ગુજરાત

નવસારીના વોર્ડ નં. 13 માં પરિવારવાદના આક્ષેપ : કાર્યકરોએ ધારાસભ્યને કરી રજૂઆત

Published

on

પૂર્વ નગર સેવકના પુત્ર અને પૂર્વ ચીફ ઓફિસરના પુત્રવધૂને ટિકીટ મળવાની વાતે કાર્યકરોમાં રોષ

નવસારી : લોકશાહી પધ્ધતિથી ચાલતા પક્ષ ભાજપમાં નવસારી મહાનગર પાલિકાની ચુંટણીમાં પોતાના જ પરિવારના સભ્યોને ટિકીટ મળે, એવી વ્યવસ્થા ગોઠવવા પૂર્વ નગર સેવકો પ્રયાસ કરી રહ્યા છે. જેમાં વોર્ડ નં. 13 માં પૂર્વ નગર સેવકના પુત્ર અને પૂર્વ ચીફ ઓફિસરના પુત્રવધૂને ટિકીટ ફાઈનલ કરવામાં આવી હોવાની વાતથી વોર્ડના ભાજપી આગેવાનો અને કાર્યકરો રોષે ભરાયા હતા અને વોર્ડ 13 માંથી નવા અને અજાણ્યા ચહેરાઓને ટિકીટ આપવાને બદલે કર્મઠ કાર્યકરોને ટિકીટ આપવાની માંગ સાથે નવસારીના ધારાસભ્યને રજૂઆત કરી હતી.

વર્ષોથી પંચાયત અને પાલિકામાં ચુંટણી લડતા નેતાઓને બદલે સક્ષમ યુવાનોને ટિકીટ આપવાની માંગ

નવસારી મહાનગર પાલિકાની ચુંટણી જાહેર થઈ ચુકી છે અને રાજકીય પક્ષો યોગ્ય મુરતિયાઓ શોધવાની મથામણમાં પડ્યા છે. જેમાં ભાજપના પ્રદેશ નિરીક્ષકોએ થોડા દિવસો અગાઉ શહેરના તમામ 13 વોર્ડના કાર્યકરોને સાંભળ્યા હતા. જેમાં 13 વોર્ડમાંથી આગેવાનો અને કાર્યકરો મળી કુલ 347 લોકોએ ટિકીટ માટે દાવેદારી કરી હતી. જોકે ભાજપના 60 વર્ષથી ઉપરના કાર્યકરોને ટિકીટ નહીં આપવાના નિર્ણયથી ફરી ચુંટણી લડવાના સપના જોતા જૂના જોગીઓના સપના રોળાયા છે. જેથી અગાઉથી જ આ નેતાઓએ પોતાના ઘરના સભ્યોને ટિકીટ માટે દાવેદારી કરાવી રાખી હોવાની ચર્ચાઓ પણ ભાજપમાં જોરશોરથી ચર્ચાઈ હતી. જેને સોમવારે સમર્થન મળતું જોવા મળ્યું, કારણ શહેરના સૌથી મોટા અને પાવરફુલ ગણાતા વોર્ડ નં. 13 માં પૂર્વ નગર સેવકના પુત્ર તેમજ પૂર્વ નગરસેવિકા અને પૂર્વ ચીફ ઓફિસરના પુત્રવધૂની બે બેઠક ઉપર ટિકીટ ફાઈનલ કરવામાં આવી હોવાની વાત વહેતી થતાં જ વોર્ડના ભાજપી આગેવાનો અને કાર્યકરોમાં રોષ જોવા મળ્યો હતો. નારાજ કાર્યકરો સાથે આગેવાનો નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈની ઓફિસે ભર બપોરે પહોંચ્યા હતા. જ્યાં ધારાસભ્ય રાકેશ દેસાઈની આગળ પૂર્વ નગર સેવકોના પરિવારના સભ્યોને ટિકીટ આપવામાં આવી હોવાની વાતે પોતાની નારાજગી વ્યક્ત કરી, રોષ વ્યક્ત કર્યો હતો. સાથે જ વર્ષોથી ચુંટણી લડવા સાથે જ સત્તા સુખ ભોગી, ખુરશી ભૂખ રાખતા નેતાઓને સ્થાને કર્મઠ અને સક્ષમ કાર્યકરોને ટિકીટ આપવાની માંગ કરી હતી. જ્યારે ધારાસભ્ય રાકેશ દેસાઈએ હજી કોઈ નામ ફાઈનલ થયા નથીનો રાગ આલાપી, કાર્યકરોને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાંથી અંતિમ ઉમેદવારની પસંદગી થવાનું આશ્વાસન આપી સમજાવી લીધા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version