વિવિધ આદિવાસી નૃત્યો, પહેરવેશ અને વિવિધ યોજનાઓની થીમ સાથે કરાયુ ગણેશ વિસર્જન
સુરત : લોકસભાના દંડક અને વલસાડના સાંસદ ધવલ પટેલના સુરતના નિવાસ સ્થાને આયોજિત પાંચમા ગણેશોત્સવમાં દોઢ દિવસ સુધી શ્રીજીની ભક્તિભાવથી આરાધના કર્યા બાદ આજે ભારી હૈયે પટેલ પરિવારે વિઘ્નહર્તાને વિદાય આપી હતી. સાંસદ ધવલ પટેલે વિસર્જન યાત્રામાં સુરતીઓને આદિવાસી સંસ્કૃતિની ઝલક દેખાડી હતી.
વલસાડ લોકસભાના યુવા સાંસદ અને લોકસભાનાં દંડક ધવલ પટેલના સુરત ખાતેના ઘરે દોઢ દિવસના ગજાનનની વિધિવિધાન સાથે સ્થાપના કરવામાં આવી હતી. દોઢ દિવસ બાપ્પાની શ્રદ્ધાથી આગતા સ્વાગતા કર્યા બાદ આજે સાંસદ ધવલ પટેલ અને તેમના પરિવારે વિઘ્નહર્તાને વિદાય આપી હતી. સાંજે 5 વાગ્યા બાદ નીકળેલી વિસર્જન યાત્રામાં સાંસદ ધવલ પટેલે પોતાનું મુળ એવા આદિવાસી સંસ્કૃતિ અને પંરપરા અનુસાર ભગવાન શ્રી ગણેશજીને વિદાય આપી હતી. આદિવાસી થીમ સાથે જ વિવિધ યોજનાઓ વિસર્જન યાત્રામાં દર્શાવવામાં આવી હતી. જેમાં આદિવાસી સમાજના પરંપરાગત આદિવાસી પરિધાન સાથે હજારોની સંખ્યામાં ડાંગ, વાંસદા, અનાવલ, તાપી, સોનગઢ, વલસાડ, કપરાડા, ભરૂચ એમ દક્ષિણ ગુજરાતના ખૂણે-ખૂણેથી આવેલા ભીલ, વસાવા, હળપતિ, ગામીત, ધોડિયા પટેલ, ચૌધરી, કુકણા સહિત દરેક આદિવાસી સમાજના લોકો જોડાયા હતા. સાથે જ યાત્રામાં ડાંગી નૃત્ય, ઘેરિયા, તુર, તારપો, ટીમલી જેવા નૃત્યો યાત્રામાં સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
વિસર્જન યાત્રામાં રાજ્યના સૌથી મોટા આદિવાસી ડીજે રોકી સ્ટારના આદિવાસી ગીતો અને સંગીત ઉપર હજારો લોકો ઝૂમી ઉઠ્યા હતા. જેની સાથે સુરતનું પ્રખ્યાત ગાર્ડન ગ્રુપ પણ જોડાયુ હતું. લોકોએ આ અનોખી વિસર્જન યાત્રાને મનભરીને માણી અને આદિવાસી સમાજની કળા-સંસ્કૃતિથી માહિતગાર થયા હતા. યાત્રામાં એક પેડ માં કે નામ, નો ડ્રગ્સ, પ્રકૃતિ બચાવો, સેવ મધર અર્થ, કેચ ધ રેઇન જેવા વિષયોની કૃતિઓ સાથે જનજાગૃતિ લાવવાનો પણ પ્રયાસ કરાયો હતો. ઉલ્લેખનિય છે કે, આગામી વર્ષથી સાંસદ ધવલ પટેલ વલસાડમાં પોતાના કાયમી નિવાસ સ્થાને ગણેશોત્સવનું આયોજન કરશે.