Connect with us

દક્ષિણ-ગુજરાત

નવસારી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના નવનિયુક્ત પ્રમુખ અને ટીમે પદભાર સંભાળ્યો

Published

on

કેન્દ્રના જળશક્તિ મંત્રી અને નવસારીના સાંસદ સી.આર. પાટીલ ખાસ ઉપસ્થિત રહ્યા

નવસારી : નવસારી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના નવનિયુક્ત પ્રમુખ અને તેમની ટીમે કેન્દ્ર સરકારના જળ શક્તિ મંત્રાલયના કેબીનેટ મંત્રી અને નવસારીના સાંસદ સી. આર. પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં આગામી બે વર્ષના કાર્યકાળ માટે પદભાર સંભાળ્યો હતો.

10 વર્ષ બાદ યોજાયેલી ચૂંટણીમાં જીત મેળવ્યાના છ મહિના પછી યોજાયો પદગ્રહણ સમારોહ

નવસારી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની ચૂંટણી છ મહિના અગાઉ યોજાઇ હતી. જેમાં મહાજન પેનલ સામે વિકાસ પેનલે મેદાનમાં ઉતરી ટક્કર આપતા 10 વર્ષ બાદ ચૂંટણીનો રંગ જામ્યો હતો. ગત 25 ફેબ્રુઆરીના રોજ યોજાયેલી ચૂંટણીમાં મહાજન પેનલના સાતેય ઉમેદવારોની જીત થઈ હતી. પરંતુ નવસારી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના હોદ્દેદારો ચૂંટાયા બાદ લોકસભા ચૂંટણી જાહેર થતા, નવનિયુક્ત પ્રમુખ રાજેન્દ્ર દેરાસરિયા અને તેમની ટીમનો પદગ્રહણ અટકી ગયો હતો. જોકે છ મહિના બાદ આજે નવસારીના સાંસદ, ગુજરાત પ્રદેશ પ્રમુખ અને કેન્દ્ર સરકારમાં જળશક્તિ મંત્રાલયના કેબીનેટ મંત્રી સી. આર. પાટીલની ઉપસ્થિતિમાં પદગ્રહણ સમારોહ યોજાયો હતો. જેમાં ગુજરાત સરકારના નાણા અને ઊર્જા મંત્રી કનુ દેસાઈ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સમારોહમાં કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલના હસ્તે ઔદ્યોગિક ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનારા નવસારીના ઉદ્યોગકારોને શાલ અને મોમેન્ટો આપી સન્માનિત કરાયા હતા. જેની સાથે જ નવસારી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની નવનિયુક્ત ઉત્સાહિત ટીમના પ્રમુખ રાજેન્દ્ર દેરાસરિયાને કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલના હસ્તે પદગ્રહણ કરાવવામાં આવ્યુ હતુ. સાથે જ સમારોહમાં ઉપસ્થિત નાણામંત્રી સહિત ધારાસભ્યો અને મહાનુભાવોના હસ્તે ચેમ્બરના અન્ય હોદ્દેદારોને પણ પદગ્રહણ કરાવવામાં આવ્યા હતા.

ઉદ્યોગ ન હોવાને કારણે નવસારીનો ગ્રોથ નથીની વાત પોકળ, નવસારીના ઉદ્યોગકારો આપી રહ્યા છે હજારો રોજગાર – સી. આર. પાટીલ

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલે નવસારી જિલ્લાનો ઉદ્યોગ નહીં હોવાને કારણે ગ્રોથ નહીં થતો હોવાની ચર્ચાઓને નિરર્થક ગણાવી હતી. કારણ નવસારીમાં એવા ઘણા ઉદ્યોગો આવ્યા છે અને નવસારીના સાહસી ઉદ્યોગકારો હજારો લોકોને નોકરી આપી રહ્યા છે. સાથે જ આ ઉદ્યોગકારો નવસારી અને ગુજરાત જ નહીં, પરંતુ દેશ અને દુનિયામાં પોતાનો ડંકો વગાડી રહ્યા છે. જ્યારે નવસારીના કાંઠા વિસ્તારમાં નિર્માણ થવા જઇ રહેલા PM મિત્રા પાર્કના કાર્યરત થતા જ નવસારીમાં રોજગારીની મોટી તકો ઊભી થશે. જ્યારે નવસારી મહાનગરપાલિકા બની છે, જેથી શહેરના વિકાસ સાથે પણ નવી તકો નવસારીજનો માટે ઊભી થશે અને તેના થકી નવસારી વિકાસના પંથે ડગ માંડતું થશે, એવી આશા વ્યક્ત કરી હતી. જ્યારે નવસારીજનો વરસાદી પાણીના સંગ્રહને ગંભીરતાથી લેતા થાય અને પાણીના બચાવ સાથે તેનો સંગ્રહ પણ કરે એ માટે હાંકલ કરી હતી.

