કૃષિ

નવસારીના નાગધરા ગામેથી કદ્દાવર દીપડો પાંજરે પુરાયો

Published

on

નાગધરા ગામે થોડા સમયમાં મરઘાનું મારણ કરતા દીપડાથી ગ્રામજનોમાં હતો ભય

નવસારી : નવસારીના પૂર્વ પટ્ટીના ગામડાઓમાં દીપડાના આંટાફેરાથી ગ્રામજનોમાં ભયનો માહોલ બન્યો છે. જેમાં નાગધરા ગામે છેલ્લાં થોડા સમયમાં દીપડો મરઘા સાથે પાલતુ પ્રાણીઓને શિકાર બનાવતા ગામમાં ભયનો માહોલ હતો. દરમિયાન વન વિભાગે ગોઠવેલા પાંજરામાં સોમવારે મળસ્કે એક કદ્દાવર દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

નવસારી વન વિભાગે દીપડાનો કબ્જો લઈ જંગલમાં છોડવાની તજવીજ હાથ ધરી

નવસારી તાલુકાના પૂર્વ પટ્ટીના ગામડાઓમાં લાંબા સમયથી દીપડાના આંટાફેરા વધ્યા હતા. જેમાં પણ શેરડીના ખેતરોમાં કાપણી થતા દિપડાઓ ગ્રામ્ય વિસ્તારોમાં શિકારની શોધમાં લટાર મારતા દેખાયા હતા. જેમાં પણ પાલતુ પ્રાણીઓ શ્વાન, ઢોર કે મરઘાનો શિકાર કરી, દિપડાઓ નદીઓની કોતર વિસ્તારમાં રહેતા થયા છે. ત્યારે નવસારીના નાગધરા ગામે પણ છેલ્લા થોડા દિવસોમાં મરઘાના મારણ કરતા દીપડાથી ગ્રામજનોમાં દહેશતનો માહોલ હતો. જેથી ગ્રામજનોએ સરપંચને જાણ કરતા, સરપંચે નવસારી સામાજિક વનીકરણ વિભાગને જાણ કરી હતી. જેથી વન વિભાગ દ્વારા નાગધરાના કાતું પટેલના વાડામાં મરઘાના મારણ સાથે પાંજરૂ ગોઠવ્યું હતું. જેમાં સોમવારે મળસ્કે સાડા ત્રણ વર્ષનો એક કદ્દાવાર દીપડો શિકારની લાલચમાં પુરાયો હતો. દીપડાની દહાડ સાંભળીને ગ્રામજનો ભેગા થયા હતા અને વન વિભાગને દીપડો પાંજરે પુરાયો હોવાની જાણ કરી હતી. વન વિભાગના અધિકારીઓએ નાગધરા ગામે પહોંચી, દીપડાનો કબ્જો લઈ, તેની આરોગ્ય તપાસ કરાવી, ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શનમાં જંગલમાં છોડવાની તજવીજ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version