Connect with us

કૃષિ

નવસારીના મોલધરા ગામેથી કદ્દાવર દિપડો પાંજરે પુરાયો

Published

on

પખવાડિયામાં પૂર્વ પટ્ટીના ગામમાંથી બીજો દીપડો પકડાયો

નવસારી : નવસારીના પૂર્વ પટ્ટીના ગામડાઓમાં દીપડાઓના રહેણાંકથી ગ્રામજનોમાં ભયનો માહોલ બન્યો છે. 10 દિવસ અગાઉ શાહુ ગામેથી માદા દીપડો પાંજરે પુરાયો હતો. ત્યારબાદ મુનસાડ ગામે દીપડાએ શ્વાનનો શિકાર કર્યાનો લાઈવ વીડિયો વાયરલ થયો હતો. ત્યાં મોલધરા ગામે થોડા દિવસોથી દીપડાની લટાર હોવાથી મુકેલા પાંજરામાં આજે વહેલી સવારે દીપડો શિકારની લાલચમાં પાંજરે પુરાયો હતો. ઘટનાની જાણ નવસારી વન વિભાગને થતા દીપડાનો કબજો લઈ તેને જંગલમાં છોડવાના પ્રયાસો આરંભ્યા છે.

ત્રણ દિવસ અગાઉ ગોઠવેલા પાંજરામાં ચાર વર્ષનો દીપડો શિકારની લાલચમાં ભેરવાયો

નવસારી જિલ્લામાં સૌથી વધુ દીપડાઓ હોવાનું નિષ્ણાંતો માને છે. ત્યારે નવસારીના પૂર્વ પટ્ટીના ગામડાઓમાં છેલ્લા 15 દિવસોમાં દીપડાઓ દેખાવાની ઘટનાઓ સામાન્ય બની રહી છે. ગત 4, સપ્ટેમ્બરના રોજ નવસારીના શાહુ ગામેથી શિકારની લાલચમાં માદા દિપડો પાંજરે પુરાયો હતો. દીપડો પાંજરે પુરાતા શાહુના ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. પરંતુ તેના થોડા જ દિવસોમાં મુનસાડ ગામે મોડી રાતે ઘર આંગણામાં સુતેલા શ્વાન ઉપર દીપડાએ ધીમે પગલે આવી, તરાપ મારીને શ્વાનનો શિકાર કર્યો હતો. આ ઘટના ઘરના CCTV કેમેરામાં કેદ થઈ હતી અને તેનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા, મુનસાડ સહિત આસપાસના ગામડાઓમાં ભયનો માહોલ ફેલાયો હતો. દરમિયાન મોલધરા ગામે પણ દીપડાના આંટા ફેરા વધ્યા હતા. ત્રણ દિવસ અગાઉ પણ ગામમાં દીપડો દેખાતા, વન વિભાગને જાણ કરવામાં આવી હતી. જેથી નવસારી સામાજિક વનીકરણ વિભાગની સુપા રેન્જના અધિકારીઓએ મોલધરા ગામે મારણ સાથે પાંજરૂ ગોઠવ્યું હતુ. જેમાં આજે વહેલી સવારે એક કદ્દાવર એવો અંદાજે 4 વર્ષનો દીપડો શિકારની લાલચમાં ભેરવાયો હતો. પાંજરે પુરાતા દીપડાની દહાડે ગ્રામજનોને ભયમાં મુક્યા હતા. જેથી પાંજરા નજીક જઈ તપાસ કરતા તેમાં કદ્દાવર દીપડો દેખાયો હતો. ગ્રામજનોએ વન વિભાગને જાણ કરતા સુપા રેન્જના વનકર્મીઓ દ્વારા દીપડાનો કબ્જો લઈ, તેને ઉન ખાતેના ડેપોમાં રાખવામાં આવ્યો છે. જ્યાં દીપડાની આરોગ્ય તપાસ કરાવ્યા બાદ તેને ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શનમાં જંગલમાં છોડવાની તજવીજ હાથ ધરવામાં આવશે.

