Connect with us

ગુજરાત

કાયમી ભરતી નહીં, તો ધારાસભ્યો પણ 11 મહિનાના કરાર પર બનાવો : અનંત પટેલ

Published

on

જ્ઞાન સહાયક યોજનાના વિરોધમાં શિક્ષિત બેરોજગારોએ રેલી કાઢી કલેકટરને આપ્યું આવેદનપત્ર

નવસારી : ગુજરાતની શાળાઓમાં હજારો શિક્ષકોની જગ્યા ખાલી છે. જેમાં કાયમી શિક્ષકોની ભરતી કરવાને બદલે કંપનીઓમાં જે રીતે કરાર આધારિત કર્મચારીઓ હોય, એ પ્રમાણે જ સરકાર પણ 11 મહિનાના કરાર આધારિત જ્ઞાન સહાયક યોજના લઈને આવી છે. જેનો શિક્ષક બનવાના સપના જોતા લાખો શિક્ષિત બેરોજગાર યુવાનો વિરોધ કરી રહ્યા છે. આજે નવસારી સર્કીટ હાઉસ ખાતેથી વાંસદાના કોંગી ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં કાયમી નોકરીવાન્છું યુવાનોએ રેલી કાઢી જિલ્લા કલેકટર મારફતે રાજ્ય સરકાર સુધી પોતાની માંગ પહોંચાડવા નાયબ પોલીસ અધિક્ષકને આવેદનપત્ર આપ્યુ હતુ. જ્યાં સરકાર કાયમી ભરતીને બદલે કરાર આધારિત ભરતી લાવતા, વિધાનસભામાં ધારાસભ્યો પણ 11 મહિનાના કરાર આધારિત જ ચુંટવા જોઈએનો ટોણો ધારાસભ્ય અનંત પટેલે મારી, જ્ઞાન સહાયક યોજના રદ્દ કરવાની માંગ કરી હતી.

24 વર્ષોના અભ્યાસ બાદ પણ સરકારમાં કરાર આધારિત નોકરીની વાતે યુવાનોમાં રોષ

ગુજરાતની શાળાઓમાં હજારો શિક્ષકોની ઘટ છે, જેમાં પણ સરકારી પ્રાથમિક શાળાઓમાં વર્ગ શાળા અને મુખ્ય શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા પણ ઘટી રહી છે. જેથી સરકારે ઓછી સંખ્યા હોય, એવી શાળાઓને નજીકની શાળામાં મર્જ કરી શિક્ષકોની ઘટનો પ્રશ્ન ઉકેલવાનો પ્રયાસ કર્યો હતો. જેની સાથે જ મુખ્ય વિષયોના પ્રવાસી શિક્ષકો મુકીને વિદ્યાર્થીઓનો અભ્યાસ ચાલુ રહે એવા પ્રયાસો કર્યા હતા. તેમ છતાં શાળાઓમાં હજારો કાયમી શિક્ષકોની ભરતી બાકી છે. જ્યાં શિક્ષકોની ભરતીની માંગ પ્રબળ થઇ રહી છે, ત્યાં રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા 11 મહિનાના કરાર આધારિત શિક્ષકોની ભરતી કરવા જ્ઞાન સહાયક યોજના જાહેર કરાય છે. પરંતુ 24 વર્ષો સુધી અભ્યાસ કરીને શિક્ષક બનવા માટે જરૂરી દ્વિસ્તરીય ટેટ – ટાટની પરીક્ષા પાસ કર્યા બાદ પણ કરાર આધારિત નોકરી મળવાની વાતે ગુજરાતના હજારો શિક્ષિત બેરોજગાર યુવાનોમાં રોષ વ્યાપ્યો છે. સાથે જ જ્ઞાન સહાયક યોજના રદ્દ કરીને શિક્ષકોની કાયમી ભરતી કરે એની માંગ બુલંદ કરી રહ્યા છે. નવસારી જિલ્લામાં વાંસદાના કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલ દ્વારા કાયમી શિક્ષક બનવાની ઈચ્છા ધરાવતા સૈંકડો નોકરીવાન્છું ઉમેદવારોને સમર્થન જાહેર કરી, ગત દિવસોમાં વાંસદા અને ચીખલી તાલુકામાં રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર આપી આંદોલનની શરૂઆત કરી હતી. જેમાં આજે નવસારી જિલ્લા સ્તરે કાર્યક્રમ જાહેર કર્યો હતો. જેમાં દક્ષિણ ગુજરાત સહિત અમદાવાદ અને ગાંધીનગરથી પણ શિક્ષક બનવાના સપના જોતા શિક્ષિત બેરોજગાર યુવાનો નવસારી પહોંચ્યા હતા.

