Connect with us

દક્ષિણ-ગુજરાત

વાંસદાના ધાકમાળ ગામે દીપડાનો બાળક ઉપર હુમલો

Published

on

ગંભીર રીતે ઘવાયેલા બાળકને નજીકની હોસ્પિટલમાં ખસેડાયો

નવસારી : નવસારીના વાંસદાના ધાકમાળ ગામે ખેતર નજીક રમી રહેલા 8 વર્ષીય બાળક ઉપર દીપડાએ હુમલો કરતા ગંભીર રીતે ઘવાયો હતો, જેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા વાંસદા વન વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે અને દીપડાને પકડવા પાંજરા ગોઠવવાની તજવીજ હાથ ધરી છે.

ધાકમાળ ગામ નજીક ગાઢ જંગલ વિસ્તાર, નેશનલ પાર્ક પણ નજીક

નવસારી જિલ્લો દીપડાનું અભયારણ્ય બની રહ્યો છે, ગામડાઓમાં દેખા દેતા દીપડાઓ શહેર નજીક પણ નજરે ચડે છે. જયારે છેલ્લા થોડા મહિનાઓમાં વાંસદા તાલુકામાં સાંજના સમયમાં દીપડાઓના નાના બાળકો અને યુવાનો ઉપર હુમલાના બનાવો પણ વધ્યા છે. ત્યારે આજે ફરી વાંસદા તાલુકાના પૂર્વ પટ્ટીના ધાકમાળ ગામે ઘર અને ખેતર નજીક રમી રહેલા 8 વર્ષીય આરવ મહાકાલ ઉપર દીપડાએ હુમલો કર્યો અને તેને ગળામાંથી દબોચી લીધો હતો. આરવને દબોચીને દીપડો જંગલ તરફ જતો હતો, ત્યારે તેની બુમો સાંભળી તેના કાકાએ દોડીને દીપડાનું પુછળું પકડી તેને ખેંચ્યો હતો, જેથી આરવ દીપડાની ચુંગાલમાંથી છૂટી ગયો હતો. બાદમાં તરત જ ગંભીર રીતે ઘવાયેલા આરવને નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં તેના ગળાના ભાગે તેમજ છાતીના ભાગે દીપડાના પંજાને કારણે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેમાં ગળાના ભાગે ટાંકા લેવા પડ્યા હતા. બીજી તરફ દીપડાના હુમલાની જાણ થતા જ વાંસદા વન વિભાગના અધિકારીઓ ટીમ સાથે ધાકમાળ ગામે પહોંચ્યા હતા. જ્યાં ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યા બાદ દીપડાને પકડવા હાલ ઘટના સ્થળ આસપાસ ત્રણ પાંજરા મુક્યા છે. સાથે જ હોસ્પિટલ પહોંચી ઘાયલ આરવના ખબર અંતર જાણી, તેને યોગ્ય અને ઝડપી સારવાર મળી રહે એ માટેની વ્યવસ્થા ગોઠવી છે. ઉલ્લેખનિય છે કે, ધાકમાળ ગામ નજીક ગાઢ જંગલ વિસ્તાર આવેલો છે, સાથે જ વાંસદા નેશનલ પાર્ક પણ નજીક હોય દીપડો જંગલ અથવા પાર્કમાંથી આવ્યો હોવાની આશંકા સેવાઈ રહી છે.

વાંસદામાં છેલ્લા થોડા મહિનાઓમાં 6 લોકો ઉપર થયા દીપડાના હુમલા

નવસારી જિલ્લાનો વાંસદા તાલુકો જંગલ અને પર્વતીય વિસ્તાર ધરાવે છે. સાથે જ વાંસદા નેશનલ પાર્ક પણ દીપડાઓ માટે રક્ષિત છે. એક અનુમાન પ્રમાણે વાંસદામાં દીપડાઓની સંખ્યા વધી છે અને શેરડીની કાપણી બાદ દીપડાઓ ગામડાઓમાં દેખાવાની ઘટના સામાન્ય થતી હોય છે. ત્યારે વાંસદામાં છેલ્લા થોડા મહિનાઓમાં માનવ ઉપર દીપડાના હુમલા વધ્યા છે, જેમાં અગાઉ અત્યાર સુધીમાં બે બાળકીઓ સહિત 4 બાળકો અને 2 યુવાનો ઉપર દીપડાએ હુમલા કર્યા છે. જોકે સદ્દનસીબે કોઈ જાનહાની થઇ નથી.