મંત્રી, ધારાસભ્યો અને ઉદ્યોગકારો રહ્યા ઉપસ્થિત

નવસારી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પદગ્રહણ સમારોહમાં કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલ, ગુજરાતના નાણામંત્રી કનુ દેસાઈ, નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ, ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ, વરાછા કો. ઓપરેટિવ બેન્કના ચેરમેન કાનજી ભાલાળા, યુરો ફૂડ્સ લિમિટેડના ચેરમેન મનહર સાસપરા, NJ ગ્રુપના કો. ફાઉન્ડર જીગ્નેશ દેસાઈ, ચેમ્બર્સ ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ ભરત સુખડિયા, પૂર્વ ધારાસભ્ય પિયુષ દેસાઈ સહિતના મહાનુભાવો, ચેમ્બરના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં નવસારીના ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા.

દક્ષિણ-ગુજરાત

નવસારીમાં કમોસમી વરસાદ, ખેડૂતોની ચિંતામાં વધારો

Published

on

By

નવસારી તાલુકામાં 4 કલાકમાં 4 ઈંચ વરસાદ વરસ્યો, રસ્તા થયા પાણી પાણી

નવસારી : હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ, આજે નવસારીમાં બપોર બાદ ધોધમાર કમોસમી વરસાદ શરૂ થતા જન જીવન પ્રભાવિત થયું હતુ. નવસારી તાલુકામાં જ 4 કલાકમાં 4 ઈંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસેલા માવઠાથી ડાંગર અને ચીકુના ખેડૂતોને માથે હાથ મુકી રોવાનો વારો આવ્યો છે.

ભારે વરસાદથી ગણદેવી બજારમાં ‘નદી’ ના દ્રશ્યો

હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આજે સવારથી નવસારી જિલ્લામાં કાળાંડિબાંગ વાદળો ઘેરાયા હતા અને વાતાવરણમાં બફારા સાથે ઉકળાટ પણ અનુભવાતો હતો. બપોર બાદ સાંજે 4 વાગ્યાથી નવસારી અને જલાલપોર તાલુકામાં શરૂ થયેલા કમોસમી ધોધમાર વરસાદે જનજીવન પ્રભાવિત કર્યુ હતું. નવસારી શહેરના ગ્રીડ, કબીલપોર, જુનાથાણા, લુંસીકુઈ, ઇટાળવા અને સ્ટેશન સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા શહેરના મુખ્ય રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા, જેના પરિણામે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ, ગણદેવી નગરના મુખ્ય બજારમાં પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે જાણે બજારમાંથી કોઈ નદી પસાર થઈ રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા.

કમોસમી વરસાદને કારણે ડાંગર અને ચીકુના પાકને મોટું નુકસાન

કમોસમી વરસાદને કારણે નવસારીના ડાંગર અને ચીકુના પાકને નુકશાનની ભીતિ સેવાઈ રહી છે. કારણ ખેતરોમાં હાલ ડાંગરની કાપણી થઈ રહી છે, જ્યારે કપાયેલી ડાંગર ખેતરમાં સુકવવા મુકી હતી એ ઘણી જગ્યાએ પલળી ગઈ હતી. જેને કારણે ખેડૂતોને મોટા આર્થિક નુકશાનની સંભાવના વધી છે. ચીકુના પાકમાં પણ વરસાદ મોટી નુકશાની આપશે, કારણ ચીકુની પ્રથમ સીઝન લાભ પાંચમથી શરૂ થતી હોય છે, પણ કમોસમી વરસાદને કારણે ચીકુની સાઈઝ અને ઉત્પાદન ઉપર પણ અસર પાડી છે, જેથી ખેડૂતોને આર્થિક નુકશાની વેઠવા પડશે.

