નવસારી : વેકેશન પડતા જ પરિવારો રજાની મજા માણવા પ્રવાસન સ્થળો પર નીકળી પડે છે, નવસારીના ઐતિહાસિક દાંડીના દરિયા કિનારે પણ મોટી સંખ્યામાં સહેલાણીઓ આવતા હોય છે. ત્યારે ગત રોજ મુળ રાજસ્થાનનો પરિવાર દાંડી ફરવા ગયો હતો, જેમાંથી દરિયાના પાણીમાં રજાની મજા માણી રહેલા 4 સભ્યો ડૂબીને તણાઇ ગયા હતા. જેમાં માતા પુત્રના મૃતદેહ આજે વહેલી સવારે દાંડી નજીકથી મળ્યા હતા. જયારે ભાઈ અને બહેનના મૃતદેહ દાંડીથી દૂર પૂર્ણા નદીની ખાડીમાં બોરસી માછીવાડ નજીકથી મળ્યા હતા. ચારેય મૃતકો મળતા પરિવાર અને સંબંધીઓમાં શોકની કાલીમા છવાઈ હતી.
ગોપાલ વર્માનો માળો વિખેરાયો, ફરવા આવેલી ભાણેજ પણ ખોઇ
મુળ રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના લાછુડા ગામના વતની ગોપાલ વર્મા વર્ષ 2005 માં રોજગારની શોધમાં નવસારી આવ્યા હતા અને નવસારી તાલુકાના અષ્ટગામ નજીકના નવા તળાવ ગામે વસ્યા હતા. ગોપાલ વર્મા અષ્ટગામથી સદલાવ જવાના માર્ગ પર કરીયાણાની નાની દુકાન સાથે ડ્રાઈવીંગ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. જેના બે પુત્રોમાંથી 17 વર્ષીય યુવરાજસિંહ રાજસ્થાન રહીને ભણી રહ્યો હતો, જયારે નાનો પુત્ર દેશરાજસિંહ તેની સાથે જ રહેતો હતો. પરીક્ષાનું રીઝલ્ટ આવ્યા બાદ અને શાળામાં વેકશન પડતા યુવરાજસિંહ તેની માસીની દીકરી દુર્ગાકંવર રાવણા રાજપૂત, તેની ભાભી રેખાકંવર સાથે નવસારી આવ્યો હતો. વેકેશન હોવાથી વર્મા પરિવારે ગત રોજ નવસારીના ઐતિહાસિક દાંડીના દરિયા કિનારે ફરવા જવાનો પ્લાન બનાવ્યો હતો. જેમાં ગોપાલનો મિત્ર કિશન ગુર્જર, તેની દીકરી મમતા અને પુત્ર શિવમ અને કિશનનો ભાણેજ પરેશ સાથે જોડાયા હતા. તમામ બપોરે 12 વાગ્યા આસપાસ નીકળ્યા હતા અને દાંડી પહોંચતા યુવરાજ, દેશરાજ સહિતના લોકો દોઢ કિલોમીટર દૂર દરિયામાં જવા નીચે ઉતર્યા હતા, જેમાં શિવમ અને પરેશ કિનારે જ બેઠા હતા. દરમિયાન બપોરના આકરા તાપમાં રાહત મેળવવા વર્મા પરિવારના લોકો દરિયામાં નાહવા પડ્યા હતા. દરમિયાન અંદાજે 1 થી દોઢ વાગ્યા આસપાસ ભરતી શરૂ થતા વર્મા પરિવારના યુવરાજ, દેશરાજ, તેની માતા સુશીલા અને ભાણેજ દુર્ગા દરિયાના પાણીમાં તણાવા લાગ્યા હતા. જેથી અન્ય સભ્યોએ તેમને બચાવવા માટે બૂમાબૂમ કરી હતી, જેને સાંભળી હોમગાર્ડ જવાનો દોડ્યા પણ ઝડપથી વધેલા પાણીમાં ચારેય લોકો તણાઇને ગુમ થયા હતા.