ધારાસભ્ય સાથે શિક્ષિત બેરોજગારો રસ્તા પર બેસતા સર્જાઈ ટ્રાફિક સમસ્યા

નવસારી સર્કીટ હાઉસથી રેલી સ્વરૂપે શિક્ષિત બેરોજગારો ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં જિલ્લા કલેકટર કચેરીએ પહોંચ્યા હતા. જ્યાં પરિસર બહાર મુખ્ય રસ્તા પર જ આંદોલનકારીઓ બેસી જતા ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. રસ્તા પર બેસતા જ યુવાનોને પોલીસ દ્વારા રસ્તા પરથી ખસેડવાનો પ્રયાસ થતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેશ પટેલ વચ્ચે પડ્યા હતા. જ્યાં પોલીસ અને કોંગી આગેવાનો વચ્ચે ચકમક ઝરી હતી. પરંતુ બાદમાં પોલીસે સમજદારી વાપરી આંદોલનકારીઓને થોડો સમય બેસવા દીધા હતા. બાદમાં કલેકટરને આવેદનપત્ર આપવા કચેરીના ગેટ પર પહોંચતા જ પોલીસે તમામને અટકાવ્યા હતા અને ફક્ત 10 લોકોને મંજૂરી હોવાનું કહેતા ફરી ધારાસભ્ય અનંત પટેલ સાથે ઉમેદવારો જમીન પર બેઠા હતા, અહીં સરકાર વિરોધી સુત્રોચ્ચાર કરવા સાથે રામધૂન ગાઈને સરકારને સદ્દબુદ્ધિ આવે એવી આશા વ્યક્ત કરી હતી. બીજી તરફ કલેકટર કે તેમના કોઈ પ્રતિનિધિ નીચે આવીને આવેદનપત્ર ન સ્વિકારતા કોંગી ધારાસભ્ય અનંત પટેલે નાયબ પોલીસ અધિક્ષક એસ. કે. રાયને જ કલેકટર ગણીને તેમને આવેદનપત્ર આપ્યુ હતું. જેમાં સરકાર કરાર આધારિત જ્ઞાન સહાયક યોજનાને રદ્દ કરે અને શિક્ષકોની કાયમી ભરતી કરે એવી માંગણી કરી છે. નહીં તો આંદોલનને દરેક જિલ્લાઓમાં લઇ જવા સાથે જ સરકારના કાને માંગણીઓ નાંખવા ગાંધીનગર કૂચ કરવાની પણ તૈયારી દર્શાવી છે.

અપરાધ

વાંસદાના ચાપલધરા ગામેથી હાઈબ્રિડ ગાંજા અને ઝોમ્બી ઈ સિગારેટ સાથે બે ઝડપાયા

Published

on

By

ઝોમ્બી ઈ સિગારેટ પકડવાનો ગુજરાતનો પ્રથમ કિસ્સો

નવસારી : નવસારીના ચાપલધરા ગામે હાઈબ્રિડ ગાંજો અને ઝોમ્બી ઈ સિગારેટનું વેચાણ થતુ હોવાની બાતમીને આધારે સ્ટેટ મોનીટરીંગ સેલ પોલીસની ટીમે ગત રોજ છાપો મારી બેની ધરપકડ કરી હતી. પોલીસે ઘટના સ્થળેથી 28.15 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

