કારમાં સવાર લોકો સમયસુચકતા વાપરી ઉતરી જતા થયો આબાદ બચાવ
નવસારી : ઉનાળાની મોસમમાં આગ લાગવાની ઘટના સામાન્ય બની રહી છે. જેમાં આજે નેશનલ હાઈવે નં. 48 પર પુરપાટ ઝડપે દોડી રહેલી કાર સંદલપુર પાટીયા પાસે પહોંચતા ભડભડ સળગવા માંડી હતી. કારમાં આગ લાગતા કારમાં સવાર લોકો તાત્કાલિક કારમાંથી ઉતરી જતા તેમનો આબાદ બચાવ થયો હતો. જયારે કારમાં લાગેલી આગને કારણે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો.
કારમાં આગ લાગતા મુંબઇ-અમદાવાદ ટ્રેક ઉપર ટ્રાફિક જામ સર્જાયો
ઉનાળો ચાલી રહ્યો છે અને જિલ્લામાં આગની ઘટનાઓ વધી છે. ખાસ કરીને વાહનોમાં આગ લાગવાની ઘટના છેલ્લા થોડા દિવસોમાં સંભળાઈ છે. આજે પણ સવારે નવસારી શહેરના ટેકનીકલ હાઈસ્કૂલ પાસે SX4 કારના બોનેટમાં આગ લાગી હતી, ત્યારબાદ બપોરના સમયે નેશનલ હાઈવે નં. 48 પર મુંબઈથી અમદાવાદ તરફ જઈ રહેલી એક કારમાં નવસારીના સંદલપોર ગામના પાટીયા પાસે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગ્યાની જાણ થતા જ કાર ચાલકે કારને રસ્તાની કિનારે ઉભી રાખી, કારમાં સવાર તમામ લોકો સાથે નીચે ઉતરી ગયો હતો. જોતજોતામાં આગે વિકરાળ રૂપ ધારણ કર્યુ અને કાર ભડભડ સળગી ઉઠી હતી. નવસારી ફાયર વિભાગને આગની જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી, પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. પરંતુ ત્યાં સુધીમાં કાર સંપૂર્ણ બળીને રાખ થઇ હતી. બીજી તરફ કારમાં આગની જાણ થતા નવસારી ગ્રામ્ય પોલીસની વેસ્મા આઉટ પોસ્ટના પોલીસ કર્મીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. આગને કારણે હાઈવે ઉપર ટ્રાફિક જામ થયો હતો, જેને પોલીસે સુચારૂ કરાવ્યો હતો. જોકે પ્રાથમિક તબક્કે કારમાં શોર્ટ સર્કીટને કારણે આગ લાગી હોવાની માહિતી મળી છે, જયારે સમગ્ર મુદ્દે નવસારી ગ્રામ્ય પોલીસે આગળની તપાસ આરંભી છે.