આરોગ્ય તપાસ કરાવ્યા બાદ દીપડાને છોડવાની કાર્યવાહી હાથ ધરાશે
નવસારીના પૂર્વ પટ્ટીના ગામડાઓ અને ચીખલી, ખેરગામ અને વાંસદા તાલુકામાં દીપડાઓ સામાન્ય બની રહ્યા છે. એક અંદાજ મુજબ નવસારી જિલ્લામાં 100 ની નજીક દીપડાઓ હશે. ત્યારે થોડા દિવસોથી ચીખાલિત તાલુકાના સાદડવેલ ગામે આંટાફેરા મારતા દીપડાથી ગ્રામજનોમાં ભય હતો. ગામમાં પાલતું પશુનો શિકાર કરીને લઇ જતા દીપડાને પાંજરે પુરવા માટે ગ્રામજનોએ ચીખલી વન વિભાગમાં રજૂઆત કરતા, ચીખલી વન વિભાગના RFO આકાશ પડશાળા અને તેમની ટીમ દ્વારા સાદડવેલ ગામના વાંઝરી ફળિયાના ભરત પટેલના ખેતરમાં મરઘાના મારણ સાથે પાંજરૂ ગોઠવ્યુ હતુ. જેમાં ગત મોડી રાતે આશરે 12:35 વાગ્યાના સુમારે એક 3 વર્ષીય કદ્દાવર માદા દીપડો મરઘાનો શિકાર કરવા જતા પાંજરે પુરાયો હતો. દીપડાની દહાડને કારણે આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને પાંજરામાં દીપડો પુરાયો હોવાની જાણ થતા જ ચીખલી વાન વિભાગને જાણ કરવામાં આવી હતી. RFO આકાશ પડશાળા અને તેમની ટીમ દ્વારા સાદડવેલ ગામેથી પાંજરે પુરાયેલા દીપડાના પાંજરાને ચીખલી વન ડેપો ખાતે લાવવામાં આવ્યુ હતું. અહીં દીપડાની આરોગ્ય તપાસ કરાવ્યા બાદ તેને ઉપરી આધિકારીઓની સુચના મુજબ જંગલમાં છોડવાની તજવીજ હાથ ધરવામાં આવશે.