કૃષિ

નવસારીના કુકેરી ગામે ધીમે પગલે આવેલા દીપડાએ શ્વાનનો શિકાર કર્યો

Published

on

By

દીપડાએ કરેલ શ્વાનનો શિકાર CCTV કેમેરામાં થયો કેદ

નવસારી : નવસારી જિલ્લામાં દીપડાઓની સંખ્યા વધી છે અને દીપડાઓ ગ્રામ્ય વિસ્તારમાં પાલતુ પ્રાણીઓને પોતાનો શિકાર બનાવતા હોય છે. ત્યારે ચીખલી તાલુકાના કુકેરી ગામે કૉર્પોરેટ ઓફિસના ઓટલે સુતેલા શ્વાનને ધીમે પગલે આવેલા દીપડાએ પોતાનો શિકાર બનાવ્યો હતો. દીપડાએ કરેલ શ્વાનનો શિકાર CCTV કેમેરામાં કેદ થવા સાથે વાયરલ થતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

ચીખલી વન વિભાગે દીપડાને પાંજરે પુરવાની કાર્યવાહી હાથ ધરી

નવસારી જિલ્લાના પૂર્વ તરફના ગામડાઓ અને તાલુકાઓમાં દીપડાઓની સંખ્યા વધી છે અને દીપડાઓ રહેણાંક વિસ્તારોમાં રાત્રિના સમયે આવીને પાલતુ પ્રાણીઓને પોતાનો શિકાર બનાવી જતા રહે છે. ત્યારે ચીખલી તાલુકાના કુકેરી ગામે સરકારી શાળાની પાછળ આવેલ કોર્પોરેટ ઓફિસના ઓટલે શ્વાન સૂતો હતો. દરમિયાન રાતે 12 વાગ્યા આસપાસ એક કદ્દાવર દીપડો ધીમે પગલે શ્વાનની નજીક આવ્યો અને તેને ગળામાંથી દબોચી પોતાનો શિકાર બનાવીને લઈ ગયો હતો. થોડી જ સેકંડોમાં દીપડાએ કરેલ શ્વાનનો શિકાર CCTV કેમેરામાં કેદ થયા હતા. જે CCTV ફૂટેજ ગામમાં વાયરલ થતા ગ્રામજનોમાં ભયનો માહોલ બન્યો હતો. ઘટનાની જાણ ચીખલી વન વિભાગને કરવામાં આવતા, વન વિભાગ દ્વારા મારણ સાથે પાંજરૂ ગોઠવવાની તજવીજ હાથ ધરી છે. ઉલ્લેખનિય છે કે, કુકેરી તેમજ આસપાસના ગામડાઓમાં અગાઉ પણ દિપડા આંટાફેરા મારતા જોવા મળ્યા છે અને પાલતુ પ્રાણીઓના શિકાર પણ થયા છે. જોકે હવે ગ્રામીણોએ દિપડા સાથે રહેવાનું શીખવા પડશે.

Continue Reading

કૃષિ

જલાલપોરના કરાડી ગામે ગેરકાયદે બાંધેલા ઝીંગાના તળાવો તોડાયા

Published

on

By

જલાલપોર મામલતદારે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલનાં આદેશનો કરાવ્યો અમલ

નવસારી : નવસારી જિલ્લાના કાંઠા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ખાંજણ જમીનમાં બનેલા ઝીંગાના તળાવો ઉપર નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના આદેશાનુસાર જલાલપોર મામલતદારે લાલ આંખ કરી છે. જલાલપોરના કરાડી ગામે પૂર્ણા નદીના કિનારે 4 હેક્ટર જમીનમાં બનેલા 5 ઝીંગા તળાવોને પોલીસ પ્રોટેક્શન સાથે મામલતદારે દૂર કરાવ્યા હતા.

