Connect with us

ગુજરાત

વર્ષ 2010 પૂર્વે નિયુક્તિ પામેલા શિક્ષકોને TET માંથી મુકિતની માંગ

Published

on

સુપ્રીમ કોર્ટના આદેશથી સરકારી શિક્ષકોની આજીવિકા ઉપરથી ઉભુ થશે સંકટ

નવસારી : સુપ્રીમ કોર્ટના એક આદેશથી ભારતમાં કાર્યરત લાખો સરકારી શિક્ષકોની નોકરી ઉપર સંકટ ટોળાઈ રહ્યુ છે. સુપ્રીમ કોર્ટ દ્વારા ભારતમાં કાર્યરત તમામ શિક્ષકો, જેમની નિયુક્તિ કોઈપણ વર્ષમાં થઈ હોય, પરંતુ તેમણે શિક્ષક પાત્રતા પરીક્ષા (TET) ફરજિયાત પાસ કરવાનો આદેશ કર્યો છે, જેથી શિક્ષકો દ્વારા પ્રધાનમંત્રીને હસ્તક્ષેપ કરી NCTE ના નિર્ણયને માન્ય રાખી વર્ષ 2010 પૂર્વે નિયુક્તિ પામેલા શિક્ષકોને TET માંથી મુકિત આપવાની માંગ કરી છે.

NCTE દ્વારા વર્ષ 2010 પૂર્વે નિયુકિત પામેલા શિક્ષકોને TET પરીક્ષામાં છૂટ આપવામાં આવી હતી

ભારતની સુપ્રીમ કોર્ટમાં કરાયેલી સિવિલ અરજી નં. 1385/2025 ની સુનવણી દરમિયાન ગત 1 સપ્ટેમ્બર, 2025 ના રોજ ભારતમાં કાર્યરત તમામ સરકારી શિક્ષકોએ, પછી એમની નિયુક્તિની તારીખ કોઇપણ હોય, શિક્ષક પાત્રતા પરીક્ષા આપવી ફરજિયાત કરી દીધી છે. જેથી દેશભરના લાખો સરકારી શિક્ષકોને તેમની નોકરી સંકટમાં દેખાઈ રહી છે. નોકરી બચાવવાની ચિંતામાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા સુપ્રીમ કોર્ટના આદેશમાં થોડી રાહત મળે એવા ઉદ્દેશ્ય સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને વિનંતી પત્ર લખ્યો છે. જે અંતર્ગત આજે નવસારી જિલ્લા પ્રાથમિક શૈક્ષિક સંઘ દ્વારા જિલ્લા કલેક્ટર મારફતે ભારતના પ્રધાનમંત્રી સુધી વિનંતી પત્ર પાઠવ્યો છે. જેમાં શિક્ષણનો અધિકાર અધિનિયમ 2009 તથા રાષ્ટ્રીય અધ્યાપક શિક્ષા પરિષદ (NCTE) ના ગત 23 ઓગસ્ટ, 2010 ના પરિપત્ર અનુસાર બે શ્રેણીને માન્યતા આપવામાં આવી હતી. જેમાં વર્ષ 2010 પહેલા નિયુક્તિ પામેલા શિક્ષકોને TET પરીક્ષામાંથી બાકાત રાખવામાં આવ્યા હતા અને વર્ષ 2010 બાદ નિયુક્તિ પામેલા શિક્ષકોને એક નક્કી થયેલ સમય મર્યાદામાં TET પરીક્ષા પાસ કરવાની હતી. પરંતુ સુપ્રીમ કોર્ટના આદેશમાં ઉક્ત નિર્ણયને ધ્યાને લેવામાં આવ્યો નથી. જેના કારણે વર્ષ 2010 પહેલા નિયુક્તિ પામેલા શિક્ષકની નોકરી પણ જોખમમાં મુકાઈ ગઈ છે. સુપ્રીમ કોર્ટના આદેશથી દેશના લગભગ 20 લાખથી વધુ શિક્ષકોની ચિંતા વધી ગઈ છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સમગ્ર મુદ્દે હસ્તક્ષેપ કરવા અનુરોધ કર્યો છે. સાથે જ જેટલું શિક્ષણ ગુણવત્તા જાળવવી જરૂરી છે, એટલું જ શિક્ષકોના અધિકારો અને સન્માનની રક્ષા કરવી પણ એટલી જ જરૂરી હોવાની વાત સાથે સુપ્રીમ કોર્ટના આદેશને ભવિષ્યને ધ્યાને રાખી લાગુ કરવામાં આવે, વર્ષ 2010 પહેલા શિક્ષકો ઉપર નહીં, કાયદાકીય રીતે નિયુક્તિ પામેલ અનુભવી શિક્ષકોની સેવા સુરક્ષા અને ગરિમા નક્કી કરવામાં આવે, લાખો શિક્ષકોની નોકરીને સંકટમાંથી ઉગારવા વહેલામાં વહેલો નીતિગત અને કાયદાકીય નિર્ણય લેવામાં આવે એવી વિનંતી સાથે માંગણી કરી છે.

