી માથાકૂટમાં બંને જૂથોએ રેમ્બો છરો સાથે ધારદાર હથિયારોથી એકબીજા ઉપર પ્રાણઘાતક વાર કરી મારામારી કરી હતી. જેમાં ત્રણ લોકો ગંભીર રીતે ઘવાયા હતા. જેમાં મારામારીમાં પંકાયેલો સિદ્ધુ થોરાટ, ઈમરાન શેખ અને આસિફને ઘાયલાવસ્થામાં નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાંથી આસિફની સ્થિતિ વધુ ગંભીર જણાતા તેને ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો.

જૂની અદાવત અથવા વર્ચસ્વ માટે ખૂની ખેલ ખેલાયો હોવાનું પ્રાથમિક તારણ

વિવાવળના બોસ્ટન ટી સ્ટોલ પાસે થયેલ આ ખૂની મારમારી જૂની અદાવત અથવા વર્ચસ્વની લડાઈમાં થઈ હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. આ સનસનાટીભરી ઘટનાની જાણ થતાં નવસારી ગ્રામ્ય પોલીસે મારામારી મુદ્દે કાયદેસરની તપાસ શરૂ કરી છે. જ્યારે મોડી રાત્રે થયેલી આ મારામારીને કારણે વિસ્તારમાં તંગદીલીનો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે પોલીસ ચોપડે હજી કોઈ ફરિયાદ નોંધાઈ નથી, પરંતુ સાંજ સુધીમાં ફરિયાદ નોંધાય અને પોલીસ ફરાર થયેલા આરોપીઓને પકડવાની કવાયત શરૂ કરે એવી સંભાવના જોવાઈ રહી છે.

સિદ્ધુ થોરાટ અને તેની ટોળકીનું અગાઉ પોલીસે કાઢ્યું હતું સરઘસ

ઘાયલ થયેલો આરોપી સિદ્ધુ થોરાટ વિજલપોર વિસ્તારમાં રીઢો ગુનેગાર છે અને અગાઉ અનેકવાર મારમારી સહિતના વિવિધ ગુનાઓમાં પોલીસના હાથે પકડાઈ ચૂક્યો છે. જેમાં મારામારીની અન્ય ઘટનામાં પોલીસે સિદ્ધુ અને તેના બે સાથીઓનો ગુનાના રિકંસ્ટ્રક્ષન કરવા સાથે કાયદાનું ભાન કરાવવા જાહેરમાં સરઘસ કાઢ્યું હતું.

Continue Reading

અપરાધ

ટ્રાફિક ઈ-ચલણના નામે ફોન હેક કરીને દોઢ લાખની ઠગાઈ કરનારા ઝડપાયા

Published

on

By

નવસારી સાયબર ક્રાઈમે વાપીથી 4 ઠગોની ધરપકડ કરી

નવસારી : ટ્રાફિક નિયમ ભંગનું ઓનલાઈન ચલણ ભરવાના બહાને મોબાઈલમાં ertochallan.apk ફાઇલ મોકલીને લોકોના એકાઉન્ટમાંથી લાખો રૂપિયા સેરવી લેતી એક ગેંગનો પર્દાફાશ થયો છે. નવસારી સાયબર ક્રાઈમ પોલીસે આ મામલે વલસાડના વાપી ખાતેથી 4 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે હવે આ ગેંગના મુખ્ય સૂત્રધારો અને ‘apk’ ફાઇલના સ્ત્રોત સુધી પહોંચવા માટે કવાયત હાથ ધરી છે.

ગણદેવીના વ્યક્તિને ertochallan.apk મોકલી કરી, દોઢ લાખ પડાવ્યા

નવસારીના ગણદેવી વિસ્તારના એક વ્યક્તિને થોડા દિવસો પહેલાં તેના વોટ્સએપ પર ટ્રાફિક નિયમ ભંગ બદલ ઓનલાઈન ચલણ ભરવા માટે ertochallan.apk ફાઇલ સાથેનો મેસેજ મળ્યો હતો. આ વ્યક્તિએ આ ફાઇલ ડાઉનલોડ કરતા જ સાયબર ઠગોએ તરત જ તેનો મોબાઈલ ફોન હેક કરી લીધો હતો. બાદમાં, ગણતરીની મિનિટોમાં જ તેના બેંક એકાઉન્ટમાંથી ત્રણ ટ્રાન્ઝેક્શનમાં કુલ 1.50 લાખ રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હતા. પોતાની સાથે થયેલ આ ઓનલાઈન છેતરપિંડીની જાણ થતાં જ પીડિત વ્યક્તિએ તાત્કાલિક નવસારી સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ પકડમાં આવેલા 4 આરોપીઓ માત્ર પ્યાદા

ફરિયાદ મળતા જ નવસારી સાયબર ક્રાઈમની ટીમે ટ્રાન્સફર થયેલી રકમ જે બેંક એકાઉન્ટમાં ગઈ હતી તેની કડી મેળવી. પોલીસે તપાસના આધારે વાપીના ચલા ખાતે રહેતા 27 વર્ષીય પ્રકાશ તિવારીને ઝડપી પાડ્યો હતો. તેની કડકાઈથી પૂછપરછ કરતા અન્ય ત્રણ સાગરીતો વાપીના બલીઠા ચેકપોસ્ટ નજીક, આટીયાવાડ 23 વર્ષીય સચિન સિંઘ અને 31 વર્ષીય રમેશ મંડળ તેમજ વાપીના મોરાઈ ગામે રહેતા 24 વર્ષીય સોમોકુમાર શર્માના નામો ખુલતા પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી હતી. જોકે, સાયબર ક્રાઈમના અધિકારી અનુસાર, પકડાયેલા ચારેય આરોપીઓ આ ટોળકીના માત્ર પ્યાદાં છે. આરોપી પ્રકાશ તિવારી બેંક એકાઉન્ટ હોલ્ડર છે, જ્યારે અન્ય ત્રણ આરોપીઓ દલાલ તરીકે અથવા તો એકાઉન્ટ શોધી આપવાનું કામ કરતા હતા.

