ફાયર સ્ટેશન સાથે નવનિર્મિત પ્રવેશદ્વારનું લોકાર્પણ અને જલારામ મંદિરનું કર્યુ ભૂમિપૂજન
નવસારી : ગણદેવી નગર પાલિકાને ફાયર ફાઈટરો મળ્યાના એક દાયકા બાદ પાલિકાના શાસકોએ ૮૩ લાખના ખર્ચે અધ્યતન ફાયર સ્ટેશન બનાવી, આજે ગુરૂવારે નવસારીના સાંસદ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલના હસ્તે લોકાર્પણ કરાવ્યુ હતુ. સાથે જ બે વર્ષ અગાઉ બનેલા પાલિકાના પ્રવેશદ્વાર અને ગણદેવી સુગર ફેક્ટરીની સામેના જલારામ મંદિરનું ભૂમિપૂજન પણ કરવામાં આવ્યુ હતુ.
ગણદેવી નગર પાલિકાને વર્ષ ૨૦૧૧ અને વર્ષ ૨૦૧૩ માં ફાયર ફાઈટરો મળ્યા હતા. પરંતુ પાલિકાના શાસકો ૧૦ વર્ષો સુધી ફાયર ફાઈટરો ઉભા રાખવા સાથે જ ફાયરના અન્ય સાધનો માટે ફાયર સ્ટેશન બનાવી શક્યા ન હતા. પરંતુ ગણદેવી પાલિકાએ વર્ષ ૨૦૧૮-૧૯ માં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ૮૩ લાખ રૂપિયાના ખર્ચે અદ્યતન ફાયર સ્ટેશનનું નિર્માણ કર્યુ છે. એક દાયકા બાદ મળેલા ફાયર સ્ટેશનથી શહેરીજનોમાં ખુશી જોવા મળી હતી, પરંતુ મહત્વની વાત એ છે કે ફાયર સ્ટેશન અને ફાયર ફાઈટરો હોવા છતાં પાલિકા કાબિલ ફાયર ઓફિસરની નિમણુક કરી શકી નથી. જોકે પાલિકાએ આજે ગુરૂવારે નવસારીના સાંસદ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલના હસ્તે નવીન ફાયર સ્ટેશનનું લોકાર્પણ કરાવ્યુ હતુ. સાથે જ વર્ષ ૨૦૧૭-૧૮ ની ગ્રાન્ટ પૈકી રૂપિયા ૭.૬૦ લાખમાં તૈયાર થયેલા પાલિકાના નવનિર્મિત મુખ્ય પ્રવેશદ્વારનું પણ સાંસદ પાટીલે ઝડપથી લોકાર્પણ કર્યુ હતુ.
પાલિકાના ફાયર સ્ટેશનના લોકાર્પણ પૂર્વે સાંસદ પાટીલે ગણદેવી સુગર ફેક્ટરી સામે સ્થિત ૨૯ વર્ષ જુના જલારામ મંદિરના જીણોદ્ધાર કરવા માટે ભૂમિપૂજન કર્યું હતું. માનવસેવાને સમર્પિત જલારામ બાપા મંદિર વર્ષભર અનેક સેવાકિય કાર્યો કરે છે. જયારે નવા મંદિર માટે ભૂમિપૂજનથી ભક્તોમાં આનંદ વ્યાપી ગયો હતો.