SMC પોલીસે વાપીના આતિફને વોન્ટેડ જાહેર કર્યો

મળતી માહિતી અનુસાર, સ્ટેટ મોનીટરીંગ સેલ પોલીસની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ચાપલધરા ગામે રહેતો મિલન ધનગર હાઈબ્રિડ ગાંજાનું વેચાણ કરે છે. જેને આધારે ગત રોજ SMC ના PI સી. એચ. પનારા અને તેમની ટીમે ચાપલધરા ગામના વચલા ફળિયા, અંબા માતાજી મંદિર પાછળ રહેતા મિલન ધનગરના ઘરે છાપો માર્યો હતો. છાપા દરમિયાન પોલીસને મિલન પાસેથી 8 લાખ રૂપિયાનો 80 ગ્રામ હાઈબ્રિડ ગાંજો જથ્થો મળી આવ્યો હતો. જેની સાથે જ ગાંજાના સક્રિય ઘટકની હાજરીવાળી (THC) 20 લાખ રૂપિયાની 20 ઈ સિગારેટ પણ મળી આવી હતી. પોલીસે ઘટના સ્થળેથી મિલન સાથે તેના સાથીદાર તન્મયકુમાર પટેલની ધરપકડ કરી હતી. આરોપી મિલનની પૂછપરછમાં હાઈબ્રિડ ગાંજો તેને વાપીના આતિફે પહોંચાડી હતી. જેથી પોલીસે આતિફને વોન્ટેડ જાહેર કર્યો હતો. જ્યારે ઝોમ્બી ઈ સિગારેટ ડાર્ક વેબથી મંગાવી હતી. પોલીસે ઘટના સ્થળેથી હાઈબ્રિડ ગાંજો, ઈ સિગારેટ અને મોબાઈલ ફોન મળી કુલ 28.15 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. સાથે જ સમગ્ર મુદ્દે SMC પોલીસ મથકે ધી નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટેન્સ એક્ટ (NDPS) અને ધી પ્રોહીબિશન એક્ટ ઇલેક્ટ્રોનિક સિગારેટ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ આરંભી છે. ઉલ્લેખનિય છે કે, ગાંજાના સક્રિય ઘટક ધરાવતી ઝોમ્બી ઈ સિગારેટ પકડાયાનો આ ગુજરાતનો પ્રથમ ગુનો છે.

Continue Reading

ગુજરાત

ED સામેના કોંગ્રેસના વિરોધને ભાજપે વખોડી, સૂત્રોચ્ચાર સાથે નોંધાવ્યો વિરોધ

Published

on

By

નેશનલ હેરાલ્ડ કૌભાંડમાં રાહુલ – સોનિયા ગાંધી સામે ED એ ચાર્જશીટમાં લગાવ્યા આરોપ

નવસારી : નેશનલ હેરાલ્ડ કૌભાંડમાં ED દ્વારા ચાર્જશીટમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા સોનિયા ગાંધી અને લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધીના ઉપર આરોપ મઢતા, કોંગ્રેસે ષડયંત્રના આક્ષેપ સાથે ED કાર્યાલય સામે કરેલા વિરોધને ભાજપે વખોડી સામે વિરોધ નોંધાવ્યો હતો. નવસારી જિલ્લા ભાજપ યુવા મોર્ચાએ પણ શહેરના જુનાથાણા સર્કલ પાસે કોંગ્રેસના વિરોધને ખોટો ગણાવી, તેની સામે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યુ હતુ.

કોંગ્રેસે ન્યાયતંત્ર ઉપર વિશ્વાસ રાખી તપાસમાં સહયોગ કરવો જોઈએ – ભાજપ

નેશનલ હેરાલ્ડ કૌભાંડ પ્રકરણમાં ED દ્વારા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષા સોનિયા ગાંધી અને લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધી સામે આરોપ મઢેલી ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરતા, કોર્ટે આગામી 25 એપ્રિલે સુનવણી આપી છે. ED એ સોનિયા અને રાહુલ ગાંધી સામે આરોપ મઢતા કોંગ્રેસમાં ભૂકંપ જેવી સ્થિતિ બની છે, કોંગ્રેસે ઉગ્રતાથી સમગ્ર પ્રકરણમાં બદલાની ભાવનાથી કાર્યવાહી થતી હોવાના આક્ષેપ સાથે ED કાર્યાલય સામે વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. જેની સામે ભાજપે પણ ન્યાયતંત્રમાં વિશ્વાસ રાખો સૂર સાથે કોંગ્રેસના વિરોધને વખોડી સામે વિરોધ નોંધાવ્યો હતો. જેમાં નવસારી જિલ્લા યુવા મોર્ચાએ જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહની આગેવાનીમાં નવસારી શહેરના જુનાથાણા સર્કલ પાસે ભેગા થઈ સૂત્રોચ્ચાર કરી, વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. સાથે જ કોંગ્રેસે ન્યાયતંત્ર ઉપર વિશ્વાસ રાખી તપાસમાં સહકાર આપવો જોઈએની વાત કરી કોંગ્રેસના વિરોધને વખોડી કાઢ્યો હતો.