15 JCB મશીનોની મદદથી 5 ઝીંગા તળાવોને તોડી દૂર કરાયા

નવસારી જિલ્લાને 52 કિમી લાંબો દરિયા કિનારો છે. જેની નજીક કાંઠાનાં ગામડાઓની ખાંજણ જમીનમાં મત્સ્યાધ્યોગને પ્રોત્સાહન આપવા ઝીંગાના તળાવો વિકસાવાયા છે. પરંતુ ઘણી જગ્યાએ નિયમોને નેવે મુકીને આડેધડ બનાવી દેવાયેલા ઝીંગાના તળાવો ભરતીનાં પાણી, કે ચોમાસામાં દરિયાને મળતા પાણીને અવરોધે છે અને તેના કારણે કાંઠાના ગામડાઓને મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. જલાલપોર તાલુકાના કરાડી ગામે પૂર્ણા નદીના કિનારે CRZ ના નિયમોનું ઉલ્લંઘન કરીને 4 હેક્ટર જમીનમાં બનાવેલા 5 ઝીંગા તળાવો દૂર કરવા નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલનાં આદેશની જલાલપોર મામલતદારે અમલવારી કરી, ગેરકાયદે બનેલા પાંચેય ઝીંગા તળાવોને દૂર કરાવ્યા હતા. જલાલપોર મામલતદાર મૃણાલદાન ગઢવી આજે પોલીસ પ્રોટેક્શન સાથે 15 JCB મશીનો લઇ કરાડી પહોંચ્યા હતા. જ્યાં તેમણે NGT ના આદેશાનુસાર પૂર્ણા નદી કિનારે ગેરકાયદેસર રીતે નિયમોને નેવે મુકીને બનાવેલા પાંચેય ઝીંગા તળાવોને JCB મશીનની મદદથી તોડીને દૂર કર્યા હતા. આગામી દિવસોમાં પણ જલાલપોર તાલુકાના કાંઠાના ગામોમાં ગેરકાયદેસર રીતે બનેલા ઝીંગા તળાવોને પણ દૂર કરવાની કાર્યવાહી કરવાની તૈયારી પણ તેમણે દર્શાવી હતી.

Continue Reading

કૃષિ

ચીખલીના સાદકપોર ગામેથી વધુ એક દીપડો પાંજરે પુરાયો

Published

on

By

ચીખલી રેંજમાંથી એક મહિનામાં 6 દીપડા પકડાયા

નવસારી : નવસારી જિલ્લામાં દીપડાઓની સંખ્યા વધી રહી છે, જેને કારણે ખેતી અને વાડી વિસ્તારમાં દીપડાઓ દેખાવાની ઘટનાઓ સામાન્ય થઇ રહી છે. જેમાં છેલ્લા થોડા દિવસોથી ચીખલીના સાદકપોર ગામે આંટાફેરા મારતો દીપડો ગત મોડી રાતે પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે.

સાદકપોરમાં પાંજરે પુરાયેલા દીપડાને જંગલમાં છોડવાની તજવીજ હાથ ધરાઈ

નવસારી જિલ્લો દીપડાઓ માટે અભયારણ્ય બની રહ્યું છે. ખાસ કરીને જિલ્લાના આદિવાસી પટ્ટાના તાલુકાઓમાં દીપડાની વસ્તી થોડા વર્ષોમાં ખાસ્સી વધી છે. જેનું કારણ દીપડાઓ માટે આબોહવા માફક આવવા સાથે જ નદી કોતરો સાથે ખેતી અને વાડી વિસ્તાર, જેમાં જંગલી ભુંડ અને મરઘા ફાર્મ થકી શિકાર મળી રહે છે. જોકે દીપડાઓ નજીકની માનવ વસ્તીમાં આવી શ્વાન અને વાછરાડાનો પણ શિકાર કરી લેતા હોય છે. જેમાં પણ છેલ્લા થોડા મહિનાઓમાં દીપડા દેખાવાની ઘટનાઓ સામાન્ય બનવા સાથે વન વિભાગ દ્વારા પણ ઘણા દીપડાઓને પાંજરે પુર્યા છે. ગત રાતે જિલ્લાના ચીખલી તાલુકાના સાદકપોર ગામે બામણીયા ફળિયામાં અલ્પેશ પટેલની વાડીમાં ગોઠવેલા પાંજરામાં શિકારની લાલચમાં એક માદા દીપડો પાંજરે પુરાયો હતો. દીપડાની દહાડ સાંભળીને ગ્રામજનો ભેગા થયા હતા અને ગામના સરપંચે ચીખલી વન વિભાગને જાણ કરતા વનકર્મીઓએ દીપડાનો કબ્જો લઇ, તેને ચીખલી વન કચેરીએ લઇ આવ્યા હતા. જ્યાં વેટરનરી ડોક્ટર દ્વારા દીપડાની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી, જેમાં દીપડો માદા દીપડો હોવા સાથે તેની અંદાજીત ઉંમર 3 વર્ષની હોવાનું ખુલ્યુ હતુ. વન વિભાગ દ્વારા ઉચ્ચ અધિકારીની સૂચના અનુસાર જંગલમાં છોડવાની તજવીજ હાથ ધરવામાં આવશે.

Continue Reading
Advertisement

Trending