સુરત : ભારત સરકાર દ્વારા પાડોશી દેશોનાં સતાવેલા નાગરીકોને નાગરિકતા આપવા માટે નાગરિકતા સંશોધન કાયદો લાગુ કર્યો છે. જેનો દેશનાં યુવાઓ સાથે વિપક્ષી દળો વિરોધ કરી રહ્યા છે, ત્યારે ભાજપ સરકારે સીએએ કાયદાના સમર્થનની જુન્બેઝ શરૂ કરી છે. જેમાં ઘરે ઘરે લોકોને કાયદાની માહિતી આપવા સાથે રેલીઓ યોજી રહ્યા છે. ત્યારે ઉત્તરાયણના તહેવારમાં સિટીઝન અમેડમેન્ટ એક્ટ (સી.એ.એ.) ના સમર્થનમાં સુરતના લિંબાયત વિધાનસભાના ધારાસભ્ય સંગીતાબેન પાટીલે સોમવારે તેમના જનસંપર્ક કાર્યાલય ખાતેથી સોમવારે ૫,૦૦૦ જેટલા પતંગોનું વિતરણ કર્યું હતું.
ધારસભ્ય પાટીલ દ્વારા નાગરિકતા કાયદાના સમર્થનના ભાગરૂપે પતંગો પર ” I Support CAA” ના સ્લોગન લખાવવામાં આવ્ય છે. જેને સોમવારે ધારસભ્ય સંગીતાબેનના હાથે કાર્યાલય ખાતેથી મોટી સંખ્યામાં ઉપસ્થિત ભુલકાઓ અને સ્થાનિકોને પતંગોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ અવસરે ધારાસભ્ય સંગીતાબેન પાટીલે જણાવ્યું કે, કેન્દ્ર સરકાર દ્વારા પાકિસ્તાન સહિતના પડોશી દેશોમાં વસવાટ કરતાં હિન્દુ તેમજ અન્ય લઘુમતિ સમાજ પર થઈ રહેલા અત્યાચારને પગલે સી.એ.એ. કાયદાનો અમલ કરવામાં આવ્યો છે. આ કાયદા થકી દેશના કોઈપણ નાગરિકની નાગરિકતા પર ઉની આંચ આવવાની નથી. આ કાયદો માત્રને માત્ર નાગરિકતા આપવા માટેનો છે. આવતી કાલે સમગ્ર શહેરમાં મકર સંક્રાતિના પર્વે આકાશમાં રંગબેરંગી પતંગોની સાથે સાથે ” I Support CAA” ના પતંગો પણ લહેરાતા નજરે પડશે.
જનસંપર્ક કાર્યાલય ખાતે યોજવામાં આવેલા પતંગ વિતરણ કાર્યક્રમમાં ધારાસભ્ય સંગીતાબેન પાટીલ સહિત સ્થાનિક કોર્પોરેટરો, વોર્ડ પ્રમુખો, મહિલા મોર્ચાના સભ્યો સહિત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.