અપરાધ

ગણદેવીનાં ભાટ ગામે ફિશ લેન્ડીંગ સેન્ટર ખાતે મરીન ટાસ્ક ફોર્સની તપાસ

Published

on

By

દરિયાઈ સુરક્ષાની તકેદારીના ભાગરૂપે મરીન કમાન્ડોની ટીમનું પેટ્રોલિંગ

નવસારી : નવસારીને 52 કિલોમીટરનો દરિયા કિનારો છે. ત્યારે દરિયામાંથી થતી ગેરકાયદેસર તેમજ ગુનાહિત પ્રવૃત્તિઓને તેમજ કાંઠા વિસ્તારમાં શંકાસ્પદ વ્યક્તિઓની હિલચાલને રોકવા માટે દરિયાની સુરક્ષા જરૂરી છે, જેને ધ્યાને રાખી મરીન ટાસ્ક ફોર્સના કમાન્ડો દ્વારા ગણદેવીના ભાટ ગામના ફીશ લેન્ડીંગ સેન્ટર આસપાસ સઘન તપાસ આરંભી હતી.

મરીન કમાન્ડો દ્વારા બોટ, વાહનો અને શંકાસ્પદ વ્યક્તિઓ તેમજ અવાવરૂ જગ્યાએ કરી તપાસ

નવસારી સહિત રાજ્યના દરિયા કિનારે આતંકવાદી પ્રવૃત્તિઓને અટકાવવા તેમજ કાંઠા વિસ્તારમાં શંકાસ્પદ વ્યકિતઓની હિલચાલ સાથે જ કિનારેથી મળી આવતા શંકાસ્પદ બોટ, ડ્રોન, ડ્રગ્સ પેકેટ્સ, બેગ તેમજ કેફી પદાર્થોની હેરાફેરી અટકાવવાનાં પ્રયાસ અંતર્ગત અધિક પોલીસ મહાનિર્દેશક, એ.ટી.એસ., કોસ્ટલ સિકયુરીટી અમદાવાદ, પોલીસ મહાનિરીક્ષક દરિયાઇ સુરક્ષા અને મરીન ટાસ્ક ફોર્સ, ગાંધીનગર અને પોલીસ અધિક્ષક હજીરા, સુરતના માર્ગદર્શન હેઠળ PI યુ.જે.પટેલ, PSI એ.જે.ગામિત અને તેમની મરીન કમાન્ડો ટીમ દ્વારા નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ભાટ ગામે ફિશ લેન્ડીંગ સેન્ટર આસપાસ ફ્રુટ પેટ્રોલીંગ દ્વારા સઘન કોસ્ટલ પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું. કોસ્ટલ પેટ્રોલીંગ દરમિયાન મરીન કમાન્ડોની અલગ અલગ ટીમો દ્વારા શંકાસ્પદ વ્યકિત, વાહનો, બોટ, અવાવરૂ જગ્યાઓની તપાસ હાથ ધરવામાં આવી હતી.

