દક્ષિણ-ગુજરાત

નવસારીમાં વરસાદી માહોલ યથાવત, વાંસદામાં 2 ઈંચ વરસાદ નોંધાયો

Published

on

ઉપરવાસના વરસાદને પગલે ચિંતા રહી, પણ નદીઓના જળસ્તર ઘટતા રાહત

નવસારી : નવસારીમાં છેલ્લા ત્રણ દિવસોથી હવામાન વિભાગની આગાહી અનુસાર વરસાદી માહોલ જામ્યો છે. જેમાં ગત રોજ વરસેલા વરસાદમાં નવસારીના ઉપરવાસના વરસાદે નદીઓમાં જળસ્તર વધારતા ચિંતા વધી હતી. જોકે વરસાદ ધીમો પડતા મોડી સાંજે જળસ્તર ઘટતા રાહત થઈ હતી. નવસારીમાં આજે સવારે 6 વાગ્યા સુધીમાં પૂરા થતા 24 કલાકમાં સૌથી વધુ વાંસદામાં 2 ઈંચ વરસાદ નોંધાયો હતો.

ઉપરવાસના વરસાદે પૂર્ણા નદીની જળ સપાટી વધારતા વિસર્જનમાં પડી મુશ્કેલી

નવસારી સહિત ઉપરવાસના ડાંગ, તાપી અને સુરત જિલ્લામાં ત્રણ ચાર દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. વરસાદી માહોલને કારણે જિલ્લાની લોકમાતાઓમાં નવા નીરની આવક થતા જળસ્તર પણ વધ્યા હતા. જ્યારે સતત વરસાદી માહોલથી જનજીવન પણ પ્રભાવિત થયું છે. ખાસ કરીને ઉપરવાસના વરસાદને પગલે ગત રોજ નવસારીથી પસાર થતી પૂર્ણા નદીની જળ સપાટી વધીને 19 ફૂટે પહોંચી હતી. જેથી શહેરના ગણેશ વિસર્જનમાં ભક્તોને ઘણી મુશ્કેલી વેઠવી પડી હતી. જોકે ઉપરવાસમાં વરસાદ ધીમો પડતા ગત મોડી સાંજ સુધીમાં પૂર્ણાના જળસ્તરમાં ઘટાડો નોંધાતા વિસર્જનમાં ઝડપ આવી હતી.

નવસારીમાં સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકના વરસાદી આંકડા

નવસારી : 4 મિમી, જલાલપોર : 8 મિમી,

ગણદેવી : 0.70 ઈંચ, ચીખલી : 1.62 ઈંચ,

ખેરગામ : 1.41 ઈંચ, વાંસદા : 1.91 ઈંચ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version