કેન્દ્ર સરકાર અને ટ્રાન્સપોર્ટ એસોસીએશન સાથેની બેઠક બાદ હડતાલ થઇ સ્થગિત
નવસારી : ભારત સરકાર દ્વારા હીટ એન્ડ રન કેસમાં લાગુ કરાયેલા નવા કાયદાનો દેશભરના ટ્રક ચાલકો વિરોધ કરી રહ્યા હતા અને જેમાં ટ્રાન્સપોર્ટ એસોસીએશને સરકાર સાથે વાતો પણ શરૂ કરી હતી, પરંતુ ટ્રક ચાલકોના વિરોધને પગલે 5 દિવસની હડતાલની વાત પ્રસરતા જ નવસારી શહેરના તમામ પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ડીઝલ ભારાવવા લોકોએ લાંબી કતારો લગાવી હતી. જોકે આજે રાતે જ કેન્દ્ર સરકાર સાથેની બેઠક બાદ ટ્રાન્સપોર્ટ એસોસીએશન દ્વારા હાલ પુરતી હડતાલ સ્થગિત કરવાની જાહેરાત કરવામાં આવતા લોકોને રાહત મળી છે.
ભારત સરકાર દ્વારા હાલમાં જ ભારતીય કાયદાઓમાં સુધારા કરીને કેટલાક કાયદાઓમાં સુધારા કર્યા છે, જયારે કાયદાઓની પરિભાષા પણ બદલી છે. ત્યારે અકસ્માતના કેસમાં હિટ એન્ડ રન પ્રકરણમાં ચાલકને 10 વર્ષની સજાની જોગવાઈ કરી હોવાનું સામે આવતા જ સમગ્ર દેશના ભારે વાહનોના ચાલકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. સાથે જ કાયદાની વિરૂદ્ધમાં દેખાવો સાથે ઘણી જગ્યાઓએ હાઇવે પર ચક્કાજામ કરીને ઉગ્ર વિરોધ નોંધાવી રહ્યા હતા. ટ્રક ટેમ્પો ચાલકોના વિરોધને કારણે ભારે વાહનોના પૈંડા થંભી જતા અનેજ ચીજવસ્તુઓનાં ટ્રાન્સપોર્ટેશન ઉપર અસર વર્તાવા માંડી હતી. જેમાં પણ ટ્રાન્સપોર્ટ એસોસીએશન દ્વારા હડતાલની જાહેરાત કરતા જ જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ સમયે ન પહોંચે તો ભાવ વધારાની ભીતિ હતી. જેમાં પણ પેટ્રોલ ડીઝલની સપ્લાય અટકે તો મોટી મુશ્કેલી પડે એવી સ્થિતિ બની હતી. નવસારી શહેરમાં પણ મોડે મોડે લોકોને ટ્રાન્સપોર્ટરોની હડતાલની વાત સંભાળતા શહેરના પેટ્રોલ પંપ ઉપર લાંબી લાંબી કતારો લાગવા માંડી હતી. પેટ્રોલ પંપ પર પહોંચેલા લોકો વાહનની ટાંકી ફૂલ કરાવવા સાથે જ પોતાની સાથે પ્લાસ્ટિક બોટલ, મોટા કારબા લાવીને પેટ્રોલ ડીઝલ ભરાવવા માંડ્યા હતા. જોકે મોડે મોડે કેન્દ્ર સરકાર અને ટ્રાન્સપોર્ટ એસોસીએશન વચ્ચે થયેલી બેઠકમાં સુખદ સમાધાન થતા, હાલ પુરતી હડતાલ સ્થગિત કરવાની જાહેરાત થઇ છે. જેના કારણે ટ્રાન્સપોર્ટેશનની સમાસ્યાની નિરાકરણ આવ્યું છે. જેથી પંપ સંચાલકોએ લોકોને પેટ્રોલ ડીઝલનો પુરતો જથ્થો હોવા સાથે જ સપ્લાય ઉપર પણ કોઈ અસર નથી પડવાનું જણાવી ગભરાટ ન કરવા અને અફવા ઉપર ધ્યાન ન આપી, ખોટું પેનિક ન થવા અપીલ કરી છે.
એક પંપ પર ત્રણ કલાકમાં જ હજારો લીટર પેટ્રોલ ડીઝલ વેચાયું
ટ્રક ચાલકોની હડતાલની વાત ફેલાતા જ નવસારી શહેરના તમામ પેટ્રોલ પંપ ઉપર લોકોએ લાંબી કતારો લગાવી હતી. જેમાં શહેરના ટાટા સ્કૂલ નજીકના પેટ્રોલ પંપના સંચાલક આશિષ મેહતાએ જણાવ્યું હતું કે, લોકો હડતાલની અફવાથી પ્રેરાઈને લાઈન લગાવી રહ્યા છે અને વાહનની ટાંકી ફૂલ કરાવી રહ્યા છે. જોકે હડતાલ સમેટાઈ જવાથી સપ્લાયની કોઈ સમસ્યા જ નથી રહેવાની અને અમારી પાસે પુરતો જથ્થો છે. પણ આ લાઈન લાગવાને કારણે જ્યાં દિવસ દરમિયાન અમારે લગભગ 500 લીટર પેટ્રોલનું વેચાણ થાય છે, એ આજે થોડા સમયમાં જ અંદાજે 5 હજાર લીટર સુધી વેચાણ પહોંચશે એવું લાગી રહ્યું છે. સાથે જ મહેતાએ લોકોને પેનિક ન થવા અપીલ પણ કરી હતી.