અપરાધ

વાંસદાના ચાપલધરા ગામેથી હાઈબ્રિડ ગાંજા અને ઝોમ્બી ઈ સિગારેટ સાથે બે ઝડપાયા

Published

on

By

ઝોમ્બી ઈ સિગારેટ પકડવાનો ગુજરાતનો પ્રથમ કિસ્સો

નવસારી : નવસારીના ચાપલધરા ગામે હાઈબ્રિડ ગાંજો અને ઝોમ્બી ઈ સિગારેટનું વેચાણ થતુ હોવાની બાતમીને આધારે સ્ટેટ મોનીટરીંગ સેલ પોલીસની ટીમે ગત રોજ છાપો મારી બેની ધરપકડ કરી હતી. પોલીસે ઘટના સ્થળેથી 28.15 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

SMC પોલીસે વાપીના આતિફને વોન્ટેડ જાહેર કર્યો

મળતી માહિતી અનુસાર, સ્ટેટ મોનીટરીંગ સેલ પોલીસની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ચાપલધરા ગામે રહેતો મિલન ધનગર હાઈબ્રિડ ગાંજાનું વેચાણ કરે છે. જેને આધારે ગત રોજ SMC ના PI સી. એચ. પનારા અને તેમની ટીમે ચાપલધરા ગામના વચલા ફળિયા, અંબા માતાજી મંદિર પાછળ રહેતા મિલન ધનગરના ઘરે છાપો માર્યો હતો. છાપા દરમિયાન પોલીસને મિલન પાસેથી 8 લાખ રૂપિયાનો 80 ગ્રામ હાઈબ્રિડ ગાંજો જથ્થો મળી આવ્યો હતો. જેની સાથે જ ગાંજાના સક્રિય ઘટકની હાજરીવાળી (THC) 20 લાખ રૂપિયાની 20 ઈ સિગારેટ પણ મળી આવી હતી. પોલીસે ઘટના સ્થળેથી મિલન સાથે તેના સાથીદાર તન્મયકુમાર પટેલની ધરપકડ કરી હતી. આરોપી મિલનની પૂછપરછમાં હાઈબ્રિડ ગાંજો તેને વાપીના આતિફે પહોંચાડી હતી. જેથી પોલીસે આતિફને વોન્ટેડ જાહેર કર્યો હતો. જ્યારે ઝોમ્બી ઈ સિગારેટ ડાર્ક વેબથી મંગાવી હતી. પોલીસે ઘટના સ્થળેથી હાઈબ્રિડ ગાંજો, ઈ સિગારેટ અને મોબાઈલ ફોન મળી કુલ 28.15 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. સાથે જ સમગ્ર મુદ્દે SMC પોલીસ મથકે ધી નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટેન્સ એક્ટ (NDPS) અને ધી પ્રોહીબિશન એક્ટ ઇલેક્ટ્રોનિક સિગારેટ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ આરંભી છે. ઉલ્લેખનિય છે કે, ગાંજાના સક્રિય ઘટક ધરાવતી ઝોમ્બી ઈ સિગારેટ પકડાયાનો આ ગુજરાતનો પ્રથમ ગુનો છે.

Continue Reading

દક્ષિણ-ગુજરાત

નવસારીના આશાપુરી માતાજી મંદિર પાછળ ઉભેલી કારમાં લાગી આગ

Published

on

By

આગમાં કારમાં સવાર મહિલા અને બે બાળકોનો આબાદ બચાવ

નવસારી : નવસારીના આશાપુરી માતાજી મંદિર પાછળના શોપિંગ સેન્ટર નજીક ઉભેલી કારમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. આગ લાગી, ત્યારે કારમાં એક મહિલા અને બે બાળકો બેઠા હતા, જેઓ સમય સૂચકતા વાપરી કારમાંથી ઉતરી જતા, તેમનો આબાદ બચાવ થયો હતો. અડધો કલાક બાદ ઘટના સ્થળે પહોંચેલી નવસારી ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવ્યો, પરંતુ ત્યાં સુધીમાં કાર સંપૂર્ણ બળીને ખાક થઈ હતી.