Continue Reading

અપરાધ

વાંસદાના રાણી ફળિયા ખાતેથી બોગસ લાયસન્સ બનાવનાર બેજાબાજ પકડાયો

Published

on

By

આરોપી મોબાઈલ એપ્લીકેશનની મદદથી બનાવતો બોગસ લાયસન્સ

નવસારી : નવસારીના વાંસદા તાલુકાના રાણી ફળિયા સ્થિત મહારાજા ગેસ્ટ હાઉસ સામે રોડ પરથી નવસારી SOG પોલીસે બાતમીને આધારે ચીખલીના યુવાનને નવસારી અને વ્યારા RTO ના બોગસ લાયસન્સ સાથે પકડી પાડ્યો હતો. આરોપી પાસેથી 59 બોગસ લાયસન્સ મળી આવ્યા હતા.

Picsart મોબાઈલ એપ્લિકેશનમાં બનાવતો હતો બોગસ લાયસન્સ

મળતી માહિતી અનુસાર, નવસારી SOG પોલીસના HC મયુર રઘુભાઈને બાતમી મળી હતી કે, ચીખલીનો જીગર ભીખુ પટેલ બોગસ લાયસન્સ બનાવે છે અને હાલ વાંસદામાં છે. જે બાતમીને આધારે SOG પોલીસની ટીમ વાંસદા પહોંચી હતી, જ્યાં રાણી ફળિયા ખાતે મહારાજા ગેસ્ટ હાઉસ સામે જાહેર રોડ પરથી જીગર પટેલને અટકાવી, તપાસ કરતા તેની પાસેની બેગમાં એક પ્લાસ્ટિકની કોથળીમાંથી ગોલ્ડન કલરની ચીપવાળા અને ચીપ વગરના તેમજ લર્નિંગ લાયસન્સ મળી કુલ 59 લાયસન્સ મળી આવ્યા હતા. જેથી પોલીસે તેની અટક કરી, વાંસદા પોલીસ મથકે લઇ ગયા હતા. જ્યાં ASI મોહમદ ફૈઝલે મકબુલ હુસેને આદરેલી તપાસમાં આરોપી જીગર પટેલ ચીખલીના વેલણપુર ગામના નિશાળ ફળિયાનો રહેવાસી હોવાનું જણાયુ હતું. જેની પાસેથી મળેલા ગોલ્ડન ચીપવાળા અને ચીપ વગરના તેમજ લર્નિંગ લાયસન્સ વિષે નવસારી RTO કચેરીની મદદ લઇ તપાસ કરતા, ચીપ વગરના 32 લાયસન્સ પૈકી 20 લાયસન્સની ઓનલાઈન રેકર્ડ ઉપર માહિતી જ નથી. 7 લાયસન્સના નંબર RTO નવસારી અને RTO વ્યારા દ્વારા અન્ય લોકોને ઇસ્યુ કરવામાં આવ્યા હતા. જયારે 3 લાયસન્સ અસ્સલ નંબરો વાળા હતા. જેથી પોલીસે આરોપી જીગર પટેલની ધરપકડ કરી, તપાસ વધારતા જીગર Picsart મોબાઈલ એપ્લિકેશનમાં બોગસ લાયસન્સ બનાવતો હોવાનું જણાયું હતું. જીગર ગ્રાહકો પાસેથી વ્હોટ્સએપ ઉપર તેમના ડોક્યુમેન્ટ મંગાવતો અને બાદમાં ડોક્યુમેન્ટ અનુસાર નામ, સરનામાં સહિતની માહિતી Picsart એપમાં ઓરીજીનલ લાયસન્સનો ફોટો લઇ, તેમાં અપડેટ કરી દેતો હતો. સાથે જ પોતાની રીતે જ લાયસન્સની વેલીડીટી ડેટ પણ લખી લેતો હતો. ઓરીજીનલ લાયસન્સ જેવું જ અદ્દલ બોગસ લાયસન્સ બનાવી, તેને નવસારીના એરૂ સ્થિત પરફેક્ટ ઝેરોક્ષમાં જઈ PVC કાર્ડ પર પ્રિન્ટ કરાવી, ગ્રાહકને 4000 થી 4500 રૂપિયામાં વેચતો હતો. જેથી પોલીસે આરોપી જીગર પટેલની ધરપકડ કરી, 5 હજાર રૂપિયાનો મોબાઈલ ફોન અને 59 લાયસન્સ કબ્જે કર્યો હતો. જયારે વાંસદા પોલીસ મથકે ગુનો નોંધી, તેના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરીને તપાસને વેગ આપ્યો છે.