સાંજે 4 થી રાતે 8 વાગ્યા સુધીમાં નવસારી તાલુકામાં 4 ઈંચ વરસાદ

નવસારીમાં આખો દિવસ ભારે ઉકળાટ બાદ વીજળીના કડાકા ભડાકા સાથે શરૂ થયેલો ભારે વરસાદે જન જીવનને પ્રભાવિત કર્યું હતું. જેમાં નવસારી તાલુકામાં સાંજે 4 થી રાતે 8 વાગ્યા સુધીમાં 106 મિમી એટલે કે 4.41 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે જલાલપોર તાલુકામાં 46 મિમી (1.91 ઈંચ) વરસાદ નોંધાયો હતો. જ્યારે આન્યા તાલુકાઓમાં ખેરગામ તાલુકામાં 28 મિમી (1.16 ઈંચ), ચીખલી તાલુકામાં 23 મિમી (0.95 ઈંચ) અને ગણદેવીમાં 9 મિમી તથા વાંસદા તાલુકામાં 2 મિમી વરસાદ નોંધાયો હતો.

Continue Reading

ગુજરાત

‘ખજૂરભાઈ’ નીતિન જાની 2027માં ચૂંટણી લડશે!

Published

on

By

રાજુલાના ખાનગી કાર્યક્રમમાં યુવાનોને રાજકારણમાં ઉતરવાની કરી હાંકલ

બારડોલી : સોશ્યલ મીડિયામાં ખજૂર – જીગલીના કૉમેડી વીડિયો થકી લોકપ્રિય અને ગરીબોના ઘરો બનાવનાર સામાજિક કાર્યકર નીતિન જાની ઉર્ફે ‘ખજૂરભાઈ’ એ સક્રિય રાજકારણમાં ઝંપલાવવાનો વિચાર કરી, આગામી વર્ષ 2027ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે, જેના કારણે રાજકીય વર્તુળોમાં ગરમાવો આવ્યો છે.

કયા પક્ષ સાથે જોડાશે એ નક્કી નહીં, પણ ચૂંટણી લડવા મક્કમ!

સોશ્યલ મીડિયામાં કૉમેડી વીડિયો થકી નામના મેળવનાર મૂળ બારડોલીના નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈ એ રાજુલાના ખાનગી કાર્યક્રમમાં ઉપસ્થિત યુવાનોને રાજકારણથી દૂર રહેવાને બદલે સક્રિય રીતે જોડાઈ, તેને નવી દિશા આપવા માટે હાંકલ કરી છે. જ્યાં યુવાનોના સવાલના જવાબમાં પોતે પણ 2027 ની વિધાનસભા ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી હતી. આ વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થતાં ‘ખજૂરભાઈ’ ના રાજકારણમાં પ્રવેશની વાત ચર્ચાએ ચઢી છે. જોકે, નીતિન જાનીએ હાલમાં કયા પક્ષમાંથી અને ક્યાંથી ચૂંટણી લડશે તે અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી, પરંતુ 2027 ની ચૂંટણી લડવા માટે તેઓ મક્કમ છે.

પાવર વિના 374 ઘર બનાવ્યા, સત્તા મળશે તો સંખ્યા વધશે

નીતિન જાનીએ અત્યાર સુધીમાં પોતાના કૉમેડી વીડિયો અને સામાજિક કાર્ય થકી કોઈ પણ સરકારી પાવર વિના 374 જેટલા જરૂરિયાતમંદ પરિવારો માટે પાકાં ઘરો બનાવ્યા છે. તેમણે જણાવ્યું કે, જો તેઓ ચૂંટણી લડીને સત્તામાં આવશે તો લોકો માટે ધાબાવાળા પાકાં ઘરો બનાવવાની સંખ્યામાં વધારો કરી શકશે. એટલું જ નહીં, તેમની ઈચ્છા ગુજરાતની ગૌશાળાઓને પણ ધાબાવાળી બનાવવાની છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આઈડિયોલોજીથી પ્રભાવિત છે ખજૂરભાઈ

હાસ્ય કલાકાર નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈનો જન્મ સુરતમાં થયો અને હાલ તેઓ સરદાર પટેલની ભૂમિ બારડોલીમાં રહે છે. જેથી જન્મથી જ સરદાર પટેલ તેમના હીરો રહ્યા છે. જોકે વર્તમાનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કાર્યપધ્ધતિથી તેઓ પ્રભાવિત છે અને વર્ષોથી તેમને પોતાના આઇડલ માને છે. ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી મોદીએ તેમના સમાજસેવાના કાર્યની સરાહના પણ કરી હતી. ત્યારે આગામી સમયમાં તેઓ કયા પક્ષ સાથે જોડાઈને રાજકીય સફર શરૂ કરે છે, એ જોવું રહ્યું.