કારમાં લાગેલ આગથી AB kids ના ભુલકાઓ મુશ્કેલીમાં મુકાયા, સંચાલકોએ બાળકોને સુરક્ષિત બહાર ખસેડ્યા

નવસારી શહેરના દુધિયા તળાવથી વિજલપોર જતા માર્ગ ઉપર આશાપુરી માતાજીના મંદિર પાછળ આવેલ શોપિંગ સેન્ટરની એક દુકાન બહાર ઉભેલી કારમાં અચાનક આગ લાગતા ભાગદોડ મચી ગઈ હતી. આગ લાગી ત્યારે કારમાં એક મહિલા અને બે બાળકો બેઠા હતા, જેઓ તાત્કાલિક કારમાંથી ઉતરી જતા તેમનો આબાદ બચાવ થયો હતો. જ્યારે કાર માલિકે ફાયર એક્સ્ટીંગ્યુસરથી આગ ઓલવવાનો પ્રયાસ કર્યો, પણ થોડી જ ક્ષણોમાં આગે વિકરાળ રૂપ ધારણ કરતા કાબુમા આવી ન હતી. બીજી તરફ શોપિંગ સેન્ટરમાં ઉપરના માળે AB kids નર્સરી પણ ચાલે છે, કારમાં આગને કારણે ઉઠેલી ઉંચી જ્વાળાઓ અને ધુમાડાને કારણે ઉપર અભ્યાસ કરી રહેલા 100 થી વધુ ભુલકાઓ તેમજ શિક્ષકો મુશ્કેલીમાં મુકાયા હતા. જોકે સંચાલકોએ સમય સૂચકતા વાપરી તમામ બાળકોને પાછળના ગ્રાઉન્ડમાં અને સામે આશાપુરી માતાજી મંદિરમાં સુરક્ષિત ખસેડી લેતા, મોટી દુર્ઘટના ટળી હતી. આગ કાબૂમાં લાવવામાં મુશ્કેલી જણાતા તાત્કાલિક નવસારી ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. પરંતુ ફાયર બ્રિગેડના જવાનો અડધો કલાક બાદ ફાયર ફાઇટર સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા. જેમણે તરત પાણી અને ફોમનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગ ઓલવાઈ તો ગઈ, પણ કાર સંપૂર્ણ બળીને ખાક થતા મોટુ નુકશાન થયુ હતુ.

Continue Reading

ગુજરાત

ED સામેના કોંગ્રેસના વિરોધને ભાજપે વખોડી, સૂત્રોચ્ચાર સાથે નોંધાવ્યો વિરોધ

Published

on

By

નેશનલ હેરાલ્ડ કૌભાંડમાં રાહુલ – સોનિયા ગાંધી સામે ED એ ચાર્જશીટમાં લગાવ્યા આરોપ

નવસારી : નેશનલ હેરાલ્ડ કૌભાંડમાં ED દ્વારા ચાર્જશીટમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા સોનિયા ગાંધી અને લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધીના ઉપર આરોપ મઢતા, કોંગ્રેસે ષડયંત્રના આક્ષેપ સાથે ED કાર્યાલય સામે કરેલા વિરોધને ભાજપે વખોડી સામે વિરોધ નોંધાવ્યો હતો. નવસારી જિલ્લા ભાજપ યુવા મોર્ચાએ પણ શહેરના જુનાથાણા સર્કલ પાસે કોંગ્રેસના વિરોધને ખોટો ગણાવી, તેની સામે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યુ હતુ.

કોંગ્રેસે ન્યાયતંત્ર ઉપર વિશ્વાસ રાખી તપાસમાં સહયોગ કરવો જોઈએ – ભાજપ

નેશનલ હેરાલ્ડ કૌભાંડ પ્રકરણમાં ED દ્વારા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષા સોનિયા ગાંધી અને લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધી સામે આરોપ મઢેલી ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરતા, કોર્ટે આગામી 25 એપ્રિલે સુનવણી આપી છે. ED એ સોનિયા અને રાહુલ ગાંધી સામે આરોપ મઢતા કોંગ્રેસમાં ભૂકંપ જેવી સ્થિતિ બની છે, કોંગ્રેસે ઉગ્રતાથી સમગ્ર પ્રકરણમાં બદલાની ભાવનાથી કાર્યવાહી થતી હોવાના આક્ષેપ સાથે ED કાર્યાલય સામે વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. જેની સામે ભાજપે પણ ન્યાયતંત્રમાં વિશ્વાસ રાખો સૂર સાથે કોંગ્રેસના વિરોધને વખોડી સામે વિરોધ નોંધાવ્યો હતો. જેમાં નવસારી જિલ્લા યુવા મોર્ચાએ જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહની આગેવાનીમાં નવસારી શહેરના જુનાથાણા સર્કલ પાસે ભેગા થઈ સૂત્રોચ્ચાર કરી, વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. સાથે જ કોંગ્રેસે ન્યાયતંત્ર ઉપર વિશ્વાસ રાખી તપાસમાં સહકાર આપવો જોઈએની વાત કરી કોંગ્રેસના વિરોધને વખોડી કાઢ્યો હતો.

 

Continue Reading
Advertisement

Trending