Continue Reading

ગુજરાત

મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના માટે પોર્ટલ ફરી ખુલ્લું મુકાયુ

Published

on

સ્કોલરશીપ યોજનાના બાકી રહેલ વિદ્યાર્થીઓ માટે રજીસ્ટ્રેશન અને ચોઈસ ફીલિંગની અંતિમ તક

ગાંધીનગર : ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે ‘મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના’ અમલી બનાવવામાં આવી છે. જેમાં વર્ષ 2025-26 માટેની ખાલી પડેલ જગ્યાઓ ભરવા માટે સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલ પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા, પરંતુ રજીસ્ટ્રેશન પ્રક્રિયામાં બાકી રહી ગયેલા વિદ્યાર્થીઓ માટે http://gssyguj.in પોર્ટલ 15 જાન્યુઆરી, 2026 સુધી ફરી ખુલ્લુ મુકવામાં આવ્યું છે.

પ્રથમ ફાઈનલ મેરીટ યાદીમાં સમાવેશ ન થયો હોય, રજીસ્ટ્રેશન કે ચોઈસ ફીલિંગ બાકી હોય તેવા વિદ્યાર્થીઓ કરી શકશે અરજી

જે વિદ્યાર્થીઓએ ગત 12 એપ્રિલ, 2025 ના રોજ લેવામાં આવેલી પરીક્ષા આપી હોય, પ્રથમ કામચલાઉ (Provisional) મેરીટ યાદીમાં સમાવેશ થયો હોય, પરંતુ પ્રથમ ફાઈનલ મેરીટ યાદીમાં સમાવેશ ન થયો હોય તેમજ રજીસ્ટ્રેશન કે ચોઈસ ફીલિંગની કામગીરી બાકી રહી ગઈ હોય તેવા વિદ્યાર્થીઓ આ યોજના અંતર્ગત આગામી 15 જાન્યુઆરી, 2026 સુધી રજીસ્ટ્રેશન કરાવી શકશે. શિક્ષણ વિભાગના આ નિર્ણયથી રાજ્યના અનેક તેજસ્વી વિદ્યાર્થીઓને આર્થિક સહાય મેળવવાની વધુ એક તક મળશે. ‘મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના’ અંતર્ગત કુલ 25000 તેજસ્વી વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવાનું લક્ષ્ય છે, જેમાં ખાલી રહેલી બેઠકોમાં આ પ્રક્રિયા દ્વારા વિદ્યાર્થીઓ અરજી કરી શકશે. આગામી 15 જાન્યુઆરી, 2026 સુધી http://gssyguj.in પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકાશે. પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓએ નિયત સમયમર્યાદામાં પોર્ટલ ઉપર  ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી જરૂરી આધાર-પુરાવા અપલોડ કરવાના રહેશે. રજીસ્ટ્રેશન માટેની વિગતવાર માર્ગદર્શિકા અને સૂચનાઓ પોર્ટલ પર ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સ્કોલરશીપ યોજના અંગેની અપડેટ્સ મેળવવા માટે સમયાંતરે પોર્ટલની મુલાકાત લેવાની રહેશે.  

Continue Reading
Advertisement

Trending