ચુંટણી

નવસારીની વસુધારા ડેરીમાં ચેરમેનનો તાજ રાજાભાઈ પટેલના માથે  

Published

on

એક કલાકથી વધુની મથામણ બાદ થયેલી ચુંટણીમાં રાજાભાઈ 10 મતોથી વિજેતા

નવસારી : નવસારીનાં આલીપોર સ્થિત અને દક્ષિણ ગુજરાતની જાણિતી વસુધારા ડેરીના ચેરમેન અને વાઈસ ચેરમેનની ચુંટણીમાં ભાજપને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ડેરીના 14 ડીરેક્ટરોએ કરેલા મતદાનમાં ભાજપી કિશોર પટેલને રાજાભાઈ પટેલે 10 મતોથી પછડાટ આપી જીત પોતાને નામે કરી હતી. જયારે વાઈસ ચેરમેન પદ પર સીતાબેન જાધવે બાજી મારી હતી.

પ્રાંત અધિકારીએ ચુંટણી પ્રક્રિયા શરૂ કરતા જ થયો હતો વિવાદ

નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતના પશુપાલકો માટે આર્થિક સદ્ધરતાનું પર્યાય બનેલી નવસારીનાં આલીપોર સ્થિત વસુધારા ડેરી ડીરેક્ટરોની ચુંટણી બાદ 5 જાન્યુઆરી, સોમવારે બપોરે 12:૩૦ વાગ્યે ડેરીના ચેરમેન અને વાઈસ ચેરમેનની ચુંટણી યોજાઈ હતી. વસુધારા ડેરીનું સુકાન ભાજપી કિશોર પટેલને મળે એનો તખ્તો ગોઠવાયો હતો. પરંતુ સામે ગણદેવીની સહકારી સંસ્થાઓ સાથે સંકળાયેલા અને ડેરીનાં ડીરેક્ટર રાજેશ ઉર્ફે રાજાભાઈ પટેલ પણ ચેરમેનની ચુંટણી લડવા મેદાને હતા. ચીખલી પ્રાંત આધિકારી ચુંટણી પ્રક્રિયા માટે પહોંચ્યા, તો ભાજપી કિશોર પટેલની ચેરમેન પદની દાવેદારી સામે રાજાભાઈએ પણ ઉમેદવારી કરતા થોડી મિનીટ માટે વાતાવરણમાં ગરમાટો આવી ગયો હતો. પ્રાંત અધિકારીએ મતદાનની શરૂઆત કરાવતા જ બંને પક્ષે ઉગ્ર બોલાચાલી થઇ હતી. જેથી પ્રાંત અધિકારીએ બંને પક્ષોને થોડો સમય આપ્યો અને લગભગ 1 થી સવા કલાક બાદ ચુંટણી શરૂ કરવામાં આવી હતી. જેમાં ડેરીના 14 ડીરેક્ટરોએ કરેલા મતદાનમાં ભાજપી કિશોર પટેલને ફક્ત 4 મતો મળ્યા હતા. જયારે રાજેશ ઉર્ફે રાજાભાઈ પટેલને 10 મતો મળતા, તેમનો ભવ્ય વિજય થયો હતો. એજ રીતે વાઈસ ચેરમેન પદ માટે ભાજપના કલ્પના ભીંસરાને સીતા જાધવે 9 મતોથી પછડાટ આપી જીત પોતાના નામે કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version