Connect with us

આરોગ્ય

ડાંગના પિંપરી અને જામલાપાડા ગામે 1.64 કરોડના ખર્ચે બનશે પશુ ઉત્પાદન કેન્દ્ર

Published

on

ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજય પટેલના હસ્તે થયુ ભૂમિપૂજન

ડાંગ : આદિવાસી બાહુલ્ય અને કુદરતી સંપદાઓથી ભરપુર એવા ડાંગ જિલ્લામાં મોટાભાગના લોકો ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલા છે, ત્યારે ડાંગના આહવાના ગામડાઓમાં પશુઓની સારવારની ચિંતા ન રહે એ હેતૂથી તાલુકાના પિંપરી અને જામલાપાડા ગામે કુલ 1.64 કરોડના ખર્ચે બનનારા પશુ ઉત્પાદન કેન્દ્ર (પશુ દવાખાના) નું ડાંગના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજય પટેલના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યુ હતુ.

પિંપરીમાં 88.31 લાખ અને જામલાપાડામાં 76.15 લાખના ખર્ચે બનશે પશુ દવાખાનું

ડાંગ જિલ્લામાં મોટાભાગના લોકો પશુપાલનનો વ્યવસાય કરે છે. પરંતુ પશુઓને કોઈ બીમારી અથવા રોગ લાગુ પડે તો ગરીબ આદિવાસીઓને દૂરના ગામડાઓમાં પશુને સારવાર અર્થે લઇ જવા પડે છે. પરંતુ સરકાર દ્વારા આદિવાસીઓની આ સમસ્યાને ઓળખી ગામમાં કે નજીકના ગામમાં જ પશુઓને સારવાર મળી રહે એ માટે પશુ દવાખાના બનાવવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત ડાંગના આહવા તાલુકાના પિંપરી ગામે 88.31 લાખ રૂપિયા અને જામલાપાડા ગામે 76.15 લાખ રૂપિયાના ખર્ચે બે પશુ ઉત્પાદન કેન્દ્ર (પશુ દવાખાના) બનાવામાં આવશે. જેનું આજે ડાંગના ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક વિજય પટેલના હસ્તે તેમજ ડાંગના ભાજપી આગેવાનોની ઉપસ્થિતિમાં ભૂમિપૂજન કરવામાં આવ્યુ હતું.

ગુજરાતમાં બે દાયકામાં આદિજાતી સમાજના ઉત્કર્ષ માટે ચાર ગણા બજેટની ફાળવણી – વિજય પટેલ

આ પ્રસંગે ધારાસભ્ય વિજય પટેલે જણાવ્યુ હતુ કે, ગુજરાતના ઉમરગામથી અંબાજી સુધીના ૧૪ આદિજાતિ જિલ્લાઓના ૫૩ તાલુકાઓ આદિજાતિ જનસંખ્યા ધરાવે છે. વર્ષ 2011 ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતની કુલ 6 કરોડની વસ્તી સામે, રાજ્યના આદિજાતિ સમાજની વસ્તી 14.75 ટકા એટલે કે 87.17 લાખ થવા જાય છે. ત્યારે શરૂઆતથી જ ભાજપા સરકારે આદિવાસીઓની ચિંતા કરી છે, જેમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ છેવાડાના માનવીની વેદના સમજીને, તેમની જરૂરિયાતો ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું હતુ. જેના ફળ સ્વરૂપ આજ દિન સુધીના બે દાયકામાં, આદિજાતિ સમાજના ઉત્કર્ષ માટે ચાર ગણા ઉપરાંત બજેટ ફાળવણી સાથે, આદિવાસી સમાજના સર્વાંગીણ વિકાસના ભાગીરથ પ્રયાસો હાથ ધરાયા છે.

આરોગ્ય

હું તમારી નોકર નથી… અકળાયેલી ડોકટરે દર્દીના સગાને સંભળાવ્યુ

Published

on

By

નવસારી સિવિલ હોસ્પિટલમાં રજા મેળવવા મુદ્દે દર્દીના સગા અને ડોક્ટર વચ્ચે બોલાચાલી

નવસારી : નવસારી સિવિલ હોસ્પિટલમાંથી દર્દીએ રજા મેળવવા DAMA ફોર્મ ઉપર ડોક્ટરની સહીની જરૂર હતી, પણ અન્ય દર્દીની સારવારમાં વ્યસ્ત ડોક્ટર પાસે સહી લેવા જતા દર્દીના સગા અને જુનીયર ડોક્ટર વચ્ચે બોલાચાલી થઇ હતી. જેમાં અકળાયેલી જુનિયર ડોકટરે હું તમારી નોકર નથી… સંભળાવ્યાનો વીડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા ડોક્ટરને વર્તન ઉપર ધ્યાન રાખવા તાકીદ કરી છે.

