મુળ નવસારીના એંધલ ગામના વતની અને લાર્સન એન્ડ ટૂર્બો (L & T) કંપનીના પૂર્વ ચેરમેન અનીલ નાયકના પુત્ર જીગ્નેશ નાયકની દીકરી નિરાલીનું કેન્સરની બીમારીને કારણે અઢી વર્ષની વયે જ અવસાન થયુ હતુ. પૌત્રી પ્રત્યેની યાદમાં અને નવસારી જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતના લોકોને કેન્સરની આધુનિક સારવાર મળી રહે એવા ઉમદા ઉદ્દેશ્ય સાથે ઉદ્યોગપતિ અનીલ નાયકે નેશનલ હાઇવે નં. 48 ને અડીને નવસારીના કબીલપોર ખાતે નિરાલી કેન્સર હોસ્પિટલ અને નિરાલી મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ સ્થાપી છે. રાહતદરે આરોગ્ય સેવા આપતી આ અત્યાધુનિક સાધનોથી સજ્જ હોસ્પિટલમાં આજે સ્વ. નિરાલીના જન્મ દિવસને સેવા કાર્ય થકી ઉજવવામાં આવ્યો હતો. નવસારીની સુશ્રુષા બ્લડ બેંકના સહયોગથી મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલમાં 100 યુનિટ રકત એકત્ર કરવાના ટાર્ગેટ સાથે રક્તદાન શિબિર યોજવામાં આવી હતી. જેમાં હોસ્પિટલના ડોકટરો, વહીવટી અને મેડીકલ સ્ટાફે રક્તદાન કરી સેવાની સુવાસ મહેકાવી હતી.