Continue Reading

અપરાધ

નવસારીમાં મોડી રાત્રે ગેંગવોર : રેમ્બો ચપ્પુના ઘા ઝીંકાતા ૩ ગંભીર રીતે ઘાયલ

Published

on

By

આસિફ, ઇમરાન અને સિદ્ધુ સિવિલમાં ખસેડાયા, ગ્રામ્ય પોલીસની તપાસ શરૂ

નવસારી : નવસારી શહેરમાં ફરી એકવાર ગેંગવોર જોવા મળી હતી. ગત રાત્રે 12 વાગ્યા આસપાસ વિરાવળ જતા રસ્તા પર, બોસ્ટન ટી સામે બે જૂથ વચ્ચે લોહિયાળ મારામારી થઈ હતી. જેમાં ત્રણ યુવાનો ગંભીર રીતે ઘવાતા તેમને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાંથી એકને ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

રીઢા ગુનેગાર સિદ્ધુ થોરાટની ટોળકી અને અન્ય ગેંગ વચ્ચે થઈ હતી મારામારી

મળતી માહિતી અનુસાર, નવસારી શહેરમાં ગત રાતે રીઢા ગુનેગારો વચ્ચે ખુની ખેલ ખેલાયો હતો. શહેરના વિરાવળ નજીક બોસ્ટન ટી સ્ટોલ પાસે થયેલી માથાકૂટમાં બંને જૂથોએ રેમ્બો છરો સાથે ધારદાર હથિયારોથી એકબીજા ઉપર પ્રાણઘાતક વાર કરી મારામારી કરી હતી. જેમાં ત્રણ લોકો ગંભીર રીતે ઘવાયા હતા. જેમાં મારામારીમાં પંકાયેલો સિદ્ધુ થોરાટ, ઈમરાન શેખ અને આસિફને ઘાયલાવસ્થામાં નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાંથી આસિફની સ્થિતિ વધુ ગંભીર જણાતા તેને ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો.

જૂની અદાવત અથવા વર્ચસ્વ માટે ખૂની ખેલ ખેલાયો હોવાનું પ્રાથમિક તારણ

વિવાવળના બોસ્ટન ટી સ્ટોલ પાસે થયેલ આ ખૂની મારમારી જૂની અદાવત અથવા વર્ચસ્વની લડાઈમાં થઈ હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. આ સનસનાટીભરી ઘટનાની જાણ થતાં નવસારી ગ્રામ્ય પોલીસે મારામારી મુદ્દે કાયદેસરની તપાસ શરૂ કરી છે. જ્યારે મોડી રાત્રે થયેલી આ મારામારીને કારણે વિસ્તારમાં તંગદીલીનો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે પોલીસ ચોપડે હજી કોઈ ફરિયાદ નોંધાઈ નથી, પરંતુ સાંજ સુધીમાં ફરિયાદ નોંધાય અને પોલીસ ફરાર થયેલા આરોપીઓને પકડવાની કવાયત શરૂ કરે એવી સંભાવના જોવાઈ રહી છે.

સિદ્ધુ થોરાટ અને તેની ટોળકીનું અગાઉ પોલીસે કાઢ્યું હતું સરઘસ

ઘાયલ થયેલો આરોપી સિદ્ધુ થોરાટ વિજલપોર વિસ્તારમાં રીઢો ગુનેગાર છે અને અગાઉ અનેકવાર મારમારી સહિતના વિવિધ ગુનાઓમાં પોલીસના હાથે પકડાઈ ચૂક્યો છે. જેમાં મારામારીની અન્ય ઘટનામાં પોલીસે સિદ્ધુ અને તેના બે સાથીઓનો ગુનાના રિકંસ્ટ્રક્ષન કરવા સાથે કાયદાનું ભાન કરાવવા જાહેરમાં સરઘસ કાઢ્યું હતું.

Continue Reading
Advertisement

Trending