જુનિયર ડોક્ટર અને દર્દીના સગા વચ્ચેની બોલાચાલીનો વીડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ

નવસારી સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. નવસારીના જલાલપોરના 63 વર્ષીય ગોવર્ધન સાવલિયાને સુગર તેમજ પ્રેશરની સમસ્યાને કારણે લકવાનો એટેક આવતા, મધ્યમ વર્ગીય પરિવાર તેમને નવસારી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવ્યો હતો. સિવિલ હોસ્પિટલમાં ગોવર્ધનભાઈનો બ્લડ રીપોર્ટ, એક્સ-રે, ECG કરવા સાથે સીટી સ્કેન પણ નિશુલ્ક કરાવડાવી સારવાર શરૂ કરી હતી, જેમાં તેમને 5 દિવસ સારવારની જરૂર હતી. પરંતુ કોઈક કારણસર ગોવર્ધનભાઈના પુત્ર તેમજ અન્ય સગાઓ તેમને સિવિલ હોસ્પિટલમાંથી રજા લઇ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવા માંગતા હતા. ગોવર્ધન સાવલિયાને ડીસ્ચાર્જ અગેઈન્સ મેડીકલ એડવાઈઝ DAMA હેઠળ સિવિલ હોસ્પીટલે રજા આપી, જે ફોર્મ ઉપર ડોક્ટરની સહી જરૂરી હતી. જેથી ગત રોજ સાંજે ગોવર્ધનભાઈના સગા ઈમરજન્સી વોર્ડમાં સેવારત જુનિયર ડૉ. પ્રિયંકા ગુપ્તા પાસે સહી લેવા ગયા હતા. જ્યાં ડૉ. પ્રિયંકા અન્ય દર્દીને તપાસતા હતા, પણ ગોવર્ધનભાઈના સગાએ તેમની પાસે તાત્કાલિક સહી કરી આપવા દબાણ કર્યુ હતું. ડૉ. પ્રિયંકાએ થોડીવાર બાદ સહી કરવાનું કહ્યું, જેમાં ગોવર્ધનભાઈના સગાએ સહી માટે જીદ કરતા ડૉ. પ્રિયંકા સાથે ગોવર્ધન સાવલિયાના સગા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. જેમાં ડૉ. પ્રિયંકાએ અકળાઈને “ મારા ઉપર ગરમ નહી થાઓ, એ ભાઈ તમારી નોકર નથી, મેં… તમારી ઉંમરનો લીહાઝ કરૂ છું… મેં રજા આપવા ના નથી બોલી… મોટા ડોક્ટર આવ્યા તો તમે એમને વાત કેમ ન કરી… ડોક્ટર એમને જોઇને તો ગયા, ત્યારે એમને કહ્યું કેમ ની… કહીને બાદમાં રજા આપી હતી. જોકે જુનિયર ડૉ. પ્રિયંકા સાથે થયેલી બોલાચાલીને ગોવર્ધન સવાલિયાના સગાએ મોબાઈલમાં કંડારી તેને સોશ્યલ મીડિયામાં વાયરલ કરી દીધો હતો. વીડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયા બાદ સિવિલ તંત્ર દ્વારા જુનિયર ડૉ. પ્રિયંકા ગુપ્તાને બોલાવી તેમને તેમની ગેરવર્તન મુદ્દે ટકોર કરી, ભવિષ્યમાં દર્દીઓ સાથે ધીરજ અને સંયમથી વર્તવાની તાકીદ કરી છે.