 

Continue Reading

ગુજરાત

બીલીમોરાના વાલ્મિકી વાસમાં DGVCL ના સ્માર્ટ મીટરનો વિરોધ

Published

on

By

DGVCL દ્વારા જબરદસ્તી સ્માર્ટ મીટર લગાવવામાં આવતા હોવાના આક્ષેપો

નવસારી : દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા નવસારી જિલ્લાના ગ્રાહકોને ત્યાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, પરંતુ ગ્રાહકોની જાણ બહાર સ્માર્ટ મીટર લગાવવામાં આવતા લોકોમાં રોષ ફેલાયો છે. નવસારીના ઘેલખડીમાં વિરોધ થયા બાદ બીલીમોરા શહેરના વાલ્મિકી વાસમાં પણ જબરદસ્તી સ્માર્ટ મીટર લગાવતા વીજ કંપનીના કર્મચારીઓનો સ્થાનિકોએ વિરોધ કરી કામગીરી અટકાવી હતી.

બીલીમોરા શહેરમાં અંદાજે 1500 સ્માર્ટ મીટર લાગી ગયા

ડિજીટલ યુગમાં દરેક વસ્તુઓ સ્માર્ટ થઈ રહી છે. જેમાં સરકારો પણ સ્માર્ટ થવાનો પ્રયાસ કરી રહી છે, ત્યારે ગુજરાત સરકાર હસ્તકની વીજ કંપનીઓ દ્વારા બીલની ઝંઝટમાંથી બહાર નીકળવા અને વીજ વપરાશ ઘટાડવા માટે ડીજીટલ એટલે કે સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત કરી છે. જેમાં સ્માર્ટ મીટરમાં વધારે યુનિટ ફરી જતા ગ્રાહકોને બે મહિનાના બીલના રૂપિયા થોડા દિવસોમાં જ વપરાય જતા હોવાની ફરિયાદો ઉઠી હતી. દરમિયાન છેલ્લા થોડા દિવસોથી નવસારી જિલ્લામાં પણ દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત કરી છે. જેમાં ગત રોજ નવસારી શહેરના ઘેલખડી વિસ્તારમાં આવેલ ચોકલેટ હાઉસિંગ સોસાયટીમાં જબરદસ્તી લગાવવામાં આવેલા સ્માર્ટ મીટર દૂર કરવાની સ્થાનિકોએ માંગ કરી હતી. ત્યારે આજે બીલીમોરા શહેરના વાલ્મિકી વાસમાં પણ DGVCL ના અધિકારીઓ કર્મચારીઓએ કોઈપણ પ્રકારની જાણ કર્યા વિના જબરદસ્તીથી ગ્રાહકોના જૂના મીટર કાઢી નવા સ્માર્ટ મીટર લગાવી દીધાના આક્ષેપો સાથે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો. જેમાં DGVCL ના અધિકારીઓ અને કર્મીઓ સાથે સ્થાનિકોની ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી અને લોકોએ સ્માર્ટ મીટર લગાવવાની કામગીરીને અટકાવી દીધી હતી. સાથે જ વાલ્મિકી વાસના જે 15 થી 20 ઘરોમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા હતા એને પણ કાઢી લેવાની માંગ કરી હતી. જોકે DGVCL ના અધિકારીએ તેમની પાસે સ્માર્ટ મીટર લગાવવા ભારત સરકારનો રાજપત્ર હોવાની વાત કરી, દરેક ગ્રાહકને ત્યાં સ્માર્ટ મીટર લગાવવા તૈયારી દર્શાવી હતી. જયારે બીલીમોરા શહેરમાં અત્યાર સુધીમાં અંદાજે 1500 ગ્રાહકોને ત્યાં સ્માર્ટ મીટર લાગી ગયા હોવાની માહિતી આપી હતી. પરંતુ લોકોના વિરોધને પગલે હાલ વીજ કંપનીના અધિકારીઓ કર્મચારીઓએ પણ કામગીરી રોકવાની ફરજ પડી હતી.

 

Continue Reading
Advertisement

Trending