આ રીતે ચલાવવામાં આવે છે સમગ્ર નેટવર્ક

સાયબર ઠગો સ્થાનિક સ્તરે ગરીબ કે જરૂરિયાતમંદ લોકોને 5 થી 10 હજારની લાલચ આપીને તેમના બેંક એકાઉન્ટ ભાડે રાખતા હોય છે, અથવા તો તેમના નામે નવા એકાઉન્ટ ખોલાવતા હોય છે. સમગ્ર મુદ્દે પોલીસ ertochallan.apk ફાઇલ કોણે અને ક્યાંથી મોકલી હતી, તેમજ આ સમગ્ર નેટવર્કના મુખ્ય આરોપીઓ કોણ છે, તેનું પગેરૂ શોધવા મથામણ કરી રહી છે.

વાંચકો માટે ચેતવણી

કોઈપણ અજાણી કે શંકાસ્પદ .apk ફાઇલ ડાઉનલોડ કરશો નહીં.

ટ્રાફિક ચલણ ભરવા માટે હંમેશા સરકારી વેબસાઇટ અથવા સત્તાવાર એપ્લિકેશનનો જ ઉપયોગ કરો.

જો કોઈ વ્યક્તિ વોટ્સએપ પર ચલણ ભરવા માટે લિંક કે ફાઇલ મોકલે, તો સાવચેત રહો અને બેંકની વિગતો આપવાનું ટાળો.

Continue Reading

અકસ્માત

આમરી કસબા માર્ગ પર બે હાઈવા ટ્રક ભટકાતા એકનું મોત એક ઘાયલ

Published

on

By

બાઈક ચાલકને બચાવવા જતા હાઈવા ડિવાઇડર કૂદી અન્ય હાઈવા સાથે અથડાયો

નવસારી : નવસારીના આમરી કસ્બા માર્ગ પરથી રોજના મોટી સંખ્યામાં ઓવર લોડેડ હાઈવા ટ્રક પસાર થતા હોય છે. ગતરોજ સાંજના સમયે ઓવરટેક કરવા જતા હાઈવા ટ્રકના ચાલકે સામેથી આવેલા બાઇક ચાલકને બચાવવા જતા ટ્રક ડિવાઇડર કુદાવી અને સામે ઉભેલા અન્ય હાઈવા ટ્રક સાથે ધડાકાભેર અથડાવી દીધો હતો. આકસ્માતમાં એક ચાલકનું મોત, જ્યારે બીજા ચાલકને ગંભીર અવસ્થામાં હોસ્પિટલ ખસેડ્યો હતો.

વારંવાર થતાં અકસ્માતોથી ગ્રામજનોમાં ભયનો માહોલ

મળતી માહિતી અનુસાર, નવસારીના આમરી કસ્બા માર્ગ ઉપરથી રોજના મોટી સંખ્યામાં ભારે વાહનો પસાર થાય છે. જેના કારણે છાસવારે અકસ્માતો થવાની ઘટનાઓ સામે આવતી રહે છે. ભારે વાહનોની બેફામ દોડથી આમરીના ગ્રામજનોમાં ભયનો માહોલ રહે છે. ત્યારે ગત રોજ સાંજના સમયે એક હાઈવા ટ્રકના ચાલકે ઓવરટેક કરવાની લાહ્યમાં સામેથી આવતી એક બાઈકને બચાવવા જતા ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા હાઈવા ડીવાઈડર કૂદી સામેના ટ્રેક ઉપર ઉભેલા અન્ય હાઈવા ટ્રક સાથે ભટકાયો હતો. અકસ્માતમાં હાઈવા નજીક ઉભેલા ચાલક અને સુરતના હજીરા ખાતે રહેતા મૂળ બિહારના અરૂણ ભારતીનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યુ હતુ. જ્યારે અકસ્માત સર્જનાર હાઈવા ટ્રકના ચાલક અને સુરતના ડિંડોલી ખાતે રહેતા મૂળ યુપીના મનજીત સરોજ ગંભીર રીતે ઘાયલ થતા, એને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાને પગલે ગ્રામજનો તેમજ રાહદારીઓ ભેગા થયા હતા. નવસારી ગ્રામ્ય પોલીસને ઘટનાની જાણ થતાં પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતક ચાલકના મૃતદેહને પીએમ અર્થે નવસારી સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. જ્યારે અકસ્માતને કારણે સર્જાયેલા ટ્રાફિક જામને હળવો કર્યો હતો. સમગ્ર મુદ્દે પોલીસે મનજીત સરોજ સામે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ આરંભી હતી.

Continue Reading
Advertisement

Trending