દરિયામાં ડૂબેલા ચારેયને શોધવા ફાયર બ્રિગેડ, મરીન કમાન્ડો અને SDRF ને કામે લગાડાઈ
ઘટનાની જાણ થતા તંત્રના ઉચ્ચ અધિકારીઓ સહિત નવસારી વિજલપોર પાલિકાના ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને દરિયામાં ગુમ થયેલા રાજસ્થાની પરિવારના ચારેય લોકોને શોધવાનો પ્રયાસ કર્યો હતો. સ્પીડ બોટ લઇને દરિયામાં ગયા બાદ પણ ફાયરના જવાનોને ચારેયમાંથી એક પણ મળી ન આવતા તેઓ કિનારે પરત ફર્યા હતા. દાંડી પહોંચેલા કલેકટરે ડીઝાસ્ટર વિભાગને જાણ કરી, મરીન કમાન્ડો અને SDRF ના જવાનોની ટીમ બોલાવી સર્ચ ઓપરેશનને વેગ આપ્યો હતો. જેમાં 15 કલાકની મહેનત બાદ દાંડી નજીકના ફાર્મ હાઉસ પાસેથી યુવરાજ અને બાબા સ્વામી આશ્રમના પાછળથી સુશીલા વર્માનો મૃતદેહ મળ્યો હતો. જેની સાથે જ શોધખોળ કરનારી એક ટૂકડીને બોરસી માછીવાડ ગામ પાસેની પૂર્ણા નદીની ખાડીમાં મૃતદેહો દેખાયા હોવાની માહિતી મળતા, એક ટૂકડી દાંડીથી સ્પીડ બોટ મારફતે ખાડીઅ પહોંચી હતી અને ત્યાંથી દેશરાજ વર્મા અને દુર્ગા રાવણા રાજપૂતનાં મૃતદેહને શોધીને નવસારી સિવિલ હોસ્પિટલ મોકલ્યા હતા. દાંડીમાં જીવ ગુમાવનારા ચારેયના મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરાવી, તેમને મોડી સાંજે પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા.
પોતાના સ્વજનોના ગુમાવવાના દુઃખ સાથે ગોપાલ વર્માના સંબંધીઓએ તમામની અંતિમ ક્રિયા રાજસ્થાન તેમના વતનમાં કરવાનો નિર્ણય કર્યો હતો. જેથી માતા બે પુત્રો અને ભાણેજના મૃતદેહોને રાજસ્થાન લઇ જવા લાકડાની ચાર પેટી બનાવડાવી હતી અને તેને રાજસ્થાન લઇ જવા માટેની તમામ વ્યવસ્થા ગોઠવી દીધી હતી. બપોર બાદ જયારે ચારેયના મૃતદેહો મળ્યા, બાદ તેમને લાકડાની પેટીમાં મુકીને પ્રથમ ગોપાલ વર્માના નવસારીના નવા તળાવ ખાતેના ઘરે લઇ જવામાં આવ્યા હતા. ગામમાં મૃતદેહો પહોંચતા જ ગ્રામજનો તેમજ મોટી સંખ્યામાં રાજસ્થાનીઓ ભેગા થયા હતા અને ચારેય મૃતકોને અંતિમ વિદાય આપી હતી.
તંત્ર દ્વારા આજે પણ સહેલાણીઓ માટે દરિયા કિનારે પ્રતિબંધ લગાવાયો
ઐતીસસિક દાંડીના દરિયા કિનારે રવિવાર અને વેકેશનની રજાને કારણે ગત રોજ અંદાજે 5 હજાર લોકોની ભીડ જામી હતી. જેમાં દરિયા વિષેની માહિતી ન હોવાને કારણે દોઢ કિલોમીટર અંદર જઈ મજા માણી રહેલા પરિવારોમાંથી 7 લોકો દરિયાના પાણીમાં તણાવા લાગ્યા હતા, જેમાંથી 3 ને બચાવી લેવાયા હતા, જયારે 4 ડૂબી ગયા હતા. ઘટનાને જોતા ગત રોજ સાંજે જ તંત્ર દ્વારા દરિયા કિનારો ખાલી કરાવી દેવામાં આવ્યો હતો. જયારે આજે પણ સહેલાણીઓ માટે દાંડીના દરિયા કિનારે પ્રવેશ બંધ રાખવામાં આવ્યો હતો.