Continue Reading

આરોગ્ય

કોઈપણ એલર્જીક બીમારી હોય, હવે વિનામૂલ્યે થશે સારવાર

Published

on

By

સુરત નવી સિવિલ ખાતે એલર્જી ક્લિનિક અને ઈમ્યુનોથેરાપી ક્લિનિકનો થયો પ્રારંભ

સુરત : સતત બદલાતા વાતાવરણ સાથે શહેરમાં ઉડતી ધૂળ એલર્જી વધારી શકે છે, ખાસ કરીને ઔદ્યોગિક વિકાસને કારણે શ્વાસને લગતી એલર્જીના કેસો વધી રહ્યા છે. ત્યારે સુરત નવી સિવિલ હોસ્પિટલના OPD નં. 11 ખાતે કેન્દ્રિય જળ શક્તિમંત્રી સી. આર. પાટીલના હસ્તે એલર્જી ક્લિનિક અને ઈમ્યુનો થેરાપી ક્લિનિકનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. એલર્જી ક્લિનિકમાં દર મંગળવાર તથા શુક્રવારે સવારે 10 થી બપોરના 1 વાગ્યા સુધી નિદાન સાથે સારવાર કરવામાં આવશે.

બેથી 5 વર્ષ સુધી ચાલતી એલર્જીની સારવારમાં દોઢથી બે લાખનો ખર્ચ : અહીં વિનામૂલ્યે થશે સારવાર

 

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલે જણાવ્યું હતું કે, સુરત નવી સિવિલ હોસ્પિટલના તબીબોએ લોકોની નિરંતર સેવા કરીને લોકોનો વિશ્વાસ જીત્યો છે. એલર્જી ક્લિનિક શરૂ થવાથી સુરત સહિત દક્ષિણ ગુજરાતના દર્દીઓને એલર્જીની સારવાર વિના મૂલ્યે મળી રહેશે. સામાન્ય રીતે ખાનગી હોસ્પિટલમાં એલર્જીના નિદાન તેમજ સારવારનો ખર્ચ દોઢથી બે લાખ રૂપિયા સુધી થતો હોય છે. જે સિવિલમાં વિનામૂલ્યે શકય બનશે.

શરદી, કફ સહિત શ્વાસને લગતી અનેક એલર્જીનું સ્ક્રીન પ્રીક ટેસ્ટથી થશે વિનામૂલ્યે નિદાન

નોંધનીય છે કે, એલર્જી ક્લિનિક ખાતે સ્ક્રીન પ્રીક ટેસ્ટથી એલર્જીનું નિદાન કરવામાં આવશે. જેમાં જૂની ઘુળના કીડા, પરગરજ, ફૂગ ખાધ્ય પદાર્થ (મગફળી, દૂધ, ઈંડા તથા પાળતું પ્રાણીઓ જેમા બિલાડી, કુતરાની રૂવાટીના એલજન્સ તથા પ્રાણીઓ અને પક્ષીઓથી થતી એલર્જી) દર્દીઓના લક્ષણ તથા પર્યાવરણમાં રહેલા એલજન્સને ધ્યાનમાં રાખીને હાથ કે બરડાની ચામડી ઉપર એલજન્સના ટીપા મુકીને લેનસેટથી પ્રીક કરવામાં આવશે. અને જે ટેસ્ટના રિપોર્ટના આધારે 10 થી 15 મિનિટમાં એલર્જીનું પરિણામ મળી જશે. શરદી, કફ સહિત શ્વાસને લગતી અનેક એલર્જીનું નિદાન તથા સારવાર હવે નવી સિવિલ હોસ્પિટલના એલર્જી ટેસ્ટિંગ એન્ડ ઈમ્યુનોથેરાપી ક્લિનિકમાં વિના મુલ્યે થશે. ખાનગી હોસ્પિટલમાં બેથી પાંચ વર્ષ સુધી ચાલતી એલર્જીની સારવારમાં દોઢથી બે લાખ રૂપિયા ખર્ચ થાય છે.

ક્લિનિકના પ્રારંભ પ્રસંગે મહાનુભાવો તેમજ હોસ્પિટલના ડોકટરો રહ્યા ઉપસ્થિત

આ પ્રસંગે પૂર્વ અધિક નિયામક ડો. વિકાસબેન દેસાઈ, મનપાના પૂર્વ સ્થાયી સમિતિના ચેરમેન પરેશ પટેલ, મેડિકલ કોલેજના ડીન ડો. જયેશ બ્રહ્મભટ્ટ, તબીબ અધિક્ષક ડો. ધારિત્રી પરમાર, RMO ડો. કેતન નાયક, ચેસ્ટ વિભાગના વડા ડો. પારૂલ વડગામા, નર્સિંગ કાઉન્સિલના ઈકબાલ કડીવાલા, SMCA ના ડો. પરેશ કોઠારી,  IMA ના પ્રમુખ દિકન શાસ્ત્રી, RSS ના દિનેશ પટેલ અને નંદુજી શર્મા તથા તબીબો, વિવિધ વિભાગના વડાઓ, નર્સિંગ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.

Continue Reading

આરોગ્ય

નવસારીમાં પૂર્ણાના પાણી ઓસરતા ગંદકીનુ સામ્રાજ્ય

Published

on

By

લોકો ઘર, ઓફિસો અને દુકાનોમાં સફાઇમાં જોડાયા

નવસારી : નવસારી શહેરમાં શુક્રવારે પૂર્ણા નદીએ રૌદ્ર રૂપ ધારણ કરતા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં 4 થી 8 ફૂટ પુરના પાણી ભરાઇ જતા, લાખો લોકોને મુશ્કેલી વેઠવા પડી હતી. આજે વહેલી સવારથી પુરના પાણી ઓસરતા પુર અસરગ્રસ્ત વિસ્તરોમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યુ હતુ. પાલિકા સફાઇકર્મીઓની ફોજ ઉતારી સફાઇ કરાવે, એવી સ્થાનિકોમાં માંગ ઉઠી છે.

નિચાણવાળા વિસ્તારોના રસ્તાઓ, મોહલ્લા, સોસાયટીઓમાં કાદવ જ કાદવ

નવસારી તેમજ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે નવસારી નજીકથી પસારથતી પૂર્ણા નદીની જળસપાટી વધતા પુરની સ્થિતિ બની હતી. સવારથી બપોર સુધીમાં પૂર્ણા 30 ફૂટે પહોંચી જતા શહેરના નિચાણવાળા વિસ્તારોમાં 4 થી 8 ફૂટ પુરના પાણી ભરતા હજારો લોકોને સ્થળાંતરિત કરવા પડ્યા હતા. પુરના પાણી નિચાણવાળા વિસ્તારના ઘરોમાં ભરાઇ ગયા હતા. પુરના પાણી ગત મોડી રાતે ઉતર્યા હતા, ત્યારબાદ શહેરનાં નિચાણવાળા વિસ્તારોમાં કાદવ કીચડ રહી ગયો હતો. લોકોના ઘરો, દુકાનો, ઓફિસો, કારખાનાઓમાં પણ પુરને કારણે કાદવ થઇ ગયો હતો. જેથી વહેલી સવારથી જ અસરગ્રસ્તો દ્વારા પોતાના ઘર, દુકાનો, ઓફિસો, કારખાનાઓમાં સાફ સફાઇ હાથ ધરી હતી. જેમાં પુરના પાણીમાં પલળી જવાથી ખરાબ થયેલા અનાજ સહિતના સામાનને ફેંકી દેવા પડ્યો હતો. જેને કારણે પુર અસરગ્રસ્ત લોકોને હજારોથી લાખો રૂપિયાનું નુકશાન થવાનો અંદાજો છે.

પાલિકા દ્વારા યુદ્ધના ધોરણે સફાઇ શરૂ ન કરાતા લોકોમાં આક્રોશ

નવસારી શહેરમાં પુરના પાણી ઓસર્યા બાદ શહેરના નિચાણવાળા વિસ્તારોમાં ગંદકી ફેલાય છે. શહેરના 40 ટકા વિસ્તારમાં રસ્તાઓ, શેરી, મોહલ્લા, સોસાયટીઓમાં કાદવ કીચડ તેમજ પુરમાં તણાઈ આવેલ કચરો જોવા મળ્યો હતો. લોકોએ પોતાના ઘર, ઓફીસ, દુકાનોમાં સફાઇ હાથ ધરી હતી, પણ પાલિકા દ્વારા સફાઇમાં આળસ કરી હોવાની લોકચર્ચા ઉઠી છે. રસ્તાઓ ઉપર પાલિકાના એકલ દોકલ સફાઇકર્મીઓ દેખાતા સ્થાનિકોએ પાલિકાએ યુદ્ધના ધોરણે સફાઇકર્મીઓની ફોજ ઉતારવામાં આવે તો શહેર સ્વચ્છ થશે, નહીં તો ગંદકીને કારણે વિસ્તારમાં રોગચાળો ફેલાવવાની સંભાવના વ્યક્ત કરી હતી.

Continue Reading